दो कवितायें – निदा फ़ाज़ली

.

(1)

सोने से पहले

.

हर लड़की के

तकिये के नीचे

तेज़  ब्लेड

गोंद की शीशी

और कुछ तस्वीरें होती है

सोने से पहले

वो कई तस्वीरों की तराश-ख़राश से

एक तस्वीर बनाती है

किसी की आँखे किसी के चेहरे पर लगाती है

किसी के जिस्म पर किसी का चेहरा सजाती है

और जब इस खेल से उब जाती है

तो किसी भी गोश्त-पोश्त के आदमी के साथ

लिपट कर सो जाती है

 .

(2)

सच्चाई

 .

वो किसी एक मर्द के साथ

ज़्यादा दिन नहीं रह सकती

ये उसकी कमज़ोरी नहीं

सच्चाई है

लेकिन जितने दिन वो जिसके साथ रहती है

उसके साथ बेवफ़ाई नहीं करती

उसे लोग भले ही कुछ कहें

मगर !!

किसी एक घर में

ज़िन्दगी भर झूठ बोलने से

अलग-अलग मकानों में सच्चाइयाँ बिखेरना

ज़्यादा बेहतर है

 .

( निदा फ़ाज़ली )

મધ્યરાત્રિએ આવતી – સુરેશ દલાલ

.

મધ્યરાત્રિએ આવતી રાતરાણીની મ્હેક જેવી તારી યાદ

અંધારામાં હળુહળુ કંડારે છે એક કોમળ શિલ્પ.

પથારીમાં પડેલો હું એને જોયા કરું છું નિ:સ્તબ્ધતાથી.

ઝાકળથી જન્મેલી એની આંખો જાણે કે હમણાં જ હસી પડશે.

બિડાયેલા હોઠમાંથી એકાએક પ્રગટશે સૂર્યનો લાલ રંગ

અને આખા ચહેરાને અજવાળતો એ કંકુ થઈને મ્હોરી ઊઠશે.

જરાક પણ જો એનાં ચરણ હલચલ થાય તો હવામાં ઝાંઝરના રોમાંચનો રંગ.

 .

ખુલ્લાં સ્તનોમાં આષાઢના વાદળની જેમ ચાંદની ઘેરાઈ રહી છે.

આંગળીઓમાં ટહુકે છે સ્પર્શનાં રેશમી પીંછાઓ

અને થીજેલા ગીત જેવું મારું મૌન મલ્હાર થઈને વરસી પડે છે.

શયનખંડની બારી ઉપર ટપકતાં ફોરાંઓના ધ્વનિનું ચિત્ર

અને પવનથી ચિરાઈ જતો પડદાઓની ઘંટડીઓનો ઘેરો અજંપો.

શયનખંડના દર્પણમાં ભીંસાઈને સંતાતાં આપણે બે

અને દર્પણની બહાર વિસ્મય અનુભવતી રાતરાણીની મ્હેક !

 .

( સુરેશ દલાલ )

ક્યારે પાછા આવશે – ખલીલ ધનતેજવી

.

એકલા છોડી ગયા તે ક્યારે પાછા આવશે,

દૂર જઈ ભૂલી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

જે તરસ લઈને ફરે છે, એ કિનારે આવશે

ઝેર જેવું પી ગયા તે તે ક્યારે પાછા આવશે.

 .

આ ધરા ફણગાશે, લીલીછમ ફરી થાશે કદી,

મૂળથી ઊખડી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

જે થયા પરલોકવાસી, રોઈ નાખ્યું એમનું,

પણ ફક્ત રૂઠી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

દૂરથી પાછા ફરે એ સ્હેજ મોડા પણ પડે,

ઉંબરે અટકી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

વૃક્ષ ધરખમ છે ને એને કૂંપળો ફૂટશે નવી,

પાંદડાં તૂટી ગયાં તે ક્યારે પાછા આવશે.

.

