प्रेम को जगाओ – ओशो

.

प्रेम को जगाओ.

और मैं जानता हूं कि तुम परमात्मा के प्रेम में

एकदम नहीं पड सकते.

तुमने अभी पृथ्वी का प्रेम भी नहीं जाना.

तुम स्वर्ग का प्रेम कैसे जान पाओगे ?

इसलिए मैं निरंतर कह रहा हूं

कि मेरा संदेश प्रेम का है.

पृथ्वी के प्रेम को तो जानो.

तो फिर वही प्रेम तुम्हें

परमात्मा के प्रेम की तरफ ले चलेगा.

अभी तो तुमने प्रेम को जाना ही नहीं.

पृथ्वी का प्रेम नहीं जाना,

किसी स्त्री का प्रेम नहीं जाना,

किसी पुरुष का प्रेम नहीं जाना,

किसी मित्र का प्रेम नहीं जाना,

प्रेम से वंचित हो तुम,

तुम कैसे परमात्मा का प्रेम जानोगे ?

 .

( ओशो )

સ્વામી વિવેકાનંદ અને ધર્મ

પ્રથમ મુલાકાતમાં સ્વામી વિવેકાનંદને એક અમેરિકને પૂછ્યું અમારા ઈશુ કહે છે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તો તમે બીજો ગાલ સામો ધરો તો તમારો ધર્મ શું કહે છે ?

 .

ત્યારે સ્વામી વિવેકાનંદે બે વિકલ્પો બતાવ્યા.

 .

૧. અમે ધર્મ સમજીને વર્તન જ એવું કરીએ કે તમાચો ખાવાનો વખત ન આવે.

 .

૨. અમે પહેલો તમાચો પડે જ નહીં તે માટે સશક્ત બનીએ. અખાડામાં જઈ સામનો કરતાં શીખીએ તેનો હાથ જ પકડી લઈએ.

मेरा संदेश – ओशो

मेरा संदेश छोटा सा है:

आनंद से जीओ

और जीवन के समस्त रंगो को जीओ,

सारे स्वरों को जीओ

कुछ भी निषेध नहीं करना है

जो भी परमात्मा का है, शुभ है

जो भी उसने दिया है, अर्थपूर्ण है

उसमें से किसी भी चीज का इनकार करना,

परमात्मा का ही इनकार है, नास्तिकता है

और तब एक अपूर्व क्रांति घटती है

जब तुम सबको स्वीकार कर लेते हो

और आनंद से जीने लगते हो तो

तुम्हारे भीतर रुपांतरण की प्रक्रिया शुरु होती है

तुम्हारे भीतर की रसायन बदलती है –

क्रोध करुणा बन जाता है;

काम राम बन जाता है

तुम्हारे भीतर कांटे फूलों की तरह खिलने लगते है

 .

( ओशो )

धर्म जीने की कला – ओशो

.

मैं धर्म को जीने की कला कहता हूं

धर्म कोई पूजा-पाठ नहीं है

धर्म का मंदिर और मस्जिद से कुछ लेना-देना नहीं है

धर्म तो है जीवन की कला

जीवन को ऐसे जीया जा सकता है –

ऐसे कलात्मक ढंग से,

ऐसे प्रसादपूर्ण ढंग से –

कि तुम्हारे जीवन में हजार पंखुरियों वाला कमल खिले,

कि तुम्हारे जीवन में समाधि लगे,

कि तुम्हारे जीवन में भी ऐसे गीत उठे जैसे कोयल के,

कि तुम्हारे भीतर भी हृदय में ऐसी-ऐसी भाव-भंगिमाएँ जगें,

जो भाव-भंगिमाएँ प्रकट हो जाएँ तो उपनिषद बनते है,

जो भाव-भंगिमाएँ अगर प्रकट हो जाएँ

तो मीराँ का नृत्य पेदा होता है, चैतन्य के भजन बनते है

 .

( ओशो )

ઝંખના (૨) – પલ્લવી શાહ

જ્યારે હું મારી જાતને ઘરના એક ખૂણામાં કોકડું વાળીને બેઠેલી જોઉં છું ત્યારે તું મારી આ પરિસ્થિતી જોઈને મારી સમક્ષ દયનીય નજરે જોયા કરે છે ને હું મારા કોકડામાં વધારે ને વધારે સંકોડાઈ જાઉં છું. અનાયાસે હું તારા આવવાની રાહ જોયા કરું છું કે ક્યારે તું આવે અને મારા કોકડા વાળેલા શરીરમાંથી મારા માથાને ગોતી ઊંચું કરે અને મારી આંખમાં આંખ પરોવીને વગર કહે મારી વાણી સમજી જાય, મારા કોકડા વાળેલા શરીરને ધીમે ધીમે ખોલે, એને ટેકો આપી, એને એના પગ ઊપર ઊભા રહેવા સમર્થ કરે. તું આવીશ ને ?

એકને એક દિવસ તો આપણું મિલન જરૂર થશે. મને એવી આશા છે કારણ સાચા પ્રેમ કરનારા જિંદગીમાં કદી પણ વિખુટા રહેતા નથી. જિંદગીમાં ક્યારેક ને ક્યારે તો તેઓનું મિલન થઈ જ જાય છે. મને ખબર છે કે હું તને ખુબ જ પ્રેમ કરું છું અને પળે પળે હું અનુભવું છું કે હું તારી નજદીક અને નજદીક આવતી જાઉં છું. એક વખત એવો આવશે કે હું તારી ખૂબ જ નજદીક આવી જઈશ અને આપણી વચ્ચે જરાક પણ અંતર નહિ રહે. તું બે હાથ ફેલાવીને ઊભો હશે અને હું દોડતી આવીને તારી બાહુમાં સમાઈ જઈશ. મને સમાવી લઈશ ને ?

કેટલી હતાશ હતી હું જ્યારે તું મારી પાસે ન હતો. નિરાશ થઈ ગઈ હતી. દરેક પળ યુગ જેવી લાગતી હતી. દરેક પળે હું મરતી રહી, રડતી રહી, સંકોચાતી હતી, સંકોડાતી હતી. એક વર્તુળ મારી આજુબાજુ બનાવી દીધું હતું અને તને ખબર તો છે જ કે વર્તુળોમાંથી ક્યારેય બહાર નીકળી નથી શકાતું. હું ગોળ ગોળ ફર્યા કરતી હતી ને અચાનક તું વાદળાના રથ ઊપર બેસીને મારી પાસે આવ્યો અને મને ખૂબ વ્હાલ કર્યું. તારી આંખોમાંથી ઝરતા ભાવ મારી આંખોમાં જડાઈ ગયા, અને મેં મારી જાત તને અર્પી દીધી. ને હવે દરેક યુગ મને પળ જેવો લાગે છે. અને મેં આ જીવન તારા નામને અર્પણ કરી દીધું. તું એવું જ ઈચ્છતો હતો ને ?

.

( પલ્લવી શાહ )

ઝંખના (૧)- પલ્લવી શાહ

હું તને મારા હ્રદયમાં સમાવવા માંગુ છું, જેમ એક મા પોતાના બાળકને જન્મ પહેલા જ સમાવી દે એમ. આંખો બંધ રાખીને પણ મા એની ઉપર હેલીઓ વરસાવતી હોય છે. જન્મ્યા પછી કેવું રૂપ હશે, કયા રૂપનું, કયા રંગનું હશે એની એને કશી ખબર હોતી નથી. પણ એનું એક સ્વરૂપ એની મન ઉપર અંકિત થયેલું હોય છે ને એ સ્વરૂપને એના જન્મ પહેલાં જ અપનાવી લે છે. તે પોતાના ઉપસેલા પેટને જોઈ જોઈ હરખાયા કરતી હોય છે કે આની અંદર મારા સ્વપ્નના સૂરની વાંસળી વાગી રહી છે અને જાણ્યે અજાણ્યે એ પોતાના પેટને પંપાળી અંદર પાંગરી રહેલ કૂંપળ ઉપર વ્હાલપનાં અમી ઝરણાં વરસાવ્યા કરતી હોય છે.

.

જે રીતે મા બાળકને એના જન્મ પહેલાં અણુએ અણુમાં રોમે રોમમાં સમાવી દે છે એમ હું પણ તને મારા રોમેરોમમાં સમાવી તારી ઉપર હેતનો વરસાદ વરસાવવા માંગુ છું. તને ખૂબ વ્હાલ કરવા માંગુ છું. મા જેમ બાળકની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે અને કોઈ પણ વાતે ઓછું આવવા દેતી નથી એમ હું પણ મારા દ્વારા દુ:ખ ન પડે એની કાળજી રાખવા માંગુ છું. તને મારા રોમરોમમાં વિસ્તારવા માંગુ છું. મને  ખબર છે આ માર્ગ ખૂબ જ કઠીન છે. જેટલો માને પ્રસૂતિની પીડાનો હોય એટલો, પણ આ પીડા ભોગવ્યા પછી માના કાને વાંસળીમાં વાગતા મધુર રૂદનનો સ્વર-સૂર સંભળાય છે અને મા પોતે ભોગવેલી તમામ પીડા ભૂલી જાય છે. તને મેળવવા આવી પીડા હું પણ ભોગવવા માંગુ છું. કારણ મારા હ્રદયમાં જાગેલી આશાઓના સ્પંદનનું તું બીજ માત્ર છે.

.

( પલ્લવી શાહ )

શું આપણે કોઈ શુભ કાર્યને નાનું કહી શકીએ ખરા ?-સંકલન : સંજીવ શાહ

ઈંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ એક વખત વખત હેલન કેલરને પૂછ્યું, “તમારાં જીવનની અભૂતપૂર્વ સફળતાનું રહસ્ય તમે શું ગણાવો છો? અંધ અને બધિર હોવા છતાં તમે આટલું બધું પ્રાપ્ત કેવી રીતે કરી શક્યાં ?”

હેલન કેલરે ઉત્તર વાળ્યો, “મારી સફળતા પાછળનું બધું જ શ્રેય હું મારાં શિક્ષિકા એમ સુલિવનને આપું છું. જો તે ન હોત તો હું આજે જે છું તેમાંનું કશું ન હોત.”

તમને કદાચ ખબર હશે કે મિસ એન સુલિવન પોતે પણ બાળપણથી અંશત: અંધ હતાં અને તેમને લગભગ પાગલ જેવાં ઠરાવી, એક પાગલખાનાના ભોંયરામાં બંધ કરવામાં આવ્યાં હતાં. નાનકડી એન તેની પાસે જનાર સૌ પર ક્યારેક હિંસક હુમલાઓ કરતી અને બાકીનો વખત સૂનમૂન બેસી રહેતી.

આ પાગલખાનાની એક આધેડ ઉંમરની નર્સને નાનકડી એનના સાજા થવા વિશે ઊંડી આશા અને શ્રદ્ધા હતાં. તે દરરોજ એન પાસે જતી સ્નેહ વરસાવતી. એન કોઈ પ્રતિસાદ ન આપતી છતાં તે એનની મુલાકાત લેવાનું ચૂકતી નહીં. ક્યારેક તે એન માટે કુકીઝ લઈ જતી.

ધીરે ધીરે ડોક્ટરોને એનના વર્તાવમાં પરિવર્તન આવતું દેખાયું. હિંસક વર્તણૂકની જગ્યાએ એનના વર્તનમાં કુમાશ દેખાવા માંડી. એનને ભોંયરામાંથી ઉપરના માળ પર લાવવામાં આવી, જ્યાં તેની હાલતમાં સુધારો થતો જ રહ્યો અને છેવટે એ દિવસ પણ આવ્યો, જ્યારે એનને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવી.

આ એન સુલિવનની ઈચ્છા હતી કે જેમ પેલી પ્રેમાળ નર્સે તેમને મદદ કરી હતી તેમ મોટી થઈને તે પણ બીજાઓની મદદ કરે. આ જ એન સુલિવનને નાનકડી હેલન કેલરમાં સંભાવનાઓ દેખાઈ. તેણે હેલનને પ્રેમ આપ્યો, તેની સાથે રમી, તેને શિસ્તબદ્ધ કરી, તેને ‘પુશ’ કર્યા કરી, કઠોર તાલીમ આપી. જ્યાં સુધી હેલન પૂર્ણપણે વિકસિત ન થઈ ત્યાં સુધી એન સુલિવને તેની સાથે કામ કર્યું.

આજે હેલન કેલરના કારણે વિશ્વભરમાં

અંધ-મૂક-બધિર બાળકોની સારવાર કરતી અને કાળજી લેતી સંસ્થાઓ

ઠેર ઠેર કાર્યરત છે અને વિકસી રહી છે.

આનું બધું શ્રેય હેલન કેલરને જાય છે.

પરંતુ એન સુલિવન ન હોત તો હેલન કેલર ન હોત.

અને પેલી પ્રેમાળ નર્સ ન હોત તો એન સુલિવન ન હોત.

એક નાનકડી બાળકીને એક સામાન્ય નર્સ પ્રેમ આપે છે તેની હકારાત્મક અસરો આજે વિશ્વભરમાં ક્યાં ક્યાં ફેલાઈ ચૂકી છે !

શું આપણે કોઈ શુભ કાર્યને નાનું કહી શકીએ ખરા ?

( સંકલન : સંજીવ શાહ )

એક ને એક અગિયાર

[મારા સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન બસમાં અમારી બાજુની જ સીટ પર ઉષાબેન જોષી નામના સહપ્રવાસી હતા. પ્રથમ નજરે તેઓ ગૃહિણી જેવા જ દેખાતા હતા. રોજ તેઓ દરેક સ્થળ વિશે વિગતે ડાયરીમાં નોંધ કરતા હતા. એક દિવસ તેમની સાથે તેમની આ આદત વિશે વાત થઈ તો જાણવા મળ્યું કે તેઓ લેખિકા છે અને બાળવાર્તા, નવલિકા, જીવનચરિત્ર, કવિતા, બાળકાવ્યો, ધાર્મિક લેખો અને પ્રસંગ વિષયક લેખો લખે છે. તેમના લેખો સ્ત્રી, સંદેશ, હિન્દુ મિલન મંદિર વેદ સંદેશ, શ્રી, નવસાક્ષરબંધુ, બાલઆનંદ, પા..પા..પગલી, મારે ભણવું છે અને લોકજીવન માસિક વગેરેમાં પ્રકાશિત થયા છે. આકાશવાણી દમણ પર પણ તેમની કૃતિઓ બ્રોડકાસ્ટ થઈ છે. આ બાળવાર્તા તેમના “મારો વાર્તાવૈભવ” નામના પુસ્તકમાંથી લેવામાં આવી છે જે પુસ્તક ગુજરાત સાહિત્ય  અકાદમીના સહયોગથી પ્રકાશિત થયું છે.]

એક ને એક અગિયાર

સ્વામી રામતીર્થ શિક્ષક હતા ત્યારની આ વાત છે. તેઓ વિદ્યાર્થીઓને ગણિત શીખવતા હતા. ઘણાં વિદ્યાર્થીઓને ગણિત વિષય નિરસ લાગતો હતો. સ્વામી રામતીર્થ ગણિત એવી રીતે શીખવતા કે વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞ્રાન મળતું.

એક દિવસની વાત છે. તે દિવસે રામતીર્થનો ગણિતનો પિરીયડ છેલ્લો હતો. વર્ગના વિદ્યાર્થીઓ ખૂબ કંટાળેલા હતાં. બધાં વિદ્યાર્થીઓ રામતીર્થને કહેવા લાગ્યા, “સાહેબ, આજે ભણવું નથી, વાર્તા કરો”. રામતીર્થે વિદ્યાર્થીઓને કહ્યું, “આજે આપણે અંકની રમત રમીએ”. વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા.

સ્વામી રામતીર્થે વિદ્યાર્થીઓને કહ્યું, “હું તમને એક પ્રશ્ન પૂછું તેનો જવાબ દરેક વિદ્યાર્થીએ પોતાના મનમાં નક્કી કરવો અને હું પૂછું ત્યારે મને જવાબ આપવો. એક વાત યાદ રાખવી કે દરેકનો જવાબ માત્ર પોતાનો જ હોવો જોઈએ. એકનો જવાબ તે બીજા પાસે ન બોલાવે. દસેક મિનીટ પછી હું તમને જવાબ પૂછવાની શરૂઆત કરીશ”. દરેક વિદ્યાર્થીએ આ વાત સ્વીકારી લીધી.

સ્વામી રામતીર્થે વિદ્યાર્થીઓને પૂછ્યું, “તમને શું ગમે? એકડો કે શૂન્ય? શા માટે? તમે મનમાં બરાબર વિચારીને જવાબ ગોઠવો”. બરાબર દસ મિનીટ પછી રામતીર્થે વારાફરતી બધાં વિદ્યાર્થીઓના જવાબ સાંભળવા માંડ્યા. સૌને સાવધ કર્યા કે આ જવાબ સાંભળીને કોઈએ પોતાના મનનો જવાબ ગોઠવવાનો નથી. મને તમારા પોતાના જ જવાબ જોઈએ છે. કોઈ વિદ્યાર્થીએ કહ્યું, “મને શૂન્ય ગમે છે કારણ કે તે લખવામાં સરળ છે”. કોઈકે કહ્યું, “મને એકડો ગમે છે કારણ કે તેમાં શૂન્ય અને વળાંકવાળી રેખા બન્ને આવે છે”. કોઈએ કહ્યું, “મને એકડો એટલા માટે ગમે છે કે તે કદમાં શૂન્ય કરતાં મોટો છે”. વળી કોઈકે કહ્યું, “શૂન્ય એકડાનું સ્થાન બદલે છે માટે મને શૂન્ય ગમે છે”. કોઈકે કહ્યું, “શૂન્યની મદદથી એકડો બને છે માટે મને શૂન્ય ગમે છે”. કોઈકે કહ્યું, “મને શૂન્ય અને એકડો બન્ને ગમે છે કારણ કે તે ગણિતના પાયાના માધ્યમો છે”. વળી કોઈએ કહ્યું, “એકડા વિનાના સો શૂન્ય નકામા છે માટે મને એકડો ગમે છે”. કોઈક વિદ્યાર્થી હોશિયાર હતો તેણે કહ્યું, “એકડો જેમ જેમ શૂન્યની ડાબી બાજુએ ખસે છે, તેમ તેમ તેની કિંમત દસગણી વધતી જાય છે જ્યારે શૂન્ય એકલું ગમે તે તરફ ખસે તો તેની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી માટે મને એકડો ગમે છે”. એક વિદ્યાર્થીએ કહ્યું એકડો એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે જ્યારે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે માટે શૂન્ય અને એકડો બન્ને ગણિતના સિદ્ધાંતનો પાયો છે”. વળી કોઈકે કહ્યું, “એક એકડો એકલો હોવા છતાં તે કિંમત ધરાવે છે જ્યારે એક શૂન્ય એકડા વિના એકલું હોય તો તેની કોઈ કિંમત નથી”. છેલ્લા વિદ્યાર્થીએ કહ્યું “એકડો અને શૂન્ય બન્ને એક રીતે તો એકબીજાના પૂરક છે પણ એકડાનું સ્થાન અને એકડાની કિંમત શૂન્ય કરતાં મોટી છે કારણ કે એકડાને તેની પોતાની કિંમત છે”.

આમ બધાં વિદ્યાર્થીઓના જવાબ સાંભળી સ્વામી રામતીર્થ ખૂબ ખુશ થયા . તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, “તમારી સૌની વાત સાચી છે. શૂન્ય અને એકડો એ બે ગણિતના પાયાના આધારસ્તંભો છે, ગણિતનું જ્ઞાન મેળવવા માટેના એ બન્ને એકમો છે. બન્નેની કિંમત અલગ છે છતાં બન્ને વ્યવહારમાં અતિ ઉપયોગી છે. એ બે વિના ગણિતનું જ્ઞાન શક્ય નથી.માણસનું મન પણ એવું જ છે. જેમ શૂન્ય અને એકડાની કિંમત જુદી છે, બન્ને પોતાના સ્થાન પ્રમાણે કિંમત ધરાવે છે તેમ માણસ પણ પોતાના વર્તનથી અને કામથી પોતાની કિંમત કરાવે છે. માણસ પોતાના કામથી મોટો બને છે. દરેક માણસના કામ સાથે તેનું નામ જોડાયેલું છે. જે માણસ સારું કામ કરે છે તેનું સ્થાન ઊંચું છે અને કિંમત વધુ છે. માણસના નામ તો તેને એકબીજાથી જુદા પાડવા માટે છે પણ કામથી માણસ મોટો બને છે અલગ તરી આવે છે. આપણે મોટા બનવા કે આપણું સ્થાન ઊંચુ બતાવવા બીજાનું મન જીતવું પડે છે, સારા કામથી જ બીજાનું મન જીતી શકાય છે. મેં મારા જ્ઞાનની વહેંચણી તમારામાં કરી છે, તમે તે જ્ઞાન ગ્રહણ કર્યું છે. મારી આપેલી કેળવણી અને તમે મેળવેલું જ્ઞાન ભેગાં થશે તો ઉત્તમ જીવન પસાર થશે, એક ને એક અગિયાર થશે”.

