મને આજે ઊઠવાનું મન નથી થતું – નટવર ગાંધી
મને આજે ઊઠવાનું મન નથી થતું
ધારો કે આજે હું ન ઊઠ્યો તો ?
.
પહેલું એ કે બ્રેકફાસ્ટની મિટિંગ નક્કી કરેલ તે કે ન્સલ થશે.
જેની સાથે મિટિંગ નક્કી કરી છે એ “કાંઈક થયું હશે”
એમ માનીને પાછા જશે.
ભલે.
.
ઓફિસમાં સેક્રેટરી પણ “કાંઈક થયું હશે” એમ માનીને
મારી બધી એપોઈન્ટમેન્ટસ કેન્સલ કરશે.
.
ઘરે પણ “તમારી તબિયત બરાબર નથી ? એસ્પિરિન આપું ? ચા બનાવી આપું ?”
એમ પૂછીને
”આ માણસ આજે ઘરે પડ્યો છે તેનું શું કરવું ?”
તેવો વિચાર કરતી એ પણ પોતાને કામે લાગશે.
ભલે.
.
અને હું પણ “મૂકોને, કાલે કરશું” એમ કહીને
પડખું ફરી પાછો સૂઈ જઈશ.
ભલે.
.
પણ ધારો કે હું સાવ જ ન ઊઠ્યો તો ?
.
( નટવર ગાંધી )