એવું નથી – હરીશ પંડ્યા

જિંદગીમાં જે ગમે, એ મળે એવું નથી,

સ્વપ્ન જોયું રાતમાં, એ ફળે એવું નથી.

 .

તું પરાઈ પીડને જાણવા તત્પર નથી,

કોઈ તારી લાગણી, ને કળે એવું નથી.

 .

આ નગરમાં ચોતરફ માણસો ઘર બાંધતાં,

પાદરે આજે નદી, ખળખળે એવું નથી.

 .

આ સફર જો આદરી, અડચણો આવે ઘણી,

આંખ મીંચી ખોલતાં, એ ટળે એવું નથી.

 .

લાખ કોશિશ તેં કરી એમને રીઝવવા,

એમનું પથ્થર હૃદય પીગળે એવું નથી.

 .

( હરીશ પંડ્યા)

ગીત જડ્યાં તે ગાયાં – ધ્રુવ ભટ્ટ

ગીત જડ્યાં તે ગાયાં ને ? બસ, કવિ થવાની જરૂર શું છે ?

ભલે થયું; અજવાળું થ્યું ને ? છળી પડ્યાની જરૂર શું છે ?

 .

નભ વરસ્યું ને નાહ્યા એની મોજ મળી તે માણો

ભીનાં થયાનાં અવસર છે તે જ્ઞાન સમૂળુ છાંડો

જાત તો જેવી ને તેવી છે નવી કર્યાની જરૂર શું છે ?

ગીત જડ્યાં તે ગાયાં ને ? બસ, કવિ થવાની જરૂર શું છે ?

 .

હોય તો અનરાધાર પંડને ભૂલવાડી દે તેવું

કબૂલ કીંતુ તે ક્ષણ વીત્યે નથી ટપકતું નેવું

પળના ઝબકારાને કાયમ ગણી ગયાની જરૂર શું છે ?

ગીત જડ્યાં તે ગાયાં ને ? બસ, કવિ થવાની જરૂર શું છે ?

 .

મટી જવાની લીલા છે કંઈ બનવાનો આધાર નથી આ

જળ વાયુ કે તેજ સમજ કંઈ પથ્થરના આકાર નથી આ

ઘણું ગ્રહેલું ભૂલવાડે તે છવી ગ્રહ્યાની જરૂર શું છે ?

ગીત જડ્યાં તે ગાયાં ને ? બસ, કવિ થવાની જરૂર શું છે ?

 .

( ધ્રુવ ભટ્ટ )

કર્ણ – ચિનુ મોદી

સાંજ થવા આવી છે અને હજી સીમમાંથી

ધણ પાછાં ફર્યાં નથી

પાદરે ગોરજ છવાઈ નથી

મંદિરે નગારે દાંડી પીટાઈ નથી.

તો, સૂર્યાસ્ત નહીં જ થયો હોય શું ?

ચક્રવાકને સૂર્યાસ્ત ક્યારે જણાય છે ?

ના, ના;

પંખી વગરનું થઈ ગયું છે આકાશ

નાખી નજર પહોંચે ત્યાં સુધી

સૂર્ય ક્યાંય જણાતો નથી.

ગોરજ વગર

આરતી વગર

સૂર્યાસ્ત વગર

એમ સમજો ને જાણે કે

અચાનક આંખ કપાતાં

ધબાક

અંધારાં નીચે પડ્યાં છે.

એટલું જ નહીં,

પાતાળ ફૂટ થઈ હોય એમ

અંદર બહાર ઉભરાયો છે અંધાર

મને હણવા આ તારી રમત તો નથી ને ?

આ અંધારું લાંબુ ચાલશે તો ટેવાયેલી પાંપણો

દરવાજા ઉઘાડી, અંદર આવવા દેશે નિદ્રાને

અને નિદ્રા તો રૂપાળી દાસી જેવી;એનું સાન્નિધ્ય

શ્રમહર ને માદકહારી.

સારથિ ! સાંભળતો નથી !

સૌ કહે છે, થ્યો છે : સૂર્યાસ્ત

સારથિ ! રથને છાવણી ભણી પાછો લઈ જા

પણ અરે આ સમયરથનું ચક્ર…

 .

( ચિનુ મોદી )

નીચા દરવાજા – ખલીલ ધનતેજવી

નીચા દરવાજાની મજબૂરી નિભાવી લઈએ,

એવું ઘર હો તો જરા માથું નમાવી લઈએ.

 .

