વાંસલડી ડોટકોમ…-કૃષ્ણ દવે

વાંસલડી ડોટકોમ મોરપીંછ ડોટકોમ

                ડોટકોમ વ્રુંદાવન આખું

કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે

                કે કયા કયા નામ એમાં રાખું? 

ધારોકે મીરાંબાઈ ડોટકોમ રાખીએ

                તો રાધા રીસાય એનું શું? 

વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ

                ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? 

પ્રેમની ડીસ્કમાં એવી એવી વાનગી

                કે કોને છોડું ને કોને ચાખું?

ગીતાજી ડોટકોમ એટલું ઉકેલવામાં

                ઉકલી ગઈ પંડિતની જાત

જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે

                ને એજ માણે આ પૂનમની રાત

તુલસી, કબીર, સૂર, નરસૈંયો

                થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખુ ઝાંખુ.

એ જ ફ્કત પાસવર્ડ મોકલી શકે છે

                જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ

એને શું વાયરસ ભૂંસી શકવાના

                જેને ચીર પૂરી આપે ઘનશ્યામ

ઈન્ટરનેટ ઉપર એ થનગનતો આવે

                હું કોઈ દિવસ વિન્ડો ન વાખું.

 

( કૃષ્ણ દવે )

એ જ આવશે-ચંદ્રકાંત શેઠ

એનો ફોન!

એનો અવાજ!

આખો મારો વાસ

-મારો અસબાબ અધ્ધર પગે!

આંગણાંએ ખોલી દીધા દરવાજા!

ઊંબરાએ ઉઘાડી દીધાં દ્વાર…

બારીઓ ય ખુલ્લી ફટાક…

ગોખે ગોખે આંખ…

શય્યાના આકાશમાં એક્કેય નહીં વાદળી…

સ્વચ્છ રાત્રિ!

નરી છલોછલ ચાંદની!!

ચાંદ તો પછી દૂર ન હોય…

હોય આટલામાં જ-નજીકમાં…

મેં ચિત્તને કહ્યું: ચકોર થા

પણ એણે તો

ઘરની ઊંચી અટારીએ ચડી

કરવા માંડ્યું છે કા…કા…

એ જ આવશે,

એ જ!!

 

( ચંદ્રકાંત શેઠ )

આંસુને પી ગયો છું…-હરીન્દ્ર દવે 

આંસુને  પી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

એક રણ તરી ગયો છું મને ખ્યાલ પણ નથી

તમને  ભૂલી  જવાના  પ્રયત્નોમાં આજકાલ

તમને  ભૂલી  ગયો છું મને ખ્યાલ પણ નથી

મારું  સ્વમાન  રક્ષવા  જાતાં  કદી  કદી-

હું  કરગરી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

કંટકની  માવજતમાં  અચાનક  ઘણી વખત

ફૂલો  સુધી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

વાતાવરણમાં  ભાર  છે  મિત્રોના  મૌનનો

હું  શું  કહી  ગયો છું મને ખ્યાલ પણ નથી

 

 

( હરીન્દ્ર દવે )

વરસાદ તે દિવસે…-હિના પારેખ

વરસાદ તે દિવસે ઘણો હતો. તેના માટે મુશળધાર શબ્દ પ્રયોજી શકાય તેવો. મારે ઓફીસ જવાનો સમય થયો હતો અને વરસાદે ત્યારે જ ધોધમાર વરસવાનું શરૂ કર્યું હતું. વરસાદ અટકે તેવી કોઈ શક્યતા નહોતી અને મારે ઓફીસમાં સમયસર પહોંચવાનું હતું. હું છત્રી લઈને ઓફીસે જવા નીકળી. છત્રી મને રક્ષણ આપવા પૂરતી નહોતી. હું ગમે તેટલું સાચવું તોયે ક્યાંક ને ક્યાંકથી તો વરસાદ મને ભીંજવી જ રહ્યો હતો. મેં ચાલવામાં ઝડપ વધારી. ત્યાં મને કોઈનો સાદ સંભળાયો……

ઓ બહેન, જરા ઉભા રહો તો. તમે કયાં સુધી જઈ રહ્યા છો?” 

મેં કહ્યું, બેંક સુધી.

મને થોડે સુધી તમારી છત્રીમાં લઈ જશો?”  મને બૂમ પાડનાર બહેને પ્રશ્ન કર્યો.

