હું મને
ભીતરથી સબળ બનાવી રહી છું.
મારા આત્માને બાંધવા માટે
પોલાદના પટ્ટા વણી રહી છું.
મારા હાથને મજબૂત બનાવવા
એમાં વેદનાના ટાંકા ગૂંથી રહી છું-
થાક અને સહનશક્તિના
તાણાવાણાથી
હું મારા મનને દ્રઢ કરી રહી છું.
જેમણે વેદના ભોગવી છે એ તમામનાં
ભજનકીર્તન અને ગીતોના બંધનથી
હું મારી શ્રદ્ધાને બાંધું છું.
સમય થતાં,
સરસ પોલાદની જેમ વળવા માટે
હું સ્વસ્થ થઈશ
પણ ભાંગી પડીશ નહીં.
.
( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )