આધુનિક દ્રૌપદીની અભિપ્સાનું ગીત-ગાયત્રી ભટ્ટ

આંખો સામે તરે ખભો ને મનમાં માથું ઢળે
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !

કદી કોઈને કહી નથી કંઈ એવી અઢળક વાતો
અંદર અંદર ઊગીને આથમતી જાતી રાતો
જાત ઉલેચું આખી ત્યારે તળિયે ટાઢપ વળે
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !

સાચેસાચ્ચું કહી દેવામાં લાગે છે બહુ બીક
એ જો સામે હોય નહીં તો કશું ન લાગે ઠીક
એકલબેઠું મન બિચ્ચારું મૂંઝારાને દળે
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !

મુઠ્ઠી જેવડી છાજલી મારી એ કેવો મસમોટો
ડાબે જમણે ડોક ધરું તો જડે ન એનો જોટો
નથી સમાતો આ આંખોમાં સપનું ક્યાંથી ફળે ?
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !

( ગાયત્રી ભટ્ટ )

મારું ઘર…-ગાયત્રી ભટ્ટ

રોજ મેળો ભરાય મારે મેડે
રે સૈ ! મારું ઘર તો છલોછલ…
વળી ઉપરથી કોઈ રાગ રેડે
રે સૈ ! મારું ઘર તો છલોછલ…

ક્યાંક છમછમ સૂણુંતો ક્યાંક વેણુ
હવે મીઠું લાગે છે મને મે’ણું
કોઈ ગમતીલું રમતીલું છેડે
રે સૈ ! મારું ઝાંઝર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…

કોણ આવ્યું ને કોણ નહીં આવ્યું
મને એવું ગણતાં ન જરી ફાવ્યું
અહીં ટીપું છલકાય આપ મેળે
રે સૈ ! મારું અંતર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…

મારા મેડા પર આભ ઝૂકી જાતું
મને ચાંદરણું લાગે રાતું રાતું
હાય ! રાજગરો રાતે છંછેડે
રે સૈ ! મારું ભીતર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…

( ગાયત્રી ભટ્ટ )

સૌમ્ય જોશી

SJ

કવિતા ઉપરાંત નાટકના લેખન, દિગ્દર્શન અને અભિનયક્ષેત્રે અજવાળું પાથરનાર સૌમ્ય જોશી માત્ર ગુજરાતમાં જ નહિ, ભારતભરમાં જાણીતા છે. તેમને કવિતા માટે 1996ના વર્ષનું બળવંતરાય ઠાકોર પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘ગ્રીન રૂમમાં’ (2008) અત્યંત લોકપ્રિય થયો છે. ‘દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસતું હતું’ એ નાટકે સૌમ્ય જોશીને ભારતના મહત્વના નાટ્યકારોમાં સ્થાન અપાવ્યું. સૌમ્ય જોશીનો જન્મ 3 જુલાઈ 1973ના રોજ અમદાવાદમાં થયો હતો. (પિતા: જયંત જોશી, માતા: નીલા જોશી). તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ વિજયનગર હાઈસ્કૂલ, અમદાવાદ ખાતેથી પૂર્ણ કર્યો. ધો. 10 અને ધો. 12નો અભ્યાસ વિદ્યાનગર હાઈસ્કુલ, અમદાવાદ ખાતેથી 1990માં પૂર્ણ કર્યો. 1993માં તેમણે અમદાવાદની હ. કા આર્ટસ્ કોલેજમાંથી બી.એ (અંગ્રેજી સાહિત્ય)ની ડિગ્રી મેળવી. ત્યારબાદ, સ્કુલ ઑવ લેંગ્વેજ, ગુજરાત યુનિવર્સિટિમાંથી તેમણે એમ.એની ડિગ્રી 1995મા મેળવી. અને તે જ વર્ષે તેઓ હ. કા આર્ટસ્ કૉલેજમા અંગ્રેજીના પ્યાધ્યાપક તરીકે જોડાયા. 2010માં તેમણે પ્રાધ્યાપક તરીકેની નોકરીનો ત્યાગ કર્યો અને નાટ્યક્ષેત્રે વ્યસ્ત.

4 વર્ષની ઉંમરે તેમણે જીવનની પહેલી કવિતા લખેલી પરંતુ કવિતાને સમજીને ગંભીરતાથી કાવ્યલેખનનો પ્રારંભ 1991માં કર્યો. તેમની પહેલી કવિતા ગુજરાતી કવિતાના રુતુપત્ર ‘કવિલોક’માં છપાઈ અને ત્યારબાદ અન્ય ગુજરાતી સામાયિકોમાં સ્થાન પામી. તેમનુ પહેલુ નાટક ‘રમી લો ને યાર’ હતુ અને ત્યારબાદ અનેક પ્રખ્યાત નાટકો જેવા કે ‘વેલકમ જિંદગી’ અને ‘102 નૉટ આઉટ’ ગુજરાતી નાટ્યજગતને આપ્યા છે. કવિતા માટે તેમણે બ.ક ઠાકોર પારિતોષિક (1996), રાવજી પટેલ એવોર્ડ (ગુજરાત સમાચાર અને સમન્વય દ્વારા) અને ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ એવોર્ડ (2007) પ્રાપ્ત થયેલ છે. નાટક માટે તેમને ચંદ્રવદન મહેતા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

કમાડ ઉઘાડ-મંગેશ પાડગાંવકર

કમાડ ઉઘાડ
કમાડ ઉઘાડ
ચકીરાણી કમાડ ઉઘાડ !

આમ ઘર બંધ કરીને
દુનિયા પર રિસાઈને
કેટલી વાર આંખો મીંચીને અંદર બેસી રહીશ
પોતાનું મન પોતે જ ખાતી રહીશ

પવન અંદર આવવો જોઈએ
મોકળો શ્વાસ લેવાવો જોઈએ
કમાડ ઉઘાડ કમાડ ઉઘાડ
ચકીરાણી કમાડ ઉઘાડ !

જેમ ફૂલો હોય છે
તેમ કાંટા પણ હોય છે.
જેમ સીધો મારગ હોય છે તેમ ફાંટા પણ હોય છે
ગાવાવાળી મેના હોય છે
ધવલશુભ્ર બગલા હોય છે
ક્યારેક ક્યારેક કર્કશ કાળા
કાગડા જ ફક્ત બધે હોય છે

કાગડાના દાવપેચ પાકા હશે
તેનાથી તારા માળાને ધક્કા વાગશે
તો પણ જગતમાં ફરવું પડે છે.
પોતાનું મન સાચવવું પડે છે

કમાડ ઉઘાડ
કમાડ ઉઘાડ
ચકીરાણી કમાડ ઉઘાડ !

( મંગેશ પાડગાંવકર, અનુ. શ્રીલેખા રમેશ મહેતા )

મૂળ મરાઠી કવિતા

ચાર લઘુકાવ્યો-રાધિકા પટેલ

૧.
ચાર દીવાલોએ
ઊભો કરેલો
આભ જેટલો ઊંચો અવકાશ-
હું અને મારી વચમાં.
એક જરા બારી ખૂલી,
અને ઊતરી આવ્યું
આખું’ય આભ-
કેટકેટલાં સંવાદ લઈને…!

૨.
મારી આસપાસ ઠેર-ઠેર પડેલા
નિરાશા,
નિષ્ફળતા,
અવગણનાના ઢગલાઓમાંથી
કેટલીક ઉપયોગી સામગ્રી એકઠી કરી
કૂકર ચડાવી દીધું છે-
ગેસ પર.
હવે, હું રાહ જોયા કરું છું-
સીટી વાગવાની…!

૩.
મારી આંખોમાં
ભરાઈ આવેલાં ખાબોચિયાંને-
આવીને
ઘટ-ઘટ…પી ગયું;
“તારું સ્મરણ”…!

૪.
આનાથી ઊંચે
હવે, ઊડવું’ય કેટલે ?
આવી તો ગઈ છું-
તારી આંખો સુધી…!

( રાધિકા પટેલ )

અંધારું-પ્રવીણ દરજી

અંધારું
ચોર પગલે
ઊતર્યું
પહાડ પર
ઝાડ પર
વાડ પર
અને
ગબડ્યું ખનિકામાં
પ્રસર્યું
મેદાને
નદી-નાળે
ગામ-ઘર
અને
ફળિયે
પછી
અટક્યું
સમુદ્રમાં
એકાકાર થઈ
સમુદ્રરૂપે.
અંધારું
બસ,
અંધારું જ છે !
અંધારું
એટલે
અંધારું…
એટલે…

( પ્રવીણ દરજી )

સળગવા એક ક્ષણ માગી…-જગદીશ ગુર્જર

અપેક્ષા એક ક્ષણ માગી રે મિતવા,
નિકટતા એક ક્ષણ માગી રે મિતવા.

