તો શું કહેવું-શું કરવું ?-નલિની માડગાંવકર
ખળખળતી નદી પાસે જળ માંગીએ
અને એ ખોબોભરીને કાંકરા દે
તો શું કહેવું ?
વાંકા બોલાની વચ્ચે જીવનભર
મીઠા બોલે જીવવું પડે
તો શું કહેવું ?
પાનખરની તાળી ઝીલનારાને
વસંતનાં ગીતો સંભળાવવાં પડે
તો શું કહેવું ?
દરિયામાં શેલારા લેવાને બદલે
રેતીના ઢગલા ઉલેચનારાને
ભલા ! શું કહેવું ?
જીવવા માટે ચપટીભર ખુશી લઈએ
ત્યાં તો માથે મણમણનાં છાણાં થાય
તો શું કહેવું ?
ગીત ગાવું હોય ત્યારે સામે
ગઝલની મહેફિલ મળે
તો ભલા ! શું કરવું ?
કવિતા લખવી હોય ત્યારે જ
માથે આધાશીશી ઝળૂંબતી હોય
તો ભલા ! શું કરવું ?
દાળની સાથે કઢીની વાટકી કોઈ માંગે
અને છાશની વાટકી ધરવી પડે
તો કરવું શું ?
લાંબું આયખું જીવવું હોય
ત્યારે જ જીવ જાઉં જાઉં કરે
તો ભલા એને કહેવું શું ?
તમે જ કહો, હવે કરવું શું ?
( નલિની માડગાંવકર )