મેં ખલીલ આવ્યા ગયાની નોંધ પણ રાખી નથી,

શી ખબર ઊઠી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

( ખલીલ ધનતેજવી )

હું તો પહેલા વરસાદથી – રમેશ પારેખ

.

હું તો પહેલા વરસાદથી ભીંજેલી હો શ્યામ, મારે જાવું ક્યાં જાવું રે બોલ ?

 .

જોઉં તો ભાનસાન પાણી વિના ય

તૂટી પડતા વરસાદ સમા લાગે

ઝીલવા જઉં તો કેર કાંટાની જેમ

રાજ, મારો સહવાસ મને વાગે

 .

ચોમાસુ બેસવાને આડા બે-ચાર માસ તો ય પડે ધોધમાર હેલી

 .

હું રે ઉનાળાની સાંકડી નદી ને

તમે મારામાં આવેલું પૂર

ઝાડથી વછોઈ કોઈ ડાળખીને

જાણે કે પાંદડાંઓ ફૂટ્યાં ઘેઘૂર

 .

ભીનોચટ્ટાક સાદ પાડે છે મોર પછી ખોલું કે બંધ કરું ડેલી ?

 .

( રમેશ પારેખ )

પ્રેમ જ લખાશે – ‘રાઝ’ નવસારવી

.

તારા ગયા પછીનું હું વાતાવરણ લખું,

સંબંધને ઉલેચતી એકેક ક્ષણ લખું.

 .

એકાન્ત છે ને સામે પ્રસંગોની ભીડ છે,

મૂંઝાઉં છું કે તમને કયા સંસ્મરણ લખું ?

 .

દિવસ ને રાત તારા અરીસા બની ગયા,

એક જ છબી નિહાળતું હું જાગરણ લખું.

 .

સંબંધનાં છે ઝાંઝવા, છલનાની રેત છે,

દિનરાત પાંગરે છે જે મારામાં રણ લખું ?

 .

બારાખડી સમાઈ અઢી અક્ષરોમાં ત્યાં,

પ્રેમ જ લખાશે ‘રાઝ’ ભલે કાંઈ પણ લખું.

 .

( ‘રાઝ’ નવસારવી )

 

जादूगर – नन्दिनी मेहता

.

आज उसे देखते ही मेरे आँसू निकल आये

स्वयं विधाता ही जैसे रुठ गये

कल तक हरा भरा पत्तियों से लदा था

आज बिलकुल सूखा ठूंठ रह गया था

उसके दुर्भाग्य पर आंसू बहाने

एक पत्ता तक नहीं था

 .

किसी जादूगर को आते मैंने नहीं देखा

किंतु एक दिन सबेरे बडा अजूबा देखा

हर सूखी डाल में निकल आयी

कोमल किसलय उंगलियां

प्रभात के स्वागत में जैसे

मेंहदी रची हथेलियां

डाली – डाली में उग आये असंख्य सुर्ख ओठ

नवजात शिशु से –

गुलाब की पंखुडी से –

छूने भर से कहीं लहू न टपक जायें ऐसे !

क्या इस जीव जगत को चूमने आये हैं

या जमाने के झमेलों में

इंसान के टूटते विश्वास को जगाने आये

सूखते प्राणों में नवजीवन भरने आये

 .

कभी सोचें सब खत्म हुआ

सब सूख गया

सब डूब गया

सब बिगड गया

सब टूट गया…

तब एक पुकार सुनी –

रुको, रुको…

उस जादूगर के आने की राह तो देखो !

 .

( नन्दिनी मेहता )

એ કોણ છે ? – દિનેશ ડોંગરે ‘નાદાન’

.

સૂર્ય જેવું ઝળહળે એ કોણ છે ?

મીણ માફક ઓગળે એ કોણ છે ?

 .

આંગણે જેના પડે પગલાં પછી,

ઘરની ભીંતો સળવળે એ કોણ છે ?

