સંબંધ…. – મીરાં પટેલ

.

આ સંબંધ એટલે શું ?

.
બે મન, હૃદયરૂપી વિચારધારા ને, ઉર્મિઓ રૂપી કિનારા ને એક કરે એવો ‘બંધ’ એટલે સંબંધ…

 .

જેમની વચ્ચે સમાન લાગણીઓની ધારા વહે છે..

 .

શું, આપણે જેની જેની સાથે જે પણ સંબંધથી જોડાયેલ છીએ ત્યાં સમાન વિચારધારા ને લાગણીઓનું  વહન છે ? ઘરથી શરુઆત કરી શેરી, ફળી, સોસાયટીમાં આવીએ.. અહીં ઘરની ચાર દિવાલો વચ્ચે સંબંધ રોજ રોજ મરે છે.. પડોશમાં એક બીજાની ટિકા ટિપ્પણમાંથી જ નવરાશ નથી.. બાજુમાં ના રહેતા હોય પણ…. મહોલ્લાને છેડે આવેલ ઘરની વાતો કરીને પણ હાશકારો નથી થતો.. એક ઘર ગામના એક છેડે હોય અને બીજું ઘર ગામના બીજા છેવાડે હોય તોય… પેલીએ આમ કર્યું ને પેલા એ તેમ કર્યું… દિવાળી આવી ને, જતી પણ રહેશે.. કેટલાય મેળાવડા સંબંધીઓના અને દોસ્તારોના થશે… ત્યારે પણ, આનું આ જ… કોણ શું કરે છે ને, શું પહેરે ઓઢે છે… કોણે શું નવુ વસાવ્યું ને શું નથી વસાવી શક્યું …

 .

સંબંધોની ઔપચારિકતા વચ્ચે હૃદયની ઉષ્મા ખોવાઇ ગઇ છે… સંબંધનો બંધ બંધાઇ જાય પણ, હૃદય ઉર્મિઓનો વિનિમય વારંવાર થતા નેટવર્કની પ્રોબ્લેમની જેમ ખોરવાઇ જાય છે.. સતત સંબંધો માવજત અને ખુલાસા માંગતા ફરે છે… અને, તો જ જાણે ટકી શકે… પણ, ખુલાસા કરવા પડે તે સંબંધ કહેવાય ? સંબંધ નો બંધ તો એક અદિઠ સમજદારીના તંતુ થી જોડાયેલ છે.. ને, અજાણપણે આ તંતુ જ તુટી જાય છે છતા સંબંધ ને ગુંગળાવી ગુંગળાવી… કૃત્રિમ લાગણીઓનો ઑક્સિજન આપી જીવાડવાની નિર્દોષ રમત એકબીજા સાથે કરતા હોઇએ છીએ..

.

કહીશું કે, કલિયુગનો પ્રભાવ ચાલે છે… એટલે આમ સ્થિતિ છે… પણ, ભીતરની સમજણને કોઇ યુગ ક્યારેય નડ્યો નથી… જો એમ જ હોત તો રામ વખતે કૈકેયી અને વિભિષણ ના હોત… ને કૃષ્ણ વખતે, યશોદા(જે જન્મ દાતા નથી) અને કુંતિ(જે કર્ણની જન્મ દાતા છે)ના હોત…

 .

ચાલો, બહાનાબાજી છોડીએ અને નવા વર્ષની શરુઆતને પ્રેમથી વધાવીએ.. એક વૈશ્વિક પ્રેમને ભીતર સમેટી… ઉંચ-નીચ, અમીર-ગરીબ, કુરુપ-સુરુપ, ને, ધર્મને નામે થતી અનેક સાપેક્ષતા છોડી સાચા અર્થમા સંબંધોનો વિકાસ કરી સમાન સમજણ ધરાવતા સમાજને બનાવવામા યોગદાન દઇએ..

 .

સૌને નવા વર્ષની શુભકામના સહ..

 .

( મીરાં પટેલ )

આનંદ આપે એ ક્ષણ દિવાળી… – સુરેશ દલાલ

.

