એલ્કેમીસ્ટ-પોલો કોએલો

એલ્કેમીસ્ટ-પોલો કોએલો

૨૩ એપ્રિલ ‘વર્લ્ડ બુક ડે’. આ દિવસે એક એવા પુસ્તક વિશે જાણીએ જેનું દુનિયાની ૬૬ ભાષામાં રૂપાંતર થયું છે. ૧૦ કરોડ થી વધુ નકલ વેચાઈ છે અને ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’માં સળંગ ૩૦૩ અઠવાડિયા સુધી બેસ્ટ સેલર બુક રહી છે. કોઈ જીવિત લેખકની બુકનું જો સૌથી વધુ ભાષાઓમાં રૂપાંતર થયું હોય તો તે શ્રેય આ પુસ્તકને અને તેના લેખકને જાય છે, જેના માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ પુસ્તક સ્થાન ધરાવે છે. પુસ્તક નું નામ છે ‘એલ્કેમીસ્ટ’ અને લેખક છે પોલો કોએલો. એલ્કેમીસ્ટ એટલે કીમિયાગર-સામાન્ય ધાતુને સોનામાં પરિવર્તન કરવાની કળા જાણનાર વ્યક્તિ.

આ વાર્તા એક સામાન્ય છોકરાની અસામાન્ય સફરની છે. દૂરના પર્વતીય પ્રદેશના નાના ગામમાં રહેતા એક યુવાનની વાત. યુવાન જે એક ઘરેડનું જીવન જીવે છે તેનાથી કૈંક વિશેષ ઈચ્છે છે અને તેમ કરવાની હિંમત કરે છે. આ વાત એવા લોકોની છે જે પોતાના અંત:કરણ ના અવાજ ને અનુસરવાની તૈયારી બતાવે છે. યુવાનને એક સ્વપ્ન આવે છે કે તેના માટે ખજાનો પિરામિડોમાં તેની રાહ જોઈ રહ્યો છે. આ વાત કુદરત તેને વારંવાર સમજાવે છે. યુવાન કુદરતના સંકેતોને સમજે છે અને પોતાના વતનથી ખુબ જ દુર આવેલા પિરામિડો સુધી જવા તૈયાર થાય છે. એક સ્વપ્ન કે સંકેતના આધારે આમ અજાણી લાંબી મુસાફરી કરવાનો નિર્ણય લેવો જેટલો અઘરો હતો તેનાથી ઘણી વધુ અઘરી મુસાફરી રહી.

યુવાન પોતાના લીલોતરીવાળા પર્વતો છોડી રણમાં પ્રવેશે છે. તેની તમામ મૂડી લૂંટાઈ જાય છે. તેને આગળ વધવા માટે રૂપિયાની જરૂર છે અને તેમાટે તે એક કાચની દુકાને કામ કરે છે. ત્યાં કાચના વાસણ સાફ કરવા એ એક સાંકેતિક વાત છે. આ દરમ્યાન તેના મનની નકારાત્મકતા પણ સાફ થઇ જાય છે. થોડા જ સમયમાં તે ફરી પોતાના સ્વપ્ન તરફ એટલે કે પિરામિડો તરફ આગળ વધવા લાગે છે. રણમાં હુમલાઓ થાય છે, તોફાન આવે છે, પડાવ આવે છે. આ દરેક ઘટના યુવાનને કૈક શીખવે છે. યુવાન રણમાં એક યુવતીના પ્રેમમાં પડે છે અને ત્યાં જ રોકાઈ જવાનું વિચારે છે. તેને પોતાના સ્વપ્ન અને ખજાનાના અસ્તિત્વ વિષે શંકા થાય છે. અહીં રહી જઈને એણે કશું ગુમાવવાનું નથી અને પ્રેમ તો મળે જ છે. આ સમયે તેને તેના ગુરુ એટલે કે એલ્કેમીસ્ટ–કીમિયાગર મળે છે. તે તેને સમજાવે છે કે કુદરત તને સંકેત આપે છે અને તું સંકેત ને અનુસરે છે એટલે ખુશ છે. જો તું સંકેતોને અનુસરવાનું બંધ કરી દઈશ તો કુદરત તને સંકેત આપવાનું બંધ કરી દેશે અને વર્ષો પછી તને અફસોસ થશે કે ‘કાશ ! હું પીરામીડ સુધી ગયો હોત તો મને મારો ખજાનો મળ્યો હોત’. સાચ્ચો પ્રેમ ક્યારેય તમારા અને તમારા સપના ની વચ્ચે નથી આવતો. પ્રેમ તો પ્રેરણા નું કામ કરે છે.

