મેઘદૂત-ઉત્તર મેઘ


‘હે વાદળ ! અલકાપુરીના ઊંચા ઊંચા મહેલો બધી રીતે તમારા જેવા છે. તમારી પાસે વીજળી છે, તો એ મહેલોમાં સ્ત્રીઓ રહે છે. તમારી પાસે ઈન્દ્રધનુષ, છે તો એ મહેલમાં રંગબેરંગી છબીઓ ટીંગાડેલી છે. તમે મીઠા સ્વરથી ગંભીર ગર્જના કરી શકો છો તો મહેલોમાં પણ સંગીતના સમયે મૃદંગ વાગે છે, તમારી અંદર આસમાની રંગનું જળ છે, જેનાથી તમે કાન્તિમાન છો, તો તે મહેલ નીલમ આદિ રત્નોથી જડેલાં હોવાથી કાન્તિમાન છે. તમે ઊંચાઈ પર હશો તો ત્યાંના ભવનો પણ ગગનચૂંબી છે’.

‘જુઓ મિત્ર, ત્યાંની કુળવધૂઓ હાથમાં કમળનાં ઘરેણાં પહેરે છે. વાળમાં, અંબોડામાં, કાનમાં અને સેથાંમાં જાતજાતનાં ફૂલો ગૂંથે છે. મોઢા ઉપર ફૂલોનો પરાગ મસળે છે. ત્યાં આગળ બારે મહિના ફૂલ આવે એવાં ઘણાંયે ઝાડ છે, જેના ઉપર ભ્રમરો મસ્ત બનીને ગણગણ કરે છે. હમેશાં ખીલે એવાં કમળ અને કમલિનીઓને હંસ ઘેરીને ફરે છે. ત્યાં આગળ હમેશાં ચમકે તેવા પાંખોવાળા પાળેલા મોર ઊંચું મોઢું કરીને રાતદિવસ ટહુક્યા કરે છે. ત્યાંની રાત  સદા પૂર્ણિમાના પ્રકાશથી દેદીપ્યમાન હોવાને કારણે ખૂબ જ પ્રિય અને મનોહર લાગે છે. તેઓ પ્રેમમાં જ રૂઠે છે અને કોઈ કોઈથી વિખુટું પડતું નથી. તેઓ સદાકાળ જુવાન જ રહે છે. ત્યાંની કન્યાઓ બહુ જ સુંદર છે. પોતાની મુઠીમાં રત્નો લઈને એમના સોનેરી વાળમાં સંતાડીને તેને ગોતવાની રમત રમ્યા કરે છે’.

‘હે વાદળી ! તમારાં જેવાં ઘણાંયે વાદળો હવાની લહેરો જોડે એવા ઊંચા ઊંચા મહેલો ઉપરના ખંડોમાં ઘૂસી જાય છે અને ત્યાંની દીવાલો પર ટાંગેલાં   ચિત્રોને પોતાના ફુવારાઓથી ભીંજવી નાંખે છે અને ત્યાર પછી ભયના માર્યા ઝરુખામાંની જાળીઓમાંથી સંતાતા, છુપાતા, ચૂપકીથી ભાગી જાય છે. ધુમાડાના જુદા જુદા આકાર બનાવવામાં તેઓ બહુ ચતુર છે. ત્યાંના લોકો ખૂબ વિલાસી છે. ત્યાં શૃંગારની બધી સામગ્રી એકલા કલ્પવૃક્ષમાંથી જ મળી રહે છે. ત્યાંના શામળા ઘોડા પોતાના રંગ અને પોતાની ચાલની સામે સૂરજના ઘોડાને પણ ગણકારે તેવા નથી. ત્યાંના હાથી પહાડ જેવા શરીર અને આકારવાળા છે. તે એવા પ્રકારે મદ વરસાવશે કે જે પ્રકારે તમે જળ વરસાવશો. ત્યાંના યોદ્ધાઓ એવા લડાયક છે કે જેમણે પોતાનાં બધાં ઘરેણાં ઉતારી દીધાં છે, કારણ કે તેઓ બધા ઘાનાં નિશાનોને જ ઘરેણાં સમજે છે જે તેમણે રાવણની જોડે યુદ્ધ કરતાં સમયે ચન્દ્રહાસ નામની તલવાર વડે પડ્યા હતા. ત્યાં કુબેરના મિત્ર શિવજી પણ છે’.

‘એ જ અલકાપુરીમાં કુબેરની ઉત્તરમાં મોટું ઘર છે. એનું દ્વાર ઈન્દ્રધનુષ્યના જેવું સુંદર અને ગોળ છે. એવું મારું ઘર તમને દૂરથી નજરે પડશે. એની પાસે એક નાનું કલ્પવૃક્ષ છે. એને મારી પત્નીએ પુત્રની જેમ પોષ્યું છે. ફૂલોના બોજાથી એ એટલું લચી પડેલું હશે કે તેની નીચે ઊભા રહીને કોઈ પણ માણસ હાથેથી ફૂલો તોડી શકે છે. જ્યારે તમે ઘરની અંદર જશો ત્યારે તમને એક વાવ મળશે. એનાં પગથિયાં ઉપર નીલમ જડ્યાં છે. એમાં વૈદૂર્યમણિ નામનાં અનેક સુંદર કમળો ખીલ્યાં હશે. એના જળમાં રહેવાવાળા હંસ એટલા સુખી છે જે તમને જોઈને તેઓ પાસે આવેલા માનસરોવર પર પણ જવાનું ભૂલી જશે’.

‘એ વાવના કાંઠા પાસે એક બનાવટી પહાડ છે. એનું શિખર નીલમણિનું બનેલું છે. ચારે તરફ સોનેરી કેળાથી ઘેરાયેલું હોવાથી એની છબી જોતાં વેંત જ થઈ જાય છે. દોસ્ત, એ પર્વત મારી પત્નીને બહુ જ પ્રિય છે. એટલે જ્યારે તમને જ વીજળીની સાથે હું જોઉં છું તો મારું મન ઉદાસ થઈ જાય છે અને મને તે પહાડની યાદ આવી જાય છે. આ બધું હું એકલો હોવાને કારણે જ થાય છે. એ બનાવટી પહાડ પાસે કુરબકનાં ઝાડથી ઘેરાયેલો માધવીમંડપ છે. એની પાસે બે વૃક્ષ છે. એક લાલ અશોકનું અને બીજું બોરસલ્લીનું’.

‘એ બન્ને ઝાડની વચ્ચે એક ચોકી છે જે નવા વાંસના જેવા ચમકતા મણિઓની બનાવેલી છે. એ ચોકીની ઉપર વળી એક ચોરસ પટ્ટી રાખવામાં આવી છે. એ પટ્ટી ઉપર સોનાની એક સેર રાખી છે. તમારો મિત્ર મોર રોજ સાંજે એના પર આવીને બેસે છે અને મારી પત્ની એને ઘુઘરાવાળા કંગન પહેરેલા હાથ વડે તાલ દઈને નચાવે છે’.

‘હે ભલા માણસ ! જો તમે મારાં બતાવેલાં આવાં ચિહ્નોને બરાબર ધ્યાનમાં રાખીને મારા બારણા પર શંખ અને પદ્મનાં બનાવેલાં ચિત્રો જોશો કે તરત જ તમે મારું ઘર ઓળખી કાઢશો. હવે તો હું ન રહેતો હોવાથી મારું ઘર બહુ જ સૂનું સૂનું અને ઉદાસ દેખાતું હશે, જેમ સૂર્યનો અસ્ત થવાથી કમળ ઉદાસ થઈ જાય છે. જુઓ, તમારે જલદીથી મારા ઘરમાં જવું હોય તો હાથીના બચ્ચાની જેમ નાના થઈ જશો અને રમવા માટે બનાવેલા પહાડનાં શિખરો પર બેસી જશો. પછી તમારી વીજળીની આંખો આગિયાની જેમ વારે વારે ચમકવશો અને મારા ઘરમાં જઈને બંધ કરી દેજો. ત્યાં આગળ તમને નાજુક ઝીણા દાંતવાળી, લાલ હોઠવાળી અને પાતળી કમરવાળી તથા ડરી ગયેલી હરણીની જેવી આંખોવાળી એક યુવતી નજરે પડશે. તે જ મારી પત્ની છે એમ સમજશો. તે બહુ જ સુંદર છે; માનો કે બ્રહ્માની ઊંચામાં ઊંચી કારીગરી છે. પણ હું ત્યાં ન રહેતો હોવાથી એનું રૂપ બદલાઈ ગયું હશે. તે જાણે હલેસાંથી મારેલી કમલિની જેવી લાગતી હશે. રાત અને દિવસ રોતી હોવાના કારણે એનાં નયન સૂજી ગયાં હશે. ચિંતાના કારણે ગાલ ઉપર હાથ મૂકવાથી અને મોઢા ઉપર વાળ આવી જવાથી એનું અર્ધું ઢાંકેલું મુખ જાણે વાદળાંઓથી ઢાંકેલા ચંદ્રની જેમ ફિક્કું અને ઉદાસ દેખાતું હશે. જુઓ, વાદળ, કાં તો તમે તેને મારી શુભ કામનાને માટે દેવતાઓની પૂજા કરતા દેખશો અથવા તો તે કલ્પનાથી મારું ચિત્ર બનાવતી હશે અથવા તો પિંજરામાં બેઠેલી મેના સાથે કંઈ વાતચીત કરતી હશે. અથવા તો હે ભાઈ ! તે મેલાં વસ્ત્રો પહેરીને પોતાનાં ખોળામાં વીણા રાખીને મારા નામનાં આંસુઓથી ભીંજાયેલી વીણાને જેમતેમ લૂછી લેશે; પણ જ્યારે મારી યાદ આવશે ત્યારે બેહોશ થઈ જશે કે વીણાના મેળવેલા તારોને ચડાવવા કે ઉતારવા પણ ભૂલી જશે. અથવા તો અમારા વિરહના દિવસથી તે દરરોજ ઉંબરા ઉપર જે ફૂલો મૂકતે હશે તે ધરતી ઉપર પાથરીને ગણતે હશે કે હવે મારા આવવાના દિવસો કેટલા બાકી રહ્યા’.

‘હે મિત્ર ! સંસારની ગડમથલમાં તે દિવસ તો ગમે તેમ વિતાવતી હશે, પણ રાત વિતાવવી તેને માટે બહુ જ કઠણ થઈ પડતી હશે. માટે તું મારો સંદેશો સાંભળી એને સુખી કરવા માટે અર્ધી રાત્રે મારા ઘરમાં ઝરૂખા આગળ બેસીને એને જોજે. તે વખતે તે અર્ધનિદ્રામાં ધરતી ઉપર પડી હશે. તેની સખીઓ તેની પાસે હશે. દુનિયામાં બધી સ્ત્રીઓ પોતાની સખીઓના દુ:ખના સમયે એમનો સાથ છોડતી નથી. તેથી થોડીવાર પલંગ પાસેની બારી પાસે રાહ જોશો. તેઓ જ્યારે સૂઈ જાય ત્યારે તમે મારે પત્ની પાસે જજો. તે બહુ દુ:ખી હશે. તે ધરતી પર ચત્તીપાટ પડી હશે અને આંસુ વહાવતી હશે. તેની એવી દશા જોઈને તમે પણ રડ્યા વગર રહેશો નહિ. બીજાનું દુ:ખ જોઈને એવા કોમળ હ્રદયવાળો કોણ છે કે જેનું મન કરુણાથી આર્દ્ર ન થઈ જાય’.

‘જે મેઘ ! તમે પહોંચશો એટલે તેનું ડાબું નેત્ર ફરકવા લાગશે. પણ જો તે સમયે તે સૂતી હોય તો તમે શાંત બેસી રહેજો. એને ઉઠાડશો નહિ. પણ જુઓ, એક પહોર તમે બેસી રહો અને તો પણ તે આંખો ન ઉઘાડે તો તમે તમારા જળથી ઠંડા કરેલા પવન વતી તેને જગાડશો. જ્યારે એ તમને છજામાંથી એકીટશે જુએ ત્યારે તમે વીજળીની જેમ લપાઈને તેની સાથે વાત કરશો. તમારે એને કહેવું, ‘હે સૌભાગ્યવતી ! હું તમારા પતિનો પ્રિય મિત્ર મેઘ છું. તમારી પાસે એમનો સંદેશો લઈને હું આવ્યો છું’. એ સાંભળીને તે તમારી સામે જોઈને બહુ જ પ્રેમથી, પ્રસન્નતાથી અને આદરથી મારો સંદેશ એવી રીતે સાંભળશે કે જેમ સીતાજીએ હનુમાનજીની વાતો સાંભળી હતી ! પ્યારા દોસ્ત ! તમારે એમ કહેવું, ‘તમારા પતિ રામગિરિ આશ્રમમાં કુશળ છે અને તમારા કુશળ સમાચાર જાણવા આતુર છે. જેના પર અચાનક વિપત્તિ આવી ગઈ છે, એને આમ જ કહેવું યોગ્ય છે. એને કહેવું કે બ્રહ્માએ એમનો માર્ગ રોકી રાખ્યો છે, તે તને મળી નહિ શકે. તારા વિયોગથી બહુ દુ:ખી છે અને તે જાણે છે કે તું પણ તેવી જ રીતે દુ:ખી હશે. તું ખૂબ દૂબળી થઈ ગઈ હશે. ખૂબ રોતી હશે. તે તને ચોવીસે કલાક યાદ કર્યા કરે છે પણ આંખમાં આંસુ આવી જવાથી કંઈ જોઈ શકતો નથી. તે મનમાં ને મનમાં એક જ કામના કર્યા કરે છે કે કોઈ પણ પ્રકારે રાતના ત્રણ લાંબા પ્રહરો એક ક્ષણની જેમ નાના થઈ જાય, પરંતુ એ બધી પ્રાર્થના વ્યર્થ થઈ જાય છે’.

‘તમારે એને કહેવું, મારો જીવ ઊંડો ઊંડો જતો રહે છે. તો પણ હું વિચારીને જીવ સાથે માંડવાળ કરું છું. તું પણ બહુ દુ:ખી થઈશ નહિ. દુ:ખ અથવા સુખ સદાયે રહેતાં નથી. એ તો પૈંડાના ચકકરની જેમ ફર્યા કરે છે. જો, આવતી દેવઊઠી એકાદશીને દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા ઉપરથી ઊઠશે ત્યારે મારો શાપ પણ પૂરો થશે. એટલા માટે હવે બાકી રહેલા ચાર મહિનાઓ આંખ મીંચીને જેમ તેમ કરીને વિતાવી કાઢશો. ત્યાર પછી આપણે તો મળીશું જ. લોકોના કહેવાથી મારા પ્રેમ વિષે કોઈ પણ જાતની શંકા તારે લાવવી નહિ. કોણ જાણે લોકો એમ કેમ કહેતા હશે કે વિરહમાં પ્રેમ ઓછો થઈ જાય છે ! સાચી વાત તો એ છે કે જ્યારે મનમાં જોઈએ તે વસ્તુ મળતી નથી ત્યારે તે મેળવવા માટેની ઝંખના બહુ વધે છે અને તે મેળવવા માટે બધો પ્રેમ ભેગો થઈ જાય છે’.

‘વાદળ ! જુઓ, તમારી દુ:ખી ભાભીને આવી રીતે દિલાસો દઈને તેના ખુશીખબર જાણી લઈને અને તમે મળ્યા છો એની ખાતરી લઈ આવીને મારી પાસે આવશો અને મારા પ્રાણનું રક્ષણ કરશો. તમે મારું આ કામ કરશો ખરું ને? મારા વહાલા ભાઈ ! હું આવું પૂછું છું એટલા ઉપરથી તમે એમ ન માની બેસશો કે તમારી પાસેથી ‘હા’ પડાવ્યા પછીથી તમને આ કામ માટે યોગ્ય નથી સમજતો. ના હું જાણું છું કે જ્યારે ‘ચાતક’ તમારી પાસે પાણી માગે છે ત્યારે તમે જવાબ આપ્યા વગર જ પાણી આપો છો. સજ્જનોની આ જ રીત છે કે જ્યારે તેમની પાસે કોઈ માંગે છે ત્યારે તેઓ મોઢેથી કાંઈ કહેતા નથી. એનું કામ પૂરું કરી આપે છે. હે મેઘ ! અગર જો મારી પ્રાર્થના અનુચિત હોય તો પણ મિત્રના સંબંધથી અથવા મારા પર દયા લાવીને પણ મારું આ કામ પહેલું કરી આપજે, પછી તારે તારું વરસાદનું રૂપ લઈને ઈચ્છા આવે ત્યાં ફરજે. હું એટલું જ ઈચ્છું છું કે તમારી વીજળી તમારાથી કોઈ દિવસ અલગ ન થાય !’

યક્ષની આ વાતો સાંભળીને પોતાની ઈચ્છાનુસાર રૂપ બદલી શકે એવું આ વાદળું રામગિરિ પર્વત ઉપરથી ઊપડયું. ક્યારેક પર્વતો ઉપર, ક્યારેક નદીઓ પાસે તો ક્યારેક શહેરોમાં વિશ્રામ કરતું થોડા દિવસોમાં જ અલકાપુરી જઈ પહોંચ્યું. બતાવેલાં ચિહ્નો જોઈને યક્ષનું સોના જેવું ચળકતું ઘર શોધી કાઢ્યું. અંદર જઈને એણે જોયું તો યક્ષની સ્ત્રી બિચારી ધરતી ઉપર પડી હતી. એ જોઈને સર્વનું ભલું ઈચ્છનારા એવા ભલા મેઘે તેનો પ્રાણ બચાવવા માટે એના પ્યારા પતિનો મધુર સંદેશ એને સંભળાવ્યો. પોતાના પ્યારા પતિના કુશળ સમાચાર સાંભળી યક્ષની પત્નીના હૈયામાં આનંદ ન સમાયો. એને ખૂબ શાંતિ વળી. ખરેખર સારા માણસોને કામ સોંપીએ તો એ અવશ્ય પૂરું કરે છે.

અહીં યક્ષોના રાજા કુબેરે પણ જ્યારે આ સંદેશની વાત સાંભળી ત્યારે તેના મનમાં બહુ જ દયા ઊપજી. એનો ક્રોધ ઊતરી ગયો અને એનો શાપ પાછો ખેંચી લઈને બન્ને જણાંનો મિલાપ કરી દીધો.

આવા મિલનથી એનાં બધાં દુ:ખો દૂર થઈ ગયાં અને તેઓ પહેલાંની જેમ પ્રસન્નતાથી રહેવા લાગ્યાં એટલું જ નહિ પણ કુબેરે એવો પ્રબંધ કરી આપ્યો કે ફરી પાછું ક્યારેય પણ દુ:ખ એમની પાસે ફરકે પણ નહિ !

મેઘદૂત-પૂર્વમેઘ

आषाढ्स्य प्रथम दिवसे બોલીએ એટલે તરત કવિ કાલિદાસ અને તેમનું શ્રેષ્ઠ સર્જન “મેઘદૂત” યાદ આવે. આજે પણ અષાઢ માસનો પહેલો દિવસ છે. તો આપણે કવિ કાલિદાસ કૃત “મેઘદૂત”  માણીએ. એનો કથાસાર શ્રી વિષ્ણુ પ્રભાકરે લખ્યો છે અને અનુવાદ કનુભાઈ વોરાએ કર્યો છે. વોરા એન્ડ કંપની પબ્લિશર્સ લિમિટેડ દ્વારા સંસ્કૃત સાહિત્યમાળા શ્રેણી અંતર્ગત આ પુસ્તિકા ૧૯૫૬માં પ્રકાશિત થઈ હતી. અને તેનું મૂલ્ય હતું છ આના.

પૂર્વમેઘ

ઉત્તર દિશામાં આવેલા હિમાલય પર્વતની ઉપર યક્ષોના રાજા કુબેરની રાજધાની અલકાપુરી છે. ત્યાં એક યક્ષ, રાજાની સેવામાં રહેતો હતો, પણ તેનું મન હંમેશા પોતાની પત્નીમાં રહ્યા કરતું હતું. આવી લગનીમાં એક દિવસ તેનાથી કંઈ ભૂલ થઈ ગઈ, એટલે કુબેરને ખૂબ ક્રોધ ચડ્યો અને તેણે યક્ષને એક વરસ માટે દેશનિકાલની સજા કરી. આવા શાપને લીધે એનો બધો રાગરંગ ઊતરી ગયો, કારણ કે તે પોતાની પત્નીને સાથે લઈ જઈ શકે તેમ ન હતું. વિરહના દિવસો ગાળવા માટે તે દક્ષિણમાં રામગિરિ નામના પર્વત ઉપર આવેલા આશ્રમોમાં જઈને રહેવા લાગ્યો, જ્યાં ત્રેતાયુગમાં શ્રીરામચન્દ્રજી અને સીતાજી વનવાસનો વખત પૂરો કરવા રહ્યાં હતાં. અહીંના કુંડ અને તળાવોમાં સીતાજીએ સ્નાન કર્યું હોવાથી એ પવિત્ર બન્યાં હતાં અને ઘટાદાર વૃક્ષો પોતાની છાયા પાથરીને ફાલી રહ્યાં હતાં.

વિરહના દિવસો ગાળતો યક્ષ ધીરે ધીરે એટલો દુર્બળ થઈ ગયો કે તેના હાથમાંના સોનાના કંકણ પણ ઢીલા પડી ગયાં, તો પણ આવી રીતે કલ્પાંત કરતા તેણે આઠ મહિના વીતાવ્યા. આખરે અષાઢ મહિનાનો પહેલો દિવસ આવ્યો. તે દિવસે તેણે જોયું કે સામેના પહાડની ટોચ ઉપર એવી રીતે વાદળ છવાયું હતું કે જાણે કોઈ હાથી પોતાના મસ્તક વડે માટીનું ઢેફું નીચે પાડવા રમત રમી રહ્યો હોય !

મનમાં પ્રેમ જગાડનાર એ વાદળાં જોઈને યક્ષની આંખો આંસુથી ઊભરાઈ ગઈ અને તે ઘણીવાર સુધી સ્થિર ચિત્તે તેના તરફ જોઈ રહ્યો અને મનમાં વિચાર કરવા લાગ્યો. વાદળોને જોઈને સુખી લોકોનું મન પણ ડામાડોળ થઈ જાય છે તો યક્ષ તો બિચારો દુ:ખી હતો; ઘરથી દૂર હતો. એ વાદળું જોઈને તે વિચાર કરવા લાગ્યો, ‘હવે અષાઢ વીતી જશે અને શ્રાવણ આવશે, ત્યારે મારી પત્નીની દશા કેવી થશે? હું ત્યાં નહિ જઈ શકું, પણ આ વાદળોની મારફતે હું મારા કુશળ સમાચાર તો જરૂરથી મોકલી શકીશ, તેથી તેને ધીરજ રહેશે તે સુખી થશે’. બસ, આમ વિચાર કરીને તે બહુ જ પ્રસન્ન થઈ ગયો. આ પછી તરત જ તેણે પ્રથમ ફૂલોથી વાદળોની પૂજા કરી અને પ્રેમભરી વાણીથી કુશળ સમાચાર પૂછી તેનું સ્વાગત કર્યું. જરા વિચાર તો કરો, ક્યાં ધુમાડો, આગ, જળ અને હવાના મેળથી બનેલું પેલું વાદળુ અને ક્યાં ચતુર અને બુદ્ધિશાળી લોકો જ લાવજા કરી શકે એવો આ સંદેશો. પણ તે યક્ષને તો પોતાના શરીરનું પણ ભાન ન હતું. એ આવી વાતો ઉપર વિચાર પણ કેવી રીતે કરી શકે? તે તો બિચારો પોતાનો સંદેશો મોકલવા માટે વાદળાંની પછવાડે દોડવા લાગ્યો.

વાદળોનાં વખાણ કરતો તે બોલ્યો, ‘દુનિયામાં વાદળોનાં બે ઊંચા કુળ પ્રસિદ્ધ છે. એક પુષ્કર અને બીજું આવર્તક. એવા ઊંચા કુળમાં તેમે જન્મ લીધો છે. તમે દેવરાજ ઈન્દ્રના દૂત છો. તમે જેવું ચાહો તેવું રૂપ બનાવી શકો છો. આવા જ ગુણોથી પ્રેરાઈને હું આપની આગળ હાથ લંબાવું છું, કારણ કે ગુણવાન માણસ પાસે હાથ લાંબો કરીને નિરાશ થવું સારું છે, પણ નીચ વ્યક્તિના આગળ મનગમતું ફળ મેળવવું પણ સારું નથી’.

‘હે મેઘ, તમે દુ:ખીઓને શરણ આપવાવાળા છો અને કુબેરના ક્રોધને લીધે હું ઘરથી વિખૂટો પડી બહુ જ દુ:ખી થઈ રહ્યો છું, તેથી તમે મારો સંદેશો પહોંચાડવા માટે તમારે યક્ષોની નગરી અલકાપુરી જવું પડશે. ત્યાં આગળ યક્ષ લોકો ભારે ઠાઠમાઠથી રહે છે. ગામ બહાર આવેલા બાગમાં શિવજીની એક મૂર્તિ છે. એમનું લલાટ ચન્દ્રજડિત છે. તેના પ્રકાશથી આખી નગરીના ઊંચા ઊંચા મહેલોમાં પણ હંમેશા અજવાળું રહ્યા કરે છે’.

‘જ્યારે તમે હવાની પાંખ ઉપર સવાર થઈને ઉપર ચઢશો તો તમને જોઈને જેમના પતિ પરદેશ ગયા છે એવી ત્યાંની સ્ત્રીઓની ધીરજ વધશે. ઓ વાદળ ! એવી કોઈ જગ્યા નથી કે જ્યાં તમે ન પહોંચી શકો. માટે તમારી પતિવ્રતા ભાભીને જરૂર શોધી કાઢશો. તે બેઠી બેઠી મારા પાછા આવવાના દિવસો ગણતી હશે. વિરહવ્યથા ભોગવતાં માણસો પુનર્મિલનની આશા ઉપર જ જીવતા રહે છે’.

‘જુઓ, શુકન પણ બધા સારા થઈ રહ્યા છે. તમારો સાથી વાયુ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ડાબી બાજુએ વર્ષોની રાહ જોતાં ચાતક પંખી પોતાની મીઠી વાણી બોલી રહ્યાં છે. તમારું સુંદર સલોણું રૂપ જોઈને બગલાઓ પંખો નાખવાને માટે ઊડીને આવતા હશે. જે ધરતીને સીંચીને ફળદ્રુપ બનાવે છે તે કાનોને પ્રિય લાગે તેવી તમારી ગર્જના સાંભળીને માનસરોવરમાં જનારા રાજહંસો પોતાની ચાંચમાં કમળની દાંડીઓ લઈને કૈલાસ પર્વત સુધી તમારી સાથે સાથે ઊડશે. ઓ વાદળ ! તમે જે પહાડ ઉપર છો તેના ઉપર ઠેકાણે ઠેકાણે રામચંદ્રજીનાં પગલાનાં નિશાન છે. એ પગલાંઓનાં નિશાનને આખું જગત પૂજે છે. તમે જ્યારે જ્યારે અહીંયા મળવા આવો છો ત્યારે ત્યારે બહુ દિવસે મળ્યા હોવાને કારણે તે પોતાનો પ્રેમ તાજા આંસુ પાડીને પ્રકટ કરે છે’.

‘ઠીક ત્યારે, હવે હું તમને જવામાં મુશ્કેલ ન થાય એવો રસ્તો બતાવું છું. ત્યાર પછી તમને સંદેશો આપીશ. જુઓ, જ્યારે ચાલતાં ચાલતાં તમે થાકી જાઓ ત્યારે રસ્તામાં આવેલી પહાડની ટોચ ઉપર થોભી જજો. અને જ્યારે તરસ્યા થાઓ ત્યારે ઝરણાનું પાણી પીજો. જ્યારે તમે પહાડ ઉપરથી ઊડશો ત્યારે સિદ્ધોની ભોળી સ્ત્રીઓ અચંબાથી તમારી તરફ જોશે. એમને એવું લાગશે કે જાણે હવા પહાડનાં શિખરો ઉપર ઊડવાને માટે જઈ રહી છે. આ પ્રમાણે ઊડતા ઊડતા તમારે ઉત્તર તરફ વળી જવું’.

‘જુઓ, પેલો સામે રત્નોની માફક ચમકતા ઈન્દ્રધનુષ્યનો એક ટુકડો દેખાય છે તેનાથી તમારું શામળું શરીર એવું સુંદર થઈ ગયું છે કે જાણે મોરમુકુટ પહેરીને ગોવાળના વેશમાં નંદકિશોર આવીને ઊભા ન હોય ! ખેતરમાં પાક થવો ન થવો એ બધું તમારા ઉપર નિર્ભર છે, એટલે બિચારી ભોળી સ્ત્રીઓ તમારી તરફ ખૂબ પ્રેમ અને આદરથી જોશે. ત્યાં માલદેશના તાજાં ખેડાયેલાં ખેતરોમાં વરસાદનાં ઝીણાં ઝીણાં ફોરાં પડવાથી માટીમાંથી સરસ સુગંધ આવી રહી છે. ત્યાં આગળ વરસીને તમે પશ્ચિમ તરફ વળી જશો અને જલ્દીથી ઉત્તર તરફ પ્રયાણ કરશો. જ્યારે તમે આમ્રકુટનાં જંગલોમાં મુસળધાર જળ વરસાવશો તો તે તમારો ઉપકાર માનીને ખૂબ પ્રેમ અને આદરથી મિત્રની સમાન તમને તે શિખર ઉપર રહેવા દેશે. પાકાં ફળોથી લચી પડેલાં આમ્રવૃક્ષોથી ઘેરાઈ જવાને લીધે એ પીળું દેખાશે. થોડીવાર રોકાઈને તમે આગળ વધશો. જળ વરસી નાંખવાથી તમારું શરીર હલકું થઈ જશે અને તેથી તમારી ચાલને વેગ મળશે. ત્યાંથી આગળ વિન્ધ્યાચળના પથથરવાળા વિસ્તાર ઉપર અનેક ધારાઓમાં વહેતી રેવા નામની નદી મળશે. ઉપરથી તમને એ એવી દેખાશે કે જાણે મોટા હાથીના શરીર પર ભભૂતથી ચિત્રકામ કરવામાં આવ્યું છે. ત્યાં વરસીને અને તેનું જળ પીને તમારે આગળ વધવું. પાણી પીને જ્યારે તમે ભારે થઈ જશો ત્યારે હવા તમને અહીંતહીં ઝુલાવી નહિ શકે. હું જાણું છું કે મારા કામ માટે તમે ક્યાંય પણ રોકાયા વિના જલદી ચાલ્યા જશો. તો પણ હું માનું છું કે કુટજનાં ફૂલોથી આચ્છાદિત થયેલા પહાડો ઉપર તમારે થોભવું તો પડશે જ. કારણ કે ત્યાં હર્ષનાં આંસુથી ભરેલી મોરની આંખો પ્યારભર્યા ટહુકાથી તમારું સ્વાગત કરશે. પણ મને આશા છે કે તે ગમે તેમ હોય, તમારે જલદી જલદી આગળ વધતા રહેવું’.

‘ત્યાંથી થોડેક દૂર જશો એટલે દશાર્ણ દેશમાં આવી પહોંચશો. ખીલેલા કેવડાને લીધે ત્યાંનાં ઉપવન ઊજળાં દેખાશે. ત્યાંના ગામનાં મંદિરો પક્ષીઓના માળાથી ભરપૂર થયેલાં મળશે અને જંગલો પાકેલાં કાળાં જાંબુથી ભરેલાં હશે. ત્યાં કેટલાક દિવસ હંસ પણ રહેશે. આ દેશની રાજધાની વિદિશા છે. ત્યાં આગળ તમારે સુંદર નાચતી લહેરોવાળી વેગવતી નદીની પાસે ‘નીચ’ નામની ટેકરીઓ ઉપર થાક ઉતરવા માટે ઊતરી જવું. ત્યાં આગળ ખીલેલાં કદમ્બનાં વૃક્ષો એવાં લાગશે કે જાણે તમને મળવા માટે પુલકિત થયાં છે. થોડો વખત થાક ઉતારી અને નદીના તટ ઉપર ઉપવનોમાં જે જુઈની કળીઓ ખીલી છે તેના ઉપર પાણી સીંચીને અને માલણોની જોડે ઓળખાણ કરતા તમારે આગળ વધવું’.

‘કદાચ તમારે જરા ફરીને જવું પડશે કારણ કે તમારે ઉત્તર તરફ જવાનું છે. તો તમે ઉજ્જયિની નગરીનો રાજવૈભવ જોવાનું ભૂલશો નહિ. એ રસ્તે જતાં રસ્તામાં નિર્વિન્ધ્યા નદીનું જલપાન કરવું. નદીની લહેરો ઉપર પક્ષીઓ પાંદડાંની જેમ ઊડતાં હશે અને એવી સુંદર રીતે ભમરી ખાઈને વહેતી હશે કે એમાંની ભમરીઓ સુંદર નાભિ જેવી તમને દેખાશે. જળ વરસાવીને તમે એને ભરી દેશો. અહીંથી આગળ વધશો એટલે અવન્તિ દેશ આવશે. ત્યાં તમે ધનધાન્યથી ભરેલી વિશાલા નગરી જોશો. ત્યાં ગામનાં બધાં જુવાન તથા ઘરડાં માણસોને મહારાજ ઉદયનની કથા સરસ રીતે આવડે છે. ત્યાં ઉજ્જયિની નગરી એવી લાગે છે કે જાણે પુણ્યાત્માઓ પોતાના પુણ્યના બદલામાં સ્વર્ગનો એક આકર્ષક ભાગ પોતાની સાથે લઈને ધરતી ઉપર આવ્યા ન હોય ! આ નગરી સિપ્રા નદીના કાંઠા ઉપર વસેલી છે. અહીંના બજારોમાં ક્યાંક રત્નજડિત માળાઓ હશે તો ક્યાંક કરોડો શંખ છીપલાં અને ચમકે તેવાં નીલમ પથરાયેલાં નજરે પડશે. એ જોઈને એમ થશે કે જાણે સમુદ્રનાં બધાં રત્નો કાઢીને અહીં લાવીને રાખ્યાં  છે. ત્યાંના જાણકાર લોક બહારથી આવેલાં પોતાનાં સગાંવહાલાંઓને ઉદયન અને વાસવદત્તાની કથા સંભળાવી રહ્યા હશે કે અહીંયા કેવી રીતે વત્સદેશના રાજા ઉદયને ઉજ્જયિનીના મહારાજા ચંદ્રપ્રદ્યોતની વહાલી દીકરી વસવદત્તાને હરાવી હતી. એની ઉપર બનાવેલું તાડનાં વૃક્ષોનું એક સુંદર ઉપવન છે. એના પર નલગિરિ નામનો હાથી ખૂંટો ઉખાડી નાંખીને અહીંથી ત્યાં ઘૂમતો ફરતો હશે. ત્યાંના મોર તમને પોતાના સમજીને નાચગાન કરીને તમારો સ્વાગતસત્કાર કરશે. ફૂલોની સુગંધથી મહેકતા ત્યાંના ભવનોની સજાવટ જોઈને તમારે થાક ઉતારવો અને પછી ત્રણે લોકોના ચંડીશ્વર મહાકાલના પવિત્ર મંદિરની તરફ જવું. ત્યાં શિવનાં વૃંદો પોતના સ્વામીના નીલકંઠના જેવી વાદળી જોઈને તમારું બહુમાન કરશે. જો તમે એ મંદિરમાં સાંજ પહેલાં પહોંચી જઓ તો આરતી થાય ત્યાં સુધી રોકાઈ જશો અને પછી જ્યારે મહાકાલ તાંડવ નૃત્ય કરવા લાગશે ત્યારે તમે સાંજનો ગુલાબી પ્રકાશ લઈને વૃક્ષો ઉપર પાથરી દેશો. આને લીધે એવું લાગશે કે જાણે શિવજીએ હાથીના શરીરની ખોળ ઓઢી લીધી છે. એ જોઈને પાર્વતી બી જશે પણ પછી તમને ઓળખવાથી તેમનો ડર ચાલ્યો જશે અને શંકરમાં તમારી આટલી બધી ભક્તિ જોઈને તે ખૂબ ખુશ થશે. જ્યારે વારંવાર ચમકવાથી તમારી બહેનપણી વીજળી થાકી જાય ત્યારે તમે એવા કોઈ મકાનની છત ઉપર રાત વિતાવશો કે જ્યાં કબૂતરો રહેતાં હોય. પછી ત્યાંથી સવાર પડે કે તુરત જ નીકળી પડવું, કારણ કે જેણે પોતાના મિત્રનું કામ કરવાનો નિશ્ચય કર્યો છે તેને આળસ કરવું પાલવે નહિ’.

‘ઉજ્જયિનીથી આગળ વધશો કે તમને નિર્મળ જળવાળી ગંભીરા નદી મળશે. તમારા સુંદર શ્યામવર્ણા શરીરની પ્રતિમા એમાં દેખાશે. તમે એનો અનાદર કરશો નહિ. એનું જળપાન કરશો. ત્યાંથી પછી દેવગિરિના પહાડ તરફ જશો. એ દેવગિરિ પર દેવતાઓની સેનાના સેનાપતિ સ્કન્દ ભગવાન રહે છે. એટલે ત્યાં તમે ફૂલો વરસાવનારાં વાદળો બની એના ઉપર આકાશગંગાના જળમાં ભીંજાયેલાં ફૂલો વરસાવશો. એવી રીતે એનું સ્નાન થઈ જશે. તમારે એને જેવો તેવો દેવતા ન માનવો. ઈન્દ્રની સેના બચાવવા માટે એનો જન્મ થયો છે. ત્યાં પહોંચીને તમારે એટલા જોરથી ગર્જના કરવી કે પર્વતોની ગુફાઓ ગાજી ઊઠે. એ ગર્જન સાંભળીને સ્વામી કાર્તિકેયનો મોર નાચી ઊઠશે. એની આંખના ખૂણા શિવના મસ્તક ઉપર વિરાજમાન ચંદ્રમાની ચમકની જેમ ઝળહળી રહ્યા છે. સ્કન્દ ભગવાનની પૂજા કર્યા બાદ તમે જ્યારે આગળ વધશો ત્યારે તમને ચર્મવતી નદી મળશે. એનો આદર કરવા માટે તમારે નીચે ઊતરવું કારણ કે રાજા રંતિદેવના યજ્ઞની કીર્તિ બનીને વહી રહી છે. આ નદીને પાર કરીને તમારે દશપુર તરફ વધવું અને ત્યાંથી બ્રહ્માવર્ત દેશ ઉપર છાયા કરતાં કરતાં કુરુક્ષેત્ર પહોંચી જવું. કૌરવપાંડવોનાં કુળ યુદ્ધના કારણથી આજ સુધી બદનામ થયેલાં છે. અહીયાં જ ગાંડીવધારી અર્જુને પોતાના શત્રુઓના મુખ ઉપર આવી જ રીતે અગણિત બાણ વરસાવ્યાં હતાં, જેવી રીતે કમલ ઉપર તમારી જલધારા વરસાવો છો તેમ આ જ કુરુક્ષેત્રમાં સરસ્વતી નદી વહે છે. કૌરવપાંડવ બન્નેને સમાન પ્રેમ કરવાવાળા બલરામજી આ જ નદીનું પાણી પીતા હતા તમે પણ જો એનું જળ પીશો તો બહારથી કાળા હોવા છતાં પણ તમારું મન ઉજ્જવળ થઈ જશે’.

‘કુરુક્ષેત્રથી આગળ વધીને તમે કનખલ જજો. ત્યાં તમને મહારાજા સગરના સાઠ હજાર પુત્રોને મુક્તિ દેવાવાળી હિમાલયના ખોળામાંથી ઊતરતી ગંગાજી મળશે. જો તમે ત્રાંસા થઈને એનું જલપાન કરવા જશો તો તમારી ગતિમાન છાયા ગંગાજીની ધારામાં પડીને એવી લાગશે કે જાણે પ્રયાગ પહોંચ્યા પહેલાં જ ગંગાજી યમુનામાં મળી ગયાં હોય ! એની શિલાઓ પર કસ્તુરીમૃગ બેસે છે અને એનાં શિખર પર સદા બરફ જામેલો રહે છે. એના પર બેસતાં તમે એવા લાગશો કે જાણે મહાદેવજીના શ્વેતવર્ણવાળા સાંઢનાં શીંગડાં ઉપર માટીના ઢગલા ખૂંદતાં કાદવ જામી ગયો હોય ! હે વાદળ ! વંટોળિયો થવાથી દેવદારનાં વૃક્ષો એકબીજા પર ઘસવાથી જંગલમાં આગ લાગે તેમ ધોધમાર વરસાદ વરસાવીને તે આગને બુઝાવી દેશો, કેમકે ભલા માણસની પાસે જે કંઈ હોય છે તે દીનદુ:ખિયાંનું દુ:ખ મટાડવા માટે જ હોય છે. અને જુઓ શરતી જાતિનાં હરણો દૂર હોવા છતાં પણ તમને જોઈને આનંદમાં આવી જઈને કૂદકા મારે અને પોતાના હાથપગ તોડવા માટે તમારા ઉપર શીંગડાંથી માથું મારે તો તમે ધોધમાર કરા વરસાવી એમને ભગાડી દેશો. ત્યાંના એક મોટા પથ્થર ઉપર શિવજીનાં પગલાંની એક છાપ પડેલી છે. સિદ્ધપુરુષો હમેશાં તેની પૂજા કરે છે. તમે પણ ભક્તિભાવથી નમ્ર બનીને તેની પૂજા કરશો, કારણકે તેના દર્શનમાત્રથી શ્રદ્ધાળુ માણસોનાં પાપ ધોવાઈ જાય છે અને શરીર જ્યારે છુટી જાય છે ત્યારે શિવલોકમાં પહોંચી જાય છે. ત્યાં આગળ જ્યારે પેલા વાંસમાં હવા ભરાય છે તો તેમાંથી વાંસળીના જેવો મીઠો સૂર નીકળવા લાગે છે અને તેમાં ભ્રમરો પોતાનો મધુર સ્વર મેળવીને ત્રિપુરવિજયનાં ગીત ગાવા લાગે છે. પહાડની ગુફાઓમાં જ્યારે તમે પોતાની મેળે ગુંજન કરીને મૃદંગની સમાન શબ્દો કાઢવા લાગશે ત્યારે ભગવાન શંકરનાં સંગીતનાં બધાં અંગો પૂરાં થઈ જશે’.

‘હિમાલય પર્વતની આસપાસ જેટલાં સુંદર અને રમણીય સ્થળો છે એ જોઈને તમે કૌચરંધ્રમાંથી જઈને ઉત્તર તરફ જશો. આ જ માર્ગ ઉપરથી હંસ માનસરોવર ઉપર જાય છે. આને પોતાના તીરથી છેદીને પરશુરામ અમર થઈ ગયા છે. આ જ માર્ગે થઈને જરા ઊંચે ચઢશો એટલે તમે કૈલાસ પહોંચી જશો. રાવણે પોતાના બળના ઘમંડમાં આ પહાડનાં શિખરોને હલાવી નાંખ્યાં હતાં. હે વાદળ ! તમે ચીકણા ઘુંટેલા અંજન સમા કાળા છો. અને કૈલાસ તુરત કાપ્યો હોય એવા હાથીદાંત સમાન સફેદ છે. માટે જ્યારે તમે તેના ઉપર જશો ત્યારે એવા મનોહર લાગશો કે જાણે બળરામજીના ખભા ઉપર પડેલાં ચમકદાર કાળાં વસ્ત્રો. બધી આંખો તમને એકીટશે જોઈ જ રહેશે’.

‘એ કૈલાસ ઉપર જ્યારે ભગવાન શંકર સાપોનાં ઘરેણાં ઉતારીને પાર્વતીજીની સાથે ફરી રહ્યા હશે, ત્યારે તમે વરસશો નહિ, પણ આગળ જઈને સીડીની જેમ તમે એક ઉપર એક ગોઠવાઈ જશો તો એના ઉપર ચડવામાં તમને સગવડભર્યું થશે. હે મિત્ર ! ત્યાં રહેવાવાળી અપ્સરાઓ ખૂબ જ આનંદી સ્વભાવવાળી છે. તે પોતાનાં રત્નજડિત કંકણોની ધારથી તમારા શરીરને ટોચશે અને તમારામાંથી પાણીની ધારો કાઢીને તેના ફુવારાઓ બનાવશે. એમાંથી છુટકારો મેળવવા માટે તમારે જોરથી ગર્જના કરીને એમને બીવડાવી દેવી. જુઓ, ત્યાં પહોંચીને તમારે સુંદર કમળોવાળા મનસરોવરનું જળ પીવું અને થોડીવાર ઐરાવતનું મન રાજી કરવું. પછી કલ્પદ્રુમનાં કોમળ પાંદડાંને હલાવવાં. આ પ્રમાણે જાતજાતની રમતો કરતાં તમારે કૈલાસ ઉપર ફરવું. એ જ કૈલાસના ખોળામાં અલકાપુરી વસી છે. ત્યાંથી નીકળતી ગંગા એવી લાગે છે કે જાણે અલકારૂપી નગરીના શરીર ઉપર સરી જતી સાડી ન હોય ! એવી અલકાને જોઈને તમે એને ઓળખશો નહિ એવું તો નહિ બને. એનાં ઊંચા ઊંચા મહેલ ઉપર વર્ષા ઋતુમાં વરસતાં વાદળો એવાં છવાઈ રહે છે કે જાણે સ્રીઓના માથા ઉપર સુંદર મોતીનાં ગૂંથેલા ગુચ્છો !’

(ઉત્તરમેઘ આવતી કાલે માણીશું)

બહાર ના શોધે-સુધીર પટેલ

બહાર ના શોધે, ભીતરમાં ખોજ રાખે, પાનબાઈ !

એમ બસ આઠે પ્રહરની મોજ રાખે પાનબાઈ !

આપણે ડૂબી ગયા ને એ તરે છે એટલે,

વિષયોનો ના કશોયે બોજ રાખે, પાનબાઈ !

જ્યાં તમે ને હું પડી ગ્યાં ત્યાં જ ઊભા એય પણ,

દ્રઢ નિશ્ચયની અડીખમ ફોજ રાખે, પાનબાઈ !

વેણ કૈં ગંગાસતી બોલે નહીં વારંવાર,

ટેક લીધી એક દી તે રોજ રાખે, પાનબાઈ !

ફક્ત દીવાથી નહીં ફેલાય અજવાળું ‘સુધીર’,

વેણ બોલી ઊજળાં કૈં ઓજ રાખે, પાનબાઈ !

(સુધીર પટેલ)

ઊંઘમાં પોઢી જતાં પહેલાં

[audio:https://heenaparekh.com/wp-content/uploads/2010/07/10-Track-10.mp3%5D

આજે રાતે, ઊંઘમાં પોઢી જતાં પહેલાં

મને મારા એ સેંકડો બાંધવો યાદ આવે છે,

જેમની આંખમાં ઊંઘ નથી;

જિંદગીએ જેમને લોહિયાળ ઘાવ કર્યા છે,

સમાજના દ્વેષ અને સંકુચિતતાથી જેમના

હ્રદયમાં ચીરા પડ્યા છે,

જેમનો તેમનાં પ્રિયજનોએ જ દ્રોહ કર્યો છે,

સમગ્ર ચાહનાથી ઈચ્છેલી વસ્તુને પામવામાં જેઓ

નિષ્ફળ ગયા છે,

જેમના પ્રેમને પ્રતિસાદ મળ્યો નથી,

યાત્રાની અધવચ્ચે જેમણે પોતાના સાથીને ગુમાવ્યા છે

જેમની શક્તિઓને સાર્થક થવાની તક મળી નથી

જેમના કાર્યની મહત્તાનું ક્યારેય મૂલ્ય અંકાતું નથી,

પોતાના કાર્ય માટે જેમને આભાર કે પ્રશંસાના બે

શબ્દો સાંભળવા મળતા નથી,

હ્રદયની વાત કરી શકાય, એવા જેમને મિત્રો નથી

જેઓ હંમેશા થાકેલા, વિષાદથી ભરેલા હોય છે,

જેમના ઉમદા ભાવોની કોઈ કદર થતી નથી,

જેઓ ઘણી મહેનત કરે છે ને ઓછું વળતર પામે છે

આ બધા બાંધવો માટે

આજે મારું હ્રદય પ્રેમ અને પ્રાર્થનામાં વહી જાય છે

પ્રભુ,

એમના દુ:ખમાં એમને આશ્વાસન આપો

એમને હિંમત અને માર્ગદર્શન આપો

ઉલ્લાસ અને પ્રોત્સાહન આપો

શક્તિ, આનંદ અને પ્રેમ આપો

બધાં બારણાં બંધ હોય ત્યારે,

તેમાંના કોઈક બારણાની પાછળ તમે આવી ઊભેલા છો,

એવી તેમને પ્રતીતિ આપો;

જેથી તેઓ ગમે તેવો કાંટાળો માર્ગ પણ

એવા વિશ્વાસ સાથે પસાર કરી જઈ શકે

કે માર્ગને કોઈક વળાંકે

તમારા અનંત સામર્થ્યયુક્ત બાહુ

તેમને બધી પીડામાંથી ઉપર ઊંચકી લેવા તત્પર છે.

(“પરમ સમીપે” – સંપાદન: કુન્દનિકા કાપડીઆ, ઉદ્દગાર : અંકિત ત્રિવેદી)

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

અંગદનો પગ-હરેશ ધોળકિયા

માત્ર વાંચવા માટે જ નહીં પણ વસાવવા અને વહેંચવા જેવી નવલકથા

કચ્છના લોકો માટે શ્રી હરેશભાઈ ધોળકિયાનું નામ અજાણ્યું નથી. ઘણાં વર્ષોથી કચ્છમિત્રમાં એમની “ઘડિક સંગ” નામની કોલમ ચાલે છે. ડો. અબ્દુલ કલામના બે પુસ્તકોનો અને કિરણ બેદી તથા ચેતન ભગતના એક-એક પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરીને ગુજરાત સમક્ષ આ પુસ્તકો મૂક્યા ત્યારે ગુજરાતના બધા જ વાચકોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. જોકે આ ઉપરાંત પણ ઘણાં અનુવાદો તેમણે કર્યા છે, મૌલિક પુસ્તકો પણ ઘણાં લખ્યા છે અને સંપાદનો પણ કર્યા છે. લેખન ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય, જાતીય સ્વાસ્થ્ય, ભારતીય વેદાંત, શિવામ્બુ, આરોગ્ય વગેરે વિષયો પર પ્રવચનો આપે છે અને શિબિરો ચલાવે છે.

શ્રી હરેશભાઈ ધોળકિયા

એમની બીજી નવલકથા “અંગદનો પગ” શિક્ષણજગતમાં ચાલતી બદીઓ પર પ્રકાશ પાડે છે. જૂન ૨૦૦૬માં આ નવલકથાની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ. પછી આ નવલકથાને એટલો પ્રતિસાદ મળ્યો કે નવેમ્બર ૨૦૦૬, માર્ચ ૨૦૦૭, ઓક્ટોબર ૨૦૦૭ અને મે ૨૦૦૯માં પુનર્મુદ્રણ કરવું પડ્યું. આ નવલકથા વિશે ઘણાં જાણીતા લેખકો, શિક્ષણકારોએ પ્રતિભાવ આપ્યા છે. પરંતુ આજે અહીં “ગુજરાતમિત્ર”માં પ્રકાશિત થયેલ એક લેખ પોસ્ટ કરું છું.

“ગુજરાતમિત્ર”નો આ લેખ ઉપલબ્ધ કરી આપવા બદલ મારા વડિલમિત્ર શ્રી હરેશભાઈ ધોળકિયાનો હું ખાસ આભાર માનું છું.

શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા(?) આપતા ગંદા અને ખંધા શિક્ષકોની કથા : અંગદનો પગ

વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રતિભાશાળી અને સામાન્ય..પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે. પણ વિશ્વનો કબજો હંમેશા ‘સામાન્યો’ પાસે જ રહ્યો છે. સામાન્યો હંમેશા પ્રતિભાશાળીઓને બાહ્ય રીતે હેરાન કરી શકે છે પણ ક્યારેય આંતરિક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી. પ્રતિભાશાળીઓ ‘રામાયણ’ના ‘અંગદ’ના પગ જેવા છે અચળ અને સ્થિર.તેને સામાન્યો કદી ખેસવી ન શકે. પ્રતિભાશાળી અને સામાન્ય વ્યક્તિના સંઘર્ષની કથા લઈને શ્રી હરેશ ધોળકિયાની નવલકથા રચાઈ છે.

લેખકે દાયકાઓ સુધી શિક્ષક તરીકે સફળ કામગીરી બજાવી છે. અનેક ચિંતનલક્ષી પુસ્તકો લખ્યાં છે. અનુવાદ કરીને ગુજરાતને ચરણે ધર્યા છે. ‘અંગદનો પગ’ શુભ અને અશુભ, રચનાત્મક અને ખંડનાત્મક, કર્મશીલ અને કામચોર એવા બે પ્રકારના શિક્ષકો વચ્ચેની સંઘર્ષ કથા છે. લેખકે પ્રસ્તાવનામાં જ નોંધ્યું છે-“પચીસ વર્ષ આ ક્ષેત્રમાં કામ કર્યું છે. સેકન્ડ રેટરોને ભરપૂર માણ્યા છે. અનેક ઘટનાઓ અને દ્રશ્યો આંખ સામે તરતાં હતાં. ધીમે ધીમે તેને સંકલિત કરવા માંડ્યા અને નવલકથા લખવી શરૂ કરી. હવે નામ શું રાખવું તેની મૂંઝવણ શરૂ થઈ. ‘રામાયણ’માં યુદ્ધ પહેલાં સમાધાનના છેલ્લા પ્રયાસ તરીકે રામ અંગદને રાવણના દરબારમાં મોકલે છે. રાવણ તેની હાંસી કરે છે કે વાનરની મદદથી વળી યુદ્ધ જિતાય? ત્યારે અંગદ રાવણને દરબાર વચ્ચે કહે છે કે પોતે પગ ખોડીને ઊભો રહેશે. જો રાવણ કે કોઈ દરબારી પણ તે પગ ઈંચભર પણ ખસેડી દે તો રાવણ જીતશે. બધા હસી પડે છે. પણ પછી અંગદના પગને રાવણ સહિત કોઈ જ દરબારી ખેસવી શકતા નથી. અંગદ હસીને કહે છે કે પોતે તો સેનામાં જુનિયર વાનર છે. સેનામાં ખૂબ સિનિયર વાનરો છે. આ નાનો પગ ન ખસેડી શકાયો તો રામ જિતાશે?”

અહીં પણ એ જ ઈશારો છે કે પ્રતિભાશાળીઓ અંગદના પગ જેવા છે. સામાન્યો તેને હટાવવા, હરાવવા, હેરાન કરવા ખૂબ જ પ્રયાસો કરે છે. બાહ્ય રીતે કદાચ સફળ પણ થાય છે. સત્તા વગેરેથી દૂર રાખે છે. હોય તો ખસેડે છે અથવા હેરાન કરીને કામ કરવા દેતા નથી. બધા જ પ્રયાસો કરે છે અને સામાન્ય રીતે દેખાય પણ છે કે પ્રતિભાશાળીઓને ‘નુકસાન’ પહોંચે છે પણ પ્રતિભાશાળીની પ્રતિભામાં આનાથી અંશ માત્ર પણ ફર્ક પડતો નથી. પળભર પણ તે નથી ઘટતી. બાહ્ય હલચલ તેમને જરાપણ વિચલિત નથી કરી શકતી. ગરીબી કે અપમાન તેને જરા પણ મૂંઝવી નથી શકતા. કારણ કે તેઓ આંતરિક રીતે સ્થિર છે. તેમની પ્રતિભા સ્વયંભૂ છે. સ્વયં આધારિત છે. સ્વ સંચાલિત છે. તે પરાવલંબી નથી. બાહ્ય બનાવો તેને કદી પણ અસર કરતા નથી. તેની મસ્તી જ એવી છે જે તેમને સતત કૃતકૃત્ય રાખે છે. સામાન્યો તેમને પદ પરથી ખસેડી કે હેરાન કરી રાજી થાય છે. પણ પેલાઓ તો સ્થિર જ રહે છે. અંગદના પગની જેમ તેમની પ્રતિભા અડગ જ રહે છે.

આ નવલકથામાં પણ એવા જ એક પ્રતિભાશાળી શિક્ષક બતાવવાનો પ્રયાસ કર્યો છે. અને આ પાત્ર કાલ્પનિક છે તેમ ન માનવું. ખુદ નવલકથા પણ કાલ્પનિક નથી. દરેક પ્રસંગ ઈન કેમેરા બનતા જોયા છે અનુભવ્યા છે અને આવા ‘જ્યોતિન્દ્રો’ જોયા પણ છે. આ નવલ એક સ્પષ્ટ હેતુ માટે જ લખાઈ છે. નવલકથાનું ફોર્મ જ છે. બાકી માત્ર પ્રતિભાશાળીનું મહત્વ દર્શાવવા જ તે લખાઈ છે. ‘આવા’ જ લોકો આપણા સમાજને ચલાવે છે તે દ્રઢતાથી કહેવું છે. જો આપણો સમાજ થોડો પણ પછાત રહે તો તેનું કારણ આ પ્રતિભાશાળીઓની અવગણના થાય છે અને સામાન્યોની અર્થહીન પ્રશંસા થયા કરે તે છે!

શ્રી હરેશભાઈ ધોળકિયાએ આ પુસ્તક વાચકોને મનોરંજન આપવાના હેતુથી લખ્યું નથી. એમણે આદર્શ શિક્ષક જ્યોતીન્દ્ર શાહના પાત્ર દ્વારા જે સંદેશો પાઠવવાનો હતો તે વાચકોને પાઠવી દીધો છે. નવલકથામાં એક તરફ કથાનો નાયક આદર્શ શિક્ષકના સ્વરૂપમાં જ્યોતીન્દ્ર શાહ છે તો ખલનાયક તરીકે ટ્યૂશનિયો ખટપટિયો (લેખક જેને સેકન્ડ રેટર દ્વિતિય કક્ષાનો ગણાવે છે) કિરણ દવે છે. આ દવે કિશોર અને અન્ય વિદ્યાર્થીઓને હથિયાર બનાવીને જ્યોતીન્દ્ર શાહને કઈ રીતે હેરાન કરે છે, સંચાલક મંડળના પ્રમુખની ચાપલૂસી કરી કરીને કેવી રીતે આચાર્ય બની બેસે છે તેની સમજવા યોગ્ય વાતો લેખકે નવલકથામાં ગૂંથી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં ગંદા અને ખંધા શિક્ષકો દ્વારા જે રાજકારણ ખેલાય છે તેનો તાદ્રશ્ય ચિતાર શ્રી હરેશ ધોળકિયાએ કિરણ દવેનું પાત્ર સર્જીને રજૂ કર્યો છે. વિદ્યાર્થીઓમાં સસ્તી લોકપ્રિયતા મેળવવા શ્રી દવે કેટલી હદે નીચે ઊતરી જાય છે, ટ્યૂશનિયો શિક્ષક પોતાને ત્યાં ટ્યૂશને આવતાં વિદ્યાર્થીઓને હાથમાં લઈ આદર્શ શિક્ષક જ્યોતીન્દ્રને ક્યાં અને કેવી રીતે હેરાન પરેશાન કરે છે તે બધી વાતો ખૂબીપૂર્વક નવલકથાને આગળ વધારે છે.

શાળામાં દર વર્ષે એક દિવસનો પ્રવાસ ગોઠવાતો. કિરણ દવેએ ખટપટ કરી વિદ્યાર્થીઓને ઉશ્કેરી લાંબા પ્રવાસનું આયોજન કર્યું. ખટપટિયા અને કામચોર શિક્ષકોને દસ-પંદર દિવસના લાંબા શૈક્ષણિક(?) પ્રવાસોમાં ઊંડો રસ હોય છે. કારણ ન પૂછશો. લેખકે તે હકીકત સુંદર રીતે વિકસાવી છે. શ્રી શાહ શિસ્તમાં માને-કડક શિસ્તના આગ્રહી. દવેનું કામ તોફાની વિદ્યાર્થીઓને મમરો મૂકી આપી તોફાનો કરવા ઉશ્કેરવાનું. વિદ્યાર્થીઓને હાથો બનાવી પોતાની નિષ્ક્રિયતા, મંદબુદ્ધિપણું અને કામચોરીના દુર્ગુણોને ઢાંકવાની નાકામ કોશિશ કરતા આવા ‘દવેઓ’ પ્રત્યેક સંસ્થામાં ફેલાયેલા છે. ડી. એન. મિશ્રા હાઈસ્કુલ શહેરમાં શ્રેષ્ઠ ગણાતી. દવેએ ધીમે ધીમે એને ઉંદરની જેમ ખોતરવા માંડી. જે શાળાના શિક્ષકો કદી સંઘના સભ્યો નહોતા બનતા એમને દાબ દબાણ કરી શિક્ષક સંઘના સભ્ય બનાવ્યા. શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખ બનવા ઈચ્છતા ખટપટિયા નેતાઓની લાક્ષણિકતાને લેખકે કઈ રીતે વ્યક્ત કરી છે તે જુઓ: “તેમની મુદત પૂરી થતી હતી. તેમને ફરી ચૂંટાવું હતું. લગભગ દસ વર્ષથી તેઓ અણનમ ચૂંટાતા હતા પણ ગયા વર્ષે તેમની સામે છૂપો અસંતોષ પ્રગટ્યો હતો. નવાને તક આપવી જોઈએ એવું ઘણા સભ્યો વિચારતા હતા. તેમને આ સમાચાર મળી ગયા હતા. તેથી અકળાતા અને મૂંઝાતા હતા. પ્રમુખપદ તેમને ફાવી ગયું હતું. તેને બહાને શાળામાંથી ભણાવવાની મુક્તિ મળતી હતી. શિક્ષકો પર કાબૂ અને પ્રભાવ રહેતાં હતા. શિક્ષણાધિકારીઓ સાથે મીઠા સંબંધો રહેતા હતા. નિમણૂંકો વખતે પ્રસાદ મળતો હતો. આ બધું ગુમાવવાનું પોષાય તેમ ન હતું.”

પ્રતિભાશાળી શિક્ષક તરીકે શ્રી જ્યોતીન્દ્ર શાહનું પાત્ર સમગ્ર નવલકથાને અનોખી ઊંચાઈ બક્ષે છે. નિષ્ફળ, હતાશ, નિરાશ ખલનાયક શ્રી કિરણ દવે ઉર્ફે ખટપટિયો શિક્ષક આત્મહત્યા કરતા પૂર્વે લખયેલી પોતાની આત્મકથામાં નોંધે છે: ‘અને, હું તો હતો જ્યોતીન્દ્રના તત્વજ્ઞાન પ્રમાણે a second rater બીજી કક્ષાની વ્યક્તિ. જોકે તે કદી જાહેરમાં ન કહેતો. તેને ઊતારી પાડવાની ટેવ જ ન હતી. પણ પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને આ વિશે હંમેશા કહેતો કે વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રથમ કક્ષાના (ફર્સ્ટ રેટર્સ) અને દ્વિતિય કક્ષાના (સેકન્ડ રેટર્સ). માનવીના ઉષ:કાળથી આ વિશ્વનો વિકાસ હંમેશા આ ફર્સ્ટ રેટર્સ દ્વારા થયો છે. ગુફાથી અણુયુગની પ્રગતિ કોઈ અનામી ઋષિથી આઈન્સ્ટાઈનને આભારી છે. પણ તે કહેતોૢ કરુણતા એ રહી છે કે વિશ્વનું નિયંત્રણ, રાજસત્તા, ધનસત્તા માત્ર હંમેશા બીજી કક્ષાના લોકો પાસે રહી છે. પ્રથમ કક્ષાના લોકો પોતાનાં કાર્યોમાં એવા મસ્ત હોય છે કે તેમને આવી સત્તા પ્રાપ્તિ કે ધનપ્રાપ્તિમાં રસ જ નથી હોતો અને બીજી કક્ષાના લોકો સર્જનાત્મક ન હોવાથી માત્ર આવી જ બાબતોમાં રસ ધરાવે છે. તેઓ હંમેશા પ્રથમ કક્ષાના લોકોની સિદ્ધિઓને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. પ્રથમ કક્ષાના લોકો આ જુએ છે. તેમને તે નથી ગમતું પણ સત્તા પ્રાપ્તિ તેમની વૃત્તિ ન હોવાથી ચૂપચાપ જુએ છે અને આ બીજી કક્ષાના લોકો તેમને દબાવે છે તે સહન કર્યા કરે છે.” દવે આગળ નોંધે છે “આ વાત જ્યોતીન્દ્ર એટલી સચોટતાથી કહેતો કે બધા સ્તબ્ધ થઈ સાંભળતા. કોઈ આયન રેન્ડની ચોપડી “Fountainhead”ની વાતો તે કરતો. હિટલર અને ગાંધીજીની તુલના કરતો. સાંભળવાની તો મને પણ મજા આવતી પરંતુ સાંભળતા સાંભળતા મને થતું કે હું જ સેકન્ડ રેટર છું અને જ્યોતીન્દ્ર ફર્સ્ટ રેટર. માટે જ મને તે ન ગમતો.”

ખટપટિયો કિરણ દવે જ્યારે જ્યોતીન્દ્રની પ્રતિભાથી અકળાયો ગભરાયો અને સતત પરાજિત થયો ત્યારે તેણે જ્યોતીન્દ્રને સકંજામાં લેવા ટ્રસ્ટીઓ સુધી વાત પહોંચાડી અને જ્યોતીન્દ્ર વર્ગમાં સાઘુ સંતોની નિંદા કરે છે ટીકા કરે છે. એમના પતનના કારણો ચર્ચે છે! ટ્રસ્ટી મંડળે જ્યોતીન્દ્રને આરોપી ઠરાવી પોતાની સભામાં ખુલાસો કરવા બોલાવ્યો. પ્રતિભાશાળી શિક્ષકે કહ્યું: “હા, મેં પતનના કારણો ચર્ચ્યા છે પરંતુ એ મારા શબ્દો નથી. ઈતિહાસના પાઠ્યપુસ્તકમાં લખાયેલું છે. હા, બૌદ્ધ ધર્મના પતનના કારણો તેમાં ચર્ચ્યા છે! પાઠ્યપુસ્તકમાં જોઈ લો. પાન નંબર પચીસ.” પ્રકરણ થયું પુરું. બીજા દિવસે જ્યોતીન્દ્રએ દવેને સીધું જ સંભળાવી દીધું, ‘દવે લોકપ્રિય થવા માટે તારી લીટી મોટી કર. બીજી લીટીને નાની કરવા પ્રયત્ન ન કરે તો સારું. તેનાથી કદી પ્રગતિ થઈ શકતી નથી. લીટી નાની પણ કરી શકાતી નથી. દોસ્ત લડાઈ કરવી છે ને તો બુદ્ધિથી લડ, મજા પડશે’. પછી આગળ બોલ્યો, ‘પણ તે તારા હાથમાં નથી ખેર! હવે આવું બીજા પર ન કરતો. મને તું ટ્યૂશન કરે છે તેનો કોઈ વાંધો નથી. વિદ્યાર્થીઓને તારા પ્રભાવમાં લાવવા માંગે છે તે પણ જાણું છું.. લે ને ભાઈ! આમ પણ વ્યર્થ ચિંતા કરે છે. મોટાભાગના તને જ વશ થશે. સમાન સમાનને આકર્ષે. કોઈ કિશોર જેવા જ છટકશે. બરાબર?’

નવલકથામાં ઠેર ઠેર જ્યોતીન્દ્ર દ્વારા ઉચ્ચારવામાં આવેલું શિક્ષણ અને જિંદગી જીવવા અંગેનું તત્વજ્ઞાન વાચકને વિચારતો કરી મૂકે તેવું છે. આદર્શ શિક્ષક બનવા ઈચ્છતા નવી પેઢીના મિત્રો માટે જ્યોતીન્દ્રનું પાત્ર રોલ મોડેલ જેવું છે. દવેનું પાત્ર વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ખટપટિયા અને રાજકારણી, દુષ્ટ વૃત્તિ ધરાવતા શિક્ષકોથી શા માટે દૂર રહેવું જોઈએ તે સમજાવવામાં સફળ રહ્યું છે. ટ્રસ્ટી મંડળના અલ્પ બુદ્ધિ ધરાવતા પ્રમુખ, સાચા શિક્ષકની પરખ ધરાવતા કિશોર જેવા વિદ્યાર્થીઓ, મહેતાજી મારે નહીં અને ભણાવે નહીં એ કહેવતને સાર્થક કરે તેવા આચાર્ય ઓઝાસાહેબ આ બધા નવલકથાના એવા પાત્રો છે જેમને મળ્યા પછી વાચકને અવશ્ય એવો વિચાર આવે કે આ સૌ પાત્રોને લઈને એકાદ સુંદર ફિલ્મ બનાવવામાં આવે તો?

સંસ્કાર બિંદુ

‘કિશોર, હું કહેતો હતો કે અંદરનું જગત પૂર્ણ અને અનંત છે. તેનો આનંદ અવર્ણનીય છે. અને દોસ્ત, જીવન આ આનંદની પ્રાપ્તિ માટે છે. બાહ્ય સફળતા તો મળવી જ જોઈએ. તે માટે અવશ્ય પ્રયાસ કરવા જોઈએ. પણ જો સમાંતરે અંદરની સ્વસ્થતા વધશે તો તેટલી બહારની સફળતા પણ વધશે. કિશોર અંદરની સ્વસ્થતા વધે તે માટે ત્રણ પ્રયોગ કરી શકે. એક દરરોજ રાત્રે સૂવા જાય ત્યારે જાતને પૂછ્ કે આજે કોઈને ઉપયોગી થવાય તેવું શું કર્યું? બીજું જે કંઈ કરે તે પ્રત્યે જાગ્રત રહે….તારા દ્વારા થતી દરેક ક્રિયા તારા ધ્યનમાંથી છટકવી ન જોઈએ. પૂરો સજાગ રહે. અદ્દભુત અનુભવો કરીશ. અને ત્રણ, બેટા સવાર સાંજ થોડો સમય ધ્યાનમાં ગાળજે. તે તને અકલ્પ્ય રીતે આગળ વધારશે.’

(શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ-એકલવ્ય, “ગુજરાતમિત્ર”, તા.૨૧/૧૧/૨૦૦૬)

અંગદનો પગ – હરેશ ધોળકિયા

પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

પૃષ્ઠ: ૧૮૮

કિંમત: રૂ. ૧૦૦.૦૦

નોંધ : શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં આ પુસ્તક રૂ. ૩૫/- માં પ્રાપ્ત થશે.


શ્રી ગંગેશ્વર મહાદેવ

સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન પ્રવાસના બીજા દિવસે બપોરે ૧.૩૦ વાગ્યે અમે પાલિતાણાથી દીવ જવા નીકળ્યા. સાંજે પાંચ વાગ્યે દીવ પહોંચીને હોટલ પર સામાન મૂકી નાગવા બીચ ગયા. સાત વાગ્યા સુધી દરિયાને માણ્યા બાદ ટુર સંચાલક શ્રી અનિલભાઈ પારેખે કહ્યું કે ગંગેશ્વર મહાદેવ જવું છે. તેથી બધા ફરી બસમાં ગોઠવાયા અને દીવના કુદમ ગામ સ્થિત ગંગેશ્વર મહાદેવ પહોંચ્યા. અહીં મંદિર જેવું કંઈ ન હતું. દરિયાકિનારે કુદરતી રીતે બનેલ ખડકની નીચે પાંચ શિવલીંગ હતા જેની સ્થાપના પાંડવોએ કરી હતી અને દરિયામાં ભરતી આવે ત્યારે દરિયાનું પાણી બધા શિવલિંગને અભિષેક કરે છે એવી માહિતી અમને શ્રી અનિલભાઈએ આપી. અમે ૭.૦૦ વાગ્યે ગયા ત્યારે ભરતીનો સમય ન્હોતો. બસની બહેનોએ ભજનો ગાયા અને ઉપર મોટો ચોક હતો ત્યાં ગરબાની રમઝટ બોલાવી. ત્યારબાદ અમે દીવ હોટલ પર પહોંચ્યા. ભોજન તૈયાર જ હતું એટલે તેને ન્યાય આપ્યો. બીજા દિવસે સવારે આગળની યાત્રા માટે નીકળવાનું હતું અને અમારી ઈચ્છા દીવનો ફોર્ટ વગેરે જોવાની હતી એટલે મન જરા કચવાતું હતું. ત્યાં અનિલભાઈ આવીને કહ્યું ‘ચાલો’. રીક્ષામાં બેઠા ત્યારે જ ખબર પડી કે અમે (અનિલભાઈ પારેખ, જયસિંગભાઈ ચૌહાણ, અલકામાસી અને હું) ફરી ગંગેશ્વર મહાદેવ જઈ રહ્યા છીએ. ભરતીનો સમય રાત્રે ૯.૦૦ વાગ્યાનો હતો. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં જામનગર ઈન્ડિયન એરફોર્સના એક પાયલટ અને તેનો પરિવાર ત્યાં હાજર હતો. તે સિવાય બીજું કોઈ જ ન હતું. એ લોકો તો અમે સાંજે ૭.૦૦ વાગ્યે પહેલીવખત દર્શન કરવા ગયા ત્યારે પણ ત્યાં જ બેઠા હતા. એ ભાઈ સાથે વાત કરતાં એમણે કહ્યું કે “હું તો આજે નક્કી કરીને જ આવ્યો છું કે અભિષેક ના થાય તો આખી રાત બેસી રહીશ. પણ અભિષેક જોઈને જ જઈશ”. ભરતીની શરૂઆત થઈ હતી પણ શિવલિંગ સુધી પહોંચતા હજુ વાર લાગશે તેવું લાગ્યું. છતાં અમે બધા પાણીની રાહ જોઈને ગોઠવાયા. મારે ફોટોગ્રાફ્સ લેવાના હતા એટલે મેં શિવલિંગની સામે ઉપરના ખડક પર જમાવ્યું. જેમ જેમ ભરતી વધતી ગઈ તેમ તેમ ધીમે ધીમે થોડું પાણી આવતું ગયું. દરેક શિવલિંગ એક સીધી લાઈનમાં હતા અને પાંચ પાંડવોના કદ પ્રમાણે હતા. નકુલ અને સહદેવ દ્વારા સ્થાપિત શિવલિંગો નાના હતા અને જે તરફથી પાણી આવવાનો માર્ગ હતો એ તરફ જ હતા. તેથી તેના પર જલ્દી અભિષેક થઈ ગયો. પાયલોટ ફેમિલીના બાળકો ભૂખ્યાં થયા હતા એટલે એ બધા હોટલ જવા નીકળ્યા. પાયલોટ જતાં જતાં કહી ગયો કે “ હું પાછો આવું છું”. પાણીના મોજા આવતા ગયા અને અર્જુન અને યુધિષ્ઠિર દ્વારા સ્થાપિત શિવલિંગો પર પણ અભિષેક થઈ ગયો. ભીમભાઈ જ જરા મથાવતા હતા. છેવટે બે-ત્રણ મોટા મોજા આવ્યાં અને ભીમ દ્વારા સ્થાપિત શિવલિંગ પર અભિષેક થઈ ગયો અને અમે સૌએ હર્ષોલ્લાસ કર્યો. અને હર હર મહાદેવનો જયકાર કર્યો. આ તમામ સમય દરમ્યાન કંઈ નવી જ અનુભૂતિ થતી હતી. કોઈ અલૌકિક સ્થળ પર અમે સૌ હતા અને કુદરતનો જીવતોજાગતો ચમત્કાર જોઈ રહ્યા હતા એવું લાગતું હતું. ઘડિયાળનો કાંટો ૧૦.૦૦ વાગ્યાથી ઉપર પહોંચી ગયો હતો. રીક્ષાવાળો ઉતાવળ કરાવતો હતો. કારણ કે આ સ્થાન પર રાત્રે કોઈ રહી શકતું નથી એવી સૂચના ત્યાં બોર્ડ પર લખવામાં આવી છે. એટલે અમે સૌએ પ્રણામ કરીને કુદમ ગામ છોડ્યું.

ગંગેશ્વર મહાદેવના પૌરાણિક માહત્મ્ય અંગે જાણકારી મેળવવા અહીં ક્લીક કરો.

? City

વડોદરાને “સંસ્કારનગરી” કહેવામાં આવે છે તો વળી સુરતને “નર્મદનગરી”. એક સાહિત્યિક કાર્યક્રમમાં વલસાડને “ઉશનસનગરી” તરીકે ઓળખાવવામાં આવી હતી. આ નામ પણ ખોટું નથી. ઉશનસ જેવા મોટા ગજાના  કવિ નોકરી અર્થે વલસાડ આવ્યા અને પછી અહીં જ વસી ગયા. એનું ગૌરવ વલસાડને છે જ. પરંતુ વલસાડ માટે કોઈ નામ પ્રયોજવાનું કહે તો હું “Mango City” કહેવાનું વધારે પસંદ કરું.

ગયા વર્ષે કેરીની સિઝન ખરાબ જતાં પાક ઘણો ઓછો ઉતર્યો હતો. તેથી ગયા વર્ષે મન ભરીને કેરી ખાવા ન્હોતી મળી. આ વર્ષે ભગવાનની કૃપાથી કેરી માટે વાતાવરણ સારું રહ્યું. અને લગભગ ૧૫ માર્ચથી જ બજારમાં કેરી મળવા માંડી હતી. જો કે વલસાડી હાફુસની મોસમ હવે શરૂ થઈ છે. અને બજારમાં બાઅદબ તેનું આગમન થઈ ચૂક્યું છે. વધારે કંઈ લખવાની મારે જરૂર નથી. ફોટોગ્રાફ્સ જ બયાન કરશે.

કેરીની વાડી-કલવાડા

 

કેરીની વાડી

 

હાફુસ અને કેસર

 

હાફુસ

કેસર

 

વલસાડના વતનીઓને કેરી (હાફુસ) મુબારક!!

બે માળાનું પંખી-ભાગ ૨

બે માળાનું પંખી-ભાગ ૨

એક દિવસ દિનેશની ઓફિસના માણસોએ ઉજાણી ગોઠવી હતી. બન્યું એવું કે તે જ દિવસે પંખીની વર્ષગાંઠ હતી. દિનેશે ઘણાં દિવસ પહેલાં જયાને કહી મૂકેલું કે ઓફિસની ઉજાણીમાં બધા પોતપોતાનાં છોકરાંને લાવવાના છે. પંખી તથા રમેશને હું પણ લઈ જઈશ. આ તરફ પંખીને આઈસ્ક્રીમ બહુ જ ભાવે એમ વિચારી નરેશે વર્ષગાંઠ ખાતે આઈસ્ક્રીમ પાર્ટીની યોજના ઘડી હતી. તે રોજ કહેતો: પંખી ! તારી વર્ષગાંઠને દહાડે તું ધરાઈને આઈસ્ક્રીમ ખાજે, હોં ! ત્રણેક દિવસ પહેલાં જયાને ખ્યાલ આવ્યો કે આ બંને પ્રસંગો અથડાશે. તેણે દિનેશને કહી જોયું: ‘ઉજાણીમાં છોકરાંને શું ગમશે? તમે એકલા જ જવાનું રાખો તો કેવું? બનતાં સુધી જયા અને કંચન પોતપોતાના પતિ સાથેની વાતચીતમાં સામસામાં ભાઈઓનાં નામ ન દેવાય તેની કાળજી રાખતાં. દિનેશે જવાબ દીધો: ‘વાહ, કેમ નહિ ગમે? ત્યાં તો પચાસેક છોકરાં ભેગાં થશે. સિનેમાની ફિલમ દેખાડવાની છે. પંખીને તો ખૂબ ગમ્મત પડશે.’ જયાએ ખૂબ ડરતાં ડરતાં ખરી વાત રજૂ કરતાં કહ્યું૰ જાણે વાત એમ છે કે તે દિવસે પંખીની વર્ષગાંઠ છે.

‘તો તો સરસ. પંખીની વર્ષગાંઠ છે તો હું ત્યાં સૌ છોકરાં માટે રબ્બરનો એકેક ફુગ્ગો લેતો જઈશ.’ ‘પણ…’જયાએ હિમ્મ્ત એકઠી કરી બોલી નાખ્યું: ‘નરેશભાઈએ આઈસ્ક્રીમ પાર્ટી રાખી છે.’ એકદમ મોઢું ગંભીર કરી નાખી દિનેશ ધીમેથી પણ સ્પષ્ટ ઉચ્ચાર કરતાં બોલ્યો: ‘જો જયા, પડોશી સાથે ઝગડો ન કરવો એ વાત બરાબર, પણ તેની સાથે વધુ પડતી ઘરવટ પણ શા માટે રાખવી? એ લોકોની આઈસ્ક્રીમ પાર્ટી એમને જ મુબારક ! એમાં આપણને શું લાગેવળગે?’ ‘પણ ખાસ પંખીની વર્ષગાંઠ ખાતે જ આ પાર્ટી છે. પંખીને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, તે જાણીને જ નરેશભાઈએ…’તે અણગમતું નામ સાંભળી મોઢામાં ક્વિનીન ગયું હોય તેવો ચહેરો કરી દિનેશ વચ્ચેથી જયાનું વાક્ય કાપી નાંખતા બોલી ઊઠ્યો: ‘જો જયા, બધી બાબતમાં તને જેમ ગમે તેમ તું કર, પણ એનું નામ મારી આગળ ન દેતી.’ વાત ત્યાં જ અટકી. પણ બપોરે જયાએ કંચનને ખબર આપી, ‘આઈસ્ક્રીમ પાર્ટી અને ઓફિસની ઉજાણી બન્ને એક જ દિવસે ગોઠવાયાં છે, શું કરીશું?’ કંચને કહ્યું, ‘હું એમને વાત કરીશ.’ પણ કંચન ઢીલું જ બોલી હતી. દિનેશ સાથેના ઝગડામાં પતિ આગળ તેનું કાંઈ જ ઊપજતું નહોતું, તે કંચન પોતે ક્યાં નહોતી જાણતી?

તે દિવસે પતિ જમવા બેઠો ત્યારે ખુશામત ખાતર કંચને એક વધારાનું શાક પીરસ્યું હતું. પતિને પસંદ એવી લસણની ચટણી વાટીને મૂકી હતી અને જમતા પતિને માંખ ઉડાડતી તે બાજુમાં પાટલો નાંખી બેઠી હતી. નરેશે હસીને પૂછ્યું: ‘કેમ, આજે શું માંગવું છે? નવી સાડી કે પછી સોનાનો અછોડો?’ ચોરી કરતાં પકડાઈ ગયા જેવી છોભીલી કંચન પડી ગઈ, પણ પછી બોલી: ‘જાઓ વળી, આવું તે શું બોલો છો? મારે તો કશુંયે માગવું નથી; પણ આ આઈસ્ક્રીમ પાર્ટી ને ઉજાણી બે એક દિવસે આવ્યાં છે તેનું શું કરીશું?’

‘ઉજાણી કઈ વળી?’ નરેશે નવાઈ પામતાં પૂછ્યું. ડરને લઈને અચકાતી જીભે કંચન બોલી: ‘દિનેશભાઈના ઓફિસના સ્ટાફની…’દિનેશનું નામ આવતાં જ નરેશે કોળિયો હેઠો મૂકી દીધો અને તે બોલી ઊઠ્યો, ‘ખાતી વખતે કોઈ સારા માણસનું નામ દેતી જા કંચન ! વળી એની ઉજાણી સાથે મારે શી લેવાદેવા છે?’ ‘તમારે નહિ, પણ પંખીને તો ખરી જ ને?’ હવે વાતનો ફડચો આણવા કંચન કટિબદ્ધ થઈ અને બોલી: ‘ઓફિસની ઉજાણીમાં વીસપચીસ છોકરાં જવાનાં છે, ત્યાં ફિલમ દેખાડવાના છે અને પંખીની વર્ષગાંઠ ખાતે દરેક છોકરાંને રબ્બરનો ફુગ્ગો આ લોકો આપવા ધારે છે.’ બધી બાબતમાં ઠરેલ અને સમજુ એવો નરેશ ભાઈ સાથેના સંબંધની વાતમાં છેક જ બાલિશ બની જતો. તે બોલ્યો: ‘હું પણ શેરીનાં તમામ છોકરાંને બોલાવીશ. ફિલમ દેખાડીશ અને ફુગ્ગો તો ફટ દઈને ફૂટી જાય, હું તો સરસ રમકડાં અને સીંગ-સાકરિયા અને રેવડીનાં પડીકાં સૌ છોકરાંને વહેંચીશ.’

‘પણ એ લોકો પંખીને ઉજાણીમાં લઈ ગયા વગર નહિ રહે,’ કંચને યાદ દેવડાવ્યું.

નરેશ ઊકળીને બોલ્યો: ‘એટલે શું? મારી પંખીની વર્ષગાંઠ હું ઉજવું છું અને જોઉં છું તો ખરો કે તેને કોણ ઉજાણીમાં લઈ જવા છીનવી જાય છે?’

હવે શું કરવું, તે નક્કી કરવા દેરાણીજેઠાણીની એક અગત્યની ખાનગી મિટિંગ મળી. ઘણી ચર્ચા બાદ નિર્ણય થઈ ગયો.

પંખીની વર્ષગાંઠ ચૈત્રસુદ બીજને દિવસે હતી. પડવાને દિવસે કંચન સવારે પથારીમાંથી ઊઠી નહિ. ‘ઓ રે, ઓ રે,’ ની બૂમો શરૂ કરી. પેટમાં દરદની ફરિયાદ પતિ આગળ નોંધાવી. નરેશ ગભરાયો. પડોશમાં જ દાક્તર રહેતા હતા તેમને તેડી લાવ્યો. દાક્તરે ગરમ પાણીની રબ્બર-થેલીથી શેક કરવા સૂચના આપી ને પીવાની દવા આપી. મગના પાણી સિવાય કાંઈ ન લેવાની અને પથારીમાં સૂઈ રહેવાની સૂચના કરીને પાંચ રૂપિયા લઈ દાક્તર ચાલતા થયા. પત્નીનું દરદ જોઈ નરેશ હાંફળો બની ગયો હતો. તે નોકરી ઉપર પણ ન ગયો. પ્રેમાળ પતિને છેતરતાં કંચનનો જીવ કપાઈ જતો હતો, પણ તે સિવાય છૂટકો જ ક્યાં હતો? આખો દિવસ કંચને ઢોંગ માંડેલો જ રાખ્યો. સાંજ પડતાં નરેશ કહે: ‘કાલની પાર્ટીનું કેમ કરીશું?’ કંચન બોલી: ‘મારાથી કાલે તો કશી તૈયારી નહિ થાય. ખમણ ઢોકળાંની દાળ આજે પલાડવી પડે. પેંડા વાળવા માવો પણ હજી આણ્યો નથી. બે દિવસની તૈયારી વગર પંખીનો જન્મદિવસ ન ઊજવાય.’ નરેશ કશું બોલ્યા વગર ખિન્ન વદને બેસી રહ્યો. તેનો પડી ગયેલો ચહેરો જોઈ કંચન બોલી ઊઠી: ‘પણ એમાં શું? પંખીની અંગ્રેજી તારીખ પ્રમાણે ચૌદમી તારીખે વર્ષગાંઠ આવે છે. તેને હજી આઠેક દિવસની વાર છે. તે દિવસે તમે જ કહેતા નહોતા કે ખરી ગણતરી તો તારીખ પ્રમાણે જ થાય?’ નિરાશાનું વાદળ પત્નીના શબ્દો સાંભળી નરેશના ચહેરા ઉપરથી હઠી ગયું અને વળતે દિવસે પંખીની વર્ષગાંઠ વિઘ્નરહિત રીતે ઊજવાઈ ગઈ. બીજે અઠવાડિયે ફરીથી નરેશે પણ પંખીની વર્ષગાંઠ ઊજવી.

તે પછી એકાદ મહિને પંખી સવારે ઊઠી, ત્યારે તેનું દિલ ખૂબ તપેલું હતું. નરેશ દાક્તરને તેડી આવ્યો. દાક્તર કહે: ‘તાવ વધારે છે. સુવાડી રાખજો.’ તે તાવ બે-પાંચ દિવસે પણ ન ઊતર્યો. આઠમે દહાડે લોહી તપાસ્યા પછી દાક્તરે ટાઈફોઈડ વર્ત્યો. પંખીનો ખાટલો નરેશના ઘરમાં હતો. ત્યાં દિનેશને હવે નિત્ય ગયા વગર છૂટકો જ ન હતો. શરૂઆતમાં તો નરેશ બહાર ગયો હોય, ત્યારે દિનેશ ત્યાં જઈ બેસતો. પણ મોટા મંદવાડમાં એવું ક્યાં સુધી ચાલે? ‘જરા બરફ લેતો આવજે. મોસંબી પણ લાવવાની છે.’ એવી વાતો કરવી જરૂરી રહેતી. કંચન તથા જયા વારાફરતી બરફ ઘસવા બેસતાં. તાવ ઉગ્ર સ્વરૂપે હતો. બન્ને ઘરમાં રસોડાં ચલાવવાથી કંચન-જયા બન્નેનો વખત તેમાં જતો, તેથી તેમણે મસલત કરી, માત્ર એક જ બાવાળું રસોડું ચાલુ રાખ્યું. જે નવરું હોય તે રાંધતું અને જેને રુચિ થાય તે બે કોળિયા ખાઈ લેતું. બાકી સૌના જીવ અદ્ધર થઈ ગયા હતા. ત્રીજે અઠવાડિયે પંખીને પુષ્કળ ઝાડા થઈ ગયા અને ચોથે અઠવાડિયે તાવ ઊતરવાની જ્યાં આશા સેવીને ચારે જણ બેઠાં હતાં, ત્યાં પંખીના પડખામાં શૂળ ઊપડ્યું. દાક્તરે ન્યુમોનિયા વર્ત્યો. ત્રણ દિવસ ભારે કટોકટીના હતા. વચલે દિવસે પંખી બેભાન બની ગઈ. પગ ટાઢા પડી ગયા. કંચન અને જયા એકબીજાને વળગીને રોતાં હતાં. નરેશ બે ભાઈઓમાં વધુ પોચો હતો. તેનાથી ન રહેવાયું. દિનેશને ખભે માથું નાખી તે ખૂબ રડવા લાગ્યો. પોતાના આંસુની પરવા કર્યા વગર દિનેશ નરેશને શાંત પાડવા પ્રયત્નો કરતો હતો.

મધરાતે પંખીની નાડી છેક જ મંદ પડી જતી લાગી. તેના ખાટલાની આસપાસ અદ્ધર શ્વાસે ચારે માતા-પિતા બેઠાં હતાં. નરેશનો હાથ જોરથી ઝાલીને દિનેશ બેઠો હતો. ચારે જણ પોતપોતાની રીતે ભગવાનને સંભારી રહ્યાં હતાં.

પાછલી રાત્રે પંખીનો શ્વાસોચ્છવાસ કાંઈક નિયમિત બનતો જતો જણાયો. પરંતુ જયા હળવે સાદે બોલી: ‘ઓલવાતો દીવો લગીરવાર ઝબૂકી જાય એવું તો ન હોય?’ નરેશ બોલ્યો, ત્યારે આંસુથી તેનો સાદ ઘેરો બની ગયો હતો: ‘મારી પંખીને આપણા માળામાંથી ઉપાડી જવાની ખુદ ભગવાનની હિંમત નહિ ચાલે.’ દિનેશ બોલ્યો, ‘પરમાત્મા આપણી ચારની લાજ રાખશે.’ કંચન જાણે સ્વગત બોલતી હતી: ‘બા, બા, તમે કેવાં છો? અમારાં રાંકનું આટલું રતન જળવાઈ રહે, એટલી અમારી અરજી ઈશ્વરના દરબારમાં તમે પહોંચાડજો.’

તે પછી પાંચેક મિનિટે પંખીએ આંખો ખોલી; નરેશ તરફ નજર ઠેરવી, હોઠ ફફડાવી તે બોલી: ‘કાકા !’ ‘ઓ બેટા, દીકરી મારી ! શું છે?’ નરેશ વાંકો વળીને હલકે અવાજે પૂછવા માંડ્યો. દિનેશે પંખીના હોઠ ઉપર બે ટીપાં પાણી મૂક્યું. તે તેણે ગળે ઉતારી દીધું. કંચન હજી પંખીની પાંગતે બેસી ભગવાનની નહિ પણ સ્વર્ગે સંચરેલાં સાસુની જ પ્રાર્થના કર્યા કરતી હતી: ‘ભગવાન મારું સાંભળે કે ન સાંભળે, પણ મારે મન તો તમે જ હાજરાહજૂર છો.’ જયાએ પતિની પાસે જઈ તેના કાનમાં કહ્યું: ‘પંખીને જરા કરાર વળતો જણાય છે.’

આખી રાતની પૂરેપૂરી ઊંઘ પછીનું પ્રભાત અમુક પ્રકારનું ભાસે છે અને રાતભરના ચિંતાજનક ઉજાગરા પછીનું પરોઢ વળી તદ્દન અવનવું લાગે છે ! પરોઢનો ધીમો, આછો પવન વાતો હતો. પ્રભાતની તાજગીભરી હવાથી પંખીનો ઓરડો ભરાઈ ગયો હતો. નવજીવનનો સંદેશો લઈને જાણે આકાશમાંથી શુક્રતારિકા પોતાનાં તેજકિરણો પંખીની પથારી ઉપર પાથરી રહી હતી.

સવાર પડી ત્યારે મૃત્યુ સાથેના દ્વંદ્વયુદ્ધમાં વિજય મેળવી પંખી ઘણે દિવસે જંપીને ઊંઘી ગઈ હતી. સવારે આઠ વાગે દાક્તર આવ્યા, ત્યારે જયા નીચે બાવાળા રસોડામાં ચાનું પાણી ગરમ કરતી હતી. કંચન બાના દેવઘરમાં બેઠેલી હતી. દરદીના ખંડમાં પંખી ઊંઘતી હતી. પાસેના ખાટલા ઉપર નરેશ જાગતો બેઠો હતો. તેના ખોળામાં માથું મૂકી દિનેશ ઊંઘી ગયો હતો. દાક્તરે ‘સબ સલામત’ની જાહેરાત કરી.

હજી બાનું રસોડું જ ચાલતું હતું. એક દિવસ નરેશ કહે: ‘હવે આ જ ક્રમ ચાલવા દઈએ.’ દિનેશ કહે: ‘બરાબર છે. ઘણાં કુટુંબો લડીને છૂટાં પડે છે. આપણે છૂટાં પડેલાં પાછાં અનોખાં બનીને રહીએ.’ પણ પંખીએ એ સૂચના સામે વાંધો નોંધાવ્યો.

બે ઘર, બે રસોડાં, બે માતાઓ અને પિતાઓની સમૃદ્ધિનો ઠાઠ કમી કરવાની તેની મુદ્દલ ઈચ્છા હતી નહિ. અને કંચન અને જયાએ પણ તેમાં સૂર પુરાવતાં કહ્યું: ‘હવે જે રીતે ભેગાં થયાં છીએ તે ક્યાંથી જુદાં પડી શકવાનાં છીએ? પણ અમને બન્નેને પોતપોતાના શોખ અને કોડ પ્રમાણે અલગ અલગ રસોડાં જ ચલાવવાની હોંશ છે. જે પ્રેમને તાંતણે બંધાયાં તે કાંઈ તૂટે એવો નથી.’ અને નિશાળની પ્રાર્થનામાં શીખવાયેલું ભજન પંખીએ ગાવા માંડ્યું: ‘સબસે ઊંચી પ્રેમસગાઈ.’

-વિનોદિની નીલકંઠ

બે માળાનું પંખી

વિનોદિની નીલકંઠની આ વાર્તા મને બાળપણથી બહુ પ્રિય રહી છે. પંખી જેવું જ્યારે કોઈ મળી જાય ત્યારે અમે તેને “બે માળાનું પંખી” કહીએ છીએ. સાહિત્ય લહરી ભાગ ત્રીજો-આ પુસ્તકમાંથી આ વાર્તા અહીં મૂકી રહી છું. વાર્તા થોડી લાંબી હોવાથી બે ભાગમાં પોસ્ટ કરીશ. આશા રાખું છું કે આપ સૌને પણ પંખી ગમશે.

બે માળાનું પંખી

 

બા જીવ્યાં ત્યાં સુધી, પોતાના બે પુત્રો વચ્ચે સાધારણ વાતચીતનો પણ સંબંધ ઊભો રહે એટલું કરવા તે બહુ મથ્યાં હતાં. ત્રણ માળનું સરસ મકાન હતું. તેમાં ત્રીજે માળે મોટો દીકરો દિનેશ રહેતો હતો. વચલે માળે નાનો નરેશ રહેતો હતો. ભોંયતળિયે બા પંડે રહેતા હતા. ત્રણે રસોડાં જુદાં. બાને તો કોઈ સાથે લડાઈ નહોતી, પણ બા નરેશને ઘેર જમે તો દિનેશ ચડભડી ઊઠતો અને જો દિનેશને ઘેર જમે તો નરેશ રિસાઈ જતો, તેથી સમજુ થઈ બાએ ત્રીજું રસોડું માંડ્યું હતું.

નરેશ-દિનેશના પિતા કલ્યાણભાઈ ગુજરી ગયા, ત્યારે વીલ લખીને મિલકતની વહેંચણી કરી ગયા હતાં. છતાં તેમાંથી જ બન્ને ભાઈઓ વચ્ચે અણબનાવ થયો હતો. બન્નેને લાગેલું કે પોતાને અન્યાય થયો છે. પિતાનું વીલ દીવા જેવું ચોખ્ખું હોવાથી કોર્ટમાં જવાથી કાંઈ વળે એમ નહોતું, તેથી બન્ને મનમાં જ સમસમીને બેસી રહ્યા. બેચાર વખત તે બાબત ખૂબ બોલાચાલી થઈ ગઈ. મારામારી ઉપર મામલો જશે એવું બાને લાગતાં તે વચમાં ઊભાં રહ્યાં. ખૂબ રડ્યાં. બસ ! તે દિવસથી સગા માજણ્યા ભાઈઓ એકબીજા સાથે બોલતા ન હતા. તે વાતને ત્રણ વર્ષ વીતી ગયાં હતાં.

આ અબોલા બાને બહુ સાલતા અને કદીક બહુ અકળાતાં ત્યારે બોલતાં: ‘તમારા બાપુજીએ પેટે પાટા બાંધીને તમારે સારુ મિલકત એકઠી કરી, પણ તમે તેમનું કર્યું-કારવ્યું ધૂળભેગું કરવા બેઠા છો’.

પછી દિનેશને બાએ પરણાવ્યો. તે લગ્ન વખતે બાએ ખોળા પાથર્યા, તોયે નરેશ લગ્નમાં ન આવ્યો, તે ન જ આવ્યો. દિનેશની વહુનું નામ જયા. તે સ્વભાવે બહુ સાલસ અને ભલી હતી. લગ્ન પછી દોઢેક વર્ષે જયાએ એક પુત્રીને જન્મ આપ્યો. આ છોકરીને પગ આવ્યા ન આવ્યા અને તે દાદરો સપસપ ચડ-ઊતર કરવા મંડી પડી. નીચલે માળે બા અને ત્રીજે માળે જયા એટલે છોકરી તો ઊપર-નીચે ફર્યા જ કરે. છોકરીનું નામ હજી પાડ્યું ન હતું. પણ સૌ તેને પંખી કહી બોલાવતાં. તે હતી પણ પંખી જેવી જ. અને પાછી સ્વભાવે પણ બહુ ટીખળી ને તોફાની હતી. રૂપરંગે પણ સરસ હતી; શરીરે પણ ભરી સીંગ જેવી હોવાથી, જોનારને તે ગમી જતી.

પંખીને દિનેશે કહી મૂકેલું કે વચલે માળે ‘કાકા’ નામનો એક રાક્ષસ રહે છે. ત્યાં કદી જવું નહિ; તે તરફ જોવું પણ નહિ. નાનકડી પંખી ‘કાકા’ કે ‘રાક્ષસ’ એકે શબ્દનો અર્થ ક્યાંથી સમજે? છતાં પણ વચલા માળ સાથે સંબંધ રાખવાનો નથી એટલું તો એ નાનીશી બાલિકા પણ સમજી ગઈ હતી. એમ કરતાં પંખી જરા મોટી થઈ. તે હવે એક ભાઈની બહેન પણ બની ચૂકી હતી. પોતાની મીઠી કાલી બોલીથી તે વાચાળ છોકરી સૌનાં દિલ જીતી લેતી.

એક દિવસ તે દાદર ઉપર ચડતી હતી. ત્યાં તેના મગજમાં તોફાની કીડો સળવળી ઊઠ્યો. દાદરના કઠેરામાં સળિયા નાખેલા હતા. બે સળિયા વચ્ચે પંખીએ પોતાનું માથું ખોસી દીધું. ખોસાતાં ખોસ્યું તો ખરું, પણ પછી તે કેમે કરતાં પાછું જ ન નીકળે. આ વખતે પંખી બરાબર વચલા માળ આગળ હતી. તે ઝટ રડી પડે એવી નહોતી.

તેણે મદદ માટે કોઈને હાંક પણ ન પાડી. બે બચુકડા હાથ વડે કઠેરાના સળિયા પકડી તેમાંથી પોતાનું ઝૂલ્ફાદાર માથું કાઢી લેવા તે મથી રહી હતી. તે વખતે બપોરે એક વાગ્યો હતો. પંખીની માતા જયા, ખાઈ-પરવારીને દીકરા રમેશના ઘોડિયાની દોરી હાથમાં ઝાલી રાખી જરા આડે પડખે થઈ હતી. દિનેશ તો નોકરીએ ગયેલો હતો. નીચે બા પણ બપોરની નિંદરમાં પડ્યાં હતાં. તે જ ઘડીએ નરેશ ઘેર આવ્યો. તેને જરાક તાવ ભરાયા જેવું લાગવાથી તે પેઢી ઉપરથી રજા લઈ ઘેર આવ્યો હતો. દાદર ઉપર તેણે બે સળિયા વચ્ચે ભરાઈ પડેલી પંખીને જોઈ. છોકરીની કઢંગી હાલત દેખી, તેને હસવું આવ્યું. પળવાર ઠમકીને તે ગમ્મત જોવા ઊભો રહ્યો. માથું ખેંચવાના પ્રયત્નથી પંખીનું ગોરું મોઢું લાલચોળ થઈ ગયું હતું. રડુંરડું થતી આંખોમાંથી સરી પડવાની તૈયારી કરતાં આંસુને ખાળવા તેણે હોઠ દબાવી રાખ્યા હતા. નરેશને જોઈ તે ખુશ થઈને બોલી; “કાકા, મારું માથું કાઢોને !” નરેશે ‘કાકા’ શબ્દનું મીઠું ઉચ્ચારણ પોતાને માટે વપરાતું પહેલી વાર જ સાંભળ્યું. દુશ્મન જેવા ભાઈની આ ટચુકડી ભત્રીજી ઉપર તેને ખૂબ જ વહાલ ઊપજ્યું. સળિયાની વચ્ચેથી પંખીનું માથું તેણે સિફતથી કાઢી દીધું. તે દિવસે તો તે પરિચય ત્યાંજ થંભ્યો. પરંતુ તે પછી દાદર ચઢતાં ઊતરતાં કાકો ભત્રીજી વારંવાર સામસામાં થઈ જતાં. “કાકા, તમારે ઘેર આવું?” પંખી ઉપરનીચે નજર કરી દિનેશની ગેરહાજરીની ખાતરી કરી લીધા પછી પૂછતી અને નરેશ પંખીને પોતાના ઘરમાં લઈ જતો. એક દિવસ પંખી પૂછવા લાગી: ‘કાકા, રાક્ષસ કેવો હોય?’ નરેશને આવડ્યું તેવું વર્ણન તેણે કર્યું. તે ધ્યાનથી સાંભળ્યા પછી પંખી બોલી: “તમે ક્યાં એવા છો? તમે તો માણસ જ છો ને કાકા?” આ સાંભળીને નરેશને ખૂબ જ હસવું આવ્યું. પછી ગંભીર બની જઈ તે બોલ્યો: ‘તારા બાપુએ આવું શીખવ્યું છે ને?’

વાળના ગૂંચળાં માથેથી ઉછાળી ડોકું હુંકારમાં ધુણાવી પંખી બોલી: ‘હું-અં…પણ જયાબહેન કહે છે કે એવું ન બોલાય. નરેશકાકા તો તારા બાપુજીના ભાઈ થાય. હેં કાકા રમેશ મારો ભાઈ છે, તેવા તમે મારા બાપુજીના ભાઈ છો?’ નરેશ અને પંખીની દોસ્તી દિનપ્રતિદિન ગાઢ બનતી ગઈ અને તે વાત દિનેશથી પણ ક્યાં સુધી છાની રહે?

તે પછી એક વખત બા બહુ માંદા થઈ ગયાં. તેમણે નરેશને કહ્યું: ‘બેટા, નરેશ, હવે તું વહુ લઈ આવે તો હું નિરાંતે મરું.’ નરેશે બાને રાજી કરવા અને પોતાની ઈચ્છાથી, ભણેલીગણેલી અને ઠાવકી, એવી કંચન નામની યુવતી સાથે લગ્ન કર્યા. તે લગ્નમાં દિનેશ ન ગયો. પણ જયાએ તો પોતાના પતિને કહ્યું: મારે તો નથી બીજા દિયેર; જેઠ તો છે જ નહિ, નણંદે એક્કે નથી. પછી મારે માટે તો સંસારનું આ પહેલું કે છેલ્લું જ પગરણ છે ને? અને પંખી તો કાકાના લગ્નને નામે કૂદી રહી છે.

લગ્ન કરીને વરકન્યા ઘેર આવ્યાં, ત્યારે બાએ કહ્યું: ‘બન્ને જણ મોટાભાઈને પગે લાગી આવજો’. નરેશ હસીને બોલ્યો: ‘દિનેશના આશીર્વાદ વગર અમે સુખી નહિ થઈએ, ખરું બા?’ બા કશું ન બોલ્યાં. પણ રાત્રે દશ વાગે જયા આવીને કંચનને કહેવા લાગી: આ ભાઈભાઈની લડાઈમાં આપણે તો પડવું જ નહિ. તમે તો જેઠને પગે લાગશો ને? એટલે કંચન તો ઉપર જઈ દિનેશને પગે લાગી આવી. જયા અને કંચનને તો બહેનપણાં જામી જતાં વાર ન લાગી. બા કહેતાં: ‘જુઓ તો ખરાં! આ પારકી જણીઓના જીવ હળી ગયા, પણ આ સગા સહોદર ભાઈઓ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા અલગ રહે છે!’

નરેશનો સંસાર સારી રીતે ચાલતો નિહાળ્યા પછી બાએ દેહ છોડી દીધો. એક રાત્રે અચાનક તેમનું હ્રદય બંધ પડી ગયું. બાકી બાના મનમાં હતું કે મરવાની છેલ્લી ઘડીએ બે ભાઈઓને ભેગા કરી, એકબીજાના હાથ પકડાવીશ. બાની મનની મનમાં જ રહી ગઈ.

પંખી તો હવે ખરું જોતાં દિનેશ અને જયાની મટી નરેશ અને કંચનની જ દીકરી બની ગઈ હતી. તે ખાતી કંચનને રસોડે. સૂતી નરેશની પાસે. નરેશ તેને બહુ લાડ લડાવતો, ત્યારે જયા કહેતી: ‘નરેશભાઈ, દીકરીની જાતને ઝાઝાં લાડ ન કરો, નહિ તો સાસરિયામાં તે દુ:ખી થશે (જયાને દિયેર સાથે બોલવાની છૂટ હતી).’ ત્યારે નરેશ જવાબ દેતો: ‘ભાભી, મારે એને પરણાવવી જ ક્યાં છે? એને તો દાક્તર બનાવવાની છે દાક્તર ! ડૉ. મિસ પંખી !’ લગ્નને બે વર્ષ થઈ ગયાં, પણ કંચનને ઘેર હજી ઘોડિયું બંધાયું નહોતું; પરંતુ જેઠાણીની આ છોકરી ઉપર પ્રેમ વરસાવી તે આશાભરી સુખભર દિવસો વિતાવતી હતી.

પંખીને એક ભાઈ હતો જ. તે છોકરો-રમેશ બહુ નાનકડો હતો અને જયાને બીજી છોકરી આવી. ઉપરાઉપરી થયેલાં આ બે છોકરાં સાથે ત્રીજે માળે રહેવાનું જયાને વસમું પડવા લાગ્યું. ‘છોકરાં દાદર ઉપરથી ગબડી પડ્યાં,’ એવાં સ્વપ્નાં તેને રોજ રાત્રે ઊંઘમાંથી ઝબકાવી દેતાં. જયાના દિલની વરાળ કાઢવાનું સ્થાન તેની દેરાણી કંચન, એટલે કંચન આગળ પોતાના મનની બીક જણાવી. સાવ સ્વાભાવિકતાથી કંચને કહ્યું: નીચે બાવાળું ઘર ખાલી પડ્યુંપડ્યું ખાવા ધાય છે, ત્યાં આખો દહાડો રહેતાં હો, ને રાત્રે ત્રીજે માળે સૂવા જતાં હો તો કેવું?

જયા હસી પડી ને બોલી: ‘ભોળાં દેરાણી ! અમે ત્રીજો માળ અને ભોંયતળિયું બન્ને વાપરીએ, તે મારા દિયર એક ઘડી પણ સાંખી લે ખરા કે?’

એવામાં એક દિવસ દિનેશ દાદર ઊતરતો હતો; હાથમાં પુત્ર રમેશને તેડેલો હતો. સાથે સાથે પિતાની બીજા હાથની આંગળી ઝાલી પંખી પણ ઊતરતી હતી. પંખીનો પગ જરા લપસી પડ્યો. હાથમાં રમેશને તેડેલો હોવાથી દિનેશથી પંખીને બચાવાઈ નહિ. દડબડ ગબડતી તે બીજા માળ સુધી આવી પહોંચી. “કાકા ! ઓ કાકા !” ની બૂમથી તેણે ઘર આખું ગજવી મૂકયું. નરેશ નાહવા બેઠેલો હતો તે ટુવાલ વીંટાળી ભીને શરીરે નાહવાની ઓરડીમાંથી ધસી આવ્યો. પંખીને ઊપાડી લીધી: ‘બેટા, દીકરી, બહુ વાગી ગયું, ખરું?’ પંખીને વાંસે હાથ ફેરવતાં તે બોલતો હતો અને પછી દિનેશ તરફ જોયા વગર જ બોલ્યો: ‘કોઈ લોકો કેવાં થાંથાં હોય છે! છોકરી ગબડી પડે તો ઝાલી ન લેવાય? છોકરો બહુ મોંઘો હોય તો ભલે, છોકરી કંઈ વધારાની તો નથી ને?’ પંખીને ઝાઝું વાગ્યું નહોતું છતાં કંચને પિપરમીટની ગોળીઓ આપી, નરેશે બનાવટનું વાઘનું મોઢું પહેરી, તેને ખૂબ હસાવી અને ઘડીક વારમાં તો પંખીના કલરવથી આખું ઘર ગાજી ઊઠ્યું. થોડી વાર રહીને જયા આવી એટલે નરેશે કહ્યું: ‘ભાભી, તમે છોકરાંનો કાફલો લઈ, દિવસે તો નીચે જ વસવાટ રાખો. આમ રોજ ઊઠીને મારી પંખી ટિચાયા કરે તે ન ચાલે.’ જયાને બહુ હસવું આવ્યું અને તે બોલી: ‘ખરી વાત; તમારાં દીકરીબા કદાચ ગોબાઈ જાય તો?’ નરેશ જરાક તપીને બોલ્યો: ‘ના ભાભી, આ હસવાની વાત નથી. કોઈ વાર ખૂબ વાગી જાય, તો જનમભરની ખોડ રહી જાય. પેલી નંદુબહેનની કમળા એમ પડી ગઈ અને વાંસામાં ખૂંધ નીકળી છે ! ત્રીજે માળે તો ફક્ત રાત્રે જ ચઢવાનું રાખો.’ દેરાણી જેઠાણી એકબીજા સામું જોઈ સહેજ મોઢું મલકાવી ગયાં તે નરેશે ન જોયું.

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

કુન્દનિકાબેનના હસ્તાક્ષરો

“સાત પગલાં આકાશમાં” મારી પ્રિય નવલકથા છે તથા કુન્દનિકાબેન પણ મારા પ્રિય લેખિકા. જ્યારે હું ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી ત્યારે એક એસાઈન્મેંટના ભાગ રૂપે મારે કોઈ પણ પુસ્તક વાંચીને તેના પર લખવાનું હતું. ત્યારે મેં આ નવલકથા પર લખવાનું પસંદ કર્યું હતું. આ લખાણ હમણાં મને મારા ખજાનામાંથી મળ્યું જે આજે પોસ્ટ કરું છું.

કુન્દનિકાબેનની આ નવલકથા જ્યારે લખાઈ ત્યારથી આજ સુધીમાં ખૂબ વંચાઈ. ઘણી ભાષાઓમાં તેના અનુવાદ પણ થયા.  સ્ત્રી સ્વાતંત્ર્યના આ વિચારો તે સમયે પણ ક્રાંતિકારી હતા અને આજે પણ હજુ એ એટલા જ ક્રાંતિકારી  છે. આ નવલકથા સમય પહેલા લખાઈ છે. આવી કોઈ ક્રાંતિ માટે આપણો સમાજ હજુ તૈયાર નથી. કોઈ વસુધા સાચે જ કોઈ આદિત્ય સાથે ચાલી નીકળવાની હિંમત બતાવે તો તેને સમાજ સ્વીકારશે કે તેના તરફ આંગળી ચીંધશે??

આ પોસ્ટ તૈયાર કરતી હતી તે દરમ્યાન જ એક મિત્ર સાથે આ નવલકથા સંદર્ભે વાત થઈ તો એણે કહ્યું કે: “કોઈ મને પૂછે કે તારું