પાંદડાં તૂટે ને કરગરવું પડે તે કરતાં,

ચાલ રિસાયેલી મોસમને મનાવી લઈએ.

 .

ક્યાંક આંખોથી, ગઝલથી કે મુસ્કુરાહટથી,

કોઈ પણ રીતે અમે કામો કઢાવી લઈએ.

 .

એક આંસુનું વજન ટેરવું ઝીલે તો પછી,

આપણે ખોબામાં પરવતને ઉઠાવી લઈએ.

 .

ભાગ્યરેખાની જરા ઊંઘ ઊડે તે માટે,

એનું સરનામું હથેળીમાં લખાવી લઈએ.

 .

પાનખર ઘરમાં કદાચ આવી ચડે તે પહેલાં,

ફૂલદાનીને ઝરૂખેથી હટાવી લઈએ.

 .

છો ખલીલ આજે નજર ફંફોસે ચેહરા સૌના,

આજ આ થાકેલી આંખોને તપાવી લઈએ.

.

( ખલીલ ધનતેજવી )

ટહુકાનો તરજુમો – ખલીલ ધનતેજવી

કોઈના સૂરજને કાં ઝાંખો કરો,

પોતપોતાના ઘરે દીવો કરો.

 .

પગ સલામત છે, ફક્ત ઊભો કરો

ચાલવા મંડી જશે ટેકો કરો.

 .

જે કશું ખૂટતું હશે, સરભર થશે,

પગ તમે ચાદર મુજબ લાંબા કરો.

 .

આગ તો છે અર્થની તાસીરમાં,

શબ્દ ફાવે તેટલો ઠંડો કરો.

 .

સાંજ લગ આકાશગંગા થઈ જશે,

ભીંત પર ખાલી તમે લીટો કરો.

 .

હા, વિવેચક છો તમે જાણું છું હું,

પણ જરા આઘા ખસો, રસ્તો કરો.

 .

આપ છો ભાષાભવનના માસ્તર,

લો, જરા ટહુકાનો તરજૂમો કરો.

 .

એ ખલીલ આવ્યા છે પાટો બાંધવા,

ખોતરીને ઘાવને મોટો કરો.

.

( ખલીલ ધનતેજવી )

તરસની આબરૂ – ખલીલ ધનતેજવી

અજાણી કોઈ ખુશબો ક્યાંકથી રસ્તામાં ઊતરી છે,

હવે એના વિશે આખી સભા ચર્ચામાં ઊતરી છે.

 .

સમસ્યા ક્યાં હતી કૈં માનવીના આગમન પહેલાં,

બધી મુશ્કેલીઓ તો એ પછી દુનિયામાં ઊતરી છે.

.

કદાચ આ સૌ મકાનોને ઉથામો તો જડી આવે,

નથી જે શહેરમાં એવી ગલી નકશામાં ઊતરી છે.

 .

ગમે ત્યાંથી ગમે તેની બુલંદી માપવા માટે,

ઘણા ખમતીધરોની આબરૂ ખાડામાં ઊતરી છે.

 .

તમે મારા હૃદયમાં એમ આવીને પ્રવેશ્યા છો,

કે જાણે કોઈ પાગલ આગ આ તણખામાં ઊતરી છે.

.

હવે દીવાઓ પણ ભડકે ચડી પડદાઓ સૂંઘે છે,

હવા પણ વાળ છુટ્ટા વીંઝતી રસ્તામાં ઊતરી છે.

 .

ખલીલ આજે તરસની આબરૂ સચવાય તો સારું,

બિચારી એકલી પાણી પીવા કૂવામાં ઊતરી છે.

 .

( ખલીલ ધનતેજવી )

બળવત્તર છે – અંકિત ત્રિવેદી

ઈચ્છાઓ પણ બળવત્તર છે, પીડાઓ પણ બળવત્તર છે

લોહી નિચોવીને જીવ્યો છું, અફવાઓ પણ બળવત્તર છે

 .

રણ જેવું તોરણ બાંધે છે, ડમરીઓ રેતી રાંધે છે-

સાંજે આંખોમાં ઘેરાતા તડકાઓ પણ બળવત્તર છે

 .

ડાઉનલોડના સંબંધોમાં ભળીભાખળી ભાળ મળે છે,

જાત ઉછીની ઓળખ આપે રસ્તાઓ પણ બળવત્તર છે

 .

શું પૂછું ને જવાબ આપે, એવા દિવસો કોને માપે ?

