એક પળ એવી અકળ ક્યારેક આવી જાય,
જે અચળ શ્રદ્ધાશિખરને ડગમગાવી જાય.
.
કર્મ ને પુરુષાર્થની વાતો નિરર્થક સાવ,
ભાગ્ય જેને સાથ દે છે એ જ ફાવી જાય.
.
જ્યોત ફરતે હાથનાં રાખો રખોપાં તોય,
સહેજ સરખી લહેરખી દીપક બુઝાવી જાય.
.
ક્ષણ જીવી છો ને રહી, પણ શી રીતે સહેવાય,
જિંદગીને જે વ્યથા પળમાં જ તાવી જાય.
.
માનવી કઠપૂતળી ને આ જગત છે મંચ
કોણ નેપથ્યે રહી સૌને નચાવી જાય !
.
ના ફળે જે ઝંખના ‘બેજાન’ સમણામાંય,
બીજ એનું આંખમાં આ કોણ વાવી જાય !
.
( બેજાન બહાદરપુરી )