Tag Archives: બેજાન બહાદરપુરી

ડગમગાવી જાય

એક પળ એવી અકળ ક્યારેક આવી જાય,

જે અચળ શ્રદ્ધાશિખરને ડગમગાવી જાય.

.

કર્મ ને પુરુષાર્થની વાતો નિરર્થક સાવ,

ભાગ્ય જેને સાથ દે છે એ જ ફાવી જાય.

.

જ્યોત ફરતે હાથનાં રાખો રખોપાં તોય,

સહેજ સરખી લહેરખી દીપક બુઝાવી જાય.

.

ક્ષણ જીવી છો ને રહી, પણ શી રીતે સહેવાય,

જિંદગીને જે વ્યથા પળમાં જ તાવી જાય.

.

માનવી કઠપૂતળી ને આ જગત છે મંચ

કોણ નેપથ્યે રહી સૌને નચાવી જાય !

.

ના ફળે જે ઝંખના ‘બેજાન’ સમણામાંય,

બીજ એનું આંખમાં આ કોણ વાવી જાય !

.

( બેજાન બહાદરપુરી )