એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !
કૃષ્ણ જવાથી ગોકુળ જેમ જ મથુરા ઉજ્જડ થાશે !
.
કર્યો શ્યામને પ્રેમ; કર્યો કોણે આ અંબર તળે ?
પથ્થરને જો કર્યો હોત, આવ્યે ભૂકંપના ચળે !
દૈવજ્ઞો છો માને, એને સતત ભ્રમણના યોગો;
ગ્રહો-બ્રહો તો ઠીક, એ હાથે કરી રચે સંજોગો !
.
કલહ, કપટ ને યુદ્ધપ્રિય માધવ જો જો પસ્તાશે !
એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !
.
ઉદ્ધવજી ! એક તૃણ ખેંચો તો સાથે આવે માટી;
ઈશ્વર જાણે કઈ ધાતુથી ઘડી કૃષ્ણની ઘાટી !
રહી શકે એ નિર્મમ, ઉદ્ધવ ! જલમાં અંબુજ પેઠે;
નથી સાંભળ્યું કોઈ કને કે કૃષ્ણ યાતના વેઠે !
.
પણ અંતે, માધવને મન ગોકુળ આખ્ખું વમળાશે !
.
એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !
કૃષ્ણ જવાથી ગોકુળ જેમ જ મથુરા ઉજ્જડ થાશે !
.
( વીરુ પુરોહિત )