અર્થશાસ્ત્ર-વિપિન પરીખ

કોઈએ મને પૂછ્યું: આ જીવનનો અર્થ શો છે

મેં કહ્યું: મને ખબર નથી

 

મને ખબર નથી આ સૂરજમુખીનું ફૂલ

રોજ સવારે શી રીતે હસી શકતું હશે

અને કોયલ શી રીતે લાલ કરી મૂકતી હશે વસંતને

પોતાના ટહુકાથી વરસે વરસે?

 

મને ખબર નથી વારે વારે પડી જવા છતાં

શિશુ શા માટે આટલો બધો આગ્રહ રાખે છે

પોતાનાં પગલાં પાડવાનો?

 

ને કદમ્બના વ્રુક્ષ નીચે બેઠેલા પ્રેમીઓની હથેળીને

મધુર વાચા શી રીતે ફુટતી હશે? 

-મને ખબર નથી.

 

પણ

જ્યારે

ફૂલો શહેરમાં વસવા આવશે કાયમ માટે

ને કોકિલા જ્યારે બેન્કમાં દસથી છ

સર્વિસ કરશે અને

આકાશ જ્યારે નીચે નમી નમીને

૨૬મા માળની અગાશીને પ્રેમ કરશે

ત્યારે હું પણ પૂછીશ: 

આ બધાંનો અર્થ શો છે?”

 

( વિપિન પરીખ )

પ્રિય…-હેમા લેલે

પ્રિય,

તારામાં તલ્લીન થવું એટલે જાણે આકાશના

પોલાણમાં માળો બાંધવો.

પછી ઊડવું, ફફળવું ને કલરવ કરવો બધું જ

બેહિસાબ.

મારી ચાંચમાંના દાણા તારે માટે અપૂરતા

પણ મારા માળામાંની હૂંફ માત્ર તારે માટે સુખદાયક.

એ જ હૂંફની જાળ વણું છું હું તારી નસનસમાં

તોય ઊડી જાય છે મન ફાવે ત્યારે!

મારી વેરાયેલી લાગણીઓને એકઠી કરીને

હું થોભી જાઉં છું એ જ ક્ષણ પર…

થાય છે કે ઢળતી સાંજે તો તું આવીશ ને

થાકેલી પાંખોને વિસામો આપવા

મારા માધુયૅના વ્રુક્ષ પર!

એક વાત તો નક્કી જ છે…હવે આકાશના પોલાણમાં

મારું સુઘડ મન ટાંગવાની ટેવ તારે લીધે જ

અંગેઅંગમાં વણાઈ ગઈ છે.

તારું મુક્ત વિહરનારું રૂપ જ આનંદથી

વહેતું રહે છે મારા કણકણમાં…

માળામાં જ રહે એવા વચનમાં ક્યારેય નહીં બાંધું તને

પણ શરત માત્ર એટલી જ કે

દરેક વખતે તારું ઉડ્ડયન પહેલાં કરતાં

વધુ ઉન્નત હોય.

(મૂળ કવિતા : હેમા લેલે

 અનુવાદ : ડો. શેફાલી થાણાવાલા)

क्या करुं…-हरिवंशराय बच्चन

क्या करुं संवेंदना लेकर तुम्हारी?

क्या करुं?

 

मैं दुःखी जब-जब हुआ

संवेदना तुमने दिखाई,

मै कृतज्ञ हुआ हमेशा

रीति दोनों ने निभाई,

किन्तु ईस आभार का अब

हो उठा है बोझ भारी;

क्या करुं संवेदना लेकर तुम्हारी?

क्या करुं?

एक भी उच्छवास मेरा

हो सका किस दिन तुम्हारा?

उस नयन से बह सकी कब

ईस नयन की अश्रुधारा?

सत्य को मूंदे रहेगी

शब्द की कब तक पिटारी?

क्या करुं संवेदना लेकर तुम्हारी?

क्या करुं?

कौन है जो दूसरे को

दुःख अपना दे सकेगा?

कौन है जो दूसरे से

दुःख उसका ले सकेगा?

क्यों हमारे बीच धोखे

का रहे व्यापार जारी?

क्या करुं संवेदना लेकर तुम्हारी?

क्या करुं?

क्यों न हम लें मान हम हैं

चल रहे एसी डगर पर,

हर पथिक जिस पर अकेला

दुःख नहीं बंटते परस्पर,

दूसरों की वेदना में

वेदना जो है दिखाता,

वेदना से मुक्ति का निज

ह्षॅ केवल छिपाता;

तुम दुःखी हो तो दुःखी मैं

विश्व का अभिशाप भारी!

क्या करुं संवेदना लेकर तुम्हारी?

क्या करुं?”

( श्री हरिवंशराय बच्चन )

તમે કોઈ દિવસ…-મુકેશ જોશી

તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? 

        એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા

                આખીય જિંદગી બળ્યા છો? 

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઈના

        મારગથી કાંટાઓ શોધ્યા

તમે લીલેરા છાંયડાઓ આપીને કોઈના

        તડકાઓ અંગ ઉપર ઓઢ્યા

તમે એકવાર એનામાં ખોવાયા બાદ

        કદી પોતાની જાતને જડ્યા છો?

તમે કોઈની આંખ્યુંમાં વીજના કડાકાથી

        ખુદમાં વરસાદ થતો જોયો

તમે કોઈના આભને મેઘધનુષ આપવા

        પોતાના સૂરજને ખોયો

તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં

        માથું મૂકીને રડ્યા છો?

( મુકેશ જોશી )

વરસાદમાં…-રવિન્દ્ર પારેખ

“લે તને કાગળ લખું વરસાદમાં

એ વિના શું ચીતરું વરસાદમાં

આપણું મળવું હવે મુશ્કેલ છે

શહેર જાણે કે તર્યું વરસાદમાં

ફોન ગાડી ને બધું યે બંધ છે

હું નહીં આવી શકું વરસાદમાં

રાહ જોતી આંખમાં વાદળ થશે

બેવડી પલળીશ તું વરસાદમાં

તું ન હો ને હોય જો વરસાદ તો

એમ લાગે રણ મળ્યું વરસાદમાં

હોઈએ સાથે અને વરસાદ હો

રણ બને તોરણ લીલું વરસાદમાં

પત્રને બદલે તને હું મન બીડું

ખુદ બન્યો પરબીડિયું વરસાદમાં

મન મૂકીને મન મને છોડી ગયું

એ તને ક્યાંથી જડ્યું વરસાદમાં

હું અહીં છું ને હવે તારી કને પણ

બેવડું આ જીવવું વરસાદમાં

મન વગર હું બેવડો એકાંતવશ

જીવવું મરવું થયું વરસાદમાં

તું ય તારું મન મને મોકલ હવે

ક્યાં સુધી ઝુયૉ કરું વરસાદમાં

એટલો પલળી ગયો છું યાદથી

ના પલળવાનું રહ્યું વરસાદમાં”

(  રવિન્દ્ર પારેખ )