Author Archives: Heena Parekh

હું વારતાઓ પાસે જતો-બાબુ સુથાર

ત્યારે હું છોકરાં મામાને ત્યાં જાય
એમ વારતાઓ પાસે જતો
હું કીડીને પૂંઠે પૂંઠે
શિકારી પાસે જતો
ને તીરને આમ
ને કબૂતરને તેમ જતાં નિહાળતો.
હું કાગડાને કૂંજામાં કાંકરા નાખવા લાગતો
હું સતને ત્રાજવે તોળતી પેલી બિલાડીની પૂંછડીને પણ તાકી રહેતો
હું પેલા રાજાને પણ જોતો
જે ઝાડ ઓથે સંતાઈને
રસ્તા વચ્ચેનો પથ્થર
કોણ ઉપાડે છે
એની રાહ જોતો.
આજે મને થાય છે:
એ પથ્થર મેં કેમ ન’તો ઉપાડ્યો ?
મને લાગે છે કે હવે મારે કાશીએ જઈને કરવત મુકાવવો જોઈએ.

( બાબુ સુથાર )

મેં જોયાં નથી-બાબુ સુથાર

મેં જોયાં નથી કોઈ યુદ્ધ
કે જોઈ નથી કોઈ તોપો
મારી ગલીમાં
કે મારા ગામમાં
કે મેં નથી જોયા સૈનિકો
માથે લોઢાનો ટોપો મૂકીને
લેફ્ટ કરતા કે રાઈટ કરતા.
મેં જોયા છે મારા બાપાને
ખભે વાંસલો મૂકીને કામે જતા,
મેં જોઈ છે મારી માને
ખભે દાતરડું ભેરવીને ખેતરે જતી,
મેં જોયો છે નાથિયા વાણિયાને
ભાગળેથી બૂમો પાડતાં આવતો;
કોયાભાઈ, વ્યાજ તૈયાર રાખજો; મૂડી દિવાળીએ.
એ બૂમ સંભળાતી હોય છે ત્યારે
મારા ગામની ભાગોળે અદ્રશ્ય થતી જતી
નાથા વાણિયાની પીઠ દેખાતી હોય છે.

( બાબુ સુથાર )

“એ મારી સામે આવે તો…!!”-( રાધિકા પટેલ )

એ મારી સામે આવે તો;
પ્રથમ તો,
એનો કાખલો પકડી,
પેટ પર જોરથી એક લાત મારી
નીચે પાડી દઉં…!

પછી, એની છાતી પર ચડી-
એના ગાલ પર થપાટો માર્યા જ કરું…માર્યા જ કરું…
લોહીની ટશરો ના ફૂટે ત્યાં સુધી…!

હાથ-પગ કાપીને નીરી દઉં-
ભૂખ્યા વરુને…!

“લબ…લબ…” કરતી એની જીભ તે જ તલવારથી કાપી-
દાટી દઉં પાતાળમાં.

આંખોમાં ખીલા અને કાનમાં સળિયા ખોડી-
નાક પર એક મો…ટ્ટું-
રાંઢવું બાંધી દઉં.

છેલ્લે
એની ચામડી પર અગણિત ડામ દઈ,
એનું કાળજું કાઢી નાખી દઉં-
ભઠ્ઠીમાં.

પણ…
પણ…
“પીડા”
સાલ્લી… બહાર નીકળે તો-ને ?

( રાધિકા પટેલ )

ગઝલ કહેવી નથી મારે-બાબુલાલ ચાવડા ‘આતુર’

ભલે દુનિયાથી હો રંજિશ, ગઝલ કહેવી નથી મારે,
ન હો તારી જો ફરમાઈશ, ગઝલ કહેવી નથી મારે.

નુમાઈશ કાલ જે કરતા હતા મારી જમાનામાં,
લગાવી ક્યાં ગયા આતિશ? ગઝલ કહેવી નથી મારે.

નિહાળીને બુલંદી પર તને બસ એ જ કહેવું છે,
‘સમયની હો ન આ સાજિશ’, ગઝલ કહેવી નથી મારે.

રદીફોકાફિયા ક્યાં ? ક્યાં વજન ? ક્યાં મત્લાઓમક્તા ?
વળી આ બેમજા બંદિશ, ગઝલ કહેવી નથી મારે.

ક્ષુધાતુર કે તૃષાતુર કૈં નથી હું ફક્ત ‘આતુર’ છું,
તખલ્લુસની કરો તફલીશ, ગઝલ કહેવી નથી મારે.

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

છોડી દીધું-બાબુલાલ ચાવડા ‘આતુર’

મેં હવે તારા વિચારોનું ગગન છોડી દીધું,
કૈંક વરસોનું દિશાહીન ઉડ્ડયન છોડી દીધું.

એક ચમચી યાદ તારી આંખ મીંચી પી ગયો,
ને પછી પહેલા પુરુષનું એકવચન છોડી દીધું.

એમને ફુરસદ નથી કે મારા જખ્મોને ગણે,
વ્યસ્ત લેખનમાં થયા વાચન-ગણન છોડી દીધું.

આજ હું મારા જ પડછાયાના છાંયે સૂઈ ગયો,
ને બધાને એમ લાગ્યું કે શ્વસન છોડી દીધું.

કોપરાના છીણ જેવું વાટકીભર આયખું,
સહેજ ભભરાવી ગઝલમાં લે કવન છોડી દીધું.

શબ્દની બેબાકળી વણજાર ચાલી ગઈ પછી,
ધૂંધળું ‘આતુર’ બધું ચિંતન-મનન છોડી દીધું.

