Tag Archives: લેખ

સુંદરકાંડ – કેતન સ્પર્શ

શ્રી તુલસીદાસ રચિત સુંદરકાંડ સમજવાથી અને ચિંતન કરવાથી હનુમાનજી કેમ આટલા નિર્ભય છે એ સમજાય છે.
.
આ નિર્ભયતાનું રહસ્ય સમજવા માટે એ પ્રસંગની વાત કરીએ જ્યારે હનુમાનજીને અશોકવાટિકામાં રાક્ષસોના અને રાવણપુત્ર અક્ષયકુમારના વધ બાદ બાંધીને રજૂ કરવામાં આવે છે.
.
જ્યારે હનુમાનજી દશમુખની સભામાં જાય છે ત્યારે એ સભા કેટલી વૈભવશાળી છે એનું વર્ણન આવે છે. સભા વૈભવશાળી તો છે જ પણ સાથે સાથે ભય ઉપજાવે એવી પણ છે કારણ કે રાવણે બંદી બનાવેલા દેવો અને દિગપાલો ભયભીત થઈને, હાથ જોડીને, વિનંતિ કરતા રાવણની ભ્રકુટી જોઈ રહ્યા હોય છે. જ્યાં દેવો અને દિગપાલો જ આમ બીતા બીતા ઉભા હોય તો અપરાધી તરીકે રજૂ કરાતા વ્યક્તિને આ જોઈને કેવી બીક લાગે?
दसमुख सभा दीखि कपि जाई।
कहि न जाइ कछु अति प्रभुताई।।
कर जोरें सुर दिसिप बिनीता।
भृकुटि बिलोकत सकल सभीता।।
देखि प्रताप न कपि मन संका।
जिमि अहिगन महुँ गरुड़ असंका।।
.
પણ શત્રુનું આવુ વૈભવશાળી, ભયજનક દ્રશ્ય જોઈને પણ હનુમાનજીના મનમાં લેશમાત્ર ભય નથી. જેમ સાપોની વચ્ચે ગરુડ નિર્ભય થઈને ઉભો હોય છે એમ હનુમાનજી સભા સામે પૂરી નિર્ભયતાથી ઉભા રહે છે. આગળ રાવણ સાથેના સંવાદમાં હનુમાનજી આ નિર્ભયતાનું રહસ્ય જણાવે છે.
.
હનુમાનજીને આમ નિર્ભય જોઈને રાવણને બળતરા થાય છે. રાવણ હનુમાનજીને ત્રણ પ્રશ્નો પૂછે છે.
.
1. આ તે શું કૃત્ય કર્યું? કોના બળે અશોકવાટિકા ઉજ્જડ કરી? ( કોના દમ પર આટલું કૂદે છે એ અર્થમાં 😄)
2. તે તારા કાનથી મારી ધાક વિશે સાંભળ્યું નથી, તે આમ નિર્ભય થઈને મારી સામે ઉભો છે?
3. તે રાક્ષસોને કયા અપરાધના કારણે મારી નાખ્યા, શુ તને તારા પ્રાણની ચિંતા નથી?
कह लंकेस कवन तैं कीसा।
केहिं के बल घालेहि बन खीसा।।
की धौं श्रवन सुनेहि नहिं मोही।
देखउँ अति असंक सठ तोही।।
मारे निसिचर केहिं अपराधा।
कहु सठ तोहि न प्रान कइ बाधा।।
હનુમાનજી એક પછી એક ત્રણેય પ્રશ્નોના ઉત્તર આપે છે. પહેલા પ્રશ્નના ઉત્તરમાં જ હનુમાનજીની નિર્ભયતાનું રહસ્ય છુપાયેલું છે.
હનુમાનજી જવાબ આપવાનું શરૂ કરે છે.
.
1.સંભાળ રાવણ, જેણે આ બ્રહ્માંડ બનાવ્યું છે, જેના બળે માયા વિચરણ કરે છે, જેના બળે બ્રહ્મા,વિષ્ણુ, મહેશ સર્જન,પાલન અને સંહાર કરે છે, જેના બળે સહસ્ત્રમુખ (શેષનાગ) પર્વતો-વનો સહિત બ્રહ્માંડ પોતાના શિષ પર ધારણ કરે છે, જે દેવતાઓના રક્ષણ માટે વિવિધ દેહ ધારણ કરીને તારા જેવા મૂર્ખાઓને પાઠ ભણાવે છે, ઈવન તે પણ ચરાચર જેના બળના લેશમાત્ર અંશથી જ જીત્યુ છે, જેણે મહાદેવનું કોદંડ ધનુષ્ય તોડતાની સાથે જ બધા ય રાજાઓનું અભિમાન તોડી નાખ્યું, જેણે ખર,દુષણ,ત્રીસરા અને બાલી જેવા અતુલ્ય બળવાનોનો વધ કર્યો, એના બળે રાવણ, એના બળે તારી અશોકવાટિકા ઉજ્જડ કરી નાખી. ને હું એનો જ દૂત છું જેની સ્ત્રીને તું અપહરણ કરીને લઈ આવ્યો છે.
.
सुन रावन ब्रह्मांड निकाया।
पाइ जासु बल बिरचित माया।।
जाकें बल बिरंचि हरि ईसा।
पालत सृजत हरत दससीसा।
जा बल सीस धरत सहसानन।
अंडकोस समेत गिरि कानन।।
धरइ जो बिबिध देह सुरत्राता।
तुम्ह ते सठन्ह सिखावनु दाता।
हर कोदंड कठिन जेहि भंजा।
तेहि समेत नृप दल मद गंजा।।
खर दूषन त्रिसिरा अरु बाली।
बधे सकल अतुलित बलसाली।।
दो0-जाके बल लवलेस तें जितेहु चराचर झारि।
तासु दूत मैं जा करि हरि आनेहु प्रिय नारि।।21।।
.
આહાહા!!!! શું ઉત્તર આપ્યો છે બાકી કેસરીનંદને. એક્ઝેટલી આ જવાબમાં હનુમાનજીની નિર્ભયતાનું સમગ્ર રહસ્ય છે.
.
આપણે ય જો પ્રભુ શ્રી રામના બળે બધું કરીએ તો હનુમાનજી જેવી નિર્ભયતા પ્રાપ્ત કરી શકીએ પણ એના માટે મારુતિ જેવી તન,મન,ધનથી સમર્પિત ભક્તિ કરવી પડે પછી નિર્ભયતા સહજતાથી પ્રાપ્ત થાય છે. સમર્પિત ભક્તિ જ પ્રોસેસ હોય તો નિર્ભયતા બાય પ્રોડક્ટ તરીકે મળે છે. બાય પ્રોડક્ટ એટલે કારણ કે મેઈન પ્રોડક્ટ તો તુરિય અવસ્થામાં પ્રાપ્ત થતો અવર્ણનિય આનંદ અને પ્રભુ સાથે એકાત્મતાની અનુભૂતિ છે.
.
તો મિત્રો હંમેશા સ્મરણમાં રાખજો કે આપણા જીવનમાં ય આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે જ્યાં શત્રુ રાવણની જેમ ખૂબ પહોંચેલો હોય, શક્તિશાળી લોકો એને હાથ જોડીને વિનંતી કરતા હોય ત્યારે તો હનુમાનજી જેવી રામકૃપા પ્રાપ્ત કરી હશે તો ચોક્કસ તમે ના માત્ર શત્રુની વાટીકા ઉજાડી આવા સૌ સાપ જેવા લોકોની વચ્ચે ગરુડની જેમ નિર્ભય થઈને ઉભા રહેશો પરંતુ આખો સુંદરકાંડ કરીને આવશો, શત્રુની લંકા ભડકે બાળીને આવશો. બસ મેં આ પહેલા જવાબમાં છુપાયેલું રહસ્ય ઉજાગર કરવા જ પોસ્ટ લખી હતી પણ બીજા બે પ્રશ્નોના જવાબ પણ જાણી લો.
.
2. હું તારો વૈભવ ને તારી ધાક જાણું છું. તું સહસ્ત્રબાહુ સાથે લડ્યો છે,બાલી સાથે યુદ્ધ કરીને તું યશ પામ્યો છે.
ત્રીજો જવાબ થોડો ઉડાઉ રીતે આપે છે.
.
3. મને ભૂખ લાગી’તી. ને હું તો છું જ વાનર તો સહજ સ્વભાવવશ ઝાડ તોડ્યા. સૌને પોતાનો દેહ (પ્રાણના અર્થમાં) વહાલો જ હોય પણ એ કુમાર્ગે ચડેલા રાક્ષસોએ મને માર્યો, એટલે મેં એમને મારી નાખ્યા. 😁
.
जानउँ मैं तुम्हारि प्रभुताई।
सहसबाहु सन परी लराई।।
समर बालि सन करि जसु पावा।
सुनि कपि बचन बिहसि बिहरावा।।
खायउँ फल प्रभु लागी भूँखा।
कपि सुभाव तें तोरेउँ रूखा।।
सब कें देह परम प्रिय स्वामी।
मारहिं मोहि कुमारग गामी।।
जिन्ह मोहि मारा ते मैं मारे।
तेहि पर बाँधेउ तनयँ तुम्हारे।।
.
આ ઉત્તર પછી તેઓ સીતાજીને મુક્ત કરવા માટે રાવણને હાથ જોડીને વિનંતી કરતા સમજાવે છે કે તું કેટલા ઊત્તમ કુળમાં જન્મ્યો એનો વિચાર કર અને જે ભક્તોના ભય હરી લે છે એને ભજ. પછી ચેતવણી પણ આપે છે કે જેના ભયથી કાળ પણ ભય પામતો હોય, જેણે દેવ-અસુર અને ચરાચર પોતાનામાં સમાવેલું હોય એની જોડે વેર ના કરાય . એમ પણ કહે છે કે પ્રભુ કરુણાનો સાગર છે, હજી પ્રભુની શરણમાં જતો રહે તો પ્રભુ તારા બધા અપરાધો માફ કરીને એમની શરણમાં લઈ લેશે. એટલે જ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ હનુમાનજીને બેસ્ટ ડિપ્લોમેટ કહે છે.
.
बिनती करउँ जोरि कर रावन।
सुनहु मान तजि मोर सिखावन।।
देखहु तुम्ह निज कुलहि बिचारी।
भ्रम तजि भजहु भगत भय हारी।।
जाकें डर अति काल डेराई।
जो सुर असुर चराचर खाई।।
तासों बयरु कबहुँ नहिं कीजै।
मोरे कहें जानकी दीजै।।
दो0-प्रनतपाल रघुनायक करुना सिंधु खरारि।
गएँ सरन प्रभु राखिहैं तव अपराध बिसारि।।22।।
.
આ પ્રસંગ પહેલા હનુમાનજી કઈ રીતે અશોકવાટિકા ઉજાડે છે, કઈ રીતે રાક્ષસોને મારે છે. એ પણ અભ્યાસ કરવા જેવું છે. પછી સમજાઈ જાય કે હનુમાનજી માત્ર ભક્તિ જ નથી કરતા, ભક્તિની સાથે સાથે તેઓ વ્યાયામ, શારીરિક સૌષ્ઠવ અને યુદ્ધકૌશલ્યમાં પણ નિપુણ છે. ના કરે નારાયણ પણ સંજોગોવશાત સુંદરકાંડ કરવો જ પડે એમ હોય તો ભક્તિની સાથે સાથે એવા ગુણો પ્રાપ્ત કરવા ય આવશ્યક છે. મંજીરા ને કરતાલ લઈને સુંદરકાંડ નથી થતો. ગદા ધારણ કરીને સુંદરકાંડ થાય છે. એના માટે ગદા ઊંચકવા સક્ષમ થવું પડે, એના પ્રયોગ કરી શકીએ એવી નિપુણતા ય પ્રાપ્ત કરવી પડે ને અગેઇન, એના માટે વ્યાયામ તો કરવો જ પડે. તો સુંદરકાંડ કરવા ઇચ્છુક ભાવિક ભક્તો કાલથી જ લંગોટ બાંધીને અથવા સ્પોર્ટર પહેરીને પહેલવાન બનવાનું શરૂ કરી દો.
.
મિત્રો, શ્રી તુલસીદાસકૃત રામચરિત સમજવા બેસો તો બહુ સરળતાથી એક એક શબ્દ સમજાઈ જાય કારણ કે એ સંસ્કૃત નહિ પણ અવધી ભષામાં લખાયું છે. જેમ ગુર્જરી સંસ્કૃતની ભગિનીભાષા છે એમ જ અવધી પણ ભગિની ભાષા જ છે. ખાલી, વિભક્તિઓ થોડી અલગ રીતે હોય છે જેમ કે ‘જનકસુતા કે “ચરનન્હિ” પરી’ અહીં ચરનન્હિનો અર્થ ચરણમાં છે, જનકપુત્રીના ચરણમાં પડી.અહિ ‘ન્હિ’ નો અર્થ છે ‘માં’. આજ રીતે ‘બ્રહ્મબાન કપિ ‘કહું’ તેહી મારા’માં ‘કહું’નો અર્થ છે ‘ને’. તેણે ‘કપિને’ બ્રહ્મબાણ માર્યું. ઓનલાઈન ઘણા સોર્સ ઉપલબ્ધ છે શ્રી તુલસીદાસકૃત રામચરિતમાનસ સમજવા માટે.
.
રામચરિતમાનસમાં શ્રી તુલસીદાસે એક પ્રસંગને ચાર પાંચ ચોપાઈમાં સમજાવીને પછીના દોહામાં કન્કલુડ્ કરી લીધો છે.
.
તુલસીદાસજીનું રામાયણ જાણે કે ફાસ્ટ ફોરવર્ડ છે જ્યારે શ્રી વાલ્મિકીજીનું રામાયણ અતિ ઊંડાણપૂર્વકનું છે. જાણે કે સ્લો મોશનમાં રામાયણ ચાલી રહી હોય. જેમ કે તુલસીદાસ બે ચોપાઈમાં તો હનુમાનજીને લંકા તરફ કૂદકો મરાવી દે છે એ જ વાત વાલ્મિકીજીએ કદાચ દસ-પંદર શ્લોકમાં કરી છે. બંનેનો પોતપોતાનો આનંદ છે.
.
જય સિયારામ.
.
( કેતન ‘સ્પર્શ’ )

પધારો મા…..-માનસી એમ. પાઠક

.

આસોની સવાર સાવ ઢૂકડી છે. ભાદરવાનો તપારો હજી શમ્યો નથી પણ વહેલી સવારની શીતળતા વરતાય છે. વર્ષા ઋતુમાં નવયૌવન પ્રાપ્ત કરતી પ્રકૃતિ, શરદમાં મા સ્વરૂપે દરેક રસ એકત્ર કરીને ફક્ત મીઠો રસ પાવા આવે છે. એ આવી રહી છે, ગુલાબી પગલાં પાડતી. એનાં ઝાંઝરનો ઝણકાર આખાય વાતાવરણમાં ગૂંજી રહ્યો છે. સોળ શણગાર સજીને પોતાની સખી, સાહેલડીના વૃંદમાં એ મલકતી આવી રહી છે, કેટલાંય અંધકારના ઓળા પોતાનામાં સમાવતી….શી એની શોભા છે! કરોડો સૂર્યના તેજ એના દેહે સમાયેલા છે. આ આંખને એ સહેવાની એ જોવાની સત્તા નથી.
.
એનાં વર્ણન કરવાની લાયકાત નથી. એને દેવી સ્વરૂપે ક્યારેય પામી નહીં શકાય, લાખો કરોડો જન્મો લીધા પછી પણ એનો મહિમા નહીં પામી શકાય. કરોડો બ્રહ્માંડની સ્વામીની જેટલી વિરાટ છે, એટલી સૂક્ષ્મ છે. અતિ મૃદુ, અતિ રૌદ્ર છે., પણ એ મા સ્વરૂપે સાવ નજીક છે. એને મા સ્વરૂપે જ પામી શકાશે. આંસુથી પોચા થયેલા હૈયામાં એ એના પગલાંની છાપ કાયમ માટે છોડેલી રાખે છે. એક સાવ પાતળા આવરણના સામે છેડે એ પોતાને સંતાડીને રાખે છે, અને સમયે સમયે ચિત્તાકાશે ઉજાગર થતી રહે છે. એનાં સુવર્ણ કળશમાં રહેલા મીઠા મધુ અર્કની વહેંચણીમાં ક્યાંય અન્યાય નથી. પોતાનું પૂર્ણ ચૈતન્ય એના બાળકોને આશિષમાં આપવા આવી રહેલી મા. રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શથી આલિંગવા આવી રહેલી મા. કૃતજ્ઞ થઈને ઝૂમી ઉઠવાનો અવસર, ઉત્સવ છે. હરખના તેડાં કરવાનો ઉત્સવ છે.
.
न मन्त्रं नो यन्त्रं तदपि च न जाने स्तुतिमहो
न चाह्वानं ध्यानं तदपि च न जाने स्तुतिकथा:।
.
યથાશક્તિ, યથામતિ આહ્વાન કરું છું મા, ખમ્મા મા, પધારો માવડી…
.
( માનસી એમ. પાઠક )