પ્રત્યેક પ્રજાને પોતાનું નવું વર્ષ હોય છે અને એને ઊજવવાની નવી નોખી રીત હોય છે.

નાતાલમાં ક્રિસમસ ટ્રીનો મહિમા હોય છે. બાળકોને માટે સાન્તાક્લોઝ હોય છે. આપણે પરંપરાને નિભાવીએ છીએ ખરા. પણ પરંપરાના પોતને પૂર્ણપણે જાણતા નથી. દિવાળી એટલે વર્ષનો અંત અને દિવાળી પછીનો દિવસ એટલે નવા વર્ષનો આરંભ.

એક રીતે જોઈએ તો દિવાળી આત્મનિરીક્ષણની વસ્તુ છે. ગયે વર્ષે આપણે કયા કયા મનોરથ કર્યા હતા અને કયા કયા કામ પાર પાડી શક્યા એનું સ્ટોકટેકિંગ કરવું જોઈએ. આપણે કોને માટે કશુંક કરી શક્યા કે કોની જોડે ખરાબ રીતે વર્ત્યા એ પણ આપણે અંદરથી જાણવું જોઈએ અને જો આપણી ભૂલ હોય તો એને સુધારી લેવી જોઈએ. દિવાળીનો અર્થ તો એક જ છે કે જ્યાં અંધારું હોય ત્યાં દીવો કરો. માત્ર દીવો નહીં. દીવાઓની હારમાળા કરો. દિવાળી શબ્દ દીપાવલિ પરથી આવ્યો. દીપાવલિ એટલે દીવાની હારમાળા.

આપણે ત્યાં એમ કહેવાય છે કે વનવાસ વેઠીને રામ અયોધ્યા આવ્યા ત્યારે નગરજનોએ ઘરે ઘરે દીવા પ્રગટાવીને અજવાળાંનો ઉત્સવ મનાવ્યો હતો અને આખું અયોધ્યા તેજનાં તોરણથી સુશોભિત થઈ ગયું હતું. આપણા આયુષ્યની અયોધ્યામાં પણ આપણા રામનું ફરી પાછું આગમન થાય અને આપણી બધી જ ચિંતા, આપણી એકલતા, આપણો વિષાદ, આપણા પૂર્વગ્રહો, આપણો ક્રોધ-આ બધાનું પરિવર્તન થાય અને આપણે સુખ, શાંતિ અને ચેનથી રહીએ. આપણને અંદરથી કોઈ અછત ન લાગવી જોઈએ. મન ભરેલું અને સંતોષી હોય તો જીવનમાં જ્યાં જુઓ ત્યાં પ્રકાશ છે. જ્યાં અજવાળું છે ત્યાં હંમેશાં દિવાળી જ હોય છે.

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ધ સ્પીકિંગ ટ્રીમાં એક કથા પ્રગટ થઈ હતી. એમાં દ્વાપરયુગની વાત છે. કૃષ્ણએ તો વિષ્ણુનો અવતાર. એ રાક્ષસ નરાકસુરનો નાશ કરવા માટે સત્યભામા સાથે યુદ્ધભૂમિ પર નીકળી પડ્યા. નરકાસુર એ વખતે કૃષ્ણની સોળ હજાર કુંવારીઓને બંદીવાન કરીને બેઠો હતો. નરકાસુરે પોતાની બધી શક્તિ કૃષ્ણ પર અજમાવી, પણ ન ફાવ્યો. અંતે કૃષ્ણએ સુદર્શનચક્રથી નરકાસુરને હણી નાખ્યો. કુંવારીઓએ કૃષ્ણને સત્યભામા સાથે જોયો ત્યારે એમણે કૃષ્ણને વિનંતી કરી કે તમે સત્યભામા સાથે લગ્ન કરો. દ્વારકામાં જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે કૃષ્ણનાં લગ્ન થયાં. પ્રજાની ઈચ્છાપૂર્તિ થઈ. આમ દિવાળી સાથે અનેક કથા જોડાયેલી છે.

