
(1)
આ સૃષ્ટિના લયસ્તરો માં શાંતિ છે,
એ સમયમાં ‘ હું ‘બોઝલ થાય છે
એ બે ભ્રમર વચ્ચે સ્થિર થાય છે
ત્યારે જ
ત્યાં એક બાળક સતત રમત રમે છે
એ અંધકાર સાથે દોડે છે
એ પ્રકાશના કિરણોના પ્રવાહમાં
એક બુદ્ધનું બિન્દુ ખોળે છે
અંતે એ બિન્દુની ભીતર પ્રવેશ કરે છે
એ પ્રવેશદ્વાર જ છે,
ત્યાં જ એક આંખ દેખાય છે
ચેતનાની આંખ એ જ દાર્શનિક આંખ
એ તમારા કર્મો સાથે માયાળુ બની
માયા બજારમાં ફરે છે
પણ
એ કશું ખરીદતો નથી
કારણ દ્રષ્ટા છે
.
(2)
એ બાળક હવે કિશોર અવસ્થામાં પહોંચે છે
એના દેહમાં ફેરફારો થાય છે
એના ‘હું ‘ માં ફેરફાર થાય છે
એ માતા પાસે શક્તિ માંગે છે
એ ટનલમાં પ્રવેશે છે
ત્યાં આગના અંગારા છે
એક લાંબી મજલ કાપી બ્હાર નીકળે છે
એટલે જ
હિમાલય જેવો અદ્દલ હિમ આલય દેખાય છે
ત્યાં બાવન વીરો ખડગ લઈને બેઠા છે પણ
એ મૌન અને અડગ પગલે આગળના આગળ વધે જ છે,
એ સફેદ તળાવના કિનારે આવે છે,
એ તળાવમાં એક મુખાકૃતિ આવે છે
અને
એ કહે છે ‘તું ‘ કોણ ?
ભીતરથી એક અવાજ આવે છે
રાવણ – અહિર્ રાવણ
એ સફેદ તળાવમાં ન્હાય છે
એ મનના સરોવરમાં મનનો મેલ ખાલી કરી
સાચેજ પેલા માન સરોવર જેમ
હવે એ અનેક સૂર્ય કિરણો નિહાળે છે
એ જ હિરણ્યાકક્ષ , હિરણ્યકશિપુ કે હિરણ્યગર્ભ જેવા હંસો જેવા દેખાય છે પણ
એ બગલા ભગત છે
એટલે
એ અડગ મનથી
બસ ચાલે છે…
બસ ચાલે છે….
એ જ વખતે એના પાસે અદ્રશ્ય લાકડી આવે છે
એ લાકડી હિમશિલામાં ડગે છે,
એ પેલા મેરુદંડ જેમ જ છે છતાંય
એ યુવાન ચાલે જ છે …..
એ ચાલે જ છે
.
(3)
હવે એ વૃદ્ધ થવાની તૈયારીમાં છે
એના વાળ સફેદ થયા છે
બરફવર્ષા અને બરફના ઢગલા અઢળક થાય છે
રસ્તામાં અઢળક દેવો મળે છે
એ દર્શન કરે છે
અંતે અંતિમ પડાવ આવે છે
એ અવસ્થામાં કલ્પનો ભયભીત છે
ગાત્રો થીજવી દે છે
આપણા એ જ કર્મો , કૃત્યો
ભયાનક રાક્ષસ બની આવે છે સામે
પંચાયતન દેવો ત્યારે જ પુજારી બની આવે છે
અને
પરિક્ષા કરવા કહે છે
એ કહે છે !
તમારા ઈષ્ટ દેવતાની પુજા કરો અને
સમર્પણ કરો
એ વૃદ્ધ મનના ખિસ્સામાંથી બધું જ ખાલી કરે છે
બસ ખાલી કરે છે….. ખાલી કરે છે….
(૪)
હદય સ્ફુરણાની અનુભૂતિ કરે છે
અંતે એક પ્રકાશપુંજ દેખાય છે
એક દિવ્ય જયોતિ બ્હાર ભીતર
એક જ
એક
ચિદાનંદ રુપમાં હદય બોલે છે
શિવોહમ્…..શિવોહમ્……શિવોહમ
ત્યાં જ એ મુક્તિ નારાયણના વૃદ્ધ દર્શન કરે છે અને
“અમે….. અમે ……અમે”
ત્યાં પેલો અવાજ હજુય હદયમાં ગુંજે છે
અતઃ કવિર્નામસ
.
( વિપુલ પટેલ )
એક અનોખા શબ્દ સાધક…જેમણે મૃત્યુદેવ સાથે જીવતેજીવત સતત સત્સંગ કર્યો એવા કવિશ્રી વિપુલ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ
કવિ વિપુલ પટેલ ને ભાવભરી શ્રદ્ધાંજલિ . પ્રભુ એમના દિવ્ય આત્માને ચીર શાંતિ આપે એવી પ્રાર્થના.