‘વ્યથા ભીતરની’ – મહેન્દ્ર આર્ય
પ્રથમવાર
આપણે મળ્યાં ત્યારે
મારી ભીતર
એક બીજ રોપ્યું હતું તેં
તું તો પછી જતો રહ્યો….!
પણ
ઝરમર શ્રાવણની એ રાતે
મારા ભીનાં ભીતરમાં
તેં મૂકેલા એ બીજમાંથી
એક ઘટાટોપ વૃક્ષ વિકસ્યું છે હવે…
પરંતુ
આ વૃક્ષ ઉપર
કોઈ પંખી નથી બેસતું
અને
પંખીઓ માળા પણ નથી બાંધતાં…
કદાચ
મારી ભીતર વારંવાર થતા પત્થરમારાની
ખબર પડી ગઈ હશે એ લોકોને…
મારી અંદરના તોફાનને
જાણી ગયાં હશે એ લોકો પણ…
.
( મહેન્દ્ર આર્ય )