આત્મજ્ઞાની કવિ – વિપુલ પટેલ

કવિ વિપુલ પટેલ (મૃત્યુ : ૨૧.૦૪.૨૦૨૫)

(1)

આ સૃષ્ટિના લયસ્તરો માં શાંતિ છે,

એ સમયમાં ‘ હું ‘બોઝલ થાય છે

એ બે ભ્રમર વચ્ચે સ્થિર થાય છે

ત્યારે જ

ત્યાં એક બાળક સતત રમત રમે છે

એ અંધકાર સાથે દોડે છે

એ પ્રકાશના કિરણોના પ્રવાહમાં

એક બુદ્ધનું બિન્દુ ખોળે છે

અંતે એ બિન્દુની ભીતર પ્રવેશ કરે છે

એ પ્રવેશદ્વાર જ છે,

ત્યાં જ એક આંખ દેખાય છે

ચેતનાની આંખ એ જ દાર્શનિક આંખ

એ તમારા કર્મો સાથે માયાળુ બની

માયા બજારમાં ફરે છે

પણ

એ કશું ખરીદતો નથી

કારણ દ્રષ્ટા છે

.

(2)

એ બાળક હવે કિશોર અવસ્થામાં પહોંચે છે

એના દેહમાં ફેરફારો થાય છે

એના ‘હું ‘ માં ફેરફાર થાય છે

એ માતા પાસે શક્તિ માંગે છે

એ ટનલમાં પ્રવેશે છે

ત્યાં આગના અંગારા છે

એક લાંબી મજલ કાપી બ્હાર નીકળે છે

એટલે જ

હિમાલય જેવો અદ્દલ હિમ આલય દેખાય છે

ત્યાં બાવન વીરો ખડગ લઈને બેઠા છે પણ

એ મૌન અને અડગ પગલે આગળના આગળ વધે જ છે,

એ સફેદ તળાવના કિનારે આવે છે,

એ તળાવમાં એક મુખાકૃતિ આવે છે

અને

એ કહે છે ‘તું ‘ કોણ ?

ભીતરથી એક અવાજ આવે છે

રાવણ – અહિર્ રાવણ

એ સફેદ તળાવમાં ન્હાય છે

એ મનના સરોવરમાં મનનો મેલ ખાલી કરી

સાચેજ પેલા માન સરોવર જેમ

હવે એ અનેક સૂર્ય કિરણો નિહાળે છે

એ જ હિરણ્યાકક્ષ , હિરણ્યકશિપુ કે હિરણ્યગર્ભ જેવા હંસો જેવા દેખાય છે પણ

એ બગલા ભગત છે

એટલે

એ અડગ મનથી

બસ ચાલે છે…

બસ ચાલે છે….

એ જ વખતે એના પાસે અદ્રશ્ય લાકડી આવે છે

એ લાકડી હિમશિલામાં ડગે છે,

એ પેલા મેરુદંડ જેમ જ છે છતાંય

એ યુવાન ચાલે જ છે …..

એ ચાલે જ છે

.

(3)

હવે એ વૃદ્ધ થવાની તૈયારીમાં છે

એના વાળ સફેદ થયા છે

બરફવર્ષા અને બરફના ઢગલા અઢળક થાય છે

રસ્તામાં અઢળક દેવો મળે છે

એ દર્શન કરે છે

અંતે અંતિમ પડાવ આવે છે

એ અવસ્થામાં કલ્પનો ભયભીત છે

ગાત્રો થીજવી દે છે

આપણા એ જ કર્મો , કૃત્યો

ભયાનક રાક્ષસ બની આવે છે સામે

પંચાયતન દેવો ત્યારે જ પુજારી બની આવે છે

અને

પરિક્ષા કરવા કહે છે

એ કહે છે !

તમારા ઈષ્ટ દેવતાની પુજા કરો અને

સમર્પણ કરો

એ વૃદ્ધ મનના ખિસ્સામાંથી બધું જ ખાલી કરે છે

બસ ખાલી કરે છે….. ખાલી કરે છે….

(૪)

હદય સ્ફુરણાની અનુભૂતિ કરે છે

અંતે એક પ્રકાશપુંજ દેખાય છે

એક દિવ્ય જયોતિ બ્હાર ભીતર

એક જ

એક

ચિદાનંદ રુપમાં હદય બોલે છે

શિવોહમ્…..શિવોહમ્……શિવોહમ

ત્યાં જ એ મુક્તિ નારાયણના વૃદ્ધ દર્શન કરે છે અને

“અમે….. અમે ……અમે”

ત્યાં પેલો અવાજ હજુય હદયમાં ગુંજે છે

અતઃ કવિર્નામસ

.

( વિપુલ પટેલ )

 

એક અનોખા શબ્દ સાધક…જેમણે મૃત્યુદેવ સાથે જીવતેજીવત સતત સત્સંગ કર્યો એવા કવિશ્રી વિપુલ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ

Share this

One reply

  1. કવિ વિપુલ પટેલ ને ભાવભરી શ્રદ્ધાંજલિ . પ્રભુ એમના દિવ્ય આત્માને ચીર શાંતિ આપે એવી પ્રાર્થના.

Leave a Reply to Priti Soni Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.