રમકડું બની ગયેલા – સ્નેહી પરમાર

.

મારે,

રમકડું બની ગયેલા સમંદરમાં,

ફરી ઘૂઘવાટની ચાવી ભરવી છે

અને

કાંઠે પડેલી જાળને,

માછલી સાથે પ્રેમ થઈ જાય ત્યાં સુધી

એક પગે ઊભા રહેવું છે

મારે,

ધમણમાં ટીપાતાં કુહાડના શિશુ સાથે

દાણાના ગર્ભમાં ઊછરતા છોડનું સગપણ કરાવવું છે.

મારે,

તલવારો મ્યાન નથી કરવી,

પરંતુ

એ ખુલ્લી તલવાર પર,

બાળક એકડો ઘૂંટે, તે જોવું છે,

અને

સામેની ઝૂંપડીમાં પાથર્યા વિના સૂતેલા સમયની

પીઠ પર

છપાઈ ગયેલી કાંકરાની લિપિ ઉકેલીને

એક

કાવ્ય લખી કાઢવું છે.

 .

( સ્નેહી પરમાર )

4 thoughts on “રમકડું બની ગયેલા – સ્નેહી પરમાર

Leave a reply to snehi parmar Cancel reply