યુવાન આગળ વધવાનો નિર્ણય કરે છે. રણની મુસાફરીમાં ઘણી મુશ્કેલીઓ આવે છે પણ એ પોતાના અંત:કરણ ના અવાજને અનુસરે છે અને આગળ વધે છે. એલ્કેમીસ્ટ યુવાનને શીખવે છે કે ‘જો તું તારા સ્વપ્નને પુરું કરવા માટે દ્રઢ નિશ્ચયી બનીશ તો સમગ્ર સૃષ્ટી તને તારા સ્વપ્ન સુધી પહોંચવાના કામે લાગી જશે.’ અને એમ જ બને છે, કુદરતના સંકેતો આ યુવાનને દરેક મુશ્કેલીમાંથી રસ્તો કરી આપે છે અને યુવાન પોતાના ખજાના સુધી પહોંચે છે. પણ આ ખજાના સુધી પહોંચવાનો રસ્તો એણે ધાર્યો હતો તે કરતા અલગ હોય છે. આ વાત જ એને શીખવાની હોય છે.

આપણે બધા જીવનમાં કોઈક સ્વપ્ન જોઈએ છીએ. આપણું અંત:કરણ આપણને આપણા જીવનના ઉચ્ચતમ ધ્યેય માટે લડવા પ્રેરે છે. પણ મોટાભાગના લોકો પોતાના અંત:કરણ ને અનુસરવાની, અશક્ય લાગતા ધ્યેય માટે પ્રયત્ન કરવાની હિંમત નથી કરતા. વર્ષો પછી આપણે જીવન જેવું જીવાતું હોય તેમ જીવવા ટેવાઈ જઈએ છીએ અને આપણા ઉચ્ચતમ ધ્યેય સુધી ક્યારેય પહોંચતા નથી. આપણે ફક્ત હિંમત કરવાની હોય છે, જે સ્વપ્ન–ધ્યેય કુદરત આપણને બતાવે છે તે પુરું કરવાની જવાબદારી કુદરતની છે. આપણે કુદરત પર, આપણી જાત પર, આપણા સ્વપ્ન પર વિશ્વાસ રાખવાનો હોય છે.

જીવનમાં આપણા સ્વપ્ન સુધી પહોંચવામાં જો કોઈ એક પરિબળ સૌથી વધુ નડતું હોય તો તે આપણો પોતાનો ડર છે. નિષ્ફળતા નો ડર. જો આપણે આ ડરને દુર ફેંકી શકીએ તો કુદરત સતત આપણી સાથે જ હોય છે. અલ્કેમીસ્ટના ઉદાહરણથી આ વાર્તાંમાં એક સરસ વાત કહેવાઇ છે. અલ્કેમીસ્ટ એટલે ધાતુ ને સોનામાં રૂપાંતરિત કરનાર નહીં, એલ્કેમીસ્ટ એટલે પોતાની જ અંદરની શક્તિઓ ને જાણી, તેને અનુસરી પોતાના ખજાના સુધી પહોંચનાર વ્યક્તિ. દુનિયામાં દરેક વ્યક્તિ માટે એક ખજાનો-ધ્યેય નિશ્ચિત હોય છે. આપણે તે ધ્યેય જાણવાનું, સમજવાનું અને ત્યાં સુધી પહોંચવાની હિંમત કરવાની છે. કુદરત દરેક સાચી- ખોટી, સારી-ખરાબ વાતના સંકેત આપે જ છે. બસ જરૂર છે આપણે એ સંકેતો સમજવાની. કુદરતમાં રહેલી દરેક વસ્તુ આપણી સાથે સંકળાયેલી છે અને તે આપણને કૈક કહે છે. કુદરતની પોતાની એક ભાષા છે. તમે જો સાચા રસ્તા પર હોવ અને કુદરત સાથે ચાલતા હોવ તો તમે એ ભાષા સમજી શકો. એક વખત તમે આ ભાષા સમજી શકશો પછી જગતના તમામ રહસ્યો તમારા માટે સરળ બની જશે. તમે તમારા માટે નિર્માણ થયેલા ધ્યેયને પ્રાપ્ત કરી શકશો. તમારા ખજાના સુધી પહોંચી શકશો.

આ પુસ્તકમાં હિંમત, સાહસ, ધીરજ, લાલચ અને પ્રેમની કસોટી સમજાવાઈ છે. જીવનનો સરળ રસ્તો આગળ જતા તમને ખાલીપો આપશે પણ કુદરતે તમારા માટે નક્કી કરેલો રસ્તો ભલે મુશ્કેલી ભર્યો હશે પણ અંતે તમને તમામ ખુશી અને સંતોષ આપશે. આ એક યુવાનની સાહસ કથાથી વધુ જીવન જીવવાની રીતની વાત છે. આ પુસ્તકમાંથી યુવાન ક્યારે પીરામીડ સુધી પહોંચે છે તે નહી પણ ત્યાં પહોંચતા સુધીમાં તે શું અને કઈ રીતે શીખે છે તે સમજવાનું છે. આ આખી વાત ને વાર્તા ને બદલે જીવનની મુસાફરીની વાત સમજવી.

તમને સર્વને તમારો ખજાનો મળે તેવી શુભેચ્છા!

(ડો. ગોરા ત્રિવેદી)

એલ્કેમીસ્ટ-પોલો કોએલો
પ્રકાશક : આર.આર.શેઠની કું
પૃષ્ઠ :
કિંમત : રૂ. ૧૦૦/-

અનારકલી – લલિત ત્રિવેદી

અનારકલી

સબૂર ! જાનેસલીમ ! ખૂબસૂરત, અનારકલી !
તું થૈ ગઈ છો નરી કેફિયર, અનારકલી !

બતાવ શું છે હવે અસલિયત, અનારકલી !
શું ધડકનો જ છે લાગી રૈયત, અનારકલી !

ઉદાસ તન્હા સલીમ પૂછે છે શરીરમાંથી-
શરીર ક્યારે છે મિથ્યા…મમત, અનારકલી !

જો હુસ્ન કહેવાતો એ તાજ ઊતરી જાશે
બતાવશે કે કેટલું છે સત, અનારકલી !

આ જંગ અકબરેઆઝમ અને સલીમ નથી
શકલ બની ગઈ છે પાણીપત, અનારકલી !

શહેનશાહ જલલુદ્દીન મહમ્મદ અકબર
અસલ તો છે શહેનશાહ વખત, અનારકલી !

તું ગીત સંગ-એ-મરમરનું ને હું મર્મર છું
હું પાંદડાંની ઝીણી હેસિયત, અનારકલી !

( લલિત ત્રિવેદી )

કે પછી – સોનલ પરીખ

કે પછી

થોડી અલપ ઝલપ વાતો
થોડા સઘન સ્પર્શ
થોડા તેજ શ્વાસ
થોડું ખાવું પીવું
-ને શો પૂરો
દિલ ખોલવાનું વાતાવરણ
બંધાતું હોય
ત્યાં જ સંભળાય
તારું ‘બાય’, ‘હું ફોન કરું છું’.
ઊંડો શ્વાસ લઈ
મન બારણા બંધ કરે
લાગે છે,
એક ખાસ વાતાવરણ
બંધાય
એટલે તું ચેતી જાય છે-
ઊભો થઈ જાય છે
પોતાને સમેટીને
કે પછી સામે હોય તો પણ
ચાલ્યો જાય છે
અદ્રશ્ય દીવાલની પાછળ
જેટલો હું તને ઓળખું છું
તારા ડરના અનેક ચહેરાને
ચહેરાઓના વનમાંથી
તારો અસલી ચહેરો જો, ઈશ !
ને પરોવ
એક વાતાવરણની આંખમાં આંખ
-જો તારે મને પૂરેપૂરી પામવી હોય તો
ત્યાં સુધી
હું સાચવી રાખીશ જતનથી
મારી અડધીપડધી જાતને
તારા માટે
કે પછી
મારા માટે…

( સોનલ પરીખ )

मौत मैंने कहां बुलाई है ! – चिनु मोदी

मौत मैंने कहां बुलाई है !
वक्त के साथ साथ आई है !

तेरे मरने के बाद जिन्दा हूं,
दोस्ती हमने कब निभाई है ?

बेरहम तेरे सितम की सोटी,
चप्पेचप्पे पे चमचमाई है ?

जिन्दा रहेने की अब भी चाहत है
मोमबत्ती कहां बुझाई है ?

असली तसवीर छूपा कर तेरी,
मैंने ईज्जत तेरी बढाई है.

यूं हो गर्दिश से खौफ ऊतरा है,
आग मैंने कहां लगाई है ?

देख ‘ईर्शाद’ लिख्खा मस्जिद पर,
‘मांगने की यहां मनाई है’.

( चिनु मोदी )

ભટકતા રહીએ ! ( કરસનદાસ લુહાર )

ભટકતા રહીએ !

અમે ભટકતા રહીએ એ ભાઈ!
અમે ભટકતા રહીએ !
જીવતર જેવા જીવતરથી બસ
આમ છટકતા રહીએ !

ક્યાંય ઠેકાણું કે ઠામ નહીં,
કહેવાનું યે ગામ નહીં,
આભ-ધરાની વચ્ચોવચ લો-
અમે છટકતા રહીએ !
રે ભાઈ, અમે ભટકતા રહીએ !

ઘરનાં સોણાં બે-ઘર રાખી,
રઝળું હોવું ગાડે નાખી,
થાક્યા તો કોઈ નામ ભુલાયાં-
ગામ છેવાડે અમે અટકતા,રહીએ,
રે ભાઈ, અમે ભટકતા રહીએ !