 ,

સ્હેજ અમથોયે મને જોઈ ઉદાસ,

રાત આખી ટળવળે એ કોણ છે ?

 ,

આંખ-મન-નાભી લગોલગ ઊતરી

રક્તની ભીતર ભળે એ કોણ છે ?

 .

સાંજ શણગારો સજી બેસે અને,

જઈ ક્ષિતિજોમાં ઢળે એ કોણ છે ?

 .

( દિનેશ ડોંગરે ‘નાદાન’)

મીરાં ચૂપ થઈ – સુરેશ દલાલ

.

ઘૂંઘટપટની ઘુઘરિયાળી વાત ગગનમાં ધૂપ થઈ,

એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ.

 .

મોરપિચ્છનો રંગ શરીરે ભયો ભયો થઈ વહેતો

મુરલીનો એક સૂર મીટમાં થીર થઈને રહેતો

યમુનાજલની કુંજગલનમાં મીરાં છૂપ થઈ

એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ.

 .

ઝેરકટોરો, પ્રેમકટારી અને હેમની ગાગર,

કાંઈ કશો નહીં ભેદ હવે તો સાંવરિયાનો સાગર;

વ્રજવૈકુંઠના વૃંદાવનમાં મીરાં શ્યામનું રૂપ થઈ;

એક દિવસ તો ગાતાં ગાતાં મીરાં ચૂપ થઈ.

 .

( સુરેશ દલાલ )

કશું નકામું નથી – રઈશ મનીઆર

.

અરણ્ય, પંથ કે નડતર કશું નકામું નથી

રતન કે ધૂળ કે કંકર કશું નકામું નથી

 .

પડાવ, થાક, ત્રિભેટો, ભુલામણી ઠોકર

સફરના અંશ છે, આખર કશું નકામું નથી

 .

એ બેઉ વિશ્વોની લીલાને મનભરી માણો

અહીં બહાર કે અંદર, કશું નકામું નથી

 .

કોઈનું થાય છે ઘડતર, કોઈ રહે પડતર

અહીંના શિલ્પ કે પથ્થર, કશું નકામું નથી

 .

ફરજ જુઓ ન ગૂંથાવા અને ચૂંથાવામાં

સ્વીકારો પુષ્પ કે અત્તર, કશું નકામું નથી

 .

કદીક મન થશે અણનમ સરોને ઝુકવાનું

આ પથ્થરો અને ઈશ્વર, કશું નકામું નથી

 .

ભલે ને હમણાં કશું વ્યર્થ લાગતું હો તને

એ ધરશે અર્થ નિરંતર, કશું નકામું નથી

.

( રઈશ મનીઆર )

રોકાણ થાતું જાય છે – ‘વિવશ’ પરમાર

 

.

જેમ તારી યાદનું નિર્માણ થાતું જાય છે,

આંસુઓથી આંખનું ધોવાણ થાતું જાય છે.

 .

રોજ મારી ભીતરે રમખાણ થાતું જાય છે;

કોણ છે ? જેના તરફ ખેચાણ થાતું જાય છે ?

 .

કંઠમાં થંભી ગયું છે એક ડૂસકું જ્યારથી;

આ હૃદયમાં ત્યારથી પોલાણ થાતું જાય છે.

 .

તાગ મેળવવા મથામણ જ્યાં કરું છું એમ કૈં;

જખ્મનું મારા વધુ ઊંડાણ થાતું જાય છે.

 .

સ્વપ્ન છે કે છે હકીકત કૈં ખબર પડતી નથી;

આંખ ખોલું કે તરત બીડાણ થાતું જાય છે.

 .

કોઈ ગેબી સાદનો ગિરનાર પર પડઘો પડે;

દત્ત ને દાતારનું જોડાણ થાતું જાય છે.

.

કુંડ દામો ને તળેટીમાં કોઈ અંજળ હશે;

ગોદમાં ગિરનારની રોકાણ થાતું જાય છે.

 .

( ‘વિવશ’ પરમાર )