કયા અંતને સાચો ગણવો ? ઘટનાઓ પણ બળવત્તર છે

 .

હું બોલું ને તમે સાંભળો વાત જુદી છે સમયસમય પર

સૌને સૌની રીતે ભજવે તખ્તાઓ પણ બળવત્તર છે

 .

( અંકિત ત્રિવેદી )

નિર્લેપ દ્રષ્ટિથી – ખલીલ ધનતેજવી

તમારા ઘરનાં દીવા રાતે રસ્તામાં હતા કે શું ?

પવન ફંટાઈ જાશે, એ ભરોસામાં હતા કે શું ?

 .

ઘરે પહોંચ્યોં તો દરવાજાએ પૂછ્યું ક્યાંથી આવો છો ?

સુગંધ આ શેની છે, સાંજે બગીચામાં હતા કે શું ?

 .

તમારા દિલના ધબકારા અજાણ્યા કેમ લાગે છે !

તમે પણ કાલે તરણેતરના મેળામાં હતા કે શું ?

 .

ઘણી વાતો, ઘણાં વર્ષો પછી કાલે કહી નાખી,

હવે એ પણ કહો, ગઈ રાતે સ્વપ્નામાં હતા કે શું ?

 .

તમે ચુપચાપ સાંભળતા રહ્યા, નિર્લેપ દ્રષ્ટિથી,

કે મારી રૂબરૂ બીજી જ દુનિયામાં હતા કે શું ?

 .

દિવસ રઘવાટમાં કાઢ્યો ને રાતે પણ નથી સૂતા,

તમારા પણ વહાણો કાલે દરિયામાં હતા કે શું ?

 .

ફરી બેચાર પથ્થર એ તરફથી આ તરફ આવ્યા,

તમે પાછા ખલીલ એના જ ફળિયામાં હતા કે શું ?

 .

( ખલીલ ધનતેજવી )

સાધુ ઐસા ચાહિએ – હરકિસન જોષી

ગેરૂઆ વસ્તર નહીં, ભભૂત ભસ્મ નહીં અંગ

સાધુ ઐસા ચાહિએ એકલ ઔર નિ:સંગ

 .

ટીવી પર ચમકે નહીં આપે નહીં વ્યાખ્યાન

સાધુ ઐસા ચાહિએ માન નહીં સન્માન

 .

આશ્રમ નહીં આસન નહીં, નહીં ટ્રસ્ટ મઠ ધામ

સાધુ ઐસા ચાહિએ નહીં સ્થાન નહીં ઠામ

 .

તિલક છાપ ચંદન નહીં, છત્ર મુગટ નહીં દંડ

સાધુ ઐસા ચાહિએ, ફંદ નહીં કોઈ ફંડ

 .

નામ નહીં ઓળખ નહીં, નહીં બિરુદ ઇલ્કાબ

સાધુ ઐસા ચાહિએ નિર્મલ બહેતા આબ

 .

નહીં તસ્વીર નહીં મૂરતી, પૂજન દે નહીં પાંવ

સાધુ ઐસા ચાહિએ જૈસી તરુવર છાંવ

 .

લિંગ ભેદ વ્યાપે નહીં ઐસા ચેતન દેહ

સાધુ ઐસા ચાહિએ પવન ઉડાઈ ખેહ

 .

તન મન હરિ કો દે દિયા આપ હરિમે લીન

સાધુ ઐસા ચાહિએ જૈસી જલમે મીન.

.

( હરકિસન જોષી )

વિદ્યાર્થીઓ માટે સફળતાનાં સ્વર્ણિમ સૂત્રો – સ્વામી વિવેકાનંદ

સ્વામીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે

સ્વામીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે

.

(૧)

મારાં બાળકો !

યાદ રાખજો કે ડરપોક અને નિર્બળ માણસો

જ પાપ કરે છે અને અસત્ય બોલે છે.

બહાદુર માણસો હંમેશા નીતિમાન હોય છે.

નીતિમાન બનો.

બહાદુર અને સહૃદયી બનો.

 .

(૨)

મારા મિત્રો !

તમારા એક સગાભાઈ તરીકે:

જીવન અને મૃત્યુમાં તમારા સાથી તરીકે;

હું તમને કહેવા માંગુ છું કે આપણે જોઈએ છે

સામર્થ્ય, સામર્થ્ય;

અને હર સમયે સામર્થ્ય.

 .

(૩)

ખડા થાઓ

અને મર્દ બનો.