આમ સ્વામી રામતીર્થે બાળકોને શૂન્ય અને એકડાની કિંમત દ્વારા માણસનું જ્ઞાન અને સ્થાન પ્રમાણે મેળવાતી મોટાઈની સમજણ વિદ્યાર્થીઓને આપી. વિદ્યાર્થીઓએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું.

ઉષાબેન એસ. જોષી

[૧, શ્રુતિ એપાર્ટમેન્ટ, તીથલ રોડ, વલસાડ. ફોન નંબર : ૦૨૬૩૨-૨૪૪૮૧૬]

બે માળાનું પંખી-ભાગ ૨

બે માળાનું પંખી-ભાગ ૨

એક દિવસ દિનેશની ઓફિસના માણસોએ ઉજાણી ગોઠવી હતી. બન્યું એવું કે તે જ દિવસે પંખીની વર્ષગાંઠ હતી. દિનેશે ઘણાં દિવસ પહેલાં જયાને કહી મૂકેલું કે ઓફિસની ઉજાણીમાં બધા પોતપોતાનાં છોકરાંને લાવવાના છે. પંખી તથા રમેશને હું પણ લઈ જઈશ. આ તરફ પંખીને આઈસ્ક્રીમ બહુ જ ભાવે એમ વિચારી નરેશે વર્ષગાંઠ ખાતે આઈસ્ક્રીમ પાર્ટીની યોજના ઘડી હતી. તે રોજ કહેતો: પંખી ! તારી વર્ષગાંઠને દહાડે તું ધરાઈને આઈસ્ક્રીમ ખાજે, હોં ! ત્રણેક દિવસ પહેલાં જયાને ખ્યાલ આવ્યો કે આ બંને પ્રસંગો અથડાશે. તેણે દિનેશને કહી જોયું: ‘ઉજાણીમાં છોકરાંને શું ગમશે? તમે એકલા જ જવાનું રાખો તો કેવું? બનતાં સુધી જયા અને કંચન પોતપોતાના પતિ સાથેની વાતચીતમાં સામસામાં ભાઈઓનાં નામ ન દેવાય તેની કાળજી રાખતાં. દિનેશે જવાબ દીધો: ‘વાહ, કેમ નહિ ગમે? ત્યાં તો પચાસેક છોકરાં ભેગાં થશે. સિનેમાની ફિલમ દેખાડવાની છે. પંખીને તો ખૂબ ગમ્મત પડશે.’ જયાએ ખૂબ ડરતાં ડરતાં ખરી વાત રજૂ કરતાં કહ્યું૰ જાણે વાત એમ છે કે તે દિવસે પંખીની વર્ષગાંઠ છે.

‘તો તો સરસ. પંખીની વર્ષગાંઠ છે તો હું ત્યાં સૌ છોકરાં માટે રબ્બરનો એકેક ફુગ્ગો લેતો જઈશ.’ ‘પણ…’જયાએ હિમ્મ્ત એકઠી કરી બોલી નાખ્યું: ‘નરેશભાઈએ આઈસ્ક્રીમ પાર્ટી રાખી છે.’ એકદમ મોઢું ગંભીર કરી નાખી દિનેશ ધીમેથી પણ સ્પષ્ટ ઉચ્ચાર કરતાં બોલ્યો: ‘જો જયા, પડોશી સાથે ઝગડો ન કરવો એ વાત બરાબર, પણ તેની સાથે વધુ પડતી ઘરવટ પણ શા માટે રાખવી? એ લોકોની આઈસ્ક્રીમ પાર્ટી એમને જ મુબારક ! એમાં આપણને શું લાગેવળગે?’ ‘પણ ખાસ પંખીની વર્ષગાંઠ ખાતે જ આ પાર્ટી છે. પંખીને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, તે જાણીને જ નરેશભાઈએ…’તે અણગમતું નામ સાંભળી મોઢામાં ક્વિનીન ગયું હોય તેવો ચહેરો કરી દિનેશ વચ્ચેથી જયાનું વાક્ય કાપી નાંખતા બોલી ઊઠ્યો: ‘જો જયા, બધી બાબતમાં તને જેમ ગમે તેમ તું કર, પણ એનું નામ મારી આગળ ન દેતી.’ વાત ત્યાં જ અટકી. પણ બપોરે જયાએ કંચનને ખબર આપી, ‘આઈસ્ક્રીમ પાર્ટી અને ઓફિસની ઉજાણી બન્ને એક જ દિવસે ગોઠવાયાં છે, શું કરીશું?’ કંચને કહ્યું, ‘હું એમને વાત કરીશ.’ પણ કંચન ઢીલું જ બોલી હતી. દિનેશ સાથેના ઝગડામાં પતિ આગળ તેનું કાંઈ જ ઊપજતું નહોતું, તે કંચન પોતે ક્યાં નહોતી જાણતી?

તે દિવસે પતિ જમવા બેઠો ત્યારે ખુશામત ખાતર કંચને એક વધારાનું શાક પીરસ્યું હતું. પતિને પસંદ એવી લસણની ચટણી વાટીને મૂકી હતી અને જમતા પતિને માંખ ઉડાડતી તે બાજુમાં પાટલો નાંખી બેઠી હતી. નરેશે હસીને પૂછ્યું: ‘કેમ, આજે શું માંગવું છે? નવી સાડી કે પછી સોનાનો અછોડો?’ ચોરી કરતાં પકડાઈ ગયા જેવી છોભીલી કંચન પડી ગઈ, પણ પછી બોલી: ‘જાઓ વળી, આવું તે શું બોલો છો? મારે તો કશુંયે માગવું નથી; પણ આ આઈસ્ક્રીમ પાર્ટી ને ઉજાણી બે એક દિવસે આવ્યાં છે તેનું શું કરીશું?’

‘ઉજાણી કઈ વળી?’ નરેશે નવાઈ પામતાં પૂછ્યું. ડરને લઈને અચકાતી જીભે કંચન બોલી: ‘દિનેશભાઈના ઓફિસના સ્ટાફની…’દિનેશનું નામ આવતાં જ નરેશે કોળિયો હેઠો મૂકી દીધો અને તે બોલી ઊઠ્યો, ‘ખાતી વખતે કોઈ સારા માણસનું નામ દેતી જા કંચન ! વળી એની ઉજાણી સાથે મારે શી લેવાદેવા છે?’ ‘તમારે નહિ, પણ પંખીને તો ખરી જ ને?’ હવે વાતનો ફડચો આણવા કંચન કટિબદ્ધ થઈ અને બોલી: ‘ઓફિસની ઉજાણીમાં વીસપચીસ છોકરાં જવાનાં છે, ત્યાં ફિલમ દેખાડવાના છે અને પંખીની વર્ષગાંઠ ખાતે દરેક છોકરાંને રબ્બરનો ફુગ્ગો આ લોકો આપવા ધારે છે.’ બધી બાબતમાં ઠરેલ અને સમજુ એવો નરેશ ભાઈ સાથેના સંબંધની વાતમાં છેક જ બાલિશ બની જતો. તે બોલ્યો: ‘હું પણ શેરીનાં તમામ છોકરાંને બોલાવીશ. ફિલમ દેખાડીશ અને ફુગ્ગો તો ફટ દઈને ફૂટી જાય, હું તો સરસ રમકડાં અને સીંગ-સાકરિયા અને રેવડીનાં પડીકાં સૌ છોકરાંને વહેંચીશ.’