મેં તેમને હા પાડી. હું પહેલાં કરતાં વધારે ભીંજાઈ ગઈ. કારણ કે એક છત્રીમાં બે વ્યક્તિ કોરી રહે એ મુશ્કેલ જ નહીં અશક્ય હતું. પોતાની મંઝિલ આવી જતાં એ બહેન મારા પ્રત્યે આભાર વ્યક્ત કરી મારાથી છૂટા પડ્યા. હું ઘણી ભીંજાઈ હતી. છતાં એક અજાણ્યા પથિક સાથે મારી છત્રી વહેંચવાનો મને આનંદ હતો. આટલા બધા વરસાદમાં કોઈ આ રીતે મારી છત્રીમાં કોઈને ભાગ પડાવતાં જુએ તો મને મુર્ખ જ સમજે. છતાં મને તેમ કરવાનું ગમ્યું. કારણ કે આમ કરવાથી મારા હ્રદયને સંતોષ થતો હતો.

કોઈ બળબળતી બપોરે આપણે આપણા સ્કુટર પર જઈ રહ્યા હોઈએ, સ્કુટરની પાછળની સીટ ખાલી હોય અને રસ્તામાં ધોમધખતા તાપમાં બસની રાહ જોઈને ઉભેલા માણસને જોઈને તેને લીફ્ટ આપવાનું મન થાય છે ખરું?

 

ધોધમાર વરસાદમાં આપણે ઘરમાં બેઠા બેઠા ગરમ ચાની ચુસ્કીઓ લેતાં હોઈએ ત્યારે વરસાદમાં આશરો મેળવવા આપણા ઘરનાં બારણે આવેલા કોઈ અજાણ્યા રાહીને ઘરમાં બોલાવીને તેને ચા પીવડાવવાનું મન થાય છે ખરું? 

કોઈ સ્વજનને મળવા આપણે હોસ્પિટલમાં જઈએ ત્યારે બાજુના પલંગ પર સૂતેલો કોઈ એકલો અટૂલો દર્દી આપણને તેની દવા લાવી આપવા માટે કહે ત્યારે તેને મદદ કરવાનું મન આપણને થાય છે ખરું? 

બહુ અગત્યના કામે આપણે ઘરની બહાર નીકળ્યા હોઈએ અને ત્યારે રસ્તામાં વાહનની અડફેટે ઘાયલ થઈને તરફડતા કોઈ પ્રાણીને જોઈને આપણને મોડું થતું હોવા છતાં એક ફોન કરીને તે પ્રાણી વિશે એનિમલ સેવિંગ ગ્રુપને જાણ કરવાનું મન થાય છે ખરું? 

ઈષ્ટદેવના દર્શન માટે મંદિરનાં ઉંચા ઉંચા પગથિયા ચડતી વખતે કોઈ વ્રુધ્ધ કે કોઈ અપંગને પગથિયા ચડવામાં તકલીફ અનુભવતાં જોઈને આપણને તેનો હાથ પકડીને પગથિયા ચડાવવાનું મન થાય છે ખરું? 

આપણા જન્મદિવસે મિત્રો-સ્વજનો માટે રાખેલી પાર્ટી માટે બજારમાંથી કેક લઈને આવતાં હોઈએ ત્યારે રસ્તામાં કોઈ ઝૂંપડપટ્ટી આવે તો તે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોમાં કેક વહેચવાનું મન થાય છે ખરું? 

ટ્રેનની અસહ્ય ભીડમાં માંડ માંડ બેસવાની જગ્યા મળી હોય ને આગલા સ્ટેશન પર કોઈ સ્ત્રી નાનું બાળક લઈને ચડે તો તેને પોતાની જગ્યા આપી દેવાનું મન થાય છે ખરું? 

 

……..આવી નાની નાની ઘણી ઘટનાઓ છે જે આપણે કરી શકીએ છીએ પણ મોટેભાગે આપણે તેવું કરતાં નથી. દરેક વખતે આપણી પાસે એક જ જવાબ હોય છે-મને સમય નથી….I have no time”. જિંદગીને જીવી લેવાની ઉતાવળમાં સવારથી ઉઠીને રાત્રે પથારી ભેગાં થઈએ ત્યાં સુધી આપણે આમતેમ દોડતાં જ રહીએ છીએ. અને તેમાં જ થાકી જઈએ છીએ. કારણ કે જિંદગીને જીવી નાંખવાની ઉતાવળમાં આપણે જિંદગીને માણવાનું ભૂલી ગયા છીએ. હું કંઈક મેળવીશ તો સુખી થઈશ-એવી ભ્રામક માન્યતા આપણા મનમાં દ્રઢ કરી ગઈ છે. તેથી કંઈકને કંઈક પ્રાપ્ત કરતા રહેવાની લાલસામાં કેવી રીતે જીવવું તે જ ભૂલી ગયા છીએ.

 

ગમે તે કિંમતે, ગમે તે ભોગે આપણે આપણી ઈચ્છા મુજબનું મેળવી તો લઈએ છીએ પણ તેનાથી સુખ પ્રાપ્ત થતું નથી. તેથી સુખ કંઈ બીજામાં હશે તેમ માનીને ફરી તે મેળવવા મંડી પડીએ છીએ. આ ચક્ર અવિરત આલ્યા જ કરે છે. પણ આપણા હ્રદયને આનંદ મળતો નથી, સંતોષ અનુભવાતો નથી, જીવનમાં ક્યાંય પ્રસન્નતા નથી. 

