પંખીઓ વિશે – જયન્ત પાઠક

.

૧.

ખરાં છો તમે !

નહીં કામ, નહીં કાજ

ને તોય અંધારે અંધારે ઊઠી જાવ છો,

-માત્ર ગાવા જ !

 .

૨.

પંખીઓ કવિતા જેવાં છે :

ચાલે છે ઓછું, ઊડે છે ઝાઝું !

 ,

૩.

વૃક્ષો ને ઈમારતો વચ્ચેનો

ભેદ

ભૂલી જવા લાગેલાં

આ પંખીઓ !

.

૪.

આ પંખીઓ

ઊડવાનું બંધ કરી દે

તો શું થાય !

આકાશવાણીનો

સંદેશવ્યવહારનો

આખો કાર્યક્રમ જ રદ થઈ જાય !

 .

૫.

પંખીઓ !

એકાદ દિવસ માટે તો મને

તમારો કંઠ, તમારી પાંખો આપો-

ભાષાથી

તરડાઈ ગયો છે મારો કંઠ

માટીથી

ખરડાઈ ગયા છે મારા પગ.

 .

( જયન્ત પાઠક )

હેપ્પી બર્થડે “મોરપીંછ”

.

૧૨૩૭ પોસ્ટ

૨૭૮૩ પ્રતિભાવ (કોમેન્ટસ્)

૧૦૨૫૧૩ પ્રતિસાદ (ક્લીકસ) અને

૪ વર્ષ

………………

“મોરપીંછ”ના પ્રથમ જન્મદિવસે આંકડાઓની માયાજાળ રજૂ કરી હતી તેમાં ફરી સુધારો કરી મૂકું છું. “મોરપીંછ”ને ગયા મહિનાની દસ તારીખે ચાર વર્ષ પૂરા થયા અને આજે પાંચમા વર્ષમાં પ્રવેશને એક મહિનો થયો.

 .

“મોરપીંછ”ની મુલાકાત લઈ પ્રતિભાવ આપનાર ચાહકોનો…

જેમની રચના આ સાઈટ પર સ્થાન પામી છે તે નામી-અનામી સર્જકોનો…

સાઈટ અંગે ટેકનિકલ માર્ગદર્શન આપનાર મિત્રોનો…

આ સાઈટને બિરદાવનાર “નેટજગત”ની ટીમનો…

સાઈટ અંગે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર મિત્રો અને સ્વજનોનો હું હાર્દિક આભાર માનું છું.

 .

આજના દિવસે ખાસ બે મોરપીંછી કવિતા રજૂ કરું છું.

 .

હિના પારેખ “મનમૌજી”

.

.

મોરપિચ્છ
.
માધવ મોરપિચ્છ અવલોકે,
વારવાર કંપિત કરથી ધરતા વિરહાકુલ શોકે.
.
આતુર અપલક રાધા કેરી ઝાંખી ઉરે ઉગાડી,
મોરપિચ્છ મહીં અનુખાણ નીરખે અંકિત આંખ ઉઘાડી.
.
ઝીણી ઝલમલ તંતુ તંતુ પર સોહે સ્વર્ણિમ છાયા,
નયન તરે સંકોચે સરતી કોમળ કાંચન-કાયા.
.
પરને પૂર્ણ વણાઈ નીલિમા નિખિલ નીલમણી કેરી,
પાગલ નૃત્ય કરી કરી ખરવું શ્યામ વદનઘન હેરી.
.
મોરપિચ્છ નિજ શિરે લગાવત ધારી પ્રેમ અગાધા,
માધવ દોલત વન વન કુંજે બોલત રાધા! રાધા!
.
( મકરન્દ દવે )

.

.

સખી ! મને મોરપીંછનો ઝોકો વાગ્યો,

કહો, કઈ વિધ હોય કરાર ?

 .

ના કોઈ કાજળ ના કોઈ ટીપું પાંપણને પગથાર,

કાળીધોળી ભૂકી પડીકી કામ ન લાગે લગાર.

કહો ગિરિધર નાગરને,

એની એક જ ફૂંકે પાર.

-મને મોરપીંછનો.

 .

રોઈ રોઈને રાતી અખિયાં, ખટકો ભારોભાર,

ઝાંખપના ઓછાયા ઘેરે, ક્યાં છો રે કિરતાર ?

અંધારા ઊતરે તે પહેલાં

કરી દો આંખો ચાર.

-મને મોરપીંછનો.

 .

કહો ગિરિધરને આણ અમારી અટકો નૈન-દુવાર.

ખળ ખળ ખળ વહી જાયે જમુના, રોકો હો મોરાર !

રાત કેટલી રહી ? સૂરજને

કહો, કેટલી વાર ?

-મને મોરપીંછનો.

 .

( રક્ષા દવે )

दो कवितायें – निदा फ़ाज़ली

.

(1)

सोने से पहले

.

हर लड़की के

तकिये के नीचे

तेज़  ब्लेड

गोंद की शीशी

और कुछ तस्वीरें होती है

सोने से पहले

वो कई तस्वीरों की तराश-ख़राश से

एक तस्वीर बनाती है

किसी की आँखे किसी के चेहरे पर लगाती है

किसी के जिस्म पर किसी का चेहरा सजाती है

और जब इस खेल से उब जाती है

तो किसी भी गोश्त-पोश्त के आदमी के साथ

लिपट कर सो जाती है

 .

(2)

सच्चाई

 .

वो किसी एक मर्द के साथ

ज़्यादा दिन नहीं रह सकती

ये उसकी कमज़ोरी नहीं

सच्चाई है

लेकिन जितने दिन वो जिसके साथ रहती है

उसके साथ बेवफ़ाई नहीं करती

उसे लोग भले ही कुछ कहें

मगर !!

किसी एक घर में

ज़िन्दगी भर झूठ बोलने से

अलग-अलग मकानों में सच्चाइयाँ बिखेरना

ज़्यादा बेहतर है

 .

( निदा फ़ाज़ली )

મધ્યરાત્રિએ આવતી – સુરેશ દલાલ

.

મધ્યરાત્રિએ આવતી રાતરાણીની મ્હેક જેવી તારી યાદ

અંધારામાં હળુહળુ કંડારે છે એક કોમળ શિલ્પ.

પથારીમાં પડેલો હું એને જોયા કરું છું નિ:સ્તબ્ધતાથી.

ઝાકળથી જન્મેલી એની આંખો જાણે કે હમણાં જ હસી પડશે.

બિડાયેલા હોઠમાંથી એકાએક પ્રગટશે સૂર્યનો લાલ રંગ

અને આખા ચહેરાને અજવાળતો એ કંકુ થઈને મ્હોરી ઊઠશે.

જરાક પણ જો એનાં ચરણ હલચલ થાય તો હવામાં ઝાંઝરના રોમાંચનો રંગ.

 .

ખુલ્લાં સ્તનોમાં આષાઢના વાદળની જેમ ચાંદની ઘેરાઈ રહી છે.

આંગળીઓમાં ટહુકે છે સ્પર્શનાં રેશમી પીંછાઓ

અને થીજેલા ગીત જેવું મારું મૌન મલ્હાર થઈને વરસી પડે છે.

શયનખંડની બારી ઉપર ટપકતાં ફોરાંઓના ધ્વનિનું ચિત્ર

અને પવનથી ચિરાઈ જતો પડદાઓની ઘંટડીઓનો ઘેરો અજંપો.

શયનખંડના દર્પણમાં ભીંસાઈને સંતાતાં આપણે બે

અને દર્પણની બહાર વિસ્મય અનુભવતી રાતરાણીની મ્હેક !

 .

( સુરેશ દલાલ )

ક્યારે પાછા આવશે – ખલીલ ધનતેજવી

.

એકલા છોડી ગયા તે ક્યારે પાછા આવશે,

દૂર જઈ ભૂલી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

જે તરસ લઈને ફરે છે, એ કિનારે આવશે

ઝેર જેવું પી ગયા તે તે ક્યારે પાછા આવશે.

 .

આ ધરા ફણગાશે, લીલીછમ ફરી થાશે કદી,

મૂળથી ઊખડી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

જે થયા પરલોકવાસી, રોઈ નાખ્યું એમનું,

પણ ફક્ત રૂઠી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

દૂરથી પાછા ફરે એ સ્હેજ મોડા પણ પડે,

ઉંબરે અટકી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

વૃક્ષ ધરખમ છે ને એને કૂંપળો ફૂટશે નવી,

પાંદડાં તૂટી ગયાં તે ક્યારે પાછા આવશે.

.

મેં ખલીલ આવ્યા ગયાની નોંધ પણ રાખી નથી,

શી ખબર ઊઠી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

( ખલીલ ધનતેજવી )

હું તો પહેલા વરસાદથી – રમેશ પારેખ

.

હું તો પહેલા વરસાદથી ભીંજેલી હો શ્યામ, મારે જાવું ક્યાં જાવું રે બોલ ?

 .

જોઉં તો ભાનસાન પાણી વિના ય

તૂટી પડતા વરસાદ સમા લાગે

ઝીલવા જઉં તો કેર કાંટાની જેમ

રાજ, મારો સહવાસ મને વાગે

 .

ચોમાસુ બેસવાને આડા બે-ચાર માસ તો ય પડે ધોધમાર હેલી

 .

હું રે ઉનાળાની સાંકડી નદી ને

તમે મારામાં આવેલું પૂર

ઝાડથી વછોઈ કોઈ ડાળખીને

જાણે કે પાંદડાંઓ ફૂટ્યાં ઘેઘૂર

 .

ભીનોચટ્ટાક સાદ પાડે છે મોર પછી ખોલું કે બંધ કરું ડેલી ?

 .

( રમેશ પારેખ )

પ્રેમ જ લખાશે – ‘રાઝ’ નવસારવી

.

તારા ગયા પછીનું હું વાતાવરણ લખું,

સંબંધને ઉલેચતી એકેક ક્ષણ લખું.

 .

એકાન્ત છે ને સામે પ્રસંગોની ભીડ છે,

મૂંઝાઉં છું કે તમને કયા સંસ્મરણ લખું ?

 .

દિવસ ને રાત તારા અરીસા બની ગયા,

એક જ છબી નિહાળતું હું જાગરણ લખું.

 .

સંબંધનાં છે ઝાંઝવા, છલનાની રેત છે,

દિનરાત પાંગરે છે જે મારામાં રણ લખું ?

 .

બારાખડી સમાઈ અઢી અક્ષરોમાં ત્યાં,

પ્રેમ જ લખાશે ‘રાઝ’ ભલે કાંઈ પણ લખું.

 .

( ‘રાઝ’ નવસારવી )