‘પણ એ લોકો પંખીને ઉજાણીમાં લઈ ગયા વગર નહિ રહે,’ કંચને યાદ દેવડાવ્યું.

નરેશ ઊકળીને બોલ્યો: ‘એટલે શું? મારી પંખીની વર્ષગાંઠ હું ઉજવું છું અને જોઉં છું તો ખરો કે તેને કોણ ઉજાણીમાં લઈ જવા છીનવી જાય છે?’

હવે શું કરવું, તે નક્કી કરવા દેરાણીજેઠાણીની એક અગત્યની ખાનગી મિટિંગ મળી. ઘણી ચર્ચા બાદ નિર્ણય થઈ ગયો.

પંખીની વર્ષગાંઠ ચૈત્રસુદ બીજને દિવસે હતી. પડવાને દિવસે કંચન સવારે પથારીમાંથી ઊઠી નહિ. ‘ઓ રે, ઓ રે,’ ની બૂમો શરૂ કરી. પેટમાં દરદની ફરિયાદ પતિ આગળ નોંધાવી. નરેશ ગભરાયો. પડોશમાં જ દાક્તર રહેતા હતા તેમને તેડી લાવ્યો. દાક્તરે ગરમ પાણીની રબ્બર-થેલીથી શેક કરવા સૂચના આપી ને પીવાની દવા આપી. મગના પાણી સિવાય કાંઈ ન લેવાની અને પથારીમાં સૂઈ રહેવાની સૂચના કરીને પાંચ રૂપિયા લઈ દાક્તર ચાલતા થયા. પત્નીનું દરદ જોઈ નરેશ હાંફળો બની ગયો હતો. તે નોકરી ઉપર પણ ન ગયો. પ્રેમાળ પતિને છેતરતાં કંચનનો જીવ કપાઈ જતો હતો, પણ તે સિવાય છૂટકો જ ક્યાં હતો? આખો દિવસ કંચને ઢોંગ માંડેલો જ રાખ્યો. સાંજ પડતાં નરેશ કહે: ‘કાલની પાર્ટીનું કેમ કરીશું?’ કંચન બોલી: ‘મારાથી કાલે તો કશી તૈયારી નહિ થાય. ખમણ ઢોકળાંની દાળ આજે પલાડવી પડે. પેંડા વાળવા માવો પણ હજી આણ્યો નથી. બે દિવસની તૈયારી વગર પંખીનો જન્મદિવસ ન ઊજવાય.’ નરેશ કશું બોલ્યા વગર ખિન્ન વદને બેસી રહ્યો. તેનો પડી ગયેલો ચહેરો જોઈ કંચન બોલી ઊઠી: ‘પણ એમાં શું? પંખીની અંગ્રેજી તારીખ પ્રમાણે ચૌદમી તારીખે વર્ષગાંઠ આવે છે. તેને હજી આઠેક દિવસની વાર છે. તે દિવસે તમે જ કહેતા નહોતા કે ખરી ગણતરી તો તારીખ પ્રમાણે જ થાય?’ નિરાશાનું વાદળ પત્નીના શબ્દો સાંભળી નરેશના ચહેરા ઉપરથી હઠી ગયું અને વળતે દિવસે પંખીની વર્ષગાંઠ વિઘ્નરહિત રીતે ઊજવાઈ ગઈ. બીજે અઠવાડિયે ફરીથી નરેશે પણ પંખીની વર્ષગાંઠ ઊજવી.

તે પછી એકાદ મહિને પંખી સવારે ઊઠી, ત્યારે તેનું દિલ ખૂબ તપેલું હતું. નરેશ દાક્તરને તેડી આવ્યો. દાક્તર કહે: ‘તાવ વધારે છે. સુવાડી રાખજો.’ તે તાવ બે-પાંચ દિવસે પણ ન ઊતર્યો. આઠમે દહાડે લોહી તપાસ્યા પછી દાક્તરે ટાઈફોઈડ વર્ત્યો. પંખીનો ખાટલો નરેશના ઘરમાં હતો. ત્યાં દિનેશને હવે નિત્ય ગયા વગર છૂટકો જ ન હતો. શરૂઆતમાં તો નરેશ બહાર ગયો હોય, ત્યારે દિનેશ ત્યાં જઈ બેસતો. પણ મોટા મંદવાડમાં એવું ક્યાં સુધી ચાલે? ‘જરા બરફ લેતો આવજે. મોસંબી પણ લાવવાની છે.’ એવી વાતો કરવી જરૂરી રહેતી. કંચન તથા જયા વારાફરતી બરફ ઘસવા બેસતાં. તાવ ઉગ્ર સ્વરૂપે હતો. બન્ને ઘરમાં રસોડાં ચલાવવાથી કંચન-જયા બન્નેનો વખત તેમાં જતો, તેથી તેમણે મસલત કરી, માત્ર એક જ બાવાળું રસોડું ચાલુ રાખ્યું. જે નવરું હોય તે રાંધતું અને જેને રુચિ થાય તે બે કોળિયા ખાઈ લેતું. બાકી સૌના જીવ અદ્ધર થઈ ગયા હતા. ત્રીજે અઠવાડિયે પંખીને પુષ્કળ ઝાડા થઈ ગયા અને ચોથે અઠવાડિયે તાવ ઊતરવાની જ્યાં આશા સેવીને ચારે જણ બેઠાં હતાં, ત્યાં પંખીના પડખામાં શૂળ ઊપડ્યું. દાક્તરે ન્યુમોનિયા વર્ત્યો. ત્રણ દિવસ ભારે કટોકટીના હતા. વચલે દિવસે પંખી બેભાન બની ગઈ. પગ ટાઢા પડી ગયા. કંચન અને જયા એકબીજાને વળગીને રોતાં હતાં. નરેશ બે ભાઈઓમાં વધુ પોચો હતો. તેનાથી ન રહેવાયું. દિનેશને ખભે માથું નાખી તે ખૂબ રડવા લાગ્યો. પોતાના આંસુની પરવા કર્યા વગર દિનેશ નરેશને શાંત પાડવા પ્રયત્નો કરતો હતો.

મધરાતે પંખીની નાડી છેક જ મંદ પડી જતી લાગી. તેના ખાટલાની આસપાસ અદ્ધર શ્વાસે ચારે માતા-પિતા બેઠાં હતાં. નરેશનો હાથ જોરથી ઝાલીને દિનેશ બેઠો હતો. ચારે જણ પોતપોતાની રીતે ભગવાનને સંભારી રહ્યાં હતાં.

પાછલી રાત્રે પંખીનો શ્વાસોચ્છવાસ કાંઈક નિયમિત બનતો જતો જણાયો. પરંતુ જયા હળવે સાદે બોલી: ‘ઓલવાતો દીવો લગીરવાર ઝબૂકી જાય એવું તો ન હોય?’ નરેશ બોલ્યો, ત્યારે આંસુથી તેનો સાદ ઘેરો બની ગયો હતો: ‘મારી પંખીને આપણા માળામાંથી ઉપાડી જવાની ખુદ ભગવાનની હિંમત નહિ ચાલે.’ દિનેશ બોલ્યો, ‘પરમાત્મા આપણી ચારની લાજ રાખશે.’ કંચન જાણે સ્વગત બોલતી હતી: ‘બા, બા, તમે કેવાં છો? અમારાં રાંકનું આટલું રતન જળવાઈ રહે, એટલી અમારી અરજી ઈશ્વરના દરબારમાં તમે પહોંચાડજો.’

તે પછી પાંચેક મિનિટે પંખીએ આંખો ખોલી; નરેશ તરફ નજર ઠેરવી, હોઠ ફફડાવી તે બોલી: ‘કાકા !’ ‘ઓ બેટા, દીકરી મારી ! શું છે?’ નરેશ વાંકો વળીને હલકે અવાજે પૂછવા માંડ્યો. દિનેશે પંખીના હોઠ ઉપર બે ટીપાં પાણી મૂક્યું. તે તેણે ગળે ઉતારી દીધું. કંચન હજી પંખીની પાંગતે બેસી ભગવાનની નહિ પણ સ્વર્ગે સંચરેલાં સાસુની જ પ્રાર્થના કર્યા કરતી હતી: ‘ભગવાન મારું સાંભળે કે ન સાંભળે, પણ મારે મન તો તમે જ હાજરાહજૂર છો.’ જયાએ પતિની પાસે જઈ તેના કાનમાં કહ્યું: ‘પંખીને જરા કરાર વળતો જણાય છે.’

આખી રાતની પૂરેપૂરી ઊંઘ પછીનું પ્રભાત અમુક પ્રકારનું ભાસે છે અને રાતભરના ચિંતાજનક ઉજાગરા પછીનું પરોઢ વળી તદ્દન અવનવું લાગે છે ! પરોઢનો ધીમો, આછો પવન વાતો હતો. પ્રભાતની તાજગીભરી હવાથી પંખીનો ઓરડો ભરાઈ ગયો હતો. નવજીવનનો સંદેશો લઈને જાણે આકાશમાંથી શુક્રતારિકા પોતાનાં તેજકિરણો પંખીની પથારી ઉપર પાથરી રહી હતી.

સવાર પડી ત્યારે મૃત્યુ સાથેના દ્વંદ્વયુદ્ધમાં વિજય મેળવી પંખી ઘણે દિવસે જંપીને ઊંઘી ગઈ હતી. સવારે આઠ વાગે દાક્તર આવ્યા, ત્યારે જયા નીચે બાવાળા રસોડામાં ચાનું પાણી ગરમ કરતી હતી. કંચન બાના દેવઘરમાં બેઠેલી હતી. દરદીના ખંડમાં પંખી ઊંઘતી હતી. પાસેના ખાટલા ઉપર નરેશ જાગતો બેઠો હતો. તેના ખોળામાં માથું મૂકી દિનેશ ઊંઘી ગયો હતો. દાક્તરે ‘સબ સલામત’ની જાહેરાત કરી.

હજી બાનું રસોડું જ ચાલતું હતું. એક દિવસ નરેશ કહે: ‘હવે આ જ ક્રમ ચાલવા દઈએ.’ દિનેશ કહે: ‘બરાબર છે. ઘણાં કુટુંબો લડીને છૂટાં પડે છે. આપણે છૂટાં પડેલાં પાછાં અનોખાં બનીને રહીએ.’ પણ પંખીએ એ સૂચના સામે વાંધો નોંધાવ્યો.

બે ઘર, બે રસોડાં, બે માતાઓ અને પિતાઓની સમૃદ્ધિનો ઠાઠ કમી કરવાની તેની મુદ્દલ ઈચ્છા હતી નહિ. અને કંચન અને જયાએ પણ તેમાં સૂર પુરાવતાં કહ્યું: ‘હવે જે રીતે ભેગાં થયાં છીએ તે ક્યાંથી જુદાં પડી શકવાનાં છીએ? પણ અમને બન્નેને પોતપોતાના શોખ અને કોડ પ્રમાણે અલગ અલગ રસોડાં જ ચલાવવાની હોંશ છે. જે પ્રેમને તાંતણે બંધાયાં તે કાંઈ તૂટે એવો નથી.’ અને નિશાળની પ્રાર્થનામાં શીખવાયેલું ભજન પંખીએ ગાવા માંડ્યું: ‘સબસે ઊંચી પ્રેમસગાઈ.’

-વિનોદિની નીલકંઠ

બે માળાનું પંખી

વિનોદિની નીલકંઠની આ વાર્તા મને બાળપણથી બહુ પ્રિય રહી છે. પંખી જેવું જ્યારે કોઈ મળી જાય ત્યારે અમે તેને “બે માળાનું પંખી” કહીએ છીએ. સાહિત્ય લહરી ભાગ ત્રીજો-આ પુસ્તકમાંથી આ વાર્તા અહીં મૂકી રહી છું. વાર્તા થોડી લાંબી હોવાથી બે ભાગમાં પોસ્ટ કરીશ. આશા રાખું છું કે આપ સૌને પણ પંખી ગમશે.

બે માળાનું પંખી

 

બા જીવ્યાં ત્યાં સુધી, પોતાના બે પુત્રો વચ્ચે સાધારણ વાતચીતનો પણ સંબંધ ઊભો રહે એટલું કરવા તે બહુ મથ્યાં હતાં. ત્રણ માળનું સરસ મકાન હતું. તેમાં ત્રીજે માળે મોટો દીકરો દિનેશ રહેતો હતો. વચલે માળે નાનો નરેશ રહેતો હતો. ભોંયતળિયે બા પંડે રહેતા હતા. ત્રણે રસોડાં જુદાં. બાને તો કોઈ સાથે લડાઈ નહોતી, પણ બા નરેશને ઘેર જમે તો દિનેશ ચડભડી ઊઠતો અને જો દિનેશને ઘેર જમે તો નરેશ રિસાઈ જતો, તેથી સમજુ થઈ બાએ ત્રીજું રસોડું માંડ્યું હતું.

નરેશ-દિનેશના પિતા કલ્યાણભાઈ ગુજરી ગયા, ત્યારે વીલ લખીને મિલકતની વહેંચણી કરી ગયા હતાં. છતાં તેમાંથી જ બન્ને ભાઈઓ વચ્ચે અણબનાવ થયો હતો. બન્નેને લાગેલું કે પોતાને અન્યાય થયો છે. પિતાનું વીલ દીવા જેવું ચોખ્ખું હોવાથી કોર્ટમાં જવાથી કાંઈ વળે એમ નહોતું, તેથી બન્ને મનમાં જ સમસમીને બેસી રહ્યા. બેચાર વખત તે બાબત ખૂબ બોલાચાલી થઈ ગઈ. મારામારી ઉપર મામલો જશે એવું બાને લાગતાં તે વચમાં ઊભાં રહ્યાં. ખૂબ રડ્યાં. બસ ! તે દિવસથી સગા માજણ્યા ભાઈઓ એકબીજા સાથે બોલતા ન હતા. તે વાતને ત્રણ વર્ષ વીતી ગયાં હતાં.