મર્દ બનાવનારા ધર્મની આપણને જરૂર છે;

મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણને જરૂર છે.

ચોમેર મર્દ બનાવનાર

શિક્ષણની આપણને જરૂર છે.

 .

(૪)

ગરીબ લોકો માટે જેનું હૃદય દ્રવે તેને

હું ‘મહાત્મા’ કહું છું, નહિ તો એ ‘દુરાત્મા’ છે.

હે મહાન આત્માઓ !

ઊઠો, જાગો !

આ દુનિયા દુ:ખના દાવાનળમાં ભડકે બળે છે

ત્યારે તમે સૂઈ શકો ખરા ?

.

(૫)

વીર યુવકો !

શ્રદ્ધા રાખો કે તમારા સહુનો જન્મ

મહાન કાર્યો કરવા માટે થયો છે.

કુરકુરિયાંના ભસવાથી ડરી જશો નહિ;

અરે, આકાશના વજ્રપ્રહારથી પણ ભયભીત

થશો નહિ. પણ ઊભા થાઓ અને કામે લાગો !

 .

(૬)

પવિત્રતા, ધૈર્ય અને ખંત બધાં વિધ્નોને જીતી લે છે.

નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો.

ખરાબ સંસ્કારોને દબાવવાનો

એક માત્ર ઉપાય એ જ છે.

પવિત્રતા એ સૌથી મોટી શક્તિ છે;

તમામ વસ્તુઓ એનાથી ડરે છે…

 .

(૭)

પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિકતા

કહેતા ; નવો ધર્મ કહે છે કે

જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.

શ્રદ્ધાવાન બનો; બીજું સર્વ આપોઆપ પાછળથી

આવવાનું જ છે. કોઈપણ વસ્તુથી ડરો નહી,

તમે અદ્દભુત કાર્ય કરી શકશો.

 .

(૮)

જે કાંઈ નિર્બળ હોય તેનાથી દૂર રહો ! તેમાં મોત છે.

જે કાંઈ બળ હોય તેને નર્કમાં જઈને પણ પકડો.

નીતિમાન થજો,

શૂરવીર બનજો.

ઉદાર હૃદયના થજો.

જાનને જોખમે પણ વીર, ચારિત્રવાન બનો.

 .

(૯)

પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહિ,

યશથી પણ નહિ, વિદ્યાથી પણ નહિ

માત્ર પ્રેમથી લાભ થાય છે;

માત્ર ચારિત્ર્ય જ

મુશ્કેલીઓની વજ્ર જેવી દિવાલો

તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.

 .

(૧૦)

કાર્ય કરવું એ ઘણું સારું છે.

પરંતુ તે વિચારમાંથી આવે છે.

એટલે મસ્તકને ઉન્નત વિચારોથી,

સર્વોચ્ચ આદર્શથી ભરી દો;

તેમને દિનરાત તમારી દ્રષ્ટિ તરફ રાખશો તો

તેમાંથી મહાન કાર્યોનો જન્મ થશે.

.

(૧૧)

બહાદુર, હિંમતવાન માણસો

કે જેના લોહીમાં જોમ,

જ્ઞાનતંતુઓમાં તાકાત,

લોખંડી માંસપેશીઓ અને

પોલાદી સ્નાયુઓ હોય તેવાની જરૂર છે;

નરમ અને પોચી ભાવનાઓ નહીં

 .

(૧૨)

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય

તો તમારી પાસે પ્રચંડ ખંત

અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.

ખંતીલો માણસ કહે છે :

‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત

પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે.’

.

(૧૩)

સખત પરિશ્રમ કરો.

પવિત્ર અને શુદ્ધ બનો

એટલે ઉત્સાહ આવશે જ.

આપણાં જીવન

સારાં અને પવિત્ર હોય તો જ દુનિયા

સારી અને પવિત્ર થઈ શકે.

 .

(૧૪)

ઈચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વયં પરમાત્મા…

સમુદ્ર તરવો હોય તો

તમારામાં લોખંડી ઈચ્છાશક્તિ જોઈશે;

પહાડો વીંધી નાખવા જેટલું બળ જોઈશે;

તમે કમર કસીને તૈયાર રહો…

કશાની પણ ચિંતા ન કરશો !

 .

(૧૫)

વીરતાભર્યા વચનો અને

એથીયે વધુ વીરતાભર્યા કાર્યોની જ

આપણને જરૂર છે.

 .

( સ્વામી વિવેકાનંદ )