જે પળે – અવિનાશ પારેખ
જે પળે
સૃષ્ટિ સમષ્ટિનો અંત આવે ત્યારે-
.
અનરાધાર વરસતા અંધારમાં
દસે દિશાઓ એકાકાર થઈને
મારા શ્વાસ સાથે ડૂબી જશે
પરમની શોધમાં ?
.
સૂરજના સામિપ્યથી
પીગળતા પ્રવાહી લાવા
મારી પાસે
સ્મરણોની રાખ પણ નહીં છોડે ?
.
ક્ષણોના પરપોટામાં
સેવાતા સ્વપ્નો
સામટા ફૂટી જશે
કિનારે આવીને ?
.
કે પછી
ઈશ્વરનો છૂટી ગયેલો હાથ
મને ફંગોળશે અનંત અવકાશમાં
અશ્વત્થામાની જેમ
યુગયુગની સફર માટે ?
.
મને આવું જ થયું છે હંમેશા
તારા વિરહની એ પળે
જે પળે…
.
( અવિનાશ પારેખ )