આ અબોલા બાને બહુ સાલતા અને કદીક બહુ અકળાતાં ત્યારે બોલતાં: ‘તમારા બાપુજીએ પેટે પાટા બાંધીને તમારે સારુ મિલકત એકઠી કરી, પણ તમે તેમનું કર્યું-કારવ્યું ધૂળભેગું કરવા બેઠા છો’.

પછી દિનેશને બાએ પરણાવ્યો. તે લગ્ન વખતે બાએ ખોળા પાથર્યા, તોયે નરેશ લગ્નમાં ન આવ્યો, તે ન જ આવ્યો. દિનેશની વહુનું નામ જયા. તે સ્વભાવે બહુ સાલસ અને ભલી હતી. લગ્ન પછી દોઢેક વર્ષે જયાએ એક પુત્રીને જન્મ આપ્યો. આ છોકરીને પગ આવ્યા ન આવ્યા અને તે દાદરો સપસપ ચડ-ઊતર કરવા મંડી પડી. નીચલે માળે બા અને ત્રીજે માળે જયા એટલે છોકરી તો ઊપર-નીચે ફર્યા જ કરે. છોકરીનું નામ હજી પાડ્યું ન હતું. પણ સૌ તેને પંખી કહી બોલાવતાં. તે હતી પણ પંખી જેવી જ. અને પાછી સ્વભાવે પણ બહુ ટીખળી ને તોફાની હતી. રૂપરંગે પણ સરસ હતી; શરીરે પણ ભરી સીંગ જેવી હોવાથી, જોનારને તે ગમી જતી.

પંખીને દિનેશે કહી મૂકેલું કે વચલે માળે ‘કાકા’ નામનો એક રાક્ષસ રહે છે. ત્યાં કદી જવું નહિ; તે તરફ જોવું પણ નહિ. નાનકડી પંખી ‘કાકા’ કે ‘રાક્ષસ’ એકે શબ્દનો અર્થ ક્યાંથી સમજે? છતાં પણ વચલા માળ સાથે સંબંધ રાખવાનો નથી એટલું તો એ નાનીશી બાલિકા પણ સમજી ગઈ હતી. એમ કરતાં પંખી જરા મોટી થઈ. તે હવે એક ભાઈની બહેન પણ બની ચૂકી હતી. પોતાની મીઠી કાલી બોલીથી તે વાચાળ છોકરી સૌનાં દિલ જીતી લેતી.

એક દિવસ તે દાદર ઉપર ચડતી હતી. ત્યાં તેના મગજમાં તોફાની કીડો સળવળી ઊઠ્યો. દાદરના કઠેરામાં સળિયા નાખેલા હતા. બે સળિયા વચ્ચે પંખીએ પોતાનું માથું ખોસી દીધું. ખોસાતાં ખોસ્યું તો ખરું, પણ પછી તે કેમે કરતાં પાછું જ ન નીકળે. આ વખતે પંખી બરાબર વચલા માળ આગળ હતી. તે ઝટ રડી પડે એવી નહોતી.

તેણે મદદ માટે કોઈને હાંક પણ ન પાડી. બે બચુકડા હાથ વડે કઠેરાના સળિયા પકડી તેમાંથી પોતાનું ઝૂલ્ફાદાર માથું કાઢી લેવા તે મથી રહી હતી. તે વખતે બપોરે એક વાગ્યો હતો. પંખીની માતા જયા, ખાઈ-પરવારીને દીકરા રમેશના ઘોડિયાની દોરી હાથમાં ઝાલી રાખી જરા આડે પડખે થઈ હતી. દિનેશ તો નોકરીએ ગયેલો હતો. નીચે બા પણ બપોરની નિંદરમાં પડ્યાં હતાં. તે જ ઘડીએ નરેશ ઘેર આવ્યો. તેને જરાક તાવ ભરાયા જેવું લાગવાથી તે પેઢી ઉપરથી રજા લઈ ઘેર આવ્યો હતો. દાદર ઉપર તેણે બે સળિયા વચ્ચે ભરાઈ પડેલી પંખીને જોઈ. છોકરીની કઢંગી હાલત દેખી, તેને હસવું આવ્યું. પળવાર ઠમકીને તે ગમ્મત જોવા ઊભો રહ્યો. માથું ખેંચવાના પ્રયત્નથી પંખીનું ગોરું મોઢું લાલચોળ થઈ ગયું હતું. રડુંરડું થતી આંખોમાંથી સરી પડવાની તૈયારી કરતાં આંસુને ખાળવા તેણે હોઠ દબાવી રાખ્યા હતા. નરેશને જોઈ તે ખુશ થઈને બોલી; “કાકા, મારું માથું કાઢોને !” નરેશે ‘કાકા’ શબ્દનું મીઠું ઉચ્ચારણ પોતાને માટે વપરાતું પહેલી વાર જ સાંભળ્યું. દુશ્મન જેવા ભાઈની આ ટચુકડી ભત્રીજી ઉપર તેને ખૂબ જ વહાલ ઊપજ્યું. સળિયાની વચ્ચેથી પંખીનું માથું તેણે સિફતથી કાઢી દીધું. તે દિવસે તો તે પરિચય ત્યાંજ થંભ્યો. પરંતુ તે પછી દાદર ચઢતાં ઊતરતાં કાકો ભત્રીજી વારંવાર સામસામાં થઈ જતાં. “કાકા, તમારે ઘેર આવું?” પંખી ઉપરનીચે નજર કરી દિનેશની ગેરહાજરીની ખાતરી કરી લીધા પછી પૂછતી અને નરેશ પંખીને પોતાના ઘરમાં લઈ જતો. એક દિવસ પંખી પૂછવા લાગી: ‘કાકા, રાક્ષસ કેવો હોય?’ નરેશને આવડ્યું તેવું વર્ણન તેણે કર્યું. તે ધ્યાનથી સાંભળ્યા પછી પંખી બોલી: “તમે ક્યાં એવા છો? તમે તો માણસ જ છો ને કાકા?” આ સાંભળીને નરેશને ખૂબ જ હસવું આવ્યું. પછી ગંભીર બની જઈ તે બોલ્યો: ‘તારા બાપુએ આવું શીખવ્યું છે ને?’

વાળના ગૂંચળાં માથેથી ઉછાળી ડોકું હુંકારમાં ધુણાવી પંખી બોલી: ‘હું-અં…પણ જયાબહેન કહે છે કે એવું ન બોલાય. નરેશકાકા તો તારા બાપુજીના ભાઈ થાય. હેં કાકા રમેશ મારો ભાઈ છે, તેવા તમે મારા બાપુજીના ભાઈ છો?’ નરેશ અને પંખીની દોસ્તી દિનપ્રતિદિન ગાઢ બનતી ગઈ અને તે વાત દિનેશથી પણ ક્યાં સુધી છાની રહે?

તે પછી એક વખત બા બહુ માંદા થઈ ગયાં. તેમણે નરેશને કહ્યું: ‘બેટા, નરેશ, હવે તું વહુ લઈ આવે તો હું નિરાંતે મરું.’ નરેશે બાને રાજી કરવા અને પોતાની ઈચ્છાથી, ભણેલીગણેલી અને ઠાવકી, એવી કંચન નામની યુવતી સાથે લગ્ન કર્યા. તે લગ્નમાં દિનેશ ન ગયો. પણ જયાએ તો પોતાના પતિને કહ્યું: મારે તો નથી બીજા દિયેર; જેઠ તો છે જ નહિ, નણંદે એક્કે નથી. પછી મારે માટે તો સંસારનું આ પહેલું કે છેલ્લું જ પગરણ છે ને? અને પંખી તો કાકાના લગ્નને નામે કૂદી રહી છે.