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

કેમ જીરવાશે ?-બાબુલાલ ચાવડા ‘આતુર’

હૃદયની રાંગ પર દેમાર લશ્કર કેમ જીરવાશે ?
શબદનાં શર કલેજે હે મુનિવર કેમ જીરવાશે ?

કમળના પાંદડે ઝાકળના અક્ષર કેમ જીરવાશે ?
તિમિરની પીઠમાં સૂરજનાં ખંજર કેમ જીરવાશે ?

ઉતરડીને ત્વચા હું વલ્કલો ધારણ કરી લઉં પણ,
જડેલા વૃક્ષ પર સ્મૃતિઓનાં બખ્તર કેમ જીરવાશે ?

પીડાના દ્વીપ વિસ્તરતા જશે જો આમ, દ્વૈપાયન ?
પછી ખોબોક જીવતરનો આ સમદર કેમ જીરવાશે ?

કદી સંશય બધા ટળશે, ઊકલશે ભેદ પણ સઘળા,
છતાં મૂંઝવણ વિનાનું મન તો આખર કેમ જીરવાશે ?

બનીને મૂકદ્રષ્ટા કેમ જોવાશે બધું ‘આતુર’!
જશે સૌ ઈન્દ્રિયો છોડીને એ ઘર કેમ જીરવાશે ?

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

માણસ છું-બાબુલાલ ચાવડા ‘આતુર’

ચમકે ના ચમકે એવા ચાંદરણા જેવો માણસ છું,
ડૂબતો માણસ ઝાલે છે એ તરણા જેવો માણસ છું.

કોઇ શિકારી રાજી ક્યાં છે તીર પોતાનું વેડફવા?
કસ્તૂરીને ખોઇ ચૂકેલા હરણા જેવો માણસ છું.

માંડ રળે છે કોઇ પેટિયું ફૂટપાથે ફેલાવીને,
જર્જર, મેલા-ઘેલા એ પાથરણા જેવો માણસ છું.

જે દરિયાને મળી નથી એ નદીની પીડા જાણું છું,
કોઈ નદીને મળે નહીં એ ઝરણા જેવો માણસ છું.

છપ્પનભોગી ઓડકારની સામે થાકી-હારીને,
ભૂખમરાએ શરુ કરેલા ધરણા જેવો માણસ છું.

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

ઓ સાથી!-બાબુલાલ ચાવડા ‘આતુર’

નરી આંખે નિહાળી છે, કૃપા પ્રગટી છે, ઓ સાથી!
ગગનના ગોખમાં ઝળહળ ઋચા પ્રગટી છે, ઓ સાથી!

રુંવાડાભેર આ હોવાપણું શ્લોકત્વ પામ્યું છે,
અતિશય આર્તનાદે વેદના પ્રગટી છે, ઓ સાથી!

ડચૂરો કંઠનો કેવો તરંગિત લય બન્યો છે જો!
ગઝલના વેશમાં આદિમ તૃષા પ્રગટી છે, ઓ સાથી!

અહો, ઊમટ્યાં છે કંઈ ગંધર્વ ને કિન્નરનાં ટોળાંઓ,
અજાણ્યાં વિસ્મયોની આવ-જા પ્રગટી છે, ઓ સાથી!

સમયના શુષ્ક વેરાને રઝળતા શ્વાસમાં અંતે,
નવેસરથી પુરાતન ભવ્યતા પ્રગટી છે, ઓ સાથી!

પ્રગટશે કંઈ નવું ’આતુર’ હવે આ સખ્યમાંથી પણ,
અહીં તું છે ને શબ્દોની લીલા પ્રગટી છે, ઓ સાથી!

( બાબુલાલ ચાવડા ‘આતુર’ )

કેટલાક વળી-તુષાર શુક્લ

કેટલાક વળી વર્ષગાંઠે ઉદાસ બની જાય છે
વિચારે છે કે એક વર્ષ ઓછું થયું…
વિચારી તો એમ પણ શકાય ને કે એક વર્ષ વધ્યું?!
પ્યાલો અરધો ખાલી ય છે.
પ્યાલો અરધો ભરલો ય છે.
બંને સત્ય છે!

સવાલ સમજણનો છે. દ્રષ્ટિનો છે.
જે જીવનને માણે છે એ વધઘટના હિસાબમાં નથી અટવાતા.
જે વર્ષોને વેડફે છે એ જ વર્ષ ઘટ્યાનાં રોદણાં રડે છે.
સમય ન હોવાની ફરિયાદ કરનારાનું સમયપત્રક જ,
વાસ્તવમાં, ખોટું હોય છે!

દિવસ આખાનું વ્યવસ્થિત આયોજન હોય
એમની પાસે ઉડાડવા માટેનો ય સમય હોય છે.
સમયને વેડફનારાને જ સમય ખૂટે છે!

( તુષાર શુક્લ )

વર્ષગાંઠે-તુષાર શુક્લ

વર્ષગાંઠે એક વધુ વર્ષ બંધાય છે,
અનુસંધાય છે જીવન સાથે.
આ નવા વર્ષનું આગમન આનંદદાયી તો જ બને
જો વીતેલા વર્ષોની ગાંઠોનો ભાર પીડા ન બને.

વળી એક વર્ષ…વળી એક ગાંઠ…
આવો ભાવ મનમાં હોય તો ન જ ઉજવાય વર્ષગાંઠ.
વર્ષગાંઠ બંધન નહિ,
અનુસંધાન બની રહે જીવનનું
તો જ ગમે ગાંઠને ઉજવવાનું.

( તુષાર શુક્લ )