(૧)
જીવનકલા,
સ્વમાં કુદરતનો
સહજ આવિર્ભાવ અને
તેની અભિવ્યક્તિ
એ જ કલા.
પ્રકૃતિનો શતપ્રતિશત પડઘો
એ જ કલા.
પ્રકૃતિના રંગ, રસ, રૂપ, નાદ
અને લય સુધી પહોંચવું,
તેને પામવું અને તેમાં પ્રગટ થવું
એ જ જીવન કલા,
અસ્તિત્વનો ઉત્સવ !
.
તું કલમ, કાગળ અમે !
.
(૨)
માણસ,
નિશ્ચિત આકાર અને
ઈન્દ્રિયોના સમુહના
સજીવ ઢીંગલા ઢીંગલી એ માણસ નહીં
પણ પોતાના મૂળ સુધી પહોંચવાનો
પ્રયત્ન કરી તેને ઓળખી,
તેનો અહર્નિશ આભાર માનતાં
જીવંત મંત્રો એ જ માણસ !
પરમોચ્ચ સત્તાના પ્રેમનો પડઘો
એ જ માણસ,
વિશ્વેશ્વરના વિશ્વાસનો ધબકાર
એ જ માણસ.
.
તું જ્યોત, કોડિયું અમે !
.
( ડો. ભરતભાઈ મિસ્ત્રી )