કરામત – દિનેશ કાનાણી
તોપખાનામાં સલામત હોય છે
એ જ શાંતિની કરામત હોય છે
.
સ્થાન સૌને ના મળે કૈં સ્વર્ગમાં
એ જગાઓ તો અનામત હોય છે !
.
પાનખર જેને કહીએ આપણે
વૃક્ષની ઝીણી મરામત હોય છે
.
એમ લાગે છે હવે આ જીવને
હર ઘડી જાણે કયામત હોય છે
.
છે પનારો કાવ્ય સાથે દિલ તણો
દોસ્ત ! બાકી તો ખુશામત હોય છે.
.
( દિનેશ કાનાણી )