પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી
(૧)
ઔદાર્ય,
ઉદારતા એ તો ઊંડાણે,
વધુ ઊંડાણે અડીંગો
જમાવી દેવાનો ઓચ્છવ !
પ્રશંસા અને પ્રચારની
કુંપળ ન ફૂટે એવા સાવ
પ્રછન્ન રહી હૃદયે કોળતા
અને વધતા વડલાનું
નામ ઉદારતા.
કર્તાભાવનું સાક્ષીભાવે
અવતરણ એજ ઔદાર્ય !
તું અક્ષયપાત્ર, ભિક્ષાપાત્ર અમે !
(૨)
સ્વ-ઓળખ,
નિજધામને ઓરડે,
આનંદ સમૃદ્ધિની
પૂજા એ જ સ્વ ઓળખ,
આળસ વગર વહેતા વહેતા
થતા વિસ્તારનું નામ
સ્વ-ઓળખ.
પ્રયત્નપૂર્વક પામવાનું નહીં,
પણ જે પડેલું છે તેને પામીને
પરમને ચરણે ધરી દેવાની
પ્રસાદ પૂજાનું નામ
સ્વ-ઓળખ !
તું શ્રેષ્ઠ, શૂન્ય અમે !
( ડો. ભરતભાઈ મિસ્ત્રી )