Category Archives: યાત્રા/પ્રવાસ

બીજો પડાવ

 

જાન્યુઆરી ૬, ૨૦૦૯

Shraddha Inn-1
Shraddha Inn-1
Shraddha Inn-2
Shraddha Inn-2
Shraddha Inn-3
Shraddha Inn-3
Shraddha Inn-4
Shraddha Inn-4

અમારે બપોરે ૧૨.૦૦ વાગ્યે ચેક આઉટ કરવાનું હતું એટલે ત્યાં સુધીનો અમારી પાસે સમય હતો. હોટલમાં અમારે ઘણું બધું જોવાનું બાકી હતું. હોટલમાં ૨૪ કલાકની કોફી શોપ નૈવેદ્ય અને વેજીટેરીયન રેસ્ટોરન્ટ રાજભોગ છે. તે ઉપરાંત ધી કેરાલા આયુર્વેદિક થેરાપી સેન્ટર”, મેડીટેશન રૂમ તપસ્યા”, ગેઈમ રૂમ અને લાઈબ્રેરી રૂમ મનોરંજન”, સ્વીમિંગપૂલ અને ગાર્ડનની સુવિધા હતી. બ્રેકફાસ્ટ કર્યા બાદ આ બધું જોઈ અમે ગાર્ડનમાં બેઠા. શ્રધ્ધા ઈન ખરેખર સરસ હોટલ હતી.

તડકો આકરો થવા માંડ્યો એટલે અમે પાછા રૂમમાં આવ્યા અને આગળ પ્રયાણ કરવાની તૈયારી કરી. ૧૨.૦૦ વાગ્યા સુધીમાં અમારો સામાન ગાડીમાં ગોઠવી દીધો અને મુંબઈ જવા નીકળ્યા. ખબર નહીં કેમ પણ શિરડીથી મુંબઈનો રસ્તો અમને બધાને કંટાળાજનક લાગ્યો.

Shirdi to Mumbai
Shirdi to Mumbai
Shirdi to Mumbai-2
Shirdi to Mumbai-2

મુંબઈ આગ્રા હાઈવે પરથી શાહપુર, ઈગતપુરી થઈ અમે મુંબઈના સીમાડામાં પ્રવેશ્યા. CST (વી.ટી. સ્ટેશન ) તરફ આગળ વધતા હતા ત્યાં સાયન વિસ્તારમાં એક ઓવરબ્રીજ પાસે અમારી ગાડીને બે હવાલદારે રોકી. જે રીતે ગાડીને રોકવામાં આવી તેના પરથી જ અમને ખ્યાલ આવી ગયો કે આ લોકો હેરાન કરવાના અને પૈસા કઢાવવાના મૂડમાં છે. ડ્રાઈવર ને ગાડીની બહાર બોલાવીને બધા ડોક્યુમેન્ટસ જોવા માંગ્યા. બાકી બધું તો બરાબર હતું પણ આર.સી.બુક રીન્યુ ન્હોતી થઈ એટલે હવાલદારે આર.સી.બુક લઈ લીધી અને ૨૦૦૦/- રુ. ની રસીદ બનાવી દીધી. ડ્રાઈવરે આજીજી કરી પણ હવાલદાર ધરાર માને નહીં. સહી કરીને પૈસા ચૂકવવા ઉતાવળ કરાવે. ડ્રાઈવરે એના માલિકને વલસાડ ફોન કર્યો અને માલિકે મુંબઈના કોઈ ઈન્સપેક્ટર પાસે હવાલદારને ફોન કરાવ્યો ત્યારે માંડ માંડ ૮૦૦/- રુ. માં પતાવટ કરી. આર.સી.બુક તો પાછી આપી પણ રસીદ ન આપી.

 

ત્યાંથી સીધા અમે CST પહોંચ્યા ત્યારે સાંજ ના ૬ વાગ્યા હતા. આતંકવાદીઓએ CST પર ગોળીબાર કરીને નિર્દોષ મુસાફરો અને સુરક્ષા કર્મીઓના જાન લીધા પછી અહીં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. આ સ્ટેશન પર ૧૮ પ્લેટફોર્મ છે અને દરેક પ્લેટફોર્મ પરથી વારાફરતી કોઈ ને કોઈ ટ્રેન ઉપડતી જ રહે છે. તેથી મુસાફરો ઘણી મોટી સંખ્યામાં હોય.