મૃગજળ મેલાં દરિયા તરીએ,
કાળી લૂ ભીતરમાં ભરીએ,
સળંગ શ્વાસો શેં લઈએ કે-
છૂટક તૂટક સતત બટકતા રહીએ,
રે ભાઈ, અમે ભટકતા રહીએ !

( કરસનદાસ લુહાર )

जिस तरह पानी का कतरा कश्ति के काबिल हुआ – चिनु मोदी

जिस तरह पानी का कतरा कश्ति के काबिल हुआ
मैं तुम्हारी जिंदगी में ईस तरह शामिल हुआ

बाद मुद्त भी तुम्हें यह बात समजाती नहीं ?
मैं तेरी रहेमोकरम से सब जगह बातिल हुआ ?

जो भी भले सबने बताया था गलत तेरा पता-
चलते चलते ईस तरह जन्नत में मैं दाखिल हुआ

प्यार में होता है, ऐसा बंदगी में भी हुआ
मैं तुम्हारी चीकनी चीकनी बातों से गाफिल हुआ

यह सरासर जूठ है, यह जूठ है, हां जूठ है
तू नहि पैदा हुआ तो कैसे में कातिल हुआ ?

( चिनु मोदी )

તાન્કા – ઉમેશ જોષી

તાન્કા

સમય તારો
પગરવ સાંભળી
અરધ રાતે
શ્રદ્ધાદીપ પ્રગટું
એક પળ માટેય…
***
તરફડે છે
પાછોતરો સમય
ઢોલિયે સૂતો
જાળમાં ફસાયેલી
માછલીની જેમ જ.
***
સ્તબ્ધ સમય
સળવળે છે ફરી
નયનમાં, ને
સગપણ સંધાય
સમજણનાં હવે.

( ઉમેશ જોષી )

આવવાનું ને જવાનું થાય છે – ચિરાગ ઝા “ઝાઝી”

આવવાનું ને જવાનું થાય છે
આપણાથી ક્યાં કશું રોકાય છે.

એક ઈચ્છા રોજ ઈશુ થઈ જાય છે,
અવદશાના સ્તંભ પર દેખાય છે !

ચાંચ મારી એક ચકલી ઊડી ગઈ,
ને અરીસો એકલો અકળાય છે.

માત્ર પૂઠું જોઈ પુસ્તક લઈ ગયાં,
એ વગર વાંચે બધે અથડાય છે.

નીકળી ગઈ ચીસ સારસની પછી,
એજ લયમાં ગીત પણ સરજાય છે.

જીવને ઝાઝી ભલે લય ના મળે,
મૃત્યુ છંદોબદ્ધ રીતે ગાય છે.

( ચિરાગ ઝા “ઝાઝી” )

સામે કાંઠે જઈને તારું વસવું બહુ મર્માળુ છે – સુરેન્દ્ર કડિયા

સામે કાંઠે જઈને તારું વસવું બહુ મર્માળુ છે
આપણ બેની વચ્ચે ધસમસ કરોળિયાનું જાળું છે

ક્યાંક ઢળેલી સાંજ અને આ ક્યાંક ઝળહળ જેવું શું ?
ચહેરો વાદળ-છાયો છે ને આંખોમાં અજવાળું છે

એક દિવસ તો દર્પણમાં નાજુક ચહેરો જોવા મળશે
તારી જુલ્ફો વચ્ચે વહેતો વાયુ બહુ શ્રદ્ધાળુ છે

લેવું-કરવું કાંઈ નથી ને ભાવ અમસ્તો હું પૂછું
એણે ચપટીક બાંધી કીધું, સસ્તું છે, અજવાળું છે

જો ખોલું તો હું જ ખૂલું ને બંધ થવાનું નામ નહીં
નગરી-નગરી, દ્વારે-દ્વારે લક્ષણવંતુ તાળું છે

( સુરેન્દ્ર કડિયા )

જો અચાનક સાંજ પડશે, તો પછી તું શું કરીશ – સુરેન્દ્ર કડિયા

જો અચાનક સાંજ પડશે, તો પછી તું શું કરીશ !
તારી છાયા તુજને નડશે, તો પછી તું શું કરીશ !

તું પવનમાં પૃષ્ઠ ઉપર કાઢી નાખ જલદી
વૃક્ષના ભાવો ગગડશે, તો પછી તું શું કરીશ !

એક સપનું આંખનું સાકાર કરવાનું કરી લૈ
જો એ આંસુ થઈને દડશે, તો પછી તું શું કરીશ !

તું ભલે વરદાન લઈ પારસમણિમય થઈ ગયો
હાથ તારો તુજને અડશે, તો પછી તું શું કરીશ !

કાં વિચારોની અ-ધ-ધ-ધ ઊંચાઈ પર ચડ્યો !
એક પગલું જો લથડશે, તો પછી તું શું કરીશ !

( સુરેન્દ્ર કડિયા )