હેતનો અનગળ ખજાનો-સ્નેહી પરમાર

હેતનો અનગળ ખજાનો ખૂલશે

બંધ થાશે દ્વાર પાંખો ખૂલશે

ખૂલવાનો અર્થ જાણી લો પ્રથમ

દ્વાર ખખડાવો, દીવાલો ખૂલશે

દુનિયાની કોઈ પણ દુર્ગમ જગા

જાતના ભોગળ હટાવો, ખૂલશે

ફૂલની સમજણ લઈ ખખડાવજો

ખોલનારો આખ્ખે-આખ્ખો ખૂલશે

ત્યારે તારાં દ્વાર થાશે દ્વારકા

મારી ભીતરનો સુદામો ખૂલશે

ખૂલવા ઉપર લખી આખ્ખી ગઝ્લ

ક્યારે સ્નેહી તારી આંખો ખૂલશે

( સ્નેહી પરમાર )

 

 

 

 

આવ્યો અગમનિગમથી સાદ..-કૈલાસ અંતાણી

આવ્યો અગમનિગમથી સાદ કે ચાલો વાર ન કરશો

ઊપડો  અંતરિયાળ  કે ચાલો  વાર ન કરશો.

કરો સાબદા ઊંટો, અશ્વ પલાણો

ભવરણ  કરવું  પાર  કે  ચાલો વાર ન કરશો.

ઊપડો  અંતરિયાળ  કે  ચાલો વાર ન કરશો.

છોડી નાંખો લંગર શઢ સંકોરો

સંકેલી  લો  જાળ કે  ચાલો વાર ન કરશો

ઊપડો  અંતરિયાળ  કે ચાલો  વાર ન કરશો.

તોડી તાણાવાણા ગાંઠ ઉકેલો

છોડો  સહુ  જંજાળ કે ચાલો વાર ન કરશો

ઊપડો અંતરિયાળ કે ચાલો વાર ન કરશો.

 

( કૈલાસ અંતાણી )

 

કૈલાસબેન અંજારની નગર પ્રાથમિક શાળા નં. ૧ માં શિક્ષિકા હતા. સંગીત, વાચન, પ્રવાસ, ઈતર કલાઓની સાથે સાથે સાહિત્યનો પણ તેમને ઘણો શોખ હતો. આકાશવાણી ભુજના માન્ય કવિ હતા. તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ કચ્છમાં ભૂકંપ થયો ત્યારે એમની શાળાના બાળકો સાથે રેલીમાં ભાગ લેવા ગયા હતા. શાળા અને શિક્ષણ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં બજાવતાં તેઓ પ્રલયકારી ભૂકંપનો ભોગ બન્યા હતા.

એમની સાથે મારો સંપર્ક બહુ ઓછો સમય માટે થયો હતો. પણ એ સમયગાળા દરમ્યાન મને એમના ઉમદા વ્યક્તિત્વનો પરિચય થયો હતો. એમના અવસાન પછી એમના સ્વજનોએ પ્રકાશિત કરેલ કાવ્યસંગ્રહ શગ દીવાની કમ્પેમાંથી આ કાવ્ય મારા બ્લોગ પર પોસ્ટ કરીને હું તેમને હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પું છું.

 

દુનિયા જેને સુખ કહે…-અનિલ જોશી

મારે દુનિયા જેને સુખ કહે છે

એ સુખ ધોળે ધરમેય જોઈતું નથી.

મને ખબર છે કે રતિક્રીડા

એ ચામડીનું સુખ છે.

સૌન્દર્ય એ આંખનું સુખ છે.

સ્વાદ એ જીભનું સુખ છે.

પ્રશંસા એ કાનનું સુખ છે.

વાહન એ પગનું સુખ છે.

સત્તા એ અહંકારનું સુખ છે.

અને સુગંધ એ નાકનું સુખ છે.

એ બધાં સુખોના ટોળામાં

હું મારું સુખ ગોતવા જાઉં છું

એ બધાં રમકડાં જેવાં સુખો જોઈને

હું ભોળવાઈ જાઉં એટલો

હવે શિશુ રહ્યો નથી.

( અનિલ જોશી )

અહમની સરહદોમાંથી…-રાઝ નવસારવી

અહમની  સરહદોમાંથી  નીકળવું ખૂબ અઘરું છે

અને  સંગમના પાણી જેમ મળવું ખૂબ અઘરું છે

કોઈ  મહેણું  નહીં  મારે કે મેં કોશિશ નથી કીધી

હું  જાણું  છું કે પત્થરનું પીગળવું ખૂબ અઘરું છે

હું  જઈ  એકાંતમાં  બેઠો  છતાંયે  ફેર ન  પડ્યો

જગતની ભીડમાં તો ખુદને મળવું ખૂબ અઘરું છે

ખુદાનું  નામ લઈ આગળ વધો કેડી મરણની છે

જીવન  પંથે અહીંથી પાછા વળવું ખૂબ અઘરું છે

ફરી દુર્ઘટના જેવો રાઝ આ મારો દિવસ ઉગ્યો

સૂરજની  જેમ  ધીમે  ધીમે ઢળવું ખૂબ અઘરું છે

 

 

( રાઝ નવસારવી )

વાંસલડી ડોટકોમ…-કૃષ્ણ દવે

વાંસલડી ડોટકોમ મોરપીંછ ડોટકોમ

                ડોટકોમ વ્રુંદાવન આખું

કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે

                કે કયા કયા નામ એમાં રાખું? 

