સૂરજ ઊગ્યા પછી શાને ઢળે છે ? પ્રશ્ન સાચો છે,
ને શાને ચાંદને કેવળ મળે છે ? પ્રશ્ન સાચો છે.
તું બારીમાં ચણાવે ભીંત તો લોકો મને પૂછે,
‘કયા હેતુથી તમને સાંકળે છે ?’ પ્રશ્ન સાચો છે.
હૃદયના શંખનાદો તું નથી જો સાંભળી શકતી,
તો મારું મૌન ક્યાંથી સાંભળે છે ? પ્રશ્ન સાચો છે.
સરોવરની સપાટી પર નીરવતા ગાય છે ગીતો,
ને તળિયું છીછરું કાં ખળભળે છે ? પ્રશ્ન સાચો છે.
દીવાઓ પણ નથી બળતા ને અજવાળું થયું છે ગુમ,
ને આખી રાત કાં માચીસ બળે છે ? પ્રશ્ન સાચો છે.
( એસ. એસ. રાહી )