હું
છતને
આકાશ
ગણતો
નથી.
અનીતિની
બદબૂ વછોડતી
શ્રીમંતોની
રંગબેરંગી
ઝૂંપડપટ્ટીઓને હું
દિવાનેખાસ
ગણતો નથી.
અબળાઓ પર
બળાત્કાર કર્યા કરીને
મેટરનીટી હોમ્સને
ચેકો ફાડી
આપવાની વૃત્તિને
હું કદી કુમાશ
ગણતો નથી.
બે દિવસેય માંડ મળતી
અડધી રોટલી પંડ્યનું
ગલૂડિયું ઝુંટવી
જાય ત્યારે ઝાંપે જઈ
શૂન્યમાં તાકતી કાબરીને
હું આમેય
નિરાશ ગણતો નથી.
આપણે જ
ઊભી કરેલી લાચારીઓને
ભાગ્યનો દોષ દઈને
‘કાશ’: ગણતો નથી. તમે ભલે
ગમે તે કહો, છતને હું આકાશ ગણતો નથી.
.
(જયંત દેસાઈ)