અવાય તો જ હવે આવ, સાવ છોડીને
હું રાહ જોઉં છું તારો લગાવ છોડીને
.
અનેક વાર તૂટ્યો એનું એક કારણ આ,
મળ્યો ન ક્યાંય અરીસો સ્વભાવ છોડીને
.
નથી કશુંય નથી માત્ર ધૂળ-ઢેફાં છે,
જઈ શકાતું નથી પણ તળાવ છોડીને
.
ફરી જનમવું જ પડશે એ વાત નક્કી છે,
કહ્યું તેં અંત સમયમાં : ‘ન જાવ, છોડીને.’
.
ઉદાસી, આંસુઓ, પીડા, સ્મરણ અલગ ક્યાં છે ?
કુટુંબ એક છે ના જાય ઘાવ છોડીને.
.
( અશોક ચાવડા ‘બેદિલ’ )