૬
.
હે, મા ! આ સંસાર માયા છે, આ સંબંધો બધા જૂઠ્ઠા છે, સાથે કંઈ આવવાનું નથી….આવું બધું બોલીને પણ અમે એને જ પકડી રાખીએ છીએ. કોઈને સલાહ આપનાર અમને જ્યારે કોઈ સલાહ આપે છે ત્યારે અમે ધૂંઆપૂંઆ થઈ જઈએ છીએ. સ્વીકાર ભાવના અમારામાંથી લુપ્ત થઈ ગઈ છે. અમારી તમામ ઈન્દ્રિયો અને ચેતના મલિન બની ગઈ છે. અમારા જીવનમાં માયાનું પડ એવું સજ્જડ રીતે ચોંટી ગયું છે કે સત્યનો સાર અમને સમજાતો જ નથી. આ માયાની મમતા અમે મૂકી શકતાં નથી અને જ્યારે એ પરાણે મૂકાય છે ત્યારે આખું જીવન અસંતોષ અને ઉગ્રતાથી લોહીઝાણ થઈ જાય છે.
.
મા ! માયાના વમળમાં ફસાયેલાં અમને માયા જ સર્વસ્વ લાગતી હોઈ અમારા જીવનમાંથી જાણે કે “માઈ” સાવ વિસરાઈ જ ગઈ છે. માયાનાં પડ એવાં જામી ગયાં છે કે અમે અમારું અસલ સ્વરૂપ જ વિસરી ગયાં છીએ. મારું-તારું તો ઠીક પણ મારું એ મારું અને તારામાં પણ મારો ભાગ એવી વૃત્તિ પ્રબળ બને છે ત્યારે દોસ્તો દુશ્મનો બને છે અને સગાં વેરી બને છે. સ્વાર્થ અમારો સાથી બને છે અને ઈર્ષા અમારી અંગત મૂડી બને છે.
.
આ બધાં પરિણામોનું કારણ માયા છે અને એની અસર અમારા મન, વચન અને કર્મ ઉપર એવી રીતે પડે છે કે અમારી ચેતના સાવ અધમૂઈ થઈ જાય છે. પણ આ સમગ્ર માયા તેં જ મૂકેલી છે એટલું જ જો અમને સમજાઈ જાય – આ બધી તારી જ લીલા છે એવું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય તો પછી અમારામાં રહેલા “હું”ની શી હેસિયત છે કે એ ખોટો હુંકાર કરી શકે. પણ, આ શક્ય ત્યારે જ બને કે જ્યારે અમારી ચેતના શુદ્ધ બને. અમારા જીવનમાં આ શુદ્ધિકરણનો યજ્ઞ પ્રગટે તો બધી જ અશુદ્ધિઓ બળીને ભસ્મ થઈ જાય. હા, મા ! આ માટે અમારે પહેલાં તો એ સમજવાની જરુર છે કે આ માયા અને ચેતના પણ તારું જ સ્વરૂપ છે.
.
દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે:
.
या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:
या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:
.
જે દેવી સર્વ પ્રાણીઓમાં વિષ્ણુમાયાના નામથી કહેવાય છે, તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર. જે દેવી સર્વ પ્રાણીઓમાં ચેતના કહેવાય છે તેને નમસ્કાર તેને વારંવાર નમસ્કાર છે.
.
મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી અમને એવી સમ્યક બુદ્ધિ આપ કે જેથી સુવર્ણ ઉપર જામેલી મેંશ દૂર થતાં શુદ્ધ સુવર્ણ દેખાય તેમ અમારાં મન-બુદ્ધિ અને ચેતના ઉપર જામેલાં માયાનાં પડળ દૂર થઈ જતાં અમારું જીવન પણ સુવર્ણની જેમ ચમકી ઊઠે.
.
મા ! જગતનાં જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાને શક્તિ અર્પજે.