ધારોકે મીરાંબાઈ ડોટકોમ રાખીએ

                તો રાધા રીસાય એનું શું? 

વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ

                ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? 

પ્રેમની ડીસ્કમાં એવી એવી વાનગી

                કે કોને છોડું ને કોને ચાખું?

ગીતાજી ડોટકોમ એટલું ઉકેલવામાં

                ઉકલી ગઈ પંડિતની જાત

જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે

                ને એજ માણે આ પૂનમની રાત

તુલસી, કબીર, સૂર, નરસૈંયો

                થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખુ ઝાંખુ.

એ જ ફ્કત પાસવર્ડ મોકલી શકે છે

                જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ

એને શું વાયરસ ભૂંસી શકવાના

                જેને ચીર પૂરી આપે ઘનશ્યામ

ઈન્ટરનેટ ઉપર એ થનગનતો આવે

                હું કોઈ દિવસ વિન્ડો ન વાખું.

 

( કૃષ્ણ દવે )

એ જ આવશે-ચંદ્રકાંત શેઠ

એનો ફોન!

એનો અવાજ!

આખો મારો વાસ

-મારો અસબાબ અધ્ધર પગે!

આંગણાંએ ખોલી દીધા દરવાજા!

ઊંબરાએ ઉઘાડી દીધાં દ્વાર…

બારીઓ ય ખુલ્લી ફટાક…

ગોખે ગોખે આંખ…

શય્યાના આકાશમાં એક્કેય નહીં વાદળી…

સ્વચ્છ રાત્રિ!

નરી છલોછલ ચાંદની!!

ચાંદ તો પછી દૂર ન હોય…

હોય આટલામાં જ-નજીકમાં…

મેં ચિત્તને કહ્યું: ચકોર થા

પણ એણે તો

ઘરની ઊંચી અટારીએ ચડી

કરવા માંડ્યું છે કા…કા…

એ જ આવશે,

એ જ!!

 

( ચંદ્રકાંત શેઠ )

આંસુને પી ગયો છું…-હરીન્દ્ર દવે 

આંસુને  પી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

એક રણ તરી ગયો છું મને ખ્યાલ પણ નથી

તમને  ભૂલી  જવાના  પ્રયત્નોમાં આજકાલ

તમને  ભૂલી  ગયો છું મને ખ્યાલ પણ નથી

મારું  સ્વમાન  રક્ષવા  જાતાં  કદી  કદી-

હું  કરગરી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

કંટકની  માવજતમાં  અચાનક  ઘણી વખત

ફૂલો  સુધી  ગયો  છું મને ખ્યાલ પણ નથી

વાતાવરણમાં  ભાર  છે  મિત્રોના  મૌનનો

હું  શું  કહી  ગયો છું મને ખ્યાલ પણ નથી

 

 

( હરીન્દ્ર દવે )

નવરાવે ને…-જયંત પાઠક

નવરાવે ને ધોવરાવે

પહેરાવે ને પોઢાડે

આંખો આંજી આપે

તે તો કોઈ બીજું ય હોય-

પણ

કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે

તે તો મા જ!

 

( જયંત પાઠક )

 

બીજાને શું જીરવશું…-હિતેન આનંદપરા

બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા, 

ભીતર  સર્જાતા  ચક્રવાતને  જીરવી  નથી શકતા.

અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ, 

પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.

તરસ  કોઠે  પડી  હો  જેમને  એવા  ઘણા  લોકો

ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.

સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે,

જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.

ઘણું  તરસ્યા  હતા  સાંનિધ્ય  જેનું  પામવા માટે,

ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.

તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?

હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.

નવા  સર્જકને  ત્રાંસી  આંખથી  જુએ જૂના સર્જક,

ઘણાં વ્રુક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.

( હિતેન આનંદપરા )

સમયનો…ધૂળ ડમરીનો

સમયનો…ધૂળ ડમરીનો પીછો કરવાનું છોડી દે,

તું પોતે પથ છે,યાત્રીનો પીછો કરવાનું છોડી દે.

પવનમાં ઝૂલતી તું ડાળખી છે,પાંખ ક્યાં તારી?

ઊડાઊડ કરતાં પંખીનો પીછો કરવાનું છોડી દે.

પ્રથમ તું ભીતરે એની જગા કર,આવશે એ ખુદ;

પ્રતીક્ષા કર, ખુશાલીનો પીછો કરવાનું છોડી દે.

તને દોરી જશે એ મારી ખામીઓ સુધી ક્યારેક,

ત્યજી દે, મારી ખૂબીનો પીછો કરવાનું છોડી દે.

ઉદાસીને તું જાણી લે, ઉદાસીથી રહીને દૂર…

બની ગમગીન ગ્લાનિનો પીછો કરવાનું છોડી દે.

તું રહેશે સ્થિર તો બ્રહ્માંડ તારી ચોતરફ ફરશે,

તું બિંદુ છે, સમષ્ટિનો પીછો કરવાનું છોડી દે.

તને એ આખરે તો લઈ જશે મ્રુત્યુને દરવાજે,

આ ધસમસતી હયાતીનો પીછો કરવાનું છોડી દે.

 

( ડો. રઈશ મનીઆર )