લગ્ન કરીને વરકન્યા ઘેર આવ્યાં, ત્યારે બાએ કહ્યું: ‘બન્ને જણ મોટાભાઈને પગે લાગી આવજો’. નરેશ હસીને બોલ્યો: ‘દિનેશના આશીર્વાદ વગર અમે સુખી નહિ થઈએ, ખરું બા?’ બા કશું ન બોલ્યાં. પણ રાત્રે દશ વાગે જયા આવીને કંચનને કહેવા લાગી: આ ભાઈભાઈની લડાઈમાં આપણે તો પડવું જ નહિ. તમે તો જેઠને પગે લાગશો ને? એટલે કંચન તો ઉપર જઈ દિનેશને પગે લાગી આવી. જયા અને કંચનને તો બહેનપણાં જામી જતાં વાર ન લાગી. બા કહેતાં: ‘જુઓ તો ખરાં! આ પારકી જણીઓના જીવ હળી ગયા, પણ આ સગા સહોદર ભાઈઓ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા અલગ રહે છે!’

નરેશનો સંસાર સારી રીતે ચાલતો નિહાળ્યા પછી બાએ દેહ છોડી દીધો. એક રાત્રે અચાનક તેમનું હ્રદય બંધ પડી ગયું. બાકી બાના મનમાં હતું કે મરવાની છેલ્લી ઘડીએ બે ભાઈઓને ભેગા કરી, એકબીજાના હાથ પકડાવીશ. બાની મનની મનમાં જ રહી ગઈ.

પંખી તો હવે ખરું જોતાં દિનેશ અને જયાની મટી નરેશ અને કંચનની જ દીકરી બની ગઈ હતી. તે ખાતી કંચનને રસોડે. સૂતી નરેશની પાસે. નરેશ તેને બહુ લાડ લડાવતો, ત્યારે જયા કહેતી: ‘નરેશભાઈ, દીકરીની જાતને ઝાઝાં લાડ ન કરો, નહિ તો સાસરિયામાં તે દુ:ખી થશે (જયાને દિયેર સાથે બોલવાની છૂટ હતી).’ ત્યારે નરેશ જવાબ દેતો: ‘ભાભી, મારે એને પરણાવવી જ ક્યાં છે? એને તો દાક્તર બનાવવાની છે દાક્તર ! ડૉ. મિસ પંખી !’ લગ્નને બે વર્ષ થઈ ગયાં, પણ કંચનને ઘેર હજી ઘોડિયું બંધાયું નહોતું; પરંતુ જેઠાણીની આ છોકરી ઉપર પ્રેમ વરસાવી તે આશાભરી સુખભર દિવસો વિતાવતી હતી.

પંખીને એક ભાઈ હતો જ. તે છોકરો-રમેશ બહુ નાનકડો હતો અને જયાને બીજી છોકરી આવી. ઉપરાઉપરી થયેલાં આ બે છોકરાં સાથે ત્રીજે માળે રહેવાનું જયાને વસમું પડવા લાગ્યું. ‘છોકરાં દાદર ઉપરથી ગબડી પડ્યાં,’ એવાં સ્વપ્નાં તેને રોજ રાત્રે ઊંઘમાંથી ઝબકાવી દેતાં. જયાના દિલની વરાળ કાઢવાનું સ્થાન તેની દેરાણી કંચન, એટલે કંચન આગળ પોતાના મનની બીક જણાવી. સાવ સ્વાભાવિકતાથી કંચને કહ્યું: નીચે બાવાળું ઘર ખાલી પડ્યુંપડ્યું ખાવા ધાય છે, ત્યાં આખો દહાડો રહેતાં હો, ને રાત્રે ત્રીજે માળે સૂવા જતાં હો તો કેવું?

જયા હસી પડી ને બોલી: ‘ભોળાં દેરાણી ! અમે ત્રીજો માળ અને ભોંયતળિયું બન્ને વાપરીએ, તે મારા દિયર એક ઘડી પણ સાંખી લે ખરા કે?’

એવામાં એક દિવસ દિનેશ દાદર ઊતરતો હતો; હાથમાં પુત્ર રમેશને તેડેલો હતો. સાથે સાથે પિતાની બીજા હાથની આંગળી ઝાલી પંખી પણ ઊતરતી હતી. પંખીનો પગ જરા લપસી પડ્યો. હાથમાં રમેશને તેડેલો હોવાથી દિનેશથી પંખીને બચાવાઈ નહિ. દડબડ ગબડતી તે બીજા માળ સુધી આવી પહોંચી. “કાકા ! ઓ કાકા !” ની બૂમથી તેણે ઘર આખું ગજવી મૂકયું. નરેશ નાહવા બેઠેલો હતો તે ટુવાલ વીંટાળી ભીને શરીરે નાહવાની ઓરડીમાંથી ધસી આવ્યો. પંખીને ઊપાડી લીધી: ‘બેટા, દીકરી, બહુ વાગી ગયું, ખરું?’ પંખીને વાંસે હાથ ફેરવતાં તે બોલતો હતો અને પછી દિનેશ તરફ જોયા વગર જ બોલ્યો: ‘કોઈ લોકો કેવાં થાંથાં હોય છે! છોકરી ગબડી પડે તો ઝાલી ન લેવાય? છોકરો બહુ મોંઘો હોય તો ભલે, છોકરી કંઈ વધારાની તો નથી ને?’ પંખીને ઝાઝું વાગ્યું નહોતું છતાં કંચને પિપરમીટની ગોળીઓ આપી, નરેશે બનાવટનું વાઘનું મોઢું પહેરી, તેને ખૂબ હસાવી અને ઘડીક વારમાં તો પંખીના કલરવથી આખું ઘર ગાજી ઊઠ્યું. થોડી વાર રહીને જયા આવી એટલે નરેશે કહ્યું: ‘ભાભી, તમે છોકરાંનો કાફલો લઈ, દિવસે તો નીચે જ વસવાટ રાખો. આમ રોજ ઊઠીને મારી પંખી ટિચાયા કરે તે ન ચાલે.’ જયાને બહુ હસવું આવ્યું અને તે બોલી: ‘ખરી વાત; તમારાં દીકરીબા કદાચ ગોબાઈ જાય તો?’ નરેશ જરાક તપીને બોલ્યો: ‘ના ભાભી, આ હસવાની વાત નથી. કોઈ વાર ખૂબ વાગી જાય, તો જનમભરની ખોડ રહી જાય. પેલી નંદુબહેનની કમળા એમ પડી ગઈ અને વાંસામાં ખૂંધ નીકળી છે ! ત્રીજે માળે તો ફક્ત રાત્રે જ ચઢવાનું રાખો.’ દેરાણી જેઠાણી એકબીજા સામું જોઈ સહેજ મોઢું મલકાવી ગયાં તે નરેશે ન જોયું.