ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

મળે શ્યામ તો લડીએ ‘ને ના મળે તો પામીએ સોગ !

 .

અમે ઓળખી શક્યાં નહીં ‘ને મૃગજળ પાછળ દોડ્યાં;

છીપ નીરખતાં રજત ગણીને અઢળક શાને મોહ્યાં ?

તૃષ્ણા કીધી ગગનકુસુમની, કેવળ પામ્યાં છલના;

સકળ વિશ્વનું છદ્મ લઈ, શું કરી કૃષ્ણની રચના ?

 .

હશે, અમે અબળા તો મૂળથી બન્યાં કપટનો ભોગ !

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

 .

વાંસ વધ્યાની પેર અમારો પ્રેમ ક્ષણેક્ષણ વાધ્યો;

છતાંય અંબર-ઊંચો માધવ નથી લગીરે સાધ્યો !

દેવ-દેવીઓ મથે છતાં ક્યાં ભાગ્ય શકે છે જાણી;

કહી શકે છે કોણ ? માછલી પીએ કેટલું પાણી ?

 .

હોય ઉછીનું સુખ અસ્થાયી; અલ્પ પામીએ ભોગ !

તમે કહો, ઉદ્ધવજી ! અમને આ કેવો છે રોગ ?!

 મળે શ્યામ તો લડીએ ‘ને ના મળે તો પામીએ સોગ !

.

( વીરુ પુરોહિત ‌)

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.