 

અમારી કોંકણકન્યા એક્સપ્રેસનો સમય હતો રાત્રે ૧૧.૦૦ વાગ્યાનો. અમારે CST પર પાંચ કલાક વીતાવવાના હતા. અમને બધાને પ્લેટફોર્મ પર બેસવાની જ્ગ્યા તો મળી ગઈ. પણ માઈક પર થતું સતત એનાઉન્સમેન્ટ સાંભળી સાંભળીને વધારે કંટાળી ગયા. આખરે ટ્રેન આવી અને અમે એમાં ગોઠવાયા. ૧૧.૦૦ વાગ્યે ટ્રેન મડગાંવ જવા માટે રવાના થઈ. આમ કોંકણકન્યા એક્સપ્રેસમાં અમારો બીજો પડાવ થયો.    

 

પ્રથમ પડાવ(continue)

મોડી સાંજે સાંઈબાબાના દર્શન કરવા જવાના હતા એટલે એકાદ કલાક આરામ કર્યો. ત્યાં મામાએ આવીને કહ્યું કે શાવરમાં ગરમ પાણી સરસ આવે છે એટલે શાંતિથી શાવરમાં નાહવાનો લાભ લીધો.


શિરડી જતાં પહેલા મેં એ માહિતી મેળવી હતી કે સિનિયર સિટીઝનના માટે દર્શનની અલગ સુવિધા છે. અને એક સિનિયર સિટીઝન તેની સાથે બીજી એક વ્યક્તિને લઈ જઈ શકે. એ માટે જન્મતારીખનો પુરાવો આપીને પાસ કઢાવવો પડે. સાંજે ૭ વાગ્યે દર્શન કરવા માટે નીચે ઉતર્યા તો રીસેપ્શન પરથી જાણવા મળ્યું કે પરદેશીઓ પોતાનો પાસપોર્ટ રજૂ કરે તો તેને પણ સિનિયર સિટીઝનની જેમ જ દર્શન માટે પાસ આપવામાં આવે છે. મમ્મી પપ્પા સિનિયર સિટીઝનનો પાસ કઢાવીને અને મામાનો પરિવાર પાસપોર્ટ બતાવીને દર્શન કરવા જશે અને હું લાઈનમાં પ્રતીક્ષા કરીને દર્શન કરવા જઈશ એવું નક્કી થયું.


મંદિરમાં મોબાઈલ ફોન ઈલેક્ટ્રોનિક ગેઈમ્સ લેડિઝ પર્સ વગેરે કંઈ લઈ જવા દેવામાં આવતું નથી. આ અંગેની સૂચના અમારી હોટલ સહિત ઘણી જગ્યાએ વાંચવા મળી. અમે તે બધું હોટલના રૂમમાં જ મૂકી જવાનું મુનાસિબ સમજ્યું.


શ્રધ્ધા ઈનની ગાડી અમને મંદિર સુધી મુકવા આવી ત્યારે તેના ડ્રાઈવરે જણાવ્યું કે આ સમયે દર્શન માટે થોડી ઓછી ભીડ હોય છે. પાસ કઢાવવા જશો તો એમાં સમય જશે. એના કરતા લાઈનમાં જશો તો ૧૦-૧૫ મિનિટમાં દર્શન થઈ જશે. એટલે અમે પાસ કઢાવવાની પળોજણમાં પડ્યા વિના ગેઈટ નં. ૨ થી પ્રવેશ્યા. સાંઈનો જયઘોષ કરતાં કરતાં લાઈનમાં સૌ ચાલતા હતા. બાબાના દર્શન થયા ને હ્રદય એકદમ ભાવવિભોર બની ગયું.


