વિસ્મયનો રોપ આંખથી નિર્મૂળ થૈ ગયો,
ને ધૂળનો જ અર્થ પછી ધૂળ થૈ ગયો.
એવી ફૂટી સુગંધના સંદર્ભને અણી;
પર્યાયે ફૂલનો હવે તો શૂળ થૈ ગયો.
ખુલ્લાણના ખયાલને જે ટૂંપતો હતો,
એ ઓરડો શેં આજ અનુકૂળ થૈ ગયો ?
જ્યારે નગર શરીર ઉપરથી સરી પડ્યું,
ત્યારે પવન એક પાતળું દુકૂળ થૈ ગયો.
અસ્તિત્વને ઉશ્કેરતું કારણ છે આટલું,
કે, શ્વાસ શ્વાસને જ પ્રતિકૂળ થૈ ગયો !
( કરસનદાસ લુહાર )