મોટા મોટા લક્ષ્યાંકો સિધ્ધ કરવામાં આપણે લગભગ લાગણીહીન, નિષ્ઠુર, અમાનુષ બની ગયા છીએ. કેટલીયે નાની નાની વાતો એવી છે જે આપણને આનંદ આપવા માટે સક્ષમ છે પરંતુ તેના તરફ કદી આપણું ધ્યાન જતું જ નથી. આવા સમયે જીવનની ગતિ થોડી ધીમી કરીને આપણી આજુબાજુ ઘટતી નાની નાની બાબતોને બારીકાઈથી જોવાની, તેને સમજવાની અને તેને માણવાની જરૂર છે. જો આપણે એક-બે કદમ પણ સાચી દિશામાં ચાલવા પ્રયત્ન કરીશું તો એવી ઘણી ક્ષણો મળી આવશે જે આપણને પૂર્ણ આનંદથી ભેટી પડવા તૈયાર હશે. આનંદ કે સુખ વિશાળ પ્રમાણમાં ક્યારેય કોઈને મળતું નથી. તે નાની નાની ઘટનાઓ દ્વારા જ મેળવીને એકત્રિત કરવાનું હોય છે. અને તે મેળવ્યા પછી તેને અન્યમાં વહેંચવાનું હોય છે. સુખ, આનંદ, પ્રસન્નતા, હાસ્ય વહેંચવાથી ઘટતું નથીઅનેકગણું વધે છે.

 

કવયિત્રી Emily Dickinson નું એક કાવ્ય મને બહુ પ્રિય છે… 

If I can stop one heart from breaking,

I shall not live in vain,

If I can ease one life from aching,

Or cool one fainting robin

Unto his nest again,

I shall not live in vain.

જો હું કોઈના હ્રદયને ભાંગી પડતું અટકાવી શકું,

તો મારું જીવન નિરર્થક નહીં જાય.

જો હું કોઈ માણસની પીડાનું શમન કરી શકું,

એકાદ જખ્મને રુઝવી શકું..

અથવા ઠંડીથી મૂર્છીત થયેલા રોબિન પંખીને

તેના માળામાં પાછું મૂકી શકું

તો મારું જીવન નિરર્થક નહીં જાય.

હિના પારેખ મનમૌજી

જૂન ૭, ૨૦૦૩.

Copyright©HeenaParekh

નવરાવે ને…-જયંત પાઠક

નવરાવે ને ધોવરાવે

પહેરાવે ને પોઢાડે

આંખો આંજી આપે

તે તો કોઈ બીજું ય હોય-

પણ

કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે

તે તો મા જ!

 

( જયંત પાઠક )

 

બીજાને શું જીરવશું…-હિતેન આનંદપરા

બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા, 

ભીતર  સર્જાતા  ચક્રવાતને  જીરવી  નથી શકતા.

અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ, 

પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.

તરસ  કોઠે  પડી  હો  જેમને  એવા  ઘણા  લોકો

ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.

સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે,

જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.

ઘણું  તરસ્યા  હતા  સાંનિધ્ય  જેનું  પામવા માટે,

ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.

તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?

હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.

નવા  સર્જકને  ત્રાંસી  આંખથી  જુએ જૂના સર્જક,

ઘણાં વ્રુક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.

( હિતેન આનંદપરા )

સમયનો…ધૂળ ડમરીનો

સમયનો…ધૂળ ડમરીનો પીછો કરવાનું છોડી દે,

તું પોતે પથ છે,યાત્રીનો પીછો કરવાનું છોડી દે.

પવનમાં ઝૂલતી તું ડાળખી છે,પાંખ ક્યાં તારી?

ઊડાઊડ કરતાં પંખીનો પીછો કરવાનું છોડી દે.

પ્રથમ તું ભીતરે એની જગા કર,આવશે એ ખુદ;

પ્રતીક્ષા કર, ખુશાલીનો પીછો કરવાનું છોડી દે.

તને દોરી જશે એ મારી ખામીઓ સુધી ક્યારેક,

ત્યજી દે, મારી ખૂબીનો પીછો કરવાનું છોડી દે.

ઉદાસીને તું જાણી લે, ઉદાસીથી રહીને દૂર…

બની ગમગીન ગ્લાનિનો પીછો કરવાનું છોડી દે.

તું રહેશે સ્થિર તો બ્રહ્માંડ તારી ચોતરફ ફરશે,

તું બિંદુ છે, સમષ્ટિનો પીછો કરવાનું છોડી દે.

તને એ આખરે તો લઈ જશે મ્રુત્યુને દરવાજે,

આ ધસમસતી હયાતીનો પીછો કરવાનું છોડી દે.

 

( ડો. રઈશ મનીઆર )

सफर में धूप तो होगी

सफर में धूप तो होगी जो चल सको तो चलो

सभी हैं भीड में तुम निकल सको तो चलो

किसी के वास्ते राहें कहाँ बदलती हैं

तुम अपने आप को खुद बदल सको तो चलो

यहाँ किसी को कोई रास्ता नहीं देता

मुझे गिरा के अगर तुम सँभल सको तो चलो

कहीं नहीं कोई सूरज धुवाँ धुवाँ है फिजा

खुद अपने आप से बाहर निकल सको तो चलो

यही है जिन्दगी कुछ ख्वाब चंद उम्मीदें

ईन्हीं खिलौनों से तुम भी बहल सको तो चलो

 

( निदा फाजली )

દુ:ખાન્ત એ નથી…

દુ:ખાન્ત એ નથી કે રાતની કટોરીને કોઈ જિંદગીના મધથી ભરી ન શકે અને વાસ્તવિકતાના હોઠ ક્યારેય એ શહદને ચાખી ન શકે-

દુ:ખાન્ત એ હોય છે જ્યારે રાતની કટોરી પરથી ચંદ્રમાની કલાઈ ઊતરી જાય અને એ કટોરીમાં પડેલી કલ્પના કડવી થઈ જાય-

દુ:ખાન્ત એ નથી કે તમારી કિસ્મતમાં તમારા સાજનનું નામ-સરનામું વાંચી ન શકાય અને તમારી જિંદગીનો પત્ર હંમેશા ખરાબ દશામાં અહીં ત્યાં ફર્યા કરે-

દુ:ખાન્ત એ હોય છે કે તમે તમારા પ્રિયજનને તમારી જિંદગીનો સમગ્ર પત્ર લખી લો અને પછી તમારી પાસેથી તમારા પ્રિયજનનું નામ-સરનામું ખોવાઈ જાય-

દુ:ખાન્ત એ નથી કે જિંદગીના લાંબા રસ્તા પર સમાજનાં બંધન પોતાના કાંટા વેરતા રહે અને તમારા પગમાંથી આખી જિંદગી રક્ત વહેતું રહે-

દુ:ખાન્ત એ હોય છે કે તમે લોહીલુહાણ પગથી એક એવી જગા ઉપર ઊભા હો જેની આગળ કોઈ રસ્તો તમને બોલાવતો ન હોય-

દુ:ખાન્ત એ નથી કે તમે તમારા ઈશ્કના ધ્રૂજતા શરીર માટે આખી જિંદગી ગીતોના પહેરણ સીવતા રહો-

દુ:ખાન્ત એ હોય છે કે એ પહેરણો સીવવા માટે તમારી પાસેથી વિચારોનો દોર ખોવાઈ જાય અને તમારી કલમ-સોયનું છિદ્ર તૂટી જાય…

 

( અમૃતા પ્રીતમ, અનુવાદ: જયા મહેતા )

दु:खान्त यह नहीं…

दु:खान्त यह नहीं होता की रात की कटोरी को कोई जिन्दगी के शहद से भर न सके और वास्तविकता के होंठ कभी उस शहद को चख न सकें-

दु:खान्त यह होता है जब रात की कटोरी पर से चन्द्रमा की कलई उतर जाए और उस कटोरी में पडी हुई कल्पना कसैली हो जाए-

दु:खान्त यह नहीं होता की आपकी किस्मत से आपके साजन का नाम-पता न पढा जाए और आपकी उम्र की चिट्ठी सदा रुलती रहे-

दु:खान्त यह होता है कि आप अपने प्रिय को अपनी उम्र की सारी चिट्ठी लिख लें और फिर आपके पास से आपके प्रिय का नाम-पता खो जाए-

दु:खान्त यह नहीं होता कि जिन्दगी के लंबे डगर पर समाज के बंधन अपने कांटे बिखेरते रहें और आपके पैरों में से सारी उम्र लहू बहता रहे-

दु:खान्त यह होता है कि आप लहू-लुहान पैरों से एक उस जगह पर खडे हो जाएं जिसके आगे कोई रास्ता आपको बुलावा न दें-

दु:खान्त यह नहीं होता कि आप अपने ईश्क के ठिठुरते शरीर के लिए सारी उम्र गीतों के पैहरन सीते रहें-

दु:खान्त यह होता है कि ईन पैरहनों को सीने के लिए आपके पास विचारों क धागा चुक जाए और आपकी कलम-सुई का छेद टूट जाए…

 

( अमृता प्रीतम )