મારી ઘણાં સમયથી ઈચ્છા હતી કે મમ્મી-પપ્પાને શિરડી લઈ જઈ બાબાના દર્શન કરાવીશ. પણ કોઈક ને કોઈક કારણથી નીકળાતું જ ન્હોતું. મામા સાથે જવાનું નક્કી તો કર્યું પણ મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટરને બતાવ્યું અને બે વખત રીપોર્ટ પણ કઢાવ્યા તો પણ મમ્મીને રાહત ન્હોતી. નીકળવાને અઠવાડિયું બાકી હતું અને મામા પણ USAથી આવી ગયા હતા તોય મમ્મી તો હજુ પથારીમાં જ હતી. મને કંઈ સૂઝતું ન્હોતું અને ચિંતા થતી હતી કે હવે શું કરીશું? પણ જ્યાં કંઈ જ કામ ન કરે ત્યાં શ્રધ્ધા કામ કરે છે. મેં બાબાને પ્રાર્થના કરી કે તારા દર્શન કરવાની મમ્મીની ખાસ ઈચ્છા છે તો એને તારા દર્શન કરવા માટે જરૂરથી બોલાવજે. અમે શિરડી જવા નીકળ્યા ત્યારે તો મમ્મીની તબિયત ઘણી સારી  થઈ ગઈ હતી અને આખી સફર દરમ્યાન પણ એને ખાસ કોઈ જાતની તકલીફ ન થઈ. આ બાબાની કૃપા નહીં તો શું?


મુખ્ય મંદિરમાં દર્શન કરી અમે બાબા જે લીમડા નીચે બેસતા હતા તે લીમડાના દર્શન કર્યા. નાનાવલી વગેરે બાબાના અંતેવાસીઓની સમાધિ જોઈ. બાબા રાત્રે જ્યાં સૂવા માટે જતાં તે ચાવડી અને બાબા જ્યાં રહેતા હતા તે દ્વારીકામાઈના પણ દર્શન કર્યા. દ્વારીકામાઈની ધૂણીમાં વર્ષોથી અખંડ જ્યોતિ પ્રજ્વલિત છે. તેની ઉદી મેળવવા માટે મંદિર તરફથી અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ત્યાંથી ઉદી લીધી. આ બધું જોતાં અમને ૮.૩૦ વાગ્યા. ત્યાં સુધીમાં પ્રસાદના લાડુનું કાઉન્ટર બંધ થઈ ગયું હતું. અમે પાછા શ્રધ્ધા ઈનમાં જવા માટે નીકળ્યા.


શ્રધ્ધા ઈનમાં અમે ડિનર અને બ્રેકફાસ્ટનું પેકેજ લીધું હતું. ત્યાં પહોંચીને બુફે ડિનર લીધું. વલસાડથી શિરડી સુધીની સફર કરીને બધા થાકી ગયા હતા તે સૌ જલ્દી જ સૂઈ ગયા.

પ્રથમ પડાવ

જાન્યુઆરી ૫, ૨૦૦૯

 

સવારે ૭.૩૦ વાગ્યે નીકળવાનું વિચાર્યું હતું. પણ અમને ૭ જણાને ( હું, મમ્મી, પપ્પા, USAથી આવેલ મારા મામા, મામી અને તેમના બે દીકરાઓ ) તૈયાર થતાં થોડું મોડું થઈ ગયું. લગભગ ૮ વાગ્યે અમે Tavera ગાડીમાં ગોઠવાઈને શિરડી જવા નીકળ્યા. વલસાડથી શિરડી જવા માટે મારી જાણ મુજબ ત્રણ રુટ છે. એક સાપુતારા થઈને, બીજો સુરત મનોર નેશનલ હાઈવે નં. ૮ પરથી ચારોટી થઈને અને ત્રીજો ધરમપુર-કપરાડા થઈને. અમે ધરમપુરવાળા રસ્તે નીકળ્યા. રસ્તામાં ટ્રાફિક પ્રમાણમાં ઘણો ઓછો હતો અને રસ્તાઓ પણ સારી સ્થિતિમાં હતા એટલે રસ્તો જલ્દી કપાતો હતો. મારા કઝિનોએ બળદગાડાના, માણસોથી ભરેલ છકડાના અને પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ દર્શાવતા બોર્ડના ફોટોગ્રાફ્સ લીધા. ધરમપુર છોડ્યા પછી ધીમે ધીમે ડુંગરાળ પ્રદેશો આવવાની શરૂઆત થઈ. ઉંચાણવાળા પશ્ચિમી ઘાટના રસ્તાઓ પરથી તળેટીનો વિસ્તાર દેખાતો હતો તે અન્ય હિલ સ્ટેશનોની યાદ અપાવે તેવો હતો. પરંતુ હજુ આ વિસ્તારમાં ટુરિઝમને લગતી કોઈ સુવિધા ન હોવાથી ટુરિસ્ટોની નજરમાંથી બચીને રહ્યો છે.

