પ્રણયના અંતિમ અધ્યાયનું અંતિમ ગીત – જગદીપ ઉપાધ્યાય
આવ્યાં આવ્યાં રે અસવાર
એ જ અદાથી ઊતર્યા, ઊભા રાખીને તોખાર…
.
હરખે કેમ હસું રે વિઠ્ઠલા ! હોઠો પર ક્યાં ફૂલ ?
ખોયા આંખોનાં ઝળઝળિયાં મોતીશાં અમૂલ,
ચોખા બદલે વલવલતા લઈ શ્વાસ કરું સત્કાર…
.
કાયા થઈ ખંડેર; રહી છે આશ ભરેલી આંખ,
ઊતરડાયાં પંખી કમખે પણ ઊડે છે પાંખ,
રાહ નીરખતાં સાજન ! વીત્યા દિવસ ચારેચાર…
.
ફૂલ હીંડોળા મેં ક્યાં માગ્યા ને ક્યાં અંબર મેડી,
સાજન ! આવ્યો એ જ ઘણું છે લે પળ બાથમાં તેડી,
સરગાપરને મારગ જાતાં સૂઈ લઉં થોડી વાર…
.
એક વહે ધરતીથી નભ લગ પ્રીત તણું સંગીત,
ઝાડે, ઝરણે ને સંભળાતાં ઠૂંઠામાં પણ ગીત,
ભીતરની સૌ ભ્રમણા ભાંગી સંધાયો છે તાર…
.
( જગદીપ ઉપાધ્યાય )