દિવાળી દરેકની જુદી હોઈ શકે. મારી દિવાળી હું મારી રીતે ઊજવું છું. કોઈક સારી કવિતા વાંચું કે કાવ્યનો અનુવાદ કરું તોય મને દિવાળી જેવું લાગે. દિવાળી મારે માટે કોઈ એક જ દિવસ નથી, પણ જે ક્ષણે આનંદ આવે એ દિવાળી છે. આપણે આપણા કેટલાય અહંકારને ઊંચકીને ચાલતા હોઈએ. પણ જે ઘડીએ આપણે આપણા અહમથી મુક્તિ પામીએ ત્યારે મારે માટે દિવાળી છે. જીવનમાં બધું મળે છે. પણ સમજદાર માણસો મળતા નથી. જે ક્ષણે આપણને કોઈ સમજદાર માણસ મળે-ભલે એ આપણી વાતને સ્વીકારે નહીં, પણ સમજે ત્યારે મને દિવાળી જેવું લાગે છે. આપણે અમુક પ્રકારના સાચા કે કલ્પિત ભયથી પીડાતા હોઈએ છીએ. ભયનું અંધારું આપણને ઘેરી વળ્યું હોય ત્યારે એમાંથી નિર્ભયતા તરફ ગતિ કરીએ એ બીજું કશું જ નથી, પણ દિવાળી જ છે.

મોટા ભાગના માણસો જીવનમાં આળસુ અને એદીની જેમ પડ્યા હોય છે. એમને કશું કરવાનું સૂઝતું નથી, જે માણસ કાર્યશીલ રહે એને દિવાળી ઉજવવાનો અધિકાર છે. જે માણસ જીવનમાંથી રસ ગુમાવી બેસે છે અને નીરસ થઈને ફરે છે, બીજા માણસમાં રસ લેતો નથી, સ્વાર્થી અને એકલપેટો થાય છે એ માણસ-ભલે એના ડ્રોઈંગરૂમમાં હાજરો ઝુમ્મર લટકતાં હોય તો પણ અંદરથી તો એના મનમાં અંધારું જ હોય છે. જે માણસ પોતાની માટે કમાય છે એ ધન છે, પણ જ્યારે એને સમજાય છે કે મારું ધન હું બીજામાં વહેંચું ત્યારે એ લક્ષ્મી થાય છે. ત્યારે એના ધનની સદ્દગતિ થાય છે. હું તો માનું છું કે સમજણપૂર્વકની સમાજસેવામાં ધનતેરસ, દિવાળી અને નવા વર્ષના તમામ સંકલ્પો સદાયને માટે સમાઈ જાય છે.

એક જમાનામાં લોકો દર વરસે કંઈક ને કંઈક સંકલ્પ કરતા. દાખલા તરીકે, ગાંધીયુગમાં મોટા ભાગના લોકો રોજ ડાયરી લખતા. કેટલાક અધવચ્ચે છોડી દેતા હશે. કોઈ પણ સંકલ્પ ન કરવો એના કરતાં એકાદ સંકલ્પ કરવો એ સારી વાત છે-એ દિવાળી જેટલી જ ઊજળી વાત છે.

( સુરેશ દલાલ )

વાંસળી હો કે વાંસ સળી – ગાયત્રી ભટ્ટ

.

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો

કોઈને વાગી ફાંસ કોઈને કેફ નાદનો ચડ્યો…

.

વાંસળી મતલબ વડલા પાછળ વાગ્યા કરતી ધૂન

વગર વગાડ્યે વાગ્યા કરતું ગીત કહે : લે, સુન…

બોલ વગરની બંદિશ ગાતાં મનને મારગ જડ્યો

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…

.

ખબર પડી ના કેમ કરીને પ્હોંચી ગઈ હું વગડે

કેમ કરી સમજાવું મનને લોચનથી ના ઝગડે

સૂરની માયા એવી વગડો વૃંદાવન થઈ ફળ્યો…!

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…

 .

ફૂંક ફરે ને ફરે ટેરવાં હોઠમાં જાદુ છાયો

આરપાર અવકાશો ભેદી સૂર ઘણો છલકાયો

મઘમઘતો કોઈ મેઘધનુષી ભાવ ભીતરે ભળ્યો…!

વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો…

કોઈને વાગી ઠેસ કોઈને કેફ નાદનો ચઢ્યો…

 .

( ગાયત્રી ભટ્ટ )

કાં પૂરો વિસ્તાર કરવો – રિષભ મહેતા

કાં પૂરો વિસ્તાર કરવો; કાં સમેટાઈ જવું

કાં રહો અકબંધ કાં કણકણમાં વેરાઈ જવું

 .

સૌ હયાતીના પુરાવા માગશે તારી કને

ક્યાંક તારે પણ પ્રભુ; ક્યારેક દેખાઈ જવું !

 ,

હે ગઝલ ! તું સ્હેજ  પણ દુર્બોધ ના બનતી કદી

આપણે જાતે તરત શ્રોતાને સમજાઈ જવું.

 ,

એ જ તો મારા ચહેરાની ખૂબી છે દોસ્તો

સ્હેજમાં કોઈ અભણ-જણનેય વંચાઈ જવું !

 ,

આ સમય પણ સ્તબ્ધ છે; એનેય સમજાતું નથી

દોસ્ત ! એકાએક તારું આમ બદલાઈ જવું !

 ,

ફૂલ હું ને તું મહેક મારી હતી; ઊડી ગઈ-

એમ પણ ક્યારે તને ગમતું’તું બંધાઈ જવું !

 ,

શક્યછે કે ખૂબ હું તેથી વગોવાઈ ગયો

જે ઉચિત માન્યું હતું બધ્ધામાં વહેંચાઈ જવું…!

 ,

( રિષભ મહેતા )

વર્ષો થયાં – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

બે કદમ છેટું હતું પણ ત્યાં જતાં વર્ષો થયાં,

મનથી, શ્રદ્ધાથી ખરેખર ઝૂકતાં વર્ષો થયાં.

 .

મ્હેં મને મળવા કે ભળવા કે પલળવા ના દીધો,

કોચલું તોડી લીલુંછમ ઊગતાં વર્ષો થયાં.

 .

બાપદાદાના સમયની એક જે મૂર્તિ હતી,

ધૂળ એની પાંપણોથી લૂછતાં વર્ષો થયાં.

 .

માણસો સીધા-સરળ મળતા હતા પણ તે છતાં,

આંખ મીંચીને ભરોસો મૂકતાં વર્ષો થયાં.

 .

બંધ રહેવાની મથામણમાં દુ:ખી-દંભી થયા,

ખૂલવું સ્હેલું હતું પણ ખૂલતાં વર્ષો થયાં.

 .

રાખવા જેવું હતું જે યાદ ન આવે કશું,

ને દુ:ખદ સઘળા પ્રસંગો ભૂલતાં વર્ષો થયાં.

 .

એક ઝટકે જાય છૂટી એ જ છે મિસ્કીન ખરું,

છોડવું કોને હતું ? તે છૂટતાં વર્ષો થયાં.

 .

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

આબરૂ લઈ લીધી – અનિલ ચાવડા

.

તાળીઓની ગુંજની કે દાદની આબરૂ લઈ લીધી,

સ્ટેજ પર મૌન રહી, સંવાદની આબરૂ લઈ લીધી.

 .

પથ્થરો તો ઠીક છે લોઢુંય કૂંપળ થાય એ પળમાં,

તેં નહીં ભીંજાઈને વરસાદની આબરૂ લઈ લીધી.

 .

સ્તંભને અડવામાં જો દાઝી ગયો તો દોષ એ કોનો ?

કશ્યપે કે ઈશ્વરે પ્રહલાદની આબરૂ લઈ લીધી ?

 .

આયખું આખુંય જલસાથી મધુર રીતે મેં જીવીને,

જિંદગીના સાવ કડવા સ્વાદની આબરૂ લઈ લીધી.

 .

આ તમારું મૌન મારા મૌનમાં અક્ષરશ: ઓગાળી,

શબ્દના સૌ છીછરા અનુવાદની આબરૂ લઈ લીધી.

 .

( અનિલ ચાવડા )

કેન્વાસ – હેમેન શાહ

કેન્વાસ પર એક ઊભી રેખા દોરી હતી.

