Category Archives: પ્રાર્થના

…સાચવજે સમો, વા’લા ! – લલિત ત્રિવેદી

.

નદીયું થાય જો રઘવાઈ, સાચવજે સમો, વા’લા !

ખમી ખાવાને દેજે લાઈ, સાચવજે સમો, વા’લા !

.

દીધી છે રત તો સત દેજે, ને ગત દીધી તો મત દેજે

અને દેજે ઝીણી જિવાઈ, સાચવજે સમો, વા’લા !

 .

વિતાવું છું જો દાણો રાઈ તો માગે છે ઈ વનરાઈ

બહુ પહરી છે કહ્યાબાઈ, સાચવજે સમો, વા’લા !

 .

સખીના ચહેરાની લટ છે, સમું ઘૂંટાઈ તો રટ છે

ઝૂરણ દેજે ને દેજે ઝાંઈ, સાચવજે સમો, વા’લા !

 .

છે એક બાજુ શરીરાઈ… બીજી બાજુ છે પરછાંઈ

ને વચમાં વસમી છે અધૂરાઈ, સાચવજે સમો, વા’લા !

 .

( લલિત ત્રિવેદી )

એક વાર શ્રદ્ધાથી – એઈલીન કેડી

.

ડિસેમ્બર ૩૧

 .

એક વાર શ્રદ્ધાથી તમે આગળ પગલું ભર્યુઁ કે કદી પાછળ વળીને જોતાં નહિ, પાછળ જે છોડી દીધું હોય તેના વિશે અફસોસ કરતાં નહિ. માત્ર અત્યંત અદ્દભુત ભવિષ્યની અપેક્ષા રાખો અને એ સાકાર થતું જુઓ. જૂનું બધું પાછળ છોડી દો. એ સમાપ્ત થઈ ગયું છે. તમે જે પાઠો શીખ્યાં છો અને તમને જે અનુભવો મળ્યા છે તે બદલ કુતજ્ઞ રહો. આ બધી બાબતોએ તમને વિકસવામાં મદદ કરી છે અને વધુ ઊંડી સમજ આપી છે, પણ કદી એને વળગી રહેવાનો પ્રયત્ન કરતાં નહિ. તમે પાછળ જે છોડીને આવ્યાં છો તેના કરતાં, તમારે માટે જે તૈયાર થઈ રહ્યું છે તે ક્યાંય વધારે અદ્દભુત છે. તમે તમારું જીવન સીધું મારા જ માર્ગદર્શન અને દોરવણી હેઠળ મૂક્યું હોય ત્યારે કશું ખોટું શી રીતે બની શકે ? પણ તમે આગળ પગલું ભરો પછી વિમાસણ અનુભવો કે મેં યોગ્ય કર્યુઁ કે નહિ, અને શંકા ને ભયને અંદર પ્રવેશવા દો, ત્યારે વસ્તુઓ તમને ઘેરી વળવા લાગે છે અને તમે તમારા નિર્ણયના ભાર તળે દબાઈ જાઓ છો. એટલે લગામ છોડી દો, ભૂતકાળને છોડી દો, અને તમારા હૃદયમાં પ્રેમ અને કૃતજ્ઞતા ભરીને આગળ વધો.

.

( એઈલીન કેડી, અનુવાદ : ઈશા કુન્દનિકા )

હૃદયના ઊંડાણમાંથી શબ્દો – કુન્દનિકા કાપડીઆ

રાત પડી છે અને દીવા બુઝાઈ ગયા છે

બધા જીવો અંધકારની ગોદમાં વિશ્રાંતિથી પોઢી ગયા છે.

તમને પ્રાર્થના કરવા હું મારા હૃદયને શાંત કરું છું

મારા હૃદયના ઊંડાણમાંથી શબ્દો પ્રગટ થાય છે.

 .

અલબત્ત, તમને શબ્દોની કોઈ જરૂર નથી,

તમે તો બધું જાણો જ છો

અમારા શબ્દો તો અમારા ભાવોની સ્પષ્ટતા માટે છે

પછી કદાચ એની જરૂર ન રહે.

 .

અનાદિકાળથી અમે પિંજરમાં પુરાયેલાં છીએ

અજ્ઞાન અને ઈચ્છાઓનાં બંદી છીએ

સીમાઓ બાંધી અમે જાતને સલામત માની છે

દુન્વયી પ્રાપ્તિઓને ચરમ સિદ્ધિ ગણી છે.

આ બધું પરિવર્તનશીલ છે, આજે ઊગીને કાલે આથમી જનારું છે

તે જાણીએ છીએ, છતાં વ્યવહારમાં તેથી જુદું જ માનીને ચાલીએ છીએ.

 .

જીવન તો છે એક નિરંતર વહેતી નદી

કોઈ ઘાટે, કોઈ કાંઠે તે અટકી રહેતી નથી.

પણ અમે વસ્તુમાં, વિચારમાં, વલણોમાં અટકી પડીએ છીએ

ત્યારે સ્થગિત બની જઈએ છીએ

મૃત્યુના પ્રદેશમાં મલિન બનીને રહીએ છીએ.

 .

સકળ દ્રશ્યમાન જગત એક આનંદપૂર્ણ લીલા છે

અમે અમારા કે ન્દ્રમાંથી બહાર નીકળી

જીવન સાથે વહી શકીએ

તો આ લીલાના ભાગીદાર બની શકીએ;

પછી બધી જ ઘટના એક ખેલ બની રહે,

સુખ આપો ને દુ:ખમાંથી બચાવો તે તમારી કૃપા છે,

તો સંકટ આપો ને દરિયામાં ડુબાડી દો તે પણ

તમારી જ કૃપા છે એમ સમજી શકીએ,

અમને વિશ્વાસ રહે કે બધું તમારી દ્રષ્ટિમાં જ છે.

 .

સત્તાસ્થાને વિરાજતા મનુષ્યમાં

અને રસ્તે રઝળતા ઢોરમાં

તમે જ રહેલા છો.

 .

અમારા અજ્ઞાન અને ઈચ્છાના અંધ પડદાને સળગાવી મૂકો

અમારા કોચલાને તોડી નાખો

અમે ગમે તેટલા ક્ષુદ્ર હોઈએ, તમે સમર્થ છો

તમારી ભક્તિ અમને સામર્થ્યવાન બનાવે છે.

 .

કોઈ ઘર એવું દરિદ્ર નથી, જ્યાં તમારાં પગલાં ન પડે

કોઈ હૃદય એવું જડ નથી, જ્યાંતમારું નામ ન સ્પંદે

કોઈ ક્ષણ એવી સામાન્ય નથી, જે તમારા સ્મરણથી આલોકિત ન થાય.

 .

આ નીરવ રાતે સમય શાંત છે

મને ભાન થાય છે કે હું એકાકી નથી

કોઈના સમીપ હોવાનો હું સઘન અનુભવ કરું છું

એ કોઈ તે તમે છો, ભગવાન !

 .

( કુન્દનિકા કાપડીઆ )

પ્રાર્થના – સુરેશ દલાલ

એક વાત તો નક્કી છે – કે આપણે બન્ને જુદા છીએ. તું ભગવાન અને હું ભક્ત. હું આત્મા અને તું પરમાત્મા. તું જેટલો અમારી બહાર છે એટલો જ કદાચ અમારી ભીતર પણ છે. આ બહાર-ભીતરની ઘટના આછી આછી સમજાય છે પણ પૂર્ણપણે પામી શકાતી નથી. આપણે જુદા છીએ એટલે તો એક થવાની વાત કરું છું. આપણે એક કેવી રીતે થઈ શકીએ એ જ મારા ચિંતન, મનનનો પ્રશ્ન છે. તારા સરોવરમાં મારે કમળ થઈને ઊગીને મારે જલકમલવત નથી રહેવું. મારે તો કરવું છે તારા સરોવરમાં સ્નાન. જ્ઞાન નથી જોઈતું. મને તો જોઈએ છે તારામાં તરબોળ થઈ શકું એવી ભક્તિ કે જેથી કોઈ જુદાપણું કે જુદાઈ આપણી વચ્ચે રહે જ નહીં.

 .

મધરાતનો સમય છે. મેં પ્રકટાવ્યો છે એક દીવો. અંધકારનો મરજીવો હોય એમ હવે એ સળગે છે પોતાની મેળે, જીવે છે પોતાને બળે અને તારી કૃપાએ. આ દીવો – એને કોઈ નામની જરૂર હોય તો નામ પણ આપીએ. એનું નામ પ્રતીક્ષા છે. એ રાહ જોયા કરે છે – માત્ર તારી, જેથી જ્યોતમાં જ્યોત મળી જાય. એની પાસે માત્ર આટલી જ મિરાત છે અને એ જીવવા માટે પૂરતી છે. આ મિરાતના નામની પણ જરૂર હોય તો નામ પણ આપીએ. એનું નામ ધીરજ અને શ્રદ્ધા. મધરાતનો સમય છે. એની જ્યોતમાંથી જ પ્રકટ થશે એક સુવર્ણમય સૂરજ. તું સૂરજ અને હું સૂરજમુખી.

 .

( સુરેશ દલાલ )

પ્રભુ પધાર્યાની નિશાની – સંત તુકારામ

.

પ્રભુ પધાર્યાની નિશાની, જેને ઘેર એ આવે

ઘરબારવેવાર એના વિખેરાઈ જાયે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, ધનોતપનોત નીકળી જાયે

સંસારની માયા થકી જણ વેગળો થઈ જાયે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, જંજાળે ભેરવાવા ના દે

દેન છે, મમતાના પાશે બંધાવા ના દે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, વાણીને અટવાવા ના દે

અ-સતનો મેલ જિહ્વાએ ચોંટવા ના દે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, માયાજાળ તોડાવી દે

જાતને સકળ જગતથી દૂર કરી દે

 .

જુઓ તો, મુજ ઘરે ઠોકિયો કેવો પડાવ

તુકાને ઠેકાણે એના સઘળા અણસાર

 .

( સંત તુકારામ, અનુ: અરુણા જાડેજા )

 .

[તુકારામ ગાથા ક્રમાંક – ૩૪૪૬]

સાહિબ સપ્તક (૭) – નીતિન વડગામા

સાહિબ, બને શ્વાસનું બખ્તર.

કાળ તણા વિકરાળ પ્હાડ થઈ જાતા જાણે કંકર !

 .

પડછાયો થઈ પડખે રહીને એ રખવાળું કરતાં

બળબળતા સૂરજને ઝીલી વાદળ થઈ ઝરમરતા.

 .

જોજન છેટે હોય છતાંયે લાગે નિકટ નિરંતર.

સાહિબ, બને શ્વાસનું બખ્તર.

 .

શૂળીનો એ હુકમ સોયથી સહજ ઉકલી જાતો !

થંભેલો ધબકારો દોડી ફરી નાચતો – ગાતો!

 .

કોઈ કૃપાનું કવચ સાંપડે કેવું અગમ અગોચર !

 સાહિબ, બને શ્વાસનું બખ્તર.

 .

( નીતિન વડગામા )

સાહિબ સપ્તક (૬) – નીતિન વડગામા

સાહિબ, સાચો સાગરખેડુ.

ખેપ કરીને ભરતો એ સૌની ઈચ્છાનું બેડું.

 .

દરિયો એ છે, એ જ હલેસું, એ જ આપણી હોડી.

મૂરખ મનવા, તારે એને કેમ મૂકે તરછોડી !

 .

કાંઠાની રેતી થઈને કાં મોજાંને છંછેડું ?

સાહિબ, સાચો સાગરખેડુ.

 .

નિત્ય નિરંતર થાતી રહેતી એની આવનજાવન.

પગલું પડતું ને થઈ જાતું મનનું ફળિયું પાવન !

 .

વ્હાલ કરી આખાયે જગને કરે આંગણે તેડું !

સાહિબ, સાચો સાગરખેડુ.

 .

( નીતિન વડગામા )

પ્રાર્થના – રવીન્દ્રનાથ ટાગોર

(૧)

‘બંદીવાન ! તને કોણ બંધનમાં નાખી ગયું, એ તો તું મને કહે !’

 .

‘બંધનમાં બીજું કોણ નાખે ? મારો સ્વામી. મારો માલિક. એણે મને બંધનમાં નાખ્યો. એક વિચાર મને આવ્યોહતો : દુનિયાના તમામ લોકોને પૈસામાં ને સત્તામાં મારી પછવાડે રાખી દઉં તો હું ખરો ! એ વિચારની ધૂનમાં મેં ધનના ઢગલેઢગલા ભેગા કરવા માંડ્યા, રાત-દી જોયા વિના, આડુંઅવળું નિહાળ્યા વિના ! એ રીતે જે મારા સ્વામીનું હતું, તે પણ મારા ખજાનામાં ભેગું કર્યું. પછી થાકીને જ્યારે હું નિદ્રામાં પડ્યો, ત્યારે શય્યા પણ મારા સ્વામીની હતી, તેમાં જ હું લોટી ગયો. પછી હું જાગ્યો, અને જાગીને જોઉં છું, તો મારા પોતાના જ લક્ષ્મીગૃહમાં હું બંદીવાન હતો !’

 .

‘પણ બંદીવાન ? તને બંધનમાં નાખ્યો એ તો ઠીક, પરંતુ આવું ન છૂટે કે ન તૂટે, એવું બંધન તને કોણે બાંધ્યું ?’

 .

‘એ તો મેં પોતે જ બાંધ્યું છે ! મેં જ મારું બંધન સંભાળપૂર્વક ઘડી કાઢ્યું છે. મને મારી શક્તિનો ગર્વ હતો. એ આખી દુનિયાને બંધનમાં રાખી શકે અને છતાં એ પોતાને મુક્ત રાખી શકે ! મારી આ માન્યતાના વેગમાં ને વેગમાં, મેં તો રાત ને દિવસ જંગી ભઠ્ઠીમાં લોહ ગાળ્યું ને જબ્બર ઘણ-ઘાથી એને મજબૂત બનાવ્યું. મારી આ લોહ-સાંકળી મેં જ ઘડી કાઢી. એવી અભેદ્ય બની ત્યારે એક આશ્ચર્ય મેં જોયું!

 .

બીજાને બંધનમાં રાખવા માટે તૈયાર કરેલી મારી એ લોહ-સાંકળી, મને જ બંધનમાં જકડી રહી હતી !

 .

‘મારું બંધન, મેં જ સંભાળપૂર્વક ઘડી કાઢ્યું છે, એમ જ કહો ને?’

.

(૨)

મારી જાણ બહાર હે મારા નાથ ! તું સામાન્યમાં પણ સામાન્ય જનની જેમ, કેટલી વખત મારા અંતરમાં આવી આવી ને ચાલ્યો ગયો ?

 .

તેં મારી ત્વરિત દોડી જતી અનેક પળોને સ્પર્શ કર્યો અને તે અમર થઈ ગઈ !

 .

આ બધું મારા અજાણપણામાં થઈ ગયું. પણ આજે જ્યારે એ પળોને નીરખવાની હું અકસ્માત તક લઉં છું, ને તારા સ્પર્શની નિશાની જોઉં છું, ત્યારે એને મારા ક્ષુલ્લ્ક આનંદ અને શોકમાં સેળભેળ થઈ ગયેલી નીરખું છું.

 .

પણ એ દર્શાવે છે કે મારા શૈશવકાલની ધૂળની રમતમાંથી તું અવગણના કરીને પાછો ફરી ગયો ન હતો. તે વખતના નિર્દોષ આનંદમાં, જે તારો પગરવ મેં સાંભળ્યો હતો, તે જ તારો પગરવ આજે, એક એક તારકમાં અને એક એક નક્ષત્રમાં સંભળય છે !

.

( રવીન્દ્રનાથ ટાગોર )

તારી કને – રવીન્દ્રનાથ ટાગોર

તારી કને આ મારું છેલ્લું નિવેદન છે

મારા અંતરતમ ઊંડાણમાંથી મારી સઘળી દુર્બળતા

દ્રઢ બળે છેદી નાખ, મારા પ્રભુ !

 .

સંસારમાં તેં મને જે ઘરમાં રાખ્યો છે તે ઘરમાં

બધાં દુ:ખ ભૂલીને હું રહીશ.

 .

કરુણા કરીને તારે પોતાને હાથે તેનું એક બારણું

નિશદિન ખુલ્લું રાખજે.

 .

મારાં બધાં કાર્યોમાં અને બધી ફુરસદમાં

એ દ્વાર તારા પ્રવેશ માટે રહેશે.

તેમાંથી, તારા ચરણની રજ લઈને વાયુ મારા હૃદય પર વાશે

એ દ્વાર ખોલીને તું આ ઘરમાં આવશે

હું એ બારણું ખોલીને બહાર નીકળીશ.

.

બીજાં કોઈ સુખ હું પામું કે ન પામું, પણ આ એક સુખ

તું માત્ર મારે માટે રાખજે.

એ સુખ કેવળ મારું અને તારું હશે, પ્રભુ !

એ સુખ પર તું જાગ્રત રહેજે.

બીજું કોઈ સુખ તેને ઢાંકી ન દે

સંસાર તેમાં ધૂળ ન નાખે

બધા કોલાહલમાંથી એને ઊંચકી લઈને

તું એને જતન કરી તારા ખોળામાં ઢાંકી રાખજે.

બીજાં બધાં સુખો વડે ભલે ભિક્ષાઝોળી ભરાય

એ એક સુખ તું મારે માટે રાખજે.

 .

બીજા બધા વિશ્વાસ ભલે ભાંગી પડે, સ્વામી!

એક વિશ્વાસ સદા ચિત્તમાં જોડાયેલો રહેજો.

 .

જ્યારે પણ જે અગ્નિદાહ હું સહન કરું

તે મારા હૃદયમાં તારું નામ અંકિત કરી દેજો.

 .

દુ:ખ જ્યારે મર્મની અંદર પ્રવેશે

ત્યારે તે તારા હસ્તાક્ષર લઈને આવે

કઠોર વચન ગમે તેટલા આઘાત કરે

સર્વ આઘાતોમાં તારો સૂર જાગી ઊઠે.

 .

પ્રાણના સેંકડો વિશ્વાસ જ્યારે તૂટી જાય

ત્યારે એક વિશ્વાસમાં મન વળગેલું રહે.

 .

( રવીન્દ્રનાથ ટાગોર )

નડે છે અમોને – મેઘબિન્દુ

તમારી શરાફત નડે છે અમોને

અમારી શરાફત નડે છે અમોને

 .

હતો ખ્યાલ એવો કે સંધાઈ જાશે

કરી જે મરામત નડે છે અમોને

સહ્યાં દ્વેષ ઈર્ષા ને અન્યાય પળેપળ

હવે તો અનાગત નડે છે અમોને

 .

અહીં પ્રેમ પૂજ્યો પ્રભુના સ્વરૂપે

છતાં જે લખ્યા ખત નડે છે અમોને

 .

અસ્મિતા અહમનો નથી ભેદ ઝાઝો

છતાંયે તફાવત નડે છે અમોને

 .

ધરમના જ નામે ચલાવી રહ્યા છો

તમારી બગાવત નડે છે અમોને

 .

( મેઘબિન્દુ )