જગત રંગીન તારા આગમનથી,
નીરખવા એક ક્ષણ માગી રે મિતવા.

ઋતુ ભીનાશની ઘરમાં જ આવી,
પલળવા એક ક્ષણ માગી રે મિતવા.

તું પડખે હોય તો એ પણ કબૂલું,
ભટકવા એક ક્ષણ માગી રે મિતવા.

નીરવતામાં હલે છે તારાં કંકણ,
રણકવા એક ક્ષણ માગી રે મિતવા.

તેં શણગારી છે રાતો જાગરણથી,
સળગવા એક ક્ષણ માગી રે મિતવા.

છે તારા સ્પર્શનો દરિયો તરંગિત…
ઊછળવા એક ક્ષણ માગી રે મિતવા.

( જગદીશ ગુર્જર )

ક્ષણનો ઉદ્દગાર-જગદીશ ગુર્જર

હું આદિ-અનાદિનો વ્યાપાર છું,
પરમ ચેતનાનો, હું આકાર છું.

તમે જોઈ લ્યો, અન્યથી પર નથી,
નિરાકાર છું, શુદ્ધ સાકાર છું.

આ વ્યક્તિત્વનું હું સ્વયમ કેન્દ્ર છું,
ચિદાકાશનો સહજ સત્કાર છું.

આ વળગણ છે શેનાં…ને જંજાળ શી,
અહમથી અલગ એક ચિત્કાર છું.

આ કોલાહલોમાં તને શોધતો,
હું અસ્તિત્વનો એક ચમત્કાર છું.

મેં દરિયો અલખનો ઉલેચી લીધો,
અતિ ધન્ય ક્ષણનો હું ઉદ્દગાર છું.

( જગદીશ ગુર્જર )

એ તું જ છે-નીતિન વડગામા

હાથમાં કાગળ ધરે એ તું જ છે,
અક્ષરો થઈ અવતરે એ તું જ છે.

સાવ ભૂંસે છે ભુલાવી દઈ બધું,
એ પછીથી સાંભરે એ તું જ છે.

સાતમા પાતાળનું તળ તાગવા,
છેક ઊંડે ઊતરે એ તું જ છે.

સાવ સૂના હાડમાં આઠે પ્રહર,
શ્વાસરૂપે સંચરે એ તું જ છે.

ડૂબતાંને તારવા મઝધારમાં,
એક તરણું થઈ તરે એ તું જ છે.

લોક ઊભા છે ઉગામી પથ્થરો,
માત્ર ફૂલો પાથરે એ તું જ છે.

બાથ આખા વિશ્વને ભરવા સતત,
વ્હાલ થઈને વિસ્તરે એ તું જ છે.

( નીતિન વડગામા )

સાંજ-પ્રીતમ લખલાણી

૧.
બાવળને છાંયડે
ખરે બપોરે
બેઠો હોય છે તડકો રાહમાં
સાંજ ક્યારે
આવશે ?

૨.
સાંજનો
નમણો નાજુક
ચહેરો જોતાં જ
પંખી તો શું
સૂરજને પણ
યાદ આવે છે ઘર !

૩.
પંખીને
પરીઓની વારતા કરવી
સાંજ
વૃક્ષ ડાળેથી
ક્યાં ખોવાઈ ગઈ ?

4.
સીમ ચરીને
પાછી ફરતી સાંજ
છલકાય છે
બોઘરણે !

૫.
દિવસભર
ચોવટ-ચુગલીમાં
ડૂબેલો ગામનો
ચોરો
સાંજના આગમને
કેવો થઈ ગયો
ઈશ્વરમાં લીન !

૬.
શંખ ફૂંકવા
પડાપડી કરતી,
કપ્પ્રની મઘમઘતી
સુગંધમાં
ઝૂમતી,
ઝાલરમાં રણકતી,
ઠાકોરજીને
હાથજોડ કરતી
સાંજ
ઝાંઝર રણકાવતી
પવનનો હાથ પકડી
ક્યાં ગઈ ?

( પ્રીતમ લખલાણી )