બાકી અવકાશ

સામે ઊભેલી વ્યક્તિ કહે,

આ તો ગાંધીજી !

આ ગાંધીજીની લાકડી

અને ગાંધીજી પડદા પાછળ.

પણ લાકડી તો બીજા પણ રાખે કદાચ.

તો એ રેખાને ચશ્માંની દાંડી તરીકે

પણ તો જોઈ શકાય.

 .

બીજો માણસ કહે,

આમાં તો પૃથ્વીનો આખો ઈતિહાસ આવી જાય.

પણ સીધી રેખા પૃથ્વી કેવી રીતે બને ?

કેમ ? રેખાને વાળો અને બે છેડા ભેગા કરો

તો પૃથ્વી ના બને ?

પછી તો પૈડું પણ આ જ

અને શૂન્ય પણ આ જ.

ઓહો ! આમાં તો

evolutionની નિર્થકતાનો પણ ભાવ છે.

 .

ત્રીજો કહે,

આ સીધી રેખામાં તો આખું કલા-જગત છે,

કલમ પણ આ જ, પીંછી પણ ને ટાંકણું પણ.

રેખાને તમે વચ્ચે વચ્ચેથી જાડી કરો

તો નૃત્ય કરવા તત્પર સ્ત્રી પણ બને.

અને ખૂબી જુઓ કે

આ એ કલમ છે જેમાંથી શબ્દ ટપક્યો નથી.

એ પીંછી જેમાંની ચિત્ર થયું નથી.

ટાંકણું પથ્થરની રાહ જુએ છે.

અને નૃત્ય પણ થવાનું બાકી છે.

 .

ચોથો કહે,

આ રેખાથી એક સીમા બંધાઈ જાય છે.

રેખા હટાવીને માત્ર કેન્વાસને જુઓ.

કેટલા અનંત વિકલ્પો છે.

 .

( હેમેન શાહ )

છીપ ખોલીને જોઉં… – યોગેશ જોષી

.

સ્વાતિ નક્ષત્રની એ વરસાદી સાંજ

ફરી પાછી

આ ચોમાસે

પંખી માળામાં પાછું ફરે તેમ

ઊડતી ઊડતી ઊડતી

આવી ચડી

મારી ભીતર…

કશાય કારણ વિના જ

કોઈ જન્મની ઉદાસી

ઘેરાવા લાગી ઘનઘોર

મારી ભીતર…

કોઈ વિરાટકાય પંખી

ઈંડું સેવે તેમ

મારી ભીતર

એ વરસાદી સાંજ

સેવવા લાગી કશુંક!!!

મરજીવાની જેમ

હું

ડૂબકી મારું છું

મારી ભીતર…

દરિયો આખો ડહોળું

હાંફું

ગૂંગળાઉં…

શ્વાસ લેવા આવું જરી બહાર

ફરી

ડૂબકી…

…છેવટે

હાથમાં આવે છે

એક છીપ…

છીપ

ખોલીને જોઉં છું

તો અંદર

મોતીના બદલે

દરિયો!!!

 .

( યોગેશ જોષી )

માણસ – ભગવતીકુમાર શર્મા

બાણ વગરની શૈયા પર પોઢેલો માણસ;

ભીતરના જખ્મોથી રક્તનીંગળતો માણસ.

.

યુધિષ્ઠિર તો એને શાના મળવા આવે ?

પણ ઈશ્વરનું નામ સતત ઉચ્ચરતો માણસ.

 .

ભીષ્મપ્રતિજ્ઞા એણે તો ક્યારેય ન લીધી;

તોય અડગ નિર્ધારનું પાલન કરતો માણસ.

 .

દ્યુતસભામાં પાંડવ કેવળ પાંચ નહોતા;

ચીર દ્રૌપદીનાં આંખે બાંધેલો માણસ.

 .

વિષાદ પર અર્જુનનો એકાધિકાર નહોતો;

કૃષ્ણ-પ્રતીક્ષાના રણમાં ડૂબેલો માણસ.

 .

( ભગવતીકુમાર શર્મા )