Tag Archives: લાલજી કાનપરિયા

જીવતરનું ગીત

જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે

કદીક હોય મઝધારે ઝૂઝવું, કદીક મળી જાય કાંઠો રે.

.

રાત-દિવસની રમણાઓમાં અંધારું, અજવાળું રે

તેજ-તિમિરના તાણાવાણા, વસ્તર વણ્યું રૂપાળું રે.

.

હરિનું દીધેલ હડસેલી તું આમ શીદને નાઠો રે?

જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે

.

રાજમારગે ચાલ ભલે પણ ભૂલીશ મા તું કેડી રે

ડગલે પગલે વ્હાલ કરીને લેશે તુજને તેડી રે.

.

શુભ અવસરની જેમ જ લે તું અવસર પોંખી માઠો રે

જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે.

.

( લાલજી કાનપરિયા )