કોણ છે?

હું સતત મરતો રહ્યો, જીવે તે કોણ છે?
આ હવાના વસ્ત્રને સીવે તે કોણ છે?

http://www.heenaparekh.com

પુષ્પ થૈને વૃક્ષડાળે હું ખીલી રહું;
મૂળભીનાં જળ સતત પીએ તે કોણ છે?

http://www.heenaparekh.com

હું મને પણ આયનામાં જોઈ ના શકું;
આંખની પાછળ રહી જુએ તે કોણ છે?

http://www.heenaparekh.com

હું પણછ ને હું જ પંખી, ડાળ છું અહીં;
બાણ થૈને લક્ષ્યને વીંધે તે કોણ છે?

http://www.heenaparekh.com

જિંદગી છે એક માયાવી હરણ સમી-
તર્જનીના ટેરવે ચીંધે તે કોણ છે?

http://www.heenaparekh.com

(આહમદ મકરાણી)

મરવું

.

કોઈએ કહ્યું છે :

માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે

મરણ સાથે.

આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે ?

કે લગ્નની ભયંકરતા તરફ ?

.

‘મરવું’માંથી વાસ આવે છે

બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની,

કોહવાતા લાકડાની,

મરઘાના ખાતરની,

વરસોથી ન ખૂલેલા, હવડ હવાબારી વગરના

સંબંધની,

લોટામાં ચાર પાન મૂકો સાહે…બ, કાંઠલે દોરો બાંધો,

હવે શ્રીફળ પધરાવો. ચાર બાજુએ ચાર ચાંદલા કરો,

અક્ષત લગાડો, હાથમાં ઊંચકીને ત્રણ વખત માથે અડાડો,

કુંભે વરુણમાવાહયામિ સ્થાપયા… મિ….’ની વાસ આવે છે

‘મરવું’માંથી.

.

કૂંપળમાંથી કોલસો

વ્હેલમાંથી તેલ

-કેવા કેવા વેશ કાઢે છે, આ ‘મરવું’

.

ફ્રાન્સવાળાઓએ કાચી કુમળી વયે બાંધીને બાળ્યું,

પારધીવાળાઓએ અંગૂઠે વીંધ્યું,

ગ્રીસવાળાઓએ પ્યાલી પાઈ,

યહૂદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું.

.

(ઉદયન ઠક્કર)



તારી બારી પર

તારી બારી પર

ઝરમર ઝરમર વરસાદ પડે છે

તે હું છું

તારી બારી પર

એક ફૂલ ઝૂકેલી ડાળી છે

તે હું છું

તારી બારી પર

એક પંખીનો ટહુકો છે

તે હું છું

તારી બારી પર

હવાની અદ્રશ્ય લ્હેરખી છે

તે હું છું.

ઉઘાડ-બંધ થતી તારી બારી

તે પણ હું છું

તારી બારીની અંદર

કે બહાર

માત્ર હું છું

(ઉમાકાન્ત શ્રીનાથ)

એક ને એક અગિયાર

[મારા સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન બસમાં અમારી બાજુની જ સીટ પર ઉષાબેન જોષી નામના સહપ્રવાસી હતા. પ્રથમ નજરે તેઓ ગૃહિણી જેવા જ દેખાતા હતા. રોજ તેઓ દરેક સ્થળ વિશે વિગતે ડાયરીમાં નોંધ કરતા હતા. એક દિવસ તેમની સાથે તેમની આ આદત વિશે વાત થઈ તો જાણવા મળ્યું કે તેઓ લેખિકા છે અને બાળવાર્તા, નવલિકા, જીવનચરિત્ર, કવિતા, બાળકાવ્યો, ધાર્મિક લેખો અને પ્રસંગ વિષયક લેખો લખે છે. તેમના લેખો સ્ત્રી, સંદેશ, હિન્દુ મિલન મંદિર વેદ સંદેશ, શ્રી, નવસાક્ષરબંધુ, બાલઆનંદ, પા..પા..પગલી, મારે ભણવું છે અને લોકજીવન માસિક વગેરેમાં પ્રકાશિત થયા છે. આકાશવાણી દમણ પર પણ તેમની કૃતિઓ બ્રોડકાસ્ટ થઈ છે. આ બાળવાર્તા તેમના “મારો વાર્તાવૈભવ” નામના પુસ્તકમાંથી લેવામાં આવી છે જે પુસ્તક ગુજરાત સાહિત્ય  અકાદમીના સહયોગથી પ્રકાશિત થયું છે.]

એક ને એક અગિયાર

સ્વામી રામતીર્થ શિક્ષક હતા ત્યારની આ વાત છે. તેઓ વિદ્યાર્થીઓને ગણિત શીખવતા હતા. ઘણાં વિદ્યાર્થીઓને ગણિત વિષય નિરસ લાગતો હતો. સ્વામી રામતીર્થ ગણિત એવી રીતે શીખવતા કે વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞ્રાન મળતું.

