અજવાળાની ચોવટ – ખલીલ ધનતેજવી

અજવાળાની ચોવટ કરવા બેઠો છે,

અંધારાનો વહીવટ કરવા બેઠો છે !

 .

વારાફરતી બંનેને ભંભેરે છે,

બંનેમાં સમજાવટ કરવા બેઠો છે !

 .

મહેફિલમાંથી ધક્કો મારીને કાઢો,

આવ્યો ત્યાંથી ખટપટ કરવા બેઠો છે !

.

એને ક્યાં તાણાવાણાની સમજણ છે,

ખાલી અમથો ઝીણવટ કરવા બેઠો છે !

 .

વાંચેલું બોલેલું સૌનું શીખીને,

એ પોતાને પોપટ કરવા બેઠો છે !

 .

બીજાને તકલીફો આપીઆપીને,

ખુદને માટે ફાવટ કરવા બેઠો છે !

 .

દર તહેવારે આડો ફાટે એ માણસ,

સંબંધોમાં વધઘટ કરવા બેઠો છે !

 .

સોચી સમજીને લખવાનું હોય ખલીલ,

ગઝલોમાંતું ઝટપટ કરવા બેઠો છે.

 .

( ખલીલ ધનતેજવી )

2 thoughts on “અજવાળાની ચોવટ – ખલીલ ધનતેજવી

Leave a comment