પરાજિત ડાભી

IMG-20160501-WA0009

31 ઑગસ્ટ 1954ના રોજ ભાવનગરમાં જન્મેલા પરાજિત ડાભીનું મૂળ નામ પ્રેમજીભાઇ કરમશીભાઇ ડાભી છે. તેઓ તમન્ના આઝમી નામના ઉપનામથી પણ સર્જન કરે છે. તેઓ વૅસ્ટર્ન રેલ્વેના નિવૃત્ત કર્મચારી છે. તેમની પાસેથી ‘પગરવ તમારો ઓળખું છું’ (2014) નામે ગઝલસંગ્રહ અને ‘ફરી હું મળું ના મળું’ (2015) નામે કાવ્યસંગ્રહ ગુજરાતી સાહિત્યને મળેલ છે. તેમણે ગીત સ્વરૂપમાં પણ પ્રદાન કરેલ છે. તેમના ગઝલકાર તરીકેના ઘડતરમાં ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’ અને ‘બુધસભા ભાવનગર’નો ફાળો મહત્વનો છે. તેમણે શામળદાસ આર્ટસ્ કૉલેજ, ભાવનગર ખાતેથી બી.એ ની ડિગ્રી મેળવેલ છે. ધોરણ-7 માં તેમની કવિતા (બાળકાવ્ય) સૌ પ્રથમ વાર ‘ફૂલવાડી’માં પ્રકાશિત થયેલી. ત્યારબાદ તેમના કાવ્યો વિવિધ ગુજરાતી સામાયિકોમાં, જેવા કે શબ્દસૃષ્ટિ, કવિલોક, કુમાર, ગઝલવિશ્વ, પરબ, બુદ્ધિપ્રકાશ, કવિતા, છાલક, શબ્દસર, નવનીત સમર્પણ અને ધબકમાં છપાતા આવ્યા છે.

મોબાઈલ નંબર – 9824511876
ઈમેલ એડ્રેસ – parajeet.dabhi@gmail.com

સ્વભાવ છે-ગુલામ અબ્બાસ ‘નાસાદ’

દિલ પર ભલેને બોજ ને મુખ પર તનાવ છે,
લોકોને મળતાં રહેવું એ મારો સ્વભાવ છે.

મારી નજરમાં મારા પ્રણયનું મહત્વ પણ,
લોકોની દ્રષ્ટિમાં એ ફક્ત એક બનાવ છે.

કારણ વગરનું હસીયે તો પાગલ ગણાઈએ,
હસતા રહો તબીબોનો એવો સુઝાવ છે.

પહેલાં કદી ભર્યું ભર્યું મારુંય ઘર હતું,
આજે સમય છે કેવો, ન કંઈ આવજાવ છે.

મારી જ સાથે થાય છે ઘટનાઓ અવનવી,
દરિયો દીસે છે શાંત ને મુશ્કિલમાં નાવ છે.

મા’ની દુઆઓ શું છે પરિચય ન માગ તું,
આ તો વિશેષ લાગણીનો રખરખાવ છે.

શ્વાસોની આ સફરમાં રહે પ્યાસી આત્મા,
રસ્તામાં ના તો કૂવા છે ના કોઈ વાવ છે.

મંઝિલ ગણીને સ્થાપી ગણતરીઓ ના મૂકો,
‘નાસાદ’ જિંદગી અહીં કેવળ પડાવ છે.

( ગુલામ અબ્બાસ ‘નાસાદ’ )

તરંગો હોય ના-રશીદ મીર

તરંગો હોય ના નહિતર સપાટી પર,
વ્યથા છે ડૂબનારાઓની પાણી પર.

બળીને પણ ન છોડ્યો સિંદરીએ વળ,
હતું સર્વસ્વ એનું એજ આંટી પર.

તમારી આંગળી મેળામાં જ્યાં છૂટી,
રહ્યો વિશ્વાસ ના જાહોજલાલી પર.

ગમે તે રીતે ક્ષણ અવઢવની આ વીતે,
અમે છોડી દીધો ઉત્તર સવાલી પર.

ઉકેલી ના શક્યા એક નામ જીવનભર,
લખ્યું’તું સૌપ્રથમ જે પેમ-પાટી પર.

કિનારે પહોંચીને પણ ના મળી મંઝિલ,
હતો તરવાનો બીજો દરિયો છાતી પર.

ગઝલ ખ્વાનીએ પતને ‘મીર’ રાખી છે,
છે એનો દબદબો ગુજરાતી વાણી પર.

( રશીદ મીર )