આનંદ આપે એ ક્ષણ દિવાળી… – સુરેશ દલાલ

.

પ્રત્યેક પ્રજાને પોતાનું નવું વર્ષ હોય છે અને એને ઊજવવાની નવી નોખી રીત હોય છે.

નાતાલમાં ક્રિસમસ ટ્રીનો મહિમા હોય છે. બાળકોને માટે સાન્તાક્લોઝ હોય છે. આપણે પરંપરાને નિભાવીએ છીએ ખરા. પણ પરંપરાના પોતને પૂર્ણપણે જાણતા નથી. દિવાળી એટલે વર્ષનો અંત અને દિવાળી પછીનો દિવસ એટલે નવા વર્ષનો આરંભ.

એક રીતે જોઈએ તો દિવાળી આત્મનિરીક્ષણની વસ્તુ છે. ગયે વર્ષે આપણે કયા કયા મનોરથ કર્યા હતા અને કયા કયા કામ પાર પાડી શક્યા એનું સ્ટોકટેકિંગ કરવું જોઈએ. આપણે કોને માટે કશુંક કરી શક્યા કે કોની જોડે ખરાબ રીતે વર્ત્યા એ પણ આપણે અંદરથી જાણવું જોઈએ અને જો આપણી ભૂલ હોય તો એને સુધારી લેવી જોઈએ. દિવાળીનો અર્થ તો એક જ છે કે જ્યાં અંધારું હોય ત્યાં દીવો કરો. માત્ર દીવો નહીં. દીવાઓની હારમાળા કરો. દિવાળી શબ્દ દીપાવલિ પરથી આવ્યો. દીપાવલિ એટલે દીવાની હારમાળા.

આપણે ત્યાં એમ કહેવાય છે કે વનવાસ વેઠીને રામ અયોધ્યા આવ્યા ત્યારે નગરજનોએ ઘરે ઘરે દીવા પ્રગટાવીને અજવાળાંનો ઉત્સવ મનાવ્યો હતો અને આખું અયોધ્યા તેજનાં તોરણથી સુશોભિત થઈ ગયું હતું. આપણા આયુષ્યની અયોધ્યામાં પણ આપણા રામનું ફરી પાછું આગમન થાય અને આપણી બધી જ ચિંતા, આપણી એકલતા, આપણો વિષાદ, આપણા પૂર્વગ્રહો, આપણો ક્રોધ-આ બધાનું પરિવર્તન થાય અને આપણે સુખ, શાંતિ અને ચેનથી રહીએ. આપણને અંદરથી કોઈ અછત ન લાગવી જોઈએ. મન ભરેલું અને સંતોષી હોય તો જીવનમાં જ્યાં જુઓ ત્યાં પ્રકાશ છે. જ્યાં અજવાળું છે ત્યાં હંમેશાં દિવાળી જ હોય છે.

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ધ સ્પીકિંગ ટ્રીમાં એક કથા પ્રગટ થઈ હતી. એમાં દ્વાપરયુગની વાત છે. કૃષ્ણએ તો વિષ્ણુનો અવતાર. એ રાક્ષસ નરાકસુરનો નાશ કરવા માટે સત્યભામા સાથે યુદ્ધભૂમિ પર નીકળી પડ્યા. નરકાસુર એ વખતે કૃષ્ણની સોળ હજાર કુંવારીઓને બંદીવાન કરીને બેઠો હતો. નરકાસુરે પોતાની બધી શક્તિ કૃષ્ણ પર અજમાવી, પણ ન ફાવ્યો. અંતે કૃષ્ણએ સુદર્શનચક્રથી નરકાસુરને હણી નાખ્યો. કુંવારીઓએ કૃષ્ણને સત્યભામા સાથે જોયો ત્યારે એમણે કૃષ્ણને વિનંતી કરી કે તમે સત્યભામા સાથે લગ્ન કરો. દ્વારકામાં જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે કૃષ્ણનાં લગ્ન થયાં. પ્રજાની ઈચ્છાપૂર્તિ થઈ. આમ દિવાળી સાથે અનેક કથા જોડાયેલી છે.

દિવાળી દરેકની જુદી હોઈ શકે. મારી દિવાળી હું મારી રીતે ઊજવું છું. કોઈક સારી કવિતા વાંચું કે કાવ્યનો અનુવાદ કરું તોય મને દિવાળી જેવું લાગે. દિવાળી મારે માટે કોઈ એક જ દિવસ નથી, પણ જે ક્ષણે આનંદ આવે એ દિવાળી છે. આપણે આપણા કેટલાય અહંકારને ઊંચકીને ચાલતા હોઈએ. પણ જે ઘડીએ આપણે આપણા અહમથી મુક્તિ પામીએ ત્યારે મારે માટે દિવાળી છે. જીવનમાં બધું મળે છે. પણ સમજદાર માણસો મળતા નથી. જે ક્ષણે આપણને કોઈ સમજદાર માણસ મળે-ભલે એ આપણી વાતને સ્વીકારે નહીં, પણ સમજે ત્યારે મને દિવાળી જેવું લાગે છે. આપણે અમુક પ્રકારના સાચા કે કલ્પિત ભયથી પીડાતા હોઈએ છીએ. ભયનું અંધારું આપણને ઘેરી વળ્યું હોય ત્યારે એમાંથી નિર્ભયતા તરફ ગતિ કરીએ એ બીજું કશું જ નથી, પણ દિવાળી જ છે.

મોટા ભાગના માણસો જીવનમાં આળસુ અને એદીની જેમ પડ્યા હોય છે. એમને કશું કરવાનું સૂઝતું નથી, જે માણસ કાર્યશીલ રહે એને દિવાળી ઉજવવાનો અધિકાર છે. જે માણસ જીવનમાંથી રસ ગુમાવી બેસે છે અને નીરસ થઈને ફરે છે, બીજા માણસમાં રસ લેતો નથી, સ્વાર્થી અને એકલપેટો થાય છે એ માણસ-ભલે એના ડ્રોઈંગરૂમમાં હાજરો ઝુમ્મર લટકતાં હોય તો પણ અંદરથી તો એના મનમાં અંધારું જ હોય છે. જે માણસ પોતાની માટે કમાય છે એ ધન છે, પણ જ્યારે એને સમજાય છે કે મારું ધન હું બીજામાં વહેંચું ત્યારે એ લક્ષ્મી થાય છે. ત્યારે એના ધનની સદ્દગતિ થાય છે. હું તો માનું છું કે સમજણપૂર્વકની સમાજસેવામાં ધનતેરસ, દિવાળી અને નવા વર્ષના તમામ સંકલ્પો સદાયને માટે સમાઈ જાય છે.

એક જમાનામાં લોકો દર વરસે કંઈક ને કંઈક સંકલ્પ કરતા. દાખલા તરીકે, ગાંધીયુગમાં મોટા ભાગના લોકો રોજ ડાયરી લખતા. કેટલાક અધવચ્ચે છોડી દેતા હશે. કોઈ પણ સંકલ્પ ન કરવો એના કરતાં એકાદ સંકલ્પ કરવો એ સારી વાત છે-એ દિવાળી જેટલી જ ઊજળી વાત છે.

( સુરેશ દલાલ )

Share this

10 replies on “આનંદ આપે એ ક્ષણ દિવાળી… – સુરેશ દલાલ”

  1. શુભ દિવાળી
    આવજો ને સ્વાગત
    નુત્તનવર્ષ

    પ્રકાશપર્વે
    આત્મદિપ પ્રગટો
    તેવી શુભેચ્છા

  2. શુભ દિવાળી
    આવજો ને સ્વાગત
    નુત્તનવર્ષ

    પ્રકાશપર્વે
    આત્મદિપ પ્રગટો
    તેવી શુભેચ્છા

Leave a Reply to Nirav Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.