Way to Nasik-2
Way to Nasik-1

Way to Nasik-2
Way to Nasik-2

મહારાષ્ટ્રની સરહદ શરૂ થઈને રસ્તાની હાલત થોડી બગડી. ૧૨.૧૫ એ અમે નાસિક પહોંચ્યા. બધાને કકડીને ભૂખ લાગી હતી એટલે કોઈ સારી રેસ્ટોરન્ટમાં લઈ જવા માટે ટ્રાઈવરને કહ્યું. ડ્રાઈવર અમને હોટલ દ્વારકામાં લઈ ગયો. અંદર જઈને બેઠા પણ ટેબલ પર માખીઓ બણબણતી હતી. મારા કઝિન દેવેશને ચોખ્ખાઈની બાબતમાં ઘણી સૂગ. એ આવું કંઈ ચલાવી ન લે. એટલે અમે ત્યાંથી ઉભા થયા અને ડ્રાઈવરને બીજી કોઈ રેસ્ટોરન્ટમાં લઈ જવા કહ્યું.  એ અમને વુડલેન્ડમાં લઈ ગયો. ત્યાં રેસ્ટોરન્ટ તો સારી હતી પણ ટોયલેટ ઘણું ગંદુ હતું. એટલે દેવેશે તેને પણ નાપસંદ કરી. વુડલેન્ડની સામે જ કામથ હોટલ હતી. પણ તે બતાવવાની અમે હિંમત જ ના કરી. આખરે મામાએ ડ્રાઈવરને તાજ ગ્રુપની ધ ગેઈટ વે હોટલમાં લઈ જવા કહ્યું. અરીસા જેવા ચોખ્ખા રેસ્ટ રૂમમાં અમે ફ્રેશ થયા અને પછી જમ્યા.

The Gate Way Hotel-Nasik
The Gate Way Hotel-Nasik

 

મામી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે ત્યાં અમેરિકામાં આવી સુવિધાઓ બહુ સારી રીતે ઉપલબ્ધ. થોડા થોડા અંતરે તમને સ્વચ્છ શૌચાલયો મળી રહે. જ્યારે આપણા અહીં મનુષ્યની મૂળભૂત જરૂરિયાત પ્રત્યે સરકાર ખાસ્સી ઉદાસીન. જો કે હવે ઘણી જગ્યાઓએ સુલભ શૌચાલયો બનાવવામાં આવ્યા છે પણ તે ભારતની વસ્તીના પ્રમાણમાં ઘણાં ઓછા.

 

નાસિકમાં જ અમને ૨-૨.૧૫ વાગી ગયા હતા. ત્યાંથી અમે શિરડી તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં શિરડી જવા માટે નીકળેલા ઘણાં બધાં પદયાત્રીઓની જુદી જુદી ટુકડીઓ મળતી રહી. બપોરના તાપમાં ખૂલ્લા પગે પણ તે બધા પોતાની મસ્તીમાં ચાલી રહ્યા હતા. આ બધા આટલી મોટી સંખ્યામાં શા માટે ચાલી રહ્યા હતા એ મારા બન્ને કઝિન દેવેશ અને દેવાંગને સમજાવવું અમારા માટે મુશ્કેલ હતું.

 

લગભગ ૪ વાગ્યે અમે હોટલ શ્રધ્ધા ઈનમાં પહોંચ્યા. અમારું બુકિંગ મેં અગાઉથી  કરાવ્યું હતું એટલે તરત જ રૂમ ભેગા થયા.

Shraddha Inn-Shirdi