Skip links

વણવંચાયેલા પુસ્તક – સુરેશ દલાલ

વણવંચાયેલા પુસ્તક જેવા મારા જીવનને મૂકી દો અકબંધ

નહીં દેખાતી કોઈ ખૂણા પરની આળસુ અભરાઈના કાષ્ઠ પર.

મૂકો એ પહેલાં એના પર ચડાવી દેજો બ્રાઉનપેપર

જેથી એને ઊંચકીને જરાક સરખું પણ જોવાનું કુતૂહલ ન રહે.

.

આમ પણ જીવનમાં રસ પડે એવી ઘટનાઓ દેખાતી નથી

અને આપણી ભીતરની તરસ સાથે કોઈને લેવાદેવા પણ શું ?

ખીલતાં પહેલાં ખરી ગયેલાં ફૂલોને એકઠાં કરવાની કોઈ ઇચ્છા નથી

અને તૂટેલા વહાણનો ભંગાર ભલે ને કોઈ કિનારા પર પડ્યો રહે.

 .

જીવનમાં નથી આવ્યા એવા કોઈ વળ-વ્ળાંક, કે ઝૂમી પડું

સ્મૃતિની કંટાળાજનક ગલીમાં ફરવા માટે મન માનતું નથી.

હવે એટલું બધું મોડું થયું છે કે સ્વપ્નાં પણ આંસુ જેમ સુકાઈ ગયાં છે

અને આમ પણ ભાંગેલી ડાળને કે ચૂંથાયેલા માળાને જોવામાં રસ નથી.

 .

નથી જોઈતો કોઈનો પ્રેમ કે સહાનુભૂતિ કે કશુંય પણ.

હવે તો આંખ જોયા કરે છે કેવળ વિસ્તરતું જતું મૃગજળ વિનાનું રણ.

.

( સુરેશ દલાલ)

Leave a comment