જન્માષ્ટમી વિશેષ

સહુ ભાષા અને સાહિત્યપ્રેમીઓને મારાં સાદર પ્રણામ. શક્ય છે કે આજે જન્માષ્ટમી નિમિત્તે મારી પાસેથી હંમેશની જેમ કોઈ માહિતીસભર લેખ અપેક્ષિત હશે. જો કે સાચું કહું તો કદાચ મેં અત્યાર સુધી ઘણા બધા વાર, તહેવાર, ઉત્સવ, પર્વ કે ઘણી બધી મહાન હસ્તીઓ પર લેખ લખ્યાં હશે પણ મને લાગે છે હું હજી એટલી સમર્થ નથી કે ન તો કદાચ ક્યારેય થઈશ કે કૃષ્ણને કાગળ પર ઉતારી શકું કે એને મારાં શબ્દોની માયાજાળમાં બાંધી શકું.
શક્ય છે મારી આ રચના કદાચ સાહિત્યનાં કોઈ પણ પ્રકારમાં બંધ બેસતી ન હોય પણ મારી અંગત અનુભૂતિ આપ સહુ સમક્ષ આજે વહેતી મુકું છું. આજે જન્માષ્ટમી પર એક અલગ સંવાદ મારાં અંતરમન સાથેનો…!!
.
બોલ તને કોને મળાવું..???
——————————————
મારાં અંતરમનમાં એના કેટકેટલાં રૂપ હું નિહાળું.
મન કહે, બોલ તને કાના, કૃષ્ણ કે દ્વારકાધીશ ને મળાવું.
મેં કહ્યું, કાનો કૃષ્ણ કે દ્વારકાધીશ બધુંય એકનું એક!
મન કહે, કાયા ભલે એક પણ એની માયાનાં રૂપ અનેક.
મેં કહ્યું, નામમાં વળી અંતર કેવું? શાને આ ભેદ છાનો?
મન કહે, જેણે ચીર પૂર્યા એ કૃષ્ણ ને વસ્ત્રો ચોર્યા એ કાનો.
મન કહે, બોલ તને કાના ને મળાવું?
મેં કહ્યું, કાનો એટલે રાસલીલા ગોપીઓની,
વૃંદાવનમાં વગોવાતી એ માખણચોરીની,
ને સાનભાન ભુલેલી એ કાનાઘેલી રાધાની,
મને ન ગોઠી વાત વાંસળીનાં સુર રેલાવતા કાનાની..!!
મન કહે, બોલ તને કૃષ્ણને મળાવું?
મેં કહ્યું, કૃષ્ણ તો ભરથાર રુક્મણિનો,
એની આઠ-આઠ પટરાણીઓનો,
ને વધુમાં સોળહજાર એકસો રાણીઓનો.
તારણહાર બધાયનો પણ મને ન ગોઠે સંગાથ કૃષ્ણનો..!!
મન કહે, બોલ તને દ્વારકાધીશને મળાવું?
મેં કહ્યું, દ્વારકાધીશ તો જગતનો નાથ,
શોભાવે રથયાત્રા બની જગન્નાથ,
એની પ્રજા પર એનાં ચાર-ચાર હાથ
મને ન ગોઠે એ મુકુટધારી દ્વારકાધીશનો સાથ..!!
મનડું પૂછે, કાનો કૃષ્ણ કે દ્વારકાધીશ, તારે કરવી કોની હારે પ્રીત?
મેં કહ્યું, રાધા, રુક્મણિ કે મીરાં, હતી ક્યાં કોઈનીય હાર કે જીત!
જેણે એને જે રૂપે ચાહ્યો, એણે એને એ જ સ્વરૂપે પામ્યો.
રાધાનો કાન, રુક્મણિનો નાથ ને મીરાનો મોહન ઓળખાયો.
મારું મન તો સદાય ઝંખે છે એનો સાથ માત્ર એક જ રૂપે,
હું માત્ર એની સખી ને પામ્યો મેં એને મારા સખા સ્વરૂપે.
ઓ રે મનડાં ! ‘ઝીલ’ ને ક્યાંથી ગોઠે તારો કાનો, કૃષ્ણ કે દ્વારકાધીશ;
હું તો મોરપીંછ સમાન, વાંસળીનાં સુરમાં ક્યાંક એમ જ વહી જઈશ..!!
– વૈભવી જોશી ‘ઝીલ’
.
શ્રી કૃષ્ણને દેવ કહેવા, જગતનાં પાલનહાર કહેવા, પથદર્શક કહેવા, જગતગુરુ કહેવા, સખા કહેવા કે પછી કદાચ કૃષ્ણ માટે વપરાતાં તમામ વિશેષણો અતિક્રમી જવાય ને છતાંય કૃષ્ણ એટલે શું એ કહી ન શકાય.
.
કૃષ્ણ એટલે જેને પ્રેમ કરી શકાય, એનો મોહ હોય, એનું આકર્ષણ હોય, એની તરફ વગર કોઈ કારણે તમે ખેંચાઈ જાઓ એવું વશીકરણ હોય, એના પર આંધળો વિશ્વાસ નહિ પણ સંપૂર્ણ શ્રદ્ધા મૂકી શકાય, એની સામે રડી શકાય, એની સાથે ઝગડી શકાય, એના પર હક કરી શકાય, એના જેટલું અંગત કોઈ જ નહિ, એની સામે હળવા થઈ શકાય, એની આગળ સંપૂર્ણ સમપર્ણ કરી શકાય, એની સામે શરણાગતિ સ્વીકારી શકાય કે પછી કૃષ્ણ એટલે જેમાં એકાકાર થઈ શકાય.
.
આ ગીત બહુ પ્રચલિત છે ‘ગોરી રાધાને કાળો કાન….’ મને હંમેશા એવું લાગ્યું છે કે કૃષ્ણ સાથે કાળો રંગ કદાચ એટલા માટે જોડાયેલો છે કેમ કે કાળો રંગ બધા પર ચડે પણ કાળા રંગ ઉપર બીજો કોઈ રંગ ચડતો નથી. એવી જ રીતે જેનાં પર કૃષ્ણનો રંગ ચડ્યો હોય પછી એના પર બીજા કોઈનો રંગ ચડે ખરાં ??
.
કૃષ્ણ એટલે મનુષ્ય તરીકે આદર્શ જીવન જીવીને બતાવનાર, જન્મતાની સાથે જ દરેકેદરેક પ્રતિકૂળતાઓનો સામનો કરી બતાવનાર, સામાન્ય મનુષ્યની જેમ પ્રેમ કરી શકનાર અને વિરહની વેદના પણ ભોગવી જાણનાર, માતાપિતાથી છુટા પડ્યાનું દુઃખ હોય કે એના પ્રિય એવા ગોકુળવાસીઓ, મથુરા, એની રાસલીલા, બાળપણનાં મિત્રો, રાધા, ગોપીઓ સર્વેને છોડી જવાનું દુઃખ હોય. આ બધામાંથી પસાર થઈ કુરુક્ષેત્ર સુધી પહોંચવાની યાત્રા સરળ તો નહિ જ હોય ને !
.
આપણે બધા આજ સુધી કૃષ્ણને મોટા ભાગે બાળ સ્વરૂપે યાદ કરતા આવ્યા છીએ કે એની રાસલીલાઓ યાદ કરતા આવ્યા છીએ. જોકે અંગત રીતે મને એ કૃષ્ણ ગમે છે જેણે ધર્મની રક્ષા માટે શસ્ત્રો ઉગામવા કહ્યું, ‘પાર્થ ને કહો ચડાવે બાણ…’ અધર્મ સામે એમની ભાષામાં વાત કરી, એમનાં કપટ અને કૂટનીતિનાં ઉત્તર સામે મુત્સદ્દીગીરી વાપરી.
ખાસ તો ભીષ્મની પ્રતિજ્ઞા જે યથાવત રાખવાનાં કારણે આ મહાભારતનું મહાભીષણ યુદ્ધ રચાયું એની સામે કુરુક્ષેત્રની મધ્યમાં બધા વચ્ચે પોતાની જ લીધેલી પ્રતિજ્ઞા તોડી શસ્ત્રો ઉગામ્યાં અને આખાય જગતને એક મહત્વનો સંદેશ આપ્યો કે પ્રતિજ્ઞા એ ધર્મ અને માનવકલ્યાણ કરતાં મોટી તો ન જ હોઈ શકે.
.
ચંદ્રવંશીઓને પોતે લીધેલી પ્રતિજ્ઞાઓનું બહુ અભિમાન પછી એ મહામહિમ ભીષ્મ હોય કે જેનાં સારથી સ્વંય કૃષ્ણ પોતે છે એવો અર્જુન પણ એ પ્રતિજ્ઞાઓનાં મૂલ્યો એમની પ્રજાએ ભોગવ્યા ત્યારે પોતે સ્વયં નારાયણ હોવા છતાં ધર્મ અને માનવકલ્યાણ માટે જે પોતાની જ લીધેલી પ્રતિજ્ઞા તોડી શકે એ મારે મન કૃષ્ણ !
.
કૃષ્ણ એટલે માતા ગાંધારીનાં શ્રાપને પણ આશીર્વાદ સમજી પ્રેમથી ગ્રહણ કરનાર. કૃષ્ણ એટલે પરિશ્રમનો મહિમા સમજાવવા ખાંડવવનને ઇન્દ્રપ્રસ્થમાં ફેરવનાર. કૃષ્ણ એટલે સમય વર્તીને રણને છોડનાર. કૃષ્ણ એટલે કહેવાતા સભ્ય સમાજે ત્યજેલી સોળહજાર એકસો પૂજનીય નારીઓનો તારણહાર.
.
કૃષ્ણ એટલે કહેવાતા ક્ષત્રિયોથી ખીચોખીચ ભરેલી સભામાં દ્રૌપદીનાં ચીર પૂરનાર સ્ત્રી સન્માનનો રક્ષક. કૃષ્ણ એટલે ક્ષમ્ય ભૂલો માટે ક્ષમા કરનાર પણ એક હદ વટાવ્યા પછી અક્ષમ્ય અપરાધ માટે સુદર્શન છોડનાર. કૃષ્ણ એટલે કળયુગમાં જીવન કેવી રીતે જીવવું એનું આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડનાર.
.
ટૂંકમાં કહું તો કૃષ્ણ એટલે વાસ્તવિકતાનો સંપૂર્ણ સ્વીકાર, નિરાકાર તોય જેનામાં એકાકાર થઈ ભળી જવાય એ મારે મન કૃષ્ણ..!! એક કૃષ્ણપ્રેમી કહો કે કૃષ્ણઘેલી કહો એનાં તરફથી સહુને જન્માષ્ટમીની કૃષ્ણમય શુભેચ્છાઓ..!!
.
( વૈભવી જોશી )

વર્ષોને વાપરે છે-તુષાર શુક્લ

કેટલાંક વર્ષોને વાપરે છે
કેટલાંકને વર્ષો વાપરે છે.
કેટલાંક વર્ષોને ધનની પેઠે સાચવી સાચવીને ખરચવા મથે છે.
એક એક પળનો હિસાબ માંડે છે.
કોઈક વળી છૂટે હાથે ઉડાવે છે.
મજા એ છે કે, કોઈને ય ક્યાં ખબર છે કે મૂડી કેટલી છે ?
બેલેન્સમાં શું છે ? સિલક શું વધી છે ?
એકને ઘટી જવાની ચિંતા છે, એકને વધી પડવાની ફિકર છે.
જે સાચવે છે એ ય વધારી નથી શકતા.
જે વેડફે છે એમનુંય ઘટી તો નથી જ જતું!
પણ, બંનેનું સરવૈયું જુદું જુદું બોલે છે!
કેટલું જીવાયું ને કેવું જીવાયું!
મૂંજી થઈને પૂંજી વધારવા મથવાને બદલે રમૂજી થઈને સમજી લેવાની જરૂર છે,
હસતાં આવડશે તો જીવતાં આવડશે.
ઈશ્વર પાસે આંસુ ને સ્મિત બંનેના ખડિયા છે,
એમની કલમ ક્યારેક આંસુ તો ક્યારેક આંસુમાં કલમ ડૂબાડે
ત્યારે હસી પડવું એ જ એક માર્ગ!

( તુષાર શુક્લ )

હવે તો-તુષાર શુક્લ

હવે તો મોટાં થયાં!
હવે શેની ઉજવણી?
ઘરડાં થયાં, હવે તો!
આવા ઉદ્દગાર પાછળ વેડફેલા વર્ષોની વ્યથા જ હોય છે.
આજને કાલ પર છોડનારાને મહાકાલ છોડતો નથી.
પ્રત્યેક વર્ષ
પ્રત્યેક માસ
પ્રત્યેક સપ્તાહ
પ્રત્યેક દિવસ
પ્રત્યેક પળ…
આપણને અવસર આપે છે જીવનને આનંદવાનો.
માત્ર આપણી તૈયારી જોઈએ-જીવવાની.
તત્પરતા જોઈએ-માણવાની.
સજ્જતા જોઈએ-સ્વીકારવાની.
વર્ષગાંઠ એ તો પૂર્ણત્વની પ્રાપ્તિ તરફનું વધુ એક પગલું છે
એનો તો આનંદ જ હોય.
ઉત્સવ જ હોય.
ઉમંગ જ હોય
ઉલ્લાસ જ હોય.

( તુષાર શુક્લ )

ક્રોધ : કારણ – નિવારણ (૧) – ઓશો

૧.
તમે કેટલી વખત વિચાર્યું છે કે-
હવે ક્રોધ નહિ કરીએ.

તમે શાસ્ત્રોને સાંભળીને, વાંચીને;
બરાબર સમજી ગયા છો કે-
ક્રોધ પાપ છે, ઝેર છે.
તેનાથી કોઈ લાભ નથી થતો.

તેમ છતાં જ્યારે પણ ક્રોધ આવે છે
ત્યારે તમે તેના ઝંઝાવાતમાં ખોવાઈ જાઓ છો;
સાંભળેલી કોઈ પણ વાત યાદ જ નથી આવતી.

૨.
ક્રોધ જ્યારે તમારા અંતરના બગીચાને
વેરવિખેર કરીને ચાલ્યો જાય છે
ત્યારે ફરીથી ભાન આવે છે
અને તમને પસ્તાવો થાય છે.

પરંતુ હવે પસ્તાવાનો શો અર્થ
જ્યારે નુકશાન થઈ ચૂક્યું ?

આ એક જૂની કુટેવ પડી ગઈ છે.
ક્રોધ કર્યો, પછી પસ્તાવો કર્યો;
ફરીથી ક્રોધ આવ્યો, ફરીથી પસ્તાવો…

આ રીતે ક્રોધ અને પસ્તાવો
એકબીજાના સાથીદાર બની ગયા છે,
તેમાં હવે કોઈ તફાવત જ નથી રહ્યો.

તમારો પસ્તાવો તમારા ક્રોધને રોકી નથી શકતો.

આ હકીકત પરથી એક વાત સ્પષ્ટ થાય છે
કે-તમે હજુ તમારા ક્રોધને યોગ્ય રીતે
તેના વાસ્તવિક રૂપમાં જાણ્યો નથી.

તમે ક્રોધ વિષે માત્ર સાંભળી-સાંભળીને
માની લીધું છે કે – ક્રોધ ખરાબ છે.
પરંતુ તે તમારું પોતાનું આત્મદર્શન નથી.

( ઓશો )

વરસાદ તે દિવસે…-હિના પારેખ

વરસાદ તે દિવસે ઘણો હતો. તેના માટે મુશળધાર શબ્દ પ્રયોજી શકાય તેવો. મારે ઓફીસ જવાનો સમય થયો હતો અને વરસાદે ત્યારે જ ધોધમાર વરસવાનું શરૂ કર્યું હતું. વરસાદ અટકે તેવી કોઈ શક્યતા નહોતી અને મારે ઓફીસમાં સમયસર પહોંચવાનું હતું. હું છત્રી લઈને ઓફીસે જવા નીકળી. છત્રી મને રક્ષણ આપવા પૂરતી નહોતી. હું ગમે તેટલું સાચવું તોયે ક્યાંક ને ક્યાંકથી તો વરસાદ મને ભીંજવી જ રહ્યો હતો. મેં ચાલવામાં ઝડપ વધારી. ત્યાં મને કોઈનો સાદ સંભળાયો……

ઓ બહેન, જરા ઉભા રહો તો. તમે કયાં સુધી જઈ રહ્યા છો?” 

મેં કહ્યું, બેંક સુધી.

મને થોડે સુધી તમારી છત્રીમાં લઈ જશો?”  મને બૂમ પાડનાર બહેને પ્રશ્ન કર્યો.

મેં તેમને હા પાડી. હું પહેલાં કરતાં વધારે ભીંજાઈ ગઈ. કારણ કે એક છત્રીમાં બે વ્યક્તિ કોરી રહે એ મુશ્કેલ જ નહીં અશક્ય હતું. પોતાની મંઝિલ આવી જતાં એ બહેન મારા પ્રત્યે આભાર વ્યક્ત કરી મારાથી છૂટા પડ્યા. હું ઘણી ભીંજાઈ હતી. છતાં એક અજાણ્યા પથિક સાથે મારી છત્રી વહેંચવાનો મને આનંદ હતો. આટલા બધા વરસાદમાં કોઈ આ રીતે મારી છત્રીમાં કોઈને ભાગ પડાવતાં જુએ તો મને મુર્ખ જ સમજે. છતાં મને તેમ કરવાનું ગમ્યું. કારણ કે આમ કરવાથી મારા હ્રદયને સંતોષ થતો હતો.

કોઈ બળબળતી બપોરે આપણે આપણા સ્કુટર પર જઈ રહ્યા હોઈએ, સ્કુટરની પાછળની સીટ ખાલી હોય અને રસ્તામાં ધોમધખતા તાપમાં બસની રાહ જોઈને ઉભેલા માણસને જોઈને તેને લીફ્ટ આપવાનું મન થાય છે ખરું?

 

ધોધમાર વરસાદમાં આપણે ઘરમાં બેઠા બેઠા ગરમ ચાની ચુસ્કીઓ લેતાં હોઈએ ત્યારે વરસાદમાં આશરો મેળવવા આપણા ઘરનાં બારણે આવેલા કોઈ અજાણ્યા રાહીને ઘરમાં બોલાવીને તેને ચા પીવડાવવાનું મન થાય છે ખરું? 

કોઈ સ્વજનને મળવા આપણે હોસ્પિટલમાં જઈએ ત્યારે બાજુના પલંગ પર સૂતેલો કોઈ એકલો અટૂલો દર્દી આપણને તેની દવા લાવી આપવા માટે કહે ત્યારે તેને મદદ કરવાનું મન આપણને થાય છે ખરું? 

બહુ અગત્યના કામે આપણે ઘરની બહાર નીકળ્યા હોઈએ અને ત્યારે રસ્તામાં વાહનની અડફેટે ઘાયલ થઈને તરફડતા કોઈ પ્રાણીને જોઈને આપણને મોડું થતું હોવા છતાં એક ફોન કરીને તે પ્રાણી વિશે એનિમલ સેવિંગ ગ્રુપને જાણ કરવાનું મન થાય છે ખરું? 

ઈષ્ટદેવના દર્શન માટે મંદિરનાં ઉંચા ઉંચા પગથિયા ચડતી વખતે કોઈ વ્રુધ્ધ કે કોઈ અપંગને પગથિયા ચડવામાં તકલીફ અનુભવતાં જોઈને આપણને તેનો હાથ પકડીને પગથિયા ચડાવવાનું મન થાય છે ખરું? 

આપણા જન્મદિવસે મિત્રો-સ્વજનો માટે રાખેલી પાર્ટી માટે બજારમાંથી કેક લઈને આવતાં હોઈએ ત્યારે રસ્તામાં કોઈ ઝૂંપડપટ્ટી આવે તો તે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોમાં કેક વહેચવાનું મન થાય છે ખરું? 

ટ્રેનની અસહ્ય ભીડમાં માંડ માંડ બેસવાની જગ્યા મળી હોય ને આગલા સ્ટેશન પર કોઈ સ્ત્રી નાનું બાળક લઈને ચડે તો તેને પોતાની જગ્યા આપી દેવાનું મન થાય છે ખરું? 

 

……..આવી નાની નાની ઘણી ઘટનાઓ છે જે આપણે કરી શકીએ છીએ પણ મોટેભાગે આપણે તેવું કરતાં નથી. દરેક વખતે આપણી પાસે એક જ જવાબ હોય છે-મને સમય નથી….I have no time”. જિંદગીને જીવી લેવાની ઉતાવળમાં સવારથી ઉઠીને રાત્રે પથારી ભેગાં થઈએ ત્યાં સુધી આપણે આમતેમ દોડતાં જ રહીએ છીએ. અને તેમાં જ થાકી જઈએ છીએ. કારણ કે જિંદગીને જીવી નાંખવાની ઉતાવળમાં આપણે જિંદગીને માણવાનું ભૂલી ગયા છીએ. હું કંઈક મેળવીશ તો સુખી થઈશ-એવી ભ્રામક માન્યતા આપણા મનમાં દ્રઢ કરી ગઈ છે. તેથી કંઈકને કંઈક પ્રાપ્ત કરતા રહેવાની લાલસામાં કેવી રીતે જીવવું તે જ ભૂલી ગયા છીએ.

 

ગમે તે કિંમતે, ગમે તે ભોગે આપણે આપણી ઈચ્છા મુજબનું મેળવી તો લઈએ છીએ પણ તેનાથી સુખ પ્રાપ્ત થતું નથી. તેથી સુખ કંઈ બીજામાં હશે તેમ માનીને ફરી તે મેળવવા મંડી પડીએ છીએ. આ ચક્ર અવિરત આલ્યા જ કરે છે. પણ આપણા હ્રદયને આનંદ મળતો નથી, સંતોષ અનુભવાતો નથી, જીવનમાં ક્યાંય પ્રસન્નતા નથી. 

મોટા મોટા લક્ષ્યાંકો સિધ્ધ કરવામાં આપણે લગભગ લાગણીહીન, નિષ્ઠુર, અમાનુષ બની ગયા છીએ. કેટલીયે નાની નાની વાતો એવી છે જે આપણને આનંદ આપવા માટે સક્ષમ છે પરંતુ તેના તરફ કદી આપણું ધ્યાન જતું જ નથી. આવા સમયે જીવનની ગતિ થોડી ધીમી કરીને આપણી આજુબાજુ ઘટતી નાની નાની બાબતોને બારીકાઈથી જોવાની, તેને સમજવાની અને તેને માણવાની જરૂર છે. જો આપણે એક-બે કદમ પણ સાચી દિશામાં ચાલવા પ્રયત્ન કરીશું તો એવી ઘણી ક્ષણો મળી આવશે જે આપણને પૂર્ણ આનંદથી ભેટી પડવા તૈયાર હશે. આનંદ કે સુખ વિશાળ પ્રમાણમાં ક્યારેય કોઈને મળતું નથી. તે નાની નાની ઘટનાઓ દ્વારા જ મેળવીને એકત્રિત કરવાનું હોય છે. અને તે મેળવ્યા પછી તેને અન્યમાં વહેંચવાનું હોય છે. સુખ, આનંદ, પ્રસન્નતા, હાસ્ય વહેંચવાથી ઘટતું નથીઅનેકગણું વધે છે.

 

કવયિત્રી Emily Dickinson નું એક કાવ્ય મને બહુ પ્રિય છે… 

If I can stop one heart from breaking,

I shall not live in vain,

If I can ease one life from aching,

Or cool one fainting robin

Unto his nest again,

I shall not live in vain.

જો હું કોઈના હ્રદયને ભાંગી પડતું અટકાવી શકું,

તો મારું જીવન નિરર્થક નહીં જાય.

જો હું કોઈ માણસની પીડાનું શમન કરી શકું,

એકાદ જખ્મને રુઝવી શકું..

અથવા ઠંડીથી મૂર્છીત થયેલા રોબિન પંખીને

તેના માળામાં પાછું મૂકી શકું

તો મારું જીવન નિરર્થક નહીં જાય.

હિના પારેખ મનમૌજી

જૂન ૭, ૨૦૦૩.

Copyright©HeenaParekh