૧૭.
હે ઈશ્વર,
મારી આત્મશ્રદ્ધા ખીલવવામાં સહાય કર.
હું સમજું છું કે
આત્મશ્રદ્ધા
કોઈ બાબત પરત્વે અંધાપો નથી
પણ
નિશ્ચિત ને ઉચિત
જ્ઞાન પ્રત્યેનો પ્રકાશ છે.
આત્મશ્રદ્ધા
એ ગણ્યાગાંઠ્યા લોકોને નવાજાયેલી દેણ નથી.
પણ
અથાગ અને ગંભીર પ્રયાસો બાદ
સાંપડેલી આમદાની છે.
.
હે પ્રભુ,
એવી પ્રકાશમય આત્મશ્રદ્ધા
મારામાં પ્રગટાવી શકે એવા લોકો તરફ વળવાનું
મને પ્રોત્સાહન આપતો રહેજે.
મારી આત્મશ્રદ્ધાને
વધુ સબળ ને સઘન બનાવે તેવા
સાહિત્યના વાચન તરફ હું વળતો રહું
તે દિશામાં દોરવણી આપજે.
.
એવું પણ બનતું રહેશે કે,
મારી આત્મશ્રદ્ધાને ડગમગાવે એવી એવી,
મારા મનમાં ગૂંચ પેદા થાય
તો તે ઉકેલવાની મને સૂઝ આપજે,
જેથી મારામાં ખીલેલી આત્મશ્રદ્ધા
એના ઓછાયાથી મુક્ત રહે.
અને, મારું મન
પ્રફુલ્લતાના પ્રકાશથી ઝળહળી રહે.
.
હું સમજું છું કે
આત્મશ્રદ્ધા એ જન્મદત્ત દેણગી નથી.
પણ એ તો,
માણસે પોતાની જાત માટે
કેળવી લેવાની સંપત્તિ છે.
તો એ સંપત્તિ હાંસલ કરવા
મને સદાયે પ્રેરણા આપતો રહેજે.
એ જ મારી તુજ પ્રત્યેની પ્રાર્થના છે.
.
૧૮.
મેં એક સ્વપ્ન જોયું છે.
તેને સાકાર કરવાની મારી તમન્ના છે.
પણ, એ તમન્નાની આડે આવે છે :
કેટલીક શંકા-કુશંકાઓ.
સાચે જ, કોઈ પણ યોજનાના અમલનો
સૌથી કઠણ કાળ હોય તો
તે એનો આરંભ જ છે.
કારણ કે,
એના આરંભકાળે જ માણસનું મન
અનેક નકારાત્મક લાગણીઓના પ્રવાહથી
ઘેરાઈ જાય છે.
એની સફળતા અંગેની
દ્વિધા તેના મનને છલકાવી દે છે.
.
પણ હું એટલું સમજી શક્યો છું કે
જે માણસ પ્રારંભ કરે છે તે
કદીયે પૂરેપૂરો નિષ્ફળ જઈ શકે નહિ.
કંઈ નહિ તો,
તેણે પોતાના મનની કેટલીક કુશંકા પર
વિજય તો મેળવ્યો જ છે.
તેણે પોતાના થોડાએક નકારાત્મક વિચારોને
નાથી જ લીધાં છે.
એ રીતે
હું મનની એક શૃંખલામાંથી
મુક્ત થઈ જાઉં છું કે જે
મારા આગળ વધવાને ખોરંભે પાડી દે છે.
તું મને એટલું બળ આપ કે જેથી,
હું મારા નવતર પ્રયોગ કરવાના ડરને નાથી શકું.
.
અને,
મારો એ પ્રયોગ અસફળ નીવડે
તો તેની પુન: અજમાયેશ કરવાની
મને પ્રેરણા ને પ્રોત્સાહન આપજે.
મને સફળ નીવડવાની શ્રદ્ધા આપજે.
એવી શ્રદ્ધા કે જે,
મને નિષ્ફળતાની શંકાથી મુક્ત રાખે.
.
( શૈલા પંડિત )