.

23/02/1919 – 29/08/2013
.
વિખૂટા પડેલા બધા શે’ર મારા,
હવે શેષ હું માત્ર મક્તો રહું છું.
*
કેવી અજબ સુવાસ છે, તારા ગયા પછી,
જાણે તું આસપાસ છે, તારા ગયા પછી;
સૂરજ તપે છે તે છતાં, જાણે વસંત છે,
તારી હવામાં શ્વાસ છે, તારા ગયા પછી.
*
તપીને તાપમાં હું ઘેર આવ્યો તો વળી શાંતિ,
હતું વ્યાકૂળ તો યે શાંત મન મારું થયું કેવું !
મહક પામી નીરવતાની હૃદય ઘેલું પૂછી બેઠું :
‘ઘડી પ્હેલાં સૂના ઘરમાં તમે આવી ગયાં’તાં શું ?’
*
વાદળને પેલે પાર કંઈ ઝાંખો ઉજાસ છે,
સૂરજના માત્ર ભાસથી શ્રાવણ ઉદાસ છે;
ભીના વસનનો આભમાં પરદો કરી દીધો,
શ્રાવણ નથી, આ સૂર્યનો એકાંતવાસ છે !
*
હૃદયના હોય છે સંબંધ તે નશ્વર નથી હોતાં,
મળ્યાં કેડે જુદાં થઈ જાય તે અંતર નથી હોતાં;
પ્રણય તો જિંદગી છે ને વળી તે પણ સનાતન છે,
પ્રણયની ક્ષણ નથી હોતી, તે સંવત્સર નથી હોતા !
*
આમ તો સૂરતનો કહેવાતો રહીશ,
કોઈ પૂછે તો વળી ‘સૂરતી’ કહીશ !
મારે તો ચાલ્યા જવું છે હે ગઝલ !
તું કહેશે તો વળી થોભી જઈશ.
*
પ્રવાસે તો મળ્યાં’તાં કૈંક ફૂલો,
નથી એવું, ચમન ચૂકી ગયો છું;
અનુભવ યાદ કંઈ એવા રહ્યા છે :
ફૂલોનાં નામ હું ભૂલી ગયો છું !
*
ઈશ્વર કને ય જાઉં પણ માણસ મટું નહીં,
ઓળંગી જાઉં હું મને તો પણ રહું છું પાળ,
એ પણ મને મળે છતાં ઈશ્વર મટે નહીં,
ઊતરે છે ખીણમાં છતાં શિખરે રહે છે ઢાળ.
*
મને કેફ આ જિંદગીનો કહે છે :
હું દીઠા પછી યે રહસ્યો રહું છું !
અને આ જુઓ ખેલદિલીયે મારી,
હું પીધા પછી યે તરસ્યો રહું છું !
.
( રતિલાલ ‘અનિલ’ )
કવિશ્રી રતિલાલ ‘અનિલ’ હવે માત્ર શબ્દદેહે જ આપણી સાથે રહ્યાં…એમના દેહાવસાનથી એક કસાયેલ અને નિવડેલી કલમની ખોટ પડી…
ઈશ્વર એમના આત્માને ચિરશાંતિસહ મોક્ષ પ્રદાન કરે એજ પ્રાર્થના…ગઝલપૂર્વક.
-અસ્તુ.
કવિશ્રી રતિલાલ ‘અનિલ’ હવે માત્ર શબ્દદેહે જ આપણી સાથે રહ્યાં…એમના દેહાવસાનથી એક કસાયેલ અને નિવડેલી કલમની ખોટ પડી…
ઈશ્વર એમના આત્માને ચિરશાંતિસહ મોક્ષ પ્રદાન કરે એજ પ્રાર્થના…ગઝલપૂર્વક.
-અસ્તુ.