Skip links

પ્રેમની બાબતમાં – સુરેશ દલાલ

.

પ્રેમની બાબતમાં કોઈને સલાહ આપશો નહીં

લોહી જ્યારે લયબદ્ધ નર્તન કરતું હોય અને

ક્યારેક પ્રલયની જેમ ધસમસતું હોય ત્યારે

તમારી વાણી સાંભળવા કોઈ તૈયાર નહીં થાય.

 .

પ્રત્યેક ઝંખે છે પ્રેમનો અનુભવ. ભલે પછી એમાં

વફાઈ—બેવફાઈ, વહેમ, શંકા, શ્રદ્ધા, અંધશ્રદ્ધા

હોય કે ન હોય; પણ દરેકને પોતાના હાથમાં

ધખધખતો, સળગતો અંગારો મૂકવાની હોંશ હોય છે.

 .

વિધાતાએ બધી યોજના ઘડી કાઢી છે.

રડવા માટે આંખ અને ખૂબ લાંબી રાત આપી છે.

મળવા માટેના બગીચાઓ કઈ ઘડીએ રણ થઈ જશે

એની કોઈ કરતાં કોઈને ક્યારેય ખબર પડી નથી.

 .

અને આ બધું છતાં માણસે પ્રેમ ન કરવો

એવું તો વિચારાય જ નહીં. ઝંખના અને ઝુરાપો

મરણ લગી જીવવા માટે પૂરતાં છે.

 .

( સુરેશ દલાલ )

Leave a comment