ખોઈ બેઠા છે – મનસુખ નારિયા

સંબંધોના મુલાયમ શ્વાસને સૌ ખોઈ બેઠા છે,

પરસ્પરમાં હવે વિશ્વાસને સૌ ખોઈ બેઠા છે.

 .

નગરનું પીંજરું ફાવી ગયું છે સર્વ લોકોને-

સ્વયંની આંખથી આકાશને સૌ ખોઈ બેઠા છે.

 .

બધા અંધારનો વિસ્તાર કરવામાં જ મશગૂલ છે,
નગરના ચોકમાં અજવાસને સૌ ખોઈ બેઠા છે.

 .

અહીં ખુદનો જ પડછાયો, નથી હું ઓળખી શકતો-

સમયની ભીડમાં સહવાસને સૌ ખોઈ બેઠા છે.

 .

કહો છો કેમ છો ? ત્યારે મજામાં હોય છે લોકો-

હૃદયથી હર્ષ ને ઉલ્લાસને સૌ ખોઈ બેઠા છે.

 .

અતિશય દુ:ખની ઘટના છતાં આવે નહીં આંસુ

અહીં તો આંખની ભીનાશને સૌ ખોઈ બેઠા છે.

 .

( મનસુખ નારિયા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.