હું માણસ તરીકે જન્મ્યો ન હોત
તો કદાચ વૃક્ષ થયો હોત
કે કદાચ પંખી
કે કદાચ તારો
કે કદાચ માછલી
કૈંક તો થયો હોત.
.
પણ,
હું માણસ ન થયો હોત તો,-
વૃક્ષની લીલાને
શબ્દશબ્દમાં આલેખતે કોણ ?
કોણ ગાતે આકાશની છટા
ને સમુદ્ર-મુદ્રા સાંભળતે કોણ ?
પણ, સારું થયું કે આપણે માણસ થયા
નહીંતર માણસની વ્યથાને જાણત કેમ ?
.
( સુરેશ દલાલ )