મારી જ શ્રદ્ધાનો હવે એ જાદુ લાગે છે મને
કે લીમડો કડવો હવે આ સ્વાદુ લાગે છે મને
.
જો ભીતરે ઊતરી જતું ગત જન્મ જેવું આ નગર
કોઈ ગઝલના શેર જેવું દાદુ લાગે છે મને
.
તારાં સ્મરણનાં ડાકુ મનના ડુંગરા ઘમરોળતા-
ને આંસુના અસવાર પ્રસંગો કાદુ લાગે છે મને
.
આ શ્વાસ મારા સ્થળ-સમયની સોગઠાંબાજી જ છે !
અર્થાત મારું જીવવું આ પ્યાદું લાગે છે મને
.
દિવાસળી પેટાવીને બેસી રહો મનવા ! તમે
જીવી જવાનું એ જ સૂત્ર સાદું લાગે છે મને
.
( જયેન્દ્ર શેખડીવાળા )
![krishna5]](https://i0.wp.com/heenaparekh.com/wp-content/uploads/2010/09/krishna5-300x234.jpg)