એક દિવસની વાત છે. તે દિવસે રામતીર્થનો ગણિતનો પિરીયડ છેલ્લો હતો. વર્ગના વિદ્યાર્થીઓ ખૂબ કંટાળેલા હતાં. બધાં વિદ્યાર્થીઓ રામતીર્થને કહેવા લાગ્યા, “સાહેબ, આજે ભણવું નથી, વાર્તા કરો”. રામતીર્થે વિદ્યાર્થીઓને કહ્યું, “આજે આપણે અંકની રમત રમીએ”. વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા.

સ્વામી રામતીર્થે વિદ્યાર્થીઓને કહ્યું, “હું તમને એક પ્રશ્ન પૂછું તેનો જવાબ દરેક વિદ્યાર્થીએ પોતાના મનમાં નક્કી કરવો અને હું પૂછું ત્યારે મને જવાબ આપવો. એક વાત યાદ રાખવી કે દરેકનો જવાબ માત્ર પોતાનો જ હોવો જોઈએ. એકનો જવાબ તે બીજા પાસે ન બોલાવે. દસેક મિનીટ પછી હું તમને જવાબ પૂછવાની શરૂઆત કરીશ”. દરેક વિદ્યાર્થીએ આ વાત સ્વીકારી લીધી.

સ્વામી રામતીર્થે વિદ્યાર્થીઓને પૂછ્યું, “તમને શું ગમે? એકડો કે શૂન્ય? શા માટે? તમે મનમાં બરાબર વિચારીને જવાબ ગોઠવો”. બરાબર દસ મિનીટ પછી રામતીર્થે વારાફરતી બધાં વિદ્યાર્થીઓના જવાબ સાંભળવા માંડ્યા. સૌને સાવધ કર્યા કે આ જવાબ સાંભળીને કોઈએ પોતાના મનનો જવાબ ગોઠવવાનો નથી. મને તમારા પોતાના જ જવાબ જોઈએ છે. કોઈ વિદ્યાર્થીએ કહ્યું, “મને શૂન્ય ગમે છે કારણ કે તે લખવામાં સરળ છે”. કોઈકે કહ્યું, “મને એકડો ગમે છે કારણ કે તેમાં શૂન્ય અને વળાંકવાળી રેખા બન્ને આવે છે”. કોઈએ કહ્યું, “મને એકડો એટલા માટે ગમે છે કે તે કદમાં શૂન્ય કરતાં મોટો છે”. વળી કોઈકે કહ્યું, “શૂન્ય એકડાનું સ્થાન બદલે છે માટે મને શૂન્ય ગમે છે”. કોઈકે કહ્યું, “શૂન્યની મદદથી એકડો બને છે માટે મને શૂન્ય ગમે છે”. કોઈકે કહ્યું, “મને શૂન્ય અને એકડો બન્ને ગમે છે કારણ કે તે ગણિતના પાયાના માધ્યમો છે”. વળી કોઈએ કહ્યું, “એકડા વિનાના સો શૂન્ય નકામા છે માટે મને એકડો ગમે છે”. કોઈક વિદ્યાર્થી હોશિયાર હતો તેણે કહ્યું, “એકડો જેમ જેમ શૂન્યની ડાબી બાજુએ ખસે છે, તેમ તેમ તેની કિંમત દસગણી વધતી જાય છે જ્યારે શૂન્ય એકલું ગમે તે તરફ ખસે તો તેની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી માટે મને એકડો ગમે છે”. એક વિદ્યાર્થીએ કહ્યું એકડો એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે જ્યારે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે માટે શૂન્ય અને એકડો બન્ને ગણિતના સિદ્ધાંતનો પાયો છે”. વળી કોઈકે કહ્યું, “એક એકડો એકલો હોવા છતાં તે કિંમત ધરાવે છે જ્યારે એક શૂન્ય એકડા વિના એકલું હોય તો તેની કોઈ કિંમત નથી”. છેલ્લા વિદ્યાર્થીએ કહ્યું “એકડો અને શૂન્ય બન્ને એક રીતે તો એકબીજાના પૂરક છે પણ એકડાનું સ્થાન અને એકડાની કિંમત શૂન્ય કરતાં મોટી છે કારણ કે એકડાને તેની પોતાની કિંમત છે”.

આમ બધાં વિદ્યાર્થીઓના જવાબ સાંભળી સ્વામી રામતીર્થ ખૂબ ખુશ થયા . તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, “તમારી સૌની વાત સાચી છે. શૂન્ય અને એકડો એ બે ગણિતના પાયાના આધારસ્તંભો છે, ગણિતનું જ્ઞાન મેળવવા માટેના એ બન્ને એકમો છે. બન્નેની કિંમત અલગ છે છતાં બન્ને વ્યવહારમાં અતિ ઉપયોગી છે. એ બે વિના ગણિતનું જ્ઞાન શક્ય નથી.માણસનું મન પણ એવું જ છે. જેમ શૂન્ય અને એકડાની કિંમત જુદી છે, બન્ને પોતાના સ્થાન પ્રમાણે કિંમત ધરાવે છે તેમ માણસ પણ પોતાના વર્તનથી અને કામથી પોતાની કિંમત કરાવે છે. માણસ પોતાના કામથી મોટો બને છે. દરેક માણસના કામ સાથે તેનું નામ જોડાયેલું છે. જે માણસ સારું કામ કરે છે તેનું સ્થાન ઊંચું છે અને કિંમત વધુ છે. માણસના નામ તો તેને એકબીજાથી જુદા પાડવા માટે છે પણ કામથી માણસ મોટો બને છે અલગ તરી આવે છે. આપણે મોટા બનવા કે આપણું સ્થાન ઊંચુ બતાવવા બીજાનું મન જીતવું પડે છે, સારા કામથી જ બીજાનું મન જીતી શકાય છે. મેં મારા જ્ઞાનની વહેંચણી તમારામાં કરી છે, તમે તે જ્ઞાન ગ્રહણ કર્યું છે. મારી આપેલી કેળવણી અને તમે મેળવેલું જ્ઞાન ભેગાં થશે તો ઉત્તમ જીવન પસાર થશે, એક ને એક અગિયાર થશે”.

આમ સ્વામી રામતીર્થે બાળકોને શૂન્ય અને એકડાની કિંમત દ્વારા માણસનું જ્ઞાન અને સ્થાન પ્રમાણે મેળવાતી મોટાઈની સમજણ વિદ્યાર્થીઓને આપી. વિદ્યાર્થીઓએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું.

ઉષાબેન એસ. જોષી

[૧, શ્રુતિ એપાર્ટમેન્ટ, તીથલ રોડ, વલસાડ. ફોન નંબર : ૦૨૬૩૨-૨૪૪૮૧૬]

ચિરએકલપણાના પ્રવાસી

ન એકેય બારી કદી પણ ન વાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

ઉદાસી ફૂલોની મહેંક બારમાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અમારી જ સાથે થતી મોજ ખાસ્સી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અમારી હવેલી અમે એમાં દાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

ઉજાણીમાં કેવળ અમે ને ઉદાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અગોચર સફર ને અદીઠો ખલાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

અમારી જ ભીતરના કાયમ નિવાસી,

અમે ચિરએકલપણાના પ્રવાસી.

દત્તાત્રય ભટ્ટ

વરસાદ આવે છે

હું સાદી ભાષામાં તમને કહું ? વરસાદ આવે છે,

અદ્દલ વરસાદ જેવો હૂબહૂ વરસાદ આવે છે.

બહુ ભારે છે પર્વત, ક્યાં સુધી ટકવાની આ ટચલી

સહારો છોડીને ચાલો સહુ, વરસાદ આવે છે.

ગગનવાળાની પાસે માંગુ છું એક વાદળું કે જે,

વરસતું હોય ને ગાતો રહું, ‘વરસાદ આવે છે.’

સવારી વીજ પર, ઢોલીડા ગર્જન, બારાતી ફોરાં;

બનાવી લેવા અવનીને વહુ, વરસાદ આવે છે.

ન જાઓ, આમ છોડીને આ બાહુપાશની છત્રી!

બહાર આ હૂંફવર્તુળની, બહુ વરસાદ આવે છે!!

શોભિત દેસાઈ

બાપો

મૂળ વલસાડના અને થોડા વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા શ્રી જયંત દેસાઈની આ કવિતા દક્ષિણ ગુજરાતની લાક્ષણિક બોલીમાં લખાયેલી છે. આને પ્રાર્થના કે ભજન કહેવું મુશ્કેલ છે. કવિ ખૂબ જ સહજતાથી અને આત્મીયતાથી ઈશ્વર સાથે એવી રીતે વાત કરે છે જાણે કે ઘરની વ્યક્તિ કે મિત્ર સાથે કરતાં હોય. કવિ આ કવિતામાં ઈશ્વરને બાપો, ડોસો કહીને સંબોધે છે અને પોતાની ફરિયાદો કરે છે. પણ કવિનો દેસાઈ મિજાજ-કોઈથી ન દબાઈ જવાનો મિજાજ અહીં છતો થયા વિના રહેતો નથી. તે ઈશ્વરને ડોફો કહીને એ મિજાજમાં ધૂળ કાઢી નાખવા માટે ધમકી આપે છે. આ મિજાજ જોઈને વલસાડના જ મોરારજી દેસાઈ યાદ આવ્યા વિના રહેતા નથી. તેઓ પણ આવા જ મિજાજ માટે જાણીતા હતા.

બાપો

હું લાગમાં લીધો,
હું લાગમાં લીધો…!
બરોબ્બર ગચરાઈ’વો તેં
બાકી, કે’વું પડે હેં!!
તું ડોહો ને ઊં તારો પોઈ’રો…
એટલો હોં તે વિચાર નીં કઈ’રો!
હાંને હારું તેં મને
આ દુનિયામાં લાવી’ને લાઈ’ખો?
મારો વાંક હું ઉતો?
ને મારે કાં કંઈ જોઈતું ઉતું?
ખાલી ફોગટનો મરાવી લાઈ’ખો!
નિહાળમાં માસ્તરોએ કીધું
કે હારા પોઈરા બનવાનું,
તો ઉં બઈ’નો!
ચોપડામાં વાંઈ’ચા કરતો, ને પછી
હારો માણસ હો બઈ’નો!!
પણ મને તેં કાં ઠરીને બેહવા દીધો?
આ ફા લાઈ’ખો ને વરી તે ફા લાઈ’ખો!
ને છેલ્લે તો જે ફેંઈ’કો તે આ
દહ અજાર માઈલ દૂર આવીને પઈ’ડો!
જે લોકો સાલા ઉંધા ધંધા કરતાં ઉતાં
તેને નીને મને હાંને હારું તેં
આટલો દુ:ખી ક’ઈરો હેં?
તું હું એમ માને કે ઊં દબાઈને બેહી રે’વા
ને કંઈ ની બોલા? અરે ડોફા!
ભગવાન થેઈ ગીઓ તો હું થીયું?
ઊં તો તારી હો, ધૂળ કાઢી લાખા, કે’ઈ દે’ઊ!
વરી લેવાનું કંઈ મલે ની ને અમથો
મને આ ભવાડામાં ખેંચી લાઈ’વો!
જોતે…પાછો! અઈ’હાં હું કરતો છે?
તારા બધ્ધાં ફોટા ને મૂ’રતી, ઘરમાંથી કાઢી
ની લાખું તો મારું નામ ની!
બોઊ થહે તો ગાંડો થેઈ જવા ને
એમ માના કે મારો કોઈ બાપો ઊતો જ ની!
જો અક્કરમીના પડિયાં કાણા ઓ’ય તો
હક્કરમી બનીને હો હું કાંદો કાઈઢો?
કાં દા’ડો વઈ’ળો બોલ?
ચૂપ કેમ થેઈ ગીઓ
કંઈ ફાટ તો ખરો!! મોઢામાંથી!
.
[ગચરાઈ’વો-ગળચી દબાવી, પોઈરો-છોકરો, હક્કરમી-સદ્દકર્મી, અજાર-હજાર, ફા-બાજુ, અઈ’હા-હસ્યા]
.
જુલાઈ ૯ ૨૦૦૫ રાત્રે ૯.૦૦ પમોના
.
જયંત દેસાઈ

વાર લાગી

બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતાં વાર લાગી
હાર ને જીતથી પર હતા એટલે ખેલતાં ખેલતાં વાર લાગી

ઝેલતાં ઝેલતાં વેદના થઈ ગઈ માત્ર આનંદ હોવાપણાનો
પ્રિય પીડા હતી, કષ્ટ અંગત હતાં ગેલતાં ગેલતાં વાર લાગી

કોઈ રાખ્યાં નહીં માર્ગનાં વળગણો, કોઈ પરવા કરી નહિ સમયની
ટહેલતાં ટહેલતાં છેક પહોંચી ગયા, સહેલતાં સહેલતાં વાર લાગી

ચંદ્ર-સૂરજ વિના આમ અમને અમે ધીમે-ધીમેકથી ઓળખાયા
મૌનના ગર્ભમાંથી અસલ તેજને રેલતાં રેલતાં વાર લાગી

ભૂલતાં ભૂલતાં ભાન ભૂલ્યા, પછી ઝૂલતાં ઝૂલતાં ખૂબ ખૂલ્યા
ખૂલતાં ખૂલતાં પણ તમારા સુધી ફેલતાં ફેલતાં વાર લાગી

આમ અનહદ વરસતી કૃપાના અમે માંડ પીધા હશે બેક પ્યાલા
ઝીલતાં, ઝાલતાં, મ્હાલતાં, માણતાં, મેલતાં મેલતાં વાર લાગી

.જવાહર બક્ષી

ભૂલી જઈએ

ચલ બાળકની જેમ બધું ઝટ ભૂલી જઈએ,

આ હોવું, હોવાની ઝંઝટ ભૂલી જઈએ.

સાત ખોટની હોય ભલે રટ ભૂલી જઈએ,

આગ એક જે લાગી ઘટઘટ ભૂલી જઈએ.

બળમાં છે, છો સૌથી બળકટ ભૂલી જઈએ,

ખેલી લઈએ જીવ સટોસટ ભૂલી જઈએ.

આંખો, આંગણ, શેરી, પાદર થાક્યા પાક્યા,

કોણ કહે કોને? એ આહટ ભૂલી જઈએ.

એમ ફ્ક્ત મળવાથી શું વળવાનું ‘મિસ્કીન’

શરત એ જ છે નામ અને વટ ભૂલી જઈએ.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મેઘદૂત-ઉત્તર મેઘ


‘હે વાદળ ! અલકાપુરીના ઊંચા ઊંચા મહેલો બધી રીતે તમારા જેવા છે. તમારી પાસે વીજળી છે, તો એ મહેલોમાં સ્ત્રીઓ રહે છે. તમારી પાસે ઈન્દ્રધનુષ, છે તો એ મહેલમાં રંગબેરંગી છબીઓ ટીંગાડેલી છે. તમે મીઠા સ્વરથી ગંભીર ગર્જના કરી શકો છો તો મહેલોમાં પણ સંગીતના સમયે મૃદંગ વાગે છે, તમારી અંદર આસમાની રંગનું જળ છે, જેનાથી તમે કાન્તિમાન છો, તો તે મહેલ નીલમ આદિ રત્નોથી જડેલાં હોવાથી કાન્તિમાન છે. તમે ઊંચાઈ પર હશો તો ત્યાંના ભવનો પણ ગગનચૂંબી છે’.

‘જુઓ મિત્ર, ત્યાંની કુળવધૂઓ હાથમાં કમળનાં ઘરેણાં પહેરે છે. વાળમાં, અંબોડામાં, કાનમાં અને સેથાંમાં જાતજાતનાં ફૂલો ગૂંથે છે. મોઢા ઉપર ફૂલોનો પરાગ મસળે છે. ત્યાં આગળ બારે મહિના ફૂલ આવે એવાં ઘણાંયે ઝાડ છે, જેના ઉપર ભ્રમરો મસ્ત બનીને ગણગણ કરે છે. હમેશાં ખીલે એવાં કમળ અને કમલિનીઓને હંસ ઘેરીને ફરે છે. ત્યાં આગળ હમેશાં ચમકે તેવા પાંખોવાળા પાળેલા મોર ઊંચું મોઢું કરીને રાતદિવસ ટહુક્યા કરે છે. ત્યાંની રાત  સદા પૂર્ણિમાના પ્રકાશથી દેદીપ્યમાન હોવાને કારણે ખૂબ જ પ્રિય અને મનોહર લાગે છે. તેઓ પ્રેમમાં જ રૂઠે છે અને કોઈ કોઈથી વિખુટું પડતું નથી. તેઓ સદાકાળ જુવાન જ રહે છે. ત્યાંની કન્યાઓ બહુ જ સુંદર છે. પોતાની મુઠીમાં રત્નો લઈને એમના સોનેરી વાળમાં સંતાડીને તેને ગોતવાની રમત રમ્યા કરે છે’.

‘હે વાદળી ! તમારાં જેવાં ઘણાંયે વાદળો હવાની લહેરો જોડે એવા ઊંચા ઊંચા મહેલો ઉપરના ખંડોમાં ઘૂસી જાય છે અને ત્યાંની દીવાલો પર ટાંગેલાં   ચિત્રોને પોતાના ફુવારાઓથી ભીંજવી નાંખે છે અને ત્યાર પછી ભયના માર્યા ઝરુખામાંની જાળીઓમાંથી સંતાતા, છુપાતા, ચૂપકીથી ભાગી જાય છે. ધુમાડાના જુદા જુદા આકાર બનાવવામાં તેઓ બહુ ચતુર છે. ત્યાંના લોકો ખૂબ વિલાસી છે. ત્યાં શૃંગારની બધી સામગ્રી એકલા કલ્પવૃક્ષમાંથી જ મળી રહે છે. ત્યાંના શામળા ઘોડા પોતાના રંગ અને પોતાની ચાલની સામે સૂરજના ઘોડાને પણ ગણકારે તેવા નથી. ત્યાંના હાથી પહાડ જેવા શરીર અને આકારવાળા છે. તે એવા પ્રકારે મદ વરસાવશે કે જે પ્રકારે તમે જળ વરસાવશો. ત્યાંના યોદ્ધાઓ એવા લડાયક છે કે જેમણે પોતાનાં બધાં ઘરેણાં ઉતારી દીધાં છે, કારણ કે તેઓ બધા ઘાનાં નિશાનોને જ ઘરેણાં સમજે છે જે તેમણે રાવણની જોડે યુદ્ધ કરતાં સમયે ચન્દ્રહાસ નામની તલવાર વડે પડ્યા હતા. ત્યાં કુબેરના મિત્ર શિવજી પણ છે’.

‘એ જ અલકાપુરીમાં કુબેરની ઉત્તરમાં મોટું ઘર છે. એનું દ્વાર ઈન્દ્રધનુષ્યના જેવું સુંદર અને ગોળ છે. એવું મારું ઘર તમને દૂરથી નજરે પડશે. એની પાસે એક નાનું કલ્પવૃક્ષ છે. એને મારી પત્નીએ પુત્રની જેમ પોષ્યું છે. ફૂલોના બોજાથી એ એટલું લચી પડેલું હશે કે તેની નીચે ઊભા રહીને કોઈ પણ માણસ હાથેથી ફૂલો તોડી શકે છે. જ્યારે તમે ઘરની અંદર જશો ત્યારે તમને એક વાવ મળશે. એનાં પગથિયાં ઉપર નીલમ જડ્યાં છે. એમાં વૈદૂર્યમણિ નામનાં અનેક સુંદર કમળો ખીલ્યાં હશે. એના જળમાં રહેવાવાળા હંસ એટલા સુખી છે જે તમને જોઈને તેઓ પાસે આવેલા માનસરોવર પર પણ જવાનું ભૂલી જશે’.

‘એ વાવના કાંઠા પાસે એક બનાવટી પહાડ છે. એનું શિખર નીલમણિનું બનેલું છે. ચારે તરફ સોનેરી કેળાથી ઘેરાયેલું હોવાથી એની છબી જોતાં વેંત જ થઈ જાય છે. દોસ્ત, એ પર્વત મારી પત્નીને બહુ જ પ્રિય છે. એટલે જ્યારે તમને જ વીજળીની સાથે હું જોઉં છું તો મારું મન ઉદાસ થઈ જાય છે અને મને તે પહાડની યાદ આવી જાય છે. આ બધું હું એકલો હોવાને કારણે જ થાય છે. એ બનાવટી પહાડ પાસે કુરબકનાં ઝાડથી ઘેરાયેલો માધવીમંડપ છે. એની પાસે બે વૃક્ષ છે. એક લાલ અશોકનું અને બીજું બોરસલ્લીનું’.

‘એ બન્ને ઝાડની વચ્ચે એક ચોકી છે જે નવા વાંસના જેવા ચમકતા મણિઓની બનાવેલી છે. એ ચોકીની ઉપર વળી એક ચોરસ પટ્ટી રાખવામાં આવી છે. એ પટ્ટી ઉપર સોનાની એક સેર રાખી છે. તમારો મિત્ર મોર રોજ સાંજે એના પર આવીને બેસે છે અને મારી પત્ની એને ઘુઘરાવાળા કંગન પહેરેલા હાથ વડે તાલ દઈને નચાવે છે’.

‘હે ભલા માણસ ! જો તમે મારાં બતાવેલાં આવાં ચિહ્નોને બરાબર ધ્યાનમાં રાખીને મારા બારણા પર શંખ અને પદ્મનાં બનાવેલાં ચિત્રો જોશો કે તરત જ તમે મારું ઘર ઓળખી કાઢશો. હવે તો હું ન રહેતો હોવાથી મારું ઘર બહુ જ સૂનું સૂનું અને ઉદાસ દેખાતું હશે, જેમ સૂર્યનો અસ્ત થવાથી કમળ ઉદાસ થઈ જાય છે. જુઓ, તમારે જલદીથી મારા ઘરમાં જવું હોય તો હાથીના બચ્ચાની જેમ નાના થઈ જશો અને રમવા માટે બનાવેલા પહાડનાં શિખરો પર બેસી જશો. પછી તમારી વીજળીની આંખો આગિયાની જેમ વારે વારે ચમકવશો અને મારા ઘરમાં જઈને બંધ કરી દેજો. ત્યાં આગળ તમને નાજુક ઝીણા દાંતવાળી, લાલ હોઠવાળી અને પાતળી કમરવાળી તથા ડરી ગયેલી હરણીની જેવી આંખોવાળી એક યુવતી નજરે પડશે. તે જ મારી પત્ની છે એમ સમજશો. તે બહુ જ સુંદર છે; માનો કે બ્રહ્માની ઊંચામાં ઊંચી કારીગરી છે. પણ હું ત્યાં ન રહેતો હોવાથી એનું રૂપ બદલાઈ ગયું હશે. તે જાણે હલેસાંથી મારેલી કમલિની જેવી લાગતી હશે. રાત અને દિવસ રોતી હોવાના કારણે એનાં નયન સૂજી ગયાં હશે. ચિંતાના કારણે ગાલ ઉપર હાથ મૂકવાથી અને મોઢા ઉપર વાળ આવી જવાથી એનું અર્ધું ઢાંકેલું મુખ જાણે વાદળાંઓથી ઢાંકેલા ચંદ્રની જેમ ફિક્કું અને ઉદાસ દેખાતું હશે. જુઓ, વાદળ, કાં તો તમે તેને મારી શુભ કામનાને માટે દેવતાઓની પૂજા કરતા દેખશો અથવા તો તે કલ્પનાથી મારું ચિત્ર બનાવતી હશે અથવા તો પિંજરામાં બેઠેલી મેના સાથે કંઈ વાતચીત કરતી હશે. અથવા તો હે ભાઈ ! તે મેલાં વસ્ત્રો પહેરીને પોતાનાં ખોળામાં વીણા રાખીને મારા નામનાં આંસુઓથી ભીંજાયેલી વીણાને જેમતેમ લૂછી લેશે; પણ જ્યારે મારી યાદ આવશે ત્યારે બેહોશ થઈ જશે કે વીણાના મેળવેલા તારોને ચડાવવા કે ઉતારવા પણ ભૂલી જશે. અથવા તો અમારા વિરહના દિવસથી તે દરરોજ ઉંબરા ઉપર જે ફૂલો મૂકતે હશે તે ધરતી ઉપર પાથરીને ગણતે હશે કે હવે મારા આવવાના દિવસો કેટલા બાકી રહ્યા’.

‘હે મિત્ર ! સંસારની ગડમથલમાં તે દિવસ તો ગમે તેમ વિતાવતી હશે, પણ રાત વિતાવવી તેને માટે બહુ જ કઠણ થઈ પડતી હશે. માટે તું મારો સંદેશો સાંભળી એને સુખી કરવા માટે અર્ધી રાત્રે મારા ઘરમાં ઝરૂખા આગળ બેસીને એને જોજે. તે વખતે તે અર્ધનિદ્રામાં ધરતી ઉપર પડી હશે. તેની સખીઓ તેની પાસે હશે. દુનિયામાં બધી સ્ત્રીઓ પોતાની સખીઓના દુ:ખના સમયે એમનો સાથ છોડતી નથી. તેથી થોડીવાર પલંગ પાસેની બારી પાસે રાહ જોશો. તેઓ જ્યારે સૂઈ જાય ત્યારે તમે મારે પત્ની પાસે જજો. તે બહુ દુ:ખી હશે. તે ધરતી પર ચત્તીપાટ પડી હશે અને આંસુ વહાવતી હશે. તેની એવી દશા જોઈને તમે પણ રડ્યા વગર રહેશો નહિ. બીજાનું દુ:ખ જોઈને એવા કોમળ હ્રદયવાળો કોણ છે કે જેનું મન કરુણાથી આર્દ્ર ન થઈ જાય’.

‘જે મેઘ ! તમે પહોંચશો એટલે તેનું ડાબું નેત્ર ફરકવા લાગશે. પણ જો તે સમયે તે સૂતી હોય તો તમે શાંત બેસી રહેજો. એને ઉઠાડશો નહિ. પણ જુઓ, એક પહોર તમે બેસી રહો અને તો પણ તે આંખો ન ઉઘાડે તો તમે તમારા જળથી ઠંડા કરેલા પવન વતી તેને જગાડશો. જ્યારે એ તમને છજામાંથી એકીટશે જુએ ત્યારે તમે વીજળીની જેમ લપાઈને તેની સાથે વાત કરશો. તમારે એને કહેવું, ‘હે સૌભાગ્યવતી ! હું તમારા પતિનો પ્રિય મિત્ર મેઘ છું. તમારી પાસે એમનો સંદેશો લઈને હું આવ્યો છું’. એ સાંભળીને તે તમારી સામે જોઈને બહુ જ પ્રેમથી, પ્રસન્નતાથી અને આદરથી મારો સંદેશ એવી રીતે સાંભળશે કે જેમ સીતાજીએ હનુમાનજીની વાતો સાંભળી હતી ! પ્યારા દોસ્ત ! તમારે એમ કહેવું, ‘તમારા પતિ રામગિરિ આશ્રમમાં કુશળ છે અને તમારા કુશળ સમાચાર જાણવા આતુર છે. જેના પર અચાનક વિપત્તિ આવી ગઈ છે, એને આમ જ કહેવું યોગ્ય છે. એને કહેવું કે બ્રહ્માએ એમનો માર્ગ રોકી રાખ્યો છે, તે તને મળી નહિ શકે. તારા વિયોગથી બહુ દુ:ખી છે અને તે જાણે છે કે તું પણ તેવી જ રીતે દુ:ખી હશે. તું ખૂબ દૂબળી થઈ ગઈ હશે. ખૂબ રોતી હશે. તે તને ચોવીસે કલાક યાદ કર્યા કરે છે પણ આંખમાં આંસુ આવી જવાથી કંઈ જોઈ શકતો નથી. તે મનમાં ને મનમાં એક જ કામના કર્યા કરે છે કે કોઈ પણ પ્રકારે રાતના ત્રણ લાંબા પ્રહરો એક ક્ષણની જેમ નાના થઈ જાય, પરંતુ એ બધી પ્રાર્થના વ્યર્થ થઈ જાય છે’.

‘તમારે એને કહેવું, મારો જીવ ઊંડો ઊંડો જતો રહે છે. તો પણ હું વિચારીને જીવ સાથે માંડવાળ કરું છું. તું પણ બહુ દુ:ખી થઈશ નહિ. દુ:ખ અથવા સુખ સદાયે રહેતાં નથી. એ તો પૈંડાના ચકકરની જેમ ફર્યા કરે છે. જો, આવતી દેવઊઠી એકાદશીને દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા ઉપરથી ઊઠશે ત્યારે મારો શાપ પણ પૂરો થશે. એટલા માટે હવે બાકી રહેલા ચાર મહિનાઓ આંખ મીંચીને જેમ તેમ કરીને વિતાવી કાઢશો. ત્યાર પછી આપણે તો મળીશું જ. લોકોના કહેવાથી મારા પ્રેમ વિષે કોઈ પણ જાતની શંકા તારે લાવવી નહિ. કોણ જાણે લોકો એમ કેમ કહેતા હશે કે વિરહમાં પ્રેમ ઓછો થઈ જાય છે ! સાચી વાત તો એ છે કે જ્યારે મનમાં જોઈએ તે વસ્તુ મળતી નથી ત્યારે તે મેળવવા માટેની ઝંખના બહુ વધે છે અને તે મેળવવા માટે બધો પ્રેમ ભેગો થઈ જાય છે’.

‘વાદળ ! જુઓ, તમારી દુ:ખી ભાભીને આવી રીતે દિલાસો દઈને તેના ખુશીખબર જાણી લઈને અને તમે મળ્યા છો એની ખાતરી લઈ આવીને મારી પાસે આવશો અને મારા પ્રાણનું રક્ષણ કરશો. તમે મારું આ કામ કરશો ખરું ને? મારા વહાલા ભાઈ ! હું આવું પૂછું છું એટલા ઉપરથી તમે એમ ન માની બેસશો કે તમારી પાસેથી ‘હા’ પડાવ્યા પછીથી તમને આ કામ માટે યોગ્ય નથી સમજતો. ના હું જાણું છું કે જ્યારે ‘ચાતક’ તમારી પાસે પાણી માગે છે ત્યારે તમે જવાબ આપ્યા વગર જ પાણી આપો છો. સજ્જનોની આ જ રીત છે કે જ્યારે તેમની પાસે કોઈ માંગે છે ત્યારે તેઓ મોઢેથી કાંઈ કહેતા નથી. એનું કામ પૂરું કરી આપે છે. હે મેઘ ! અગર જો મારી પ્રાર્થના અનુચિત હોય તો પણ મિત્રના સંબંધથી અથવા મારા પર દયા લાવીને પણ મારું આ કામ પહેલું કરી આપજે, પછી તારે તારું વરસાદનું રૂપ લઈને ઈચ્છા આવે ત્યાં ફરજે. હું એટલું જ ઈચ્છું છું કે તમારી વીજળી તમારાથી કોઈ દિવસ અલગ ન થાય !’

યક્ષની આ વાતો સાંભળીને પોતાની ઈચ્છાનુસાર રૂપ બદલી શકે એવું આ વાદળું રામગિરિ પર્વત ઉપરથી ઊપડયું. ક્યારેક પર્વતો ઉપર, ક્યારેક નદીઓ પાસે તો ક્યારેક શહેરોમાં વિશ્રામ કરતું થોડા દિવસોમાં જ અલકાપુરી જઈ પહોંચ્યું. બતાવેલાં ચિહ્નો જોઈને યક્ષનું સોના જેવું ચળકતું ઘર શોધી કાઢ્યું. અંદર જઈને એણે જોયું તો યક્ષની સ્ત્રી બિચારી ધરતી ઉપર પડી હતી. એ જોઈને સર્વનું ભલું ઈચ્છનારા એવા ભલા મેઘે તેનો પ્રાણ બચાવવા માટે એના પ્યારા પતિનો મધુર સંદેશ એને સંભળાવ્યો. પોતાના પ્યારા પતિના કુશળ સમાચાર સાંભળી યક્ષની પત્નીના હૈયામાં આનંદ ન સમાયો. એને ખૂબ શાંતિ વળી. ખરેખર સારા માણસોને કામ સોંપીએ તો એ અવશ્ય પૂરું કરે છે.

અહીં યક્ષોના રાજા કુબેરે પણ જ્યારે આ સંદેશની વાત સાંભળી ત્યારે તેના મનમાં બહુ જ દયા ઊપજી. એનો ક્રોધ ઊતરી ગયો અને એનો શાપ પાછો ખેંચી લઈને બન્ને જણાંનો મિલાપ કરી દીધો.

આવા મિલનથી એનાં બધાં દુ:ખો દૂર થઈ ગયાં અને તેઓ પહેલાંની જેમ પ્રસન્નતાથી રહેવા લાગ્યાં એટલું જ નહિ પણ કુબેરે એવો પ્રબંધ કરી આપ્યો કે ફરી પાછું ક્યારેય પણ દુ:ખ એમની પાસે ફરકે પણ નહિ !