શું થયું ? – કમલ વોરા

.

રેતીમાં પગ ખોડવાથી શું થયું ?

કે રણોમાં દોડવાથી શું થયું ?

 .

કાચ તો યે કાચ બસ કેવળ રહ્યો

આયનાઓ ફોડવાથી શું થયું ?

.

તું સમયના સાપનો ફુત્કાર જો

કાંચળી તરછોડવાથી શું થયું ?

 .

રક્તમાં ઘૂમતાં વમળ અટક્યાં નહીં

શબ્દ યાદો જોડવાથી શું થયું ?

.

જો દિશાઓ આભ આ સામે ઊભા

માત્ર ભીંતો તોડવાથી શું થયું ?

 .

( કમલ વોરા )

મૃત્યુ – પ્રકાશ દવે

.

બારીમાંથી

રોજ ડોકિયું કરી

પાંગરી રહેલા વૃક્ષને

હું નિરખ્યા કરું છું

 .

વીતેલા પ્રસંગોને

તપાસવા માટે

હું રોજ એક એક પાંદડું તોડી

માઈક્રોસ્કોપ હેઠળ

તેનું નિરીક્ષણ કરું છું

.

અને વિચારું છું

કે

આ વૃક્ષને

પાનખર સાથે કંઈ સંબંધ ખરો ?

 .

( પ્રકાશ દવે )

શાશ્વત સમુદ્ર – માર્જોરી પાઈઝર

.

સમુદ્રકિનારે મોજાંનાં તોફાન સામે

હું બેસું છું ત્યારે

મારી છાતી કૂટું છું

અને મને થયેલી ઈજા માટે રડું છું

અને તોયે મોજાં ઘૂઘવ્યા કરે છે.

હું નહીં હોઉં ત્યારેય,

મારા બધા જખમો અને શોક

સમયના સમુદ્રમાં ભુલાઈ ગયા હશે ત્યારેય

એ આમ જ ઘૂઘવ્યા કરતાં હશે.

હું અંતિમ નિદ્રામાં સૂતી હોઈશ ત્યારે

શાશ્વત મોજાં

આ રેતીને ધોઈ નાખશે

આજે ધોઈ નાખી છે એમ જ.

હે શાશ્વત સમુદ્ર,

મારા શોક અને જખમોને ધોઈ નાખ

અને મને ફરી પાછી સ્વસ્થ બનાવ.

 .

( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )

મણકા સમી જ – શ્યામ સાધુ

.

મણકા સમી જ એને વિખેરી શકાય છે,

ઈચ્છાઓ જળની જેમ ઉલેચી શકાય છે !

 .

આવો તરસને આંખનું ઉપનામ આપીએ,

મૃગજળ સમું કહે છે – સમેટી શકાય છે !

 .

નિર્મમપણાની ભીંત ઉપર આવું કૈં લખો,

‘આ શૂન્યતાઓ દૂર ખસેડી શકાય છે!’

 .

વસ્ત્રો સમા દિવસ તમે ફેંકી શકો નહીં,

હા, એટલું ખરું કે પહેરી શકાય છે!

 .

એકાદ ચિંતા ફૂલની માફક ચૂંટી જુઓ,

લિપિ ઘણી ય ઊંધી ઉકેલી શકાય છે!

 .

( શ્યામ સાધુ )

નથી જોઈતાં મને હવે – ધીરુબેન પટેલ

.

નથી જોઈતાં મને હવે

આ સંબંધોનાં ચોરદીવાનાં

નાનાં નાનાં ગોળ ચકરડાં

 .

ભલી એથી વિસ્તારભરી

આ અંધકારની સોડ

પ્રગટે એની મેળે ઢાંકે અંગેઅંગ

ઊંડે ઊંડે ઊતરી હવે શોધું એનો સંગ

દેખાય જે ના ભુલાય જે ના

મૌનતણી વાણી એની

પૂરી હજી સમજાય ના

પળપળનો સંગાથ એનો

તોય કદી વિસરાય ના

.

શી પરવા એ જડે ન જડે

બેસવું નિશ્ચિત થઈ એક કોર

એની મેળે શોધી કાઢશે

એ જ મને જરૂર.

 .

( ધીરુબેન પટેલ )

કારતૂસ – અનિલ જોશી

.

અઘોર યાતનામાંથી પ્રસવતી

નવજાત સ્વતંત્રતાની આંખ

ખૂલી ન ખૂલી ત્યાં

સમુદ્રના તરંગો ઊછળી પડ્યા.

યાતનાનું તરફળવું

અને બરફનું ઓગળવું

એટલે ગંગા થઈ જવું.

શિશિરના હૂંફાળા તડકામાં

ચકરાવા લેતા કબૂતરનું પ્રતિબિંબ

ગંગાનાં પાણીમાં પડ્યું

ને પાણી વર્તુળાઈ ગયું સફરજનની જેમ.

ને એના વર્તુળો તો છેક કાંઠે જઈને તૂટ્યાં

ને એ તૂટતાં વર્તુળોમાં

અમે તમારો ગુલાબી ચહેરો જોયો છે.

અમે નાના હતા ત્યારે

ચોપડી વાંચતાં વાંચતાં

પાનું ભૂલાઈ ન જાય એ માટે

ચોપડીમાં મોરપીંછ રાખતા

તો ક્યારેક વળી

સુકાઈ ગયેલું ગુલાબ રાખતા.

આજે મોટા થયા છીએ ત્યારે

ઈતિહાસનું પાનું યાદ રાખવા માટે

અમે કારતૂસો રાખીએ છે.

 .

( અનિલ જોશી )

એક તાળી દેતામાં – હરીશ મીનાશ્રુ

.

એક તાળી દેતામાં ભવ વીતે

હવે માણસ જીવે તો કઈ રીતે ?

.

સુક્કી હથેળીમાં સુક્કી તિરાડ

અને સપનાંની સુક્કી આ કુંડળી

આંસુનાં ટીપાંથી સાંધેલી આંખ

જાણે પરપોટા ગેરવતી ભૂંગળી

માણસની જેમ હવે ખખડે છે

સુક્કાતું પાંદડું યે ઘરની પછીતે !

હવે માણસ જીવે તો કઈ રીતે ?

 .

પાણીમાં કુંડાળાં ફેલાતાં જાય

એમ જીવતરનું ફેલાતું ગૂંછળું

પીગળતું જાય હવે માણસનું નામ

જેમ તડકા વચાળે મીણ-પૂતળું

સમ્મયની સોગઠાંબાજીમાં, ભાઈ

એક માણસ હારે ને પળ જીતે !

હવે માણસ જીવે તો કઈ રીતે ?

 .

( હરીશ મીનાશ્રુ )

આધુનિક લોકગીત – સુરેશ દલાલ

.

જન્મ્યા છો તો ભલે જનમિયા : મૂગા મરજો

દુનિયાદારીની છે દુનિયા : મૂગા મરજો

.

કાગળ કેરાં ફૂલ ફળે અહીં : મૂગા મરજો

ચેકબુકના દીવા બળે અહીં : મૂગા મરજો

 .

કાગળ આખો, માણસ ડૂચા : મૂગા મરજો

અહીં નહીં રુચિ કે ઋચા : મૂગા મરજો

 .

ઈંટ અને પથ્થરનો માણસ : મૂગા મરજો

ટ્યુબલાઈટમાં સૂરજ ફાનસ : મૂગા મરજો

 .

પ્રેમબેમનું નામ અહીં નહીં : મૂગા મરજો

કામ, કામ, ને કામ રહ્યાં અહીં : મૂગા મરજો

 .

( સુરેશ દલાલ )

શાંતિનિકેતન (ચિત્રકથા-૭)

શાંતિનિકેતન પરિસરમાં મારી નજરમાં આવેલા કેટલાક શિલ્પો અને ચિત્રો

.

સંથાલ પરિવાર - શિલ્પકાર : રામકિંકર બૈજ

.

સંથાલ પરિવાર - શિલ્પકાર : રામકિંકર બૈજ

.

.

.

.

.

.

ભગવાન બુદ્ધ

.

દાંડી કૂચ માટે નીકળેલા મહાત્મા ગાંધી

.

.

.

.

.

.

.

.

સમાપ્ત

શાંતિનિકેતન (ચિત્રકથા-૬)

નાટ્યઘર

.

નાટ્યઘર

નન્દનની સામે તથા રવીન્દ્રભવનની પશ્ચિમ દિશામાં એક મોટો હોલ છે એનું નામ છે ‘નાટ્યઘર’. હોલની અંદર મંચની બન્ને બાજુ અને ઉપરની દીવાલો પર રામકિંકર બૈજ દ્વારા બનાવેલા ચિત્રો છે. એક બાજુ નારદ છે તથા બીજી બાજુ નૃત્યની મુદ્રામાં લાલન ફકીર છે. રવીન્દ્રસપ્તાહ, વર્ષામંગલ, શરદોત્સવ વગેરે કાર્યક્રમો અહીં થાય છે.

.

કાલાઘર

.

કાલાઘર

.

કાલાઘર

.

કાલાઘર

.

.

કાલાઘર

કલાભવન વિસ્તારમાં થોડા આગળ જતાં સંગીતભવનની પાસે કલાભવનના વિદ્યાર્થીનું છાત્રાવાસ છે જેનું નામ છે ‘કાલાઘર’. આ માટીનું ઘર છે. ઘરની દીવાલો તથા થાંભલાઓ શિલ્પોથી અલંકૃત છે. દેશ-વિદેશની વિવિધ શિલ્પકૃતિઓના અનુકરણમાં આ કૃતિઓ બનાવવામાં આવી છે. આની પરિકલ્પના નન્દલાલ બસુએ કરી હતી. વરસાદના પાણીથી આ કૃતિઓ નાશ ના પામે એટલા માટે એના પર coal tarનો લેપ નિયમિત રીતે લગાવવામાં આવે છે.

.

માધવી ગર્લ્સ હોસ્ટેલ

.

માધવી ગર્લ્સ હોસ્ટેલ

.

.

પેઈન્ટીંગ ડિપાર્ટમેન્ટ

.

.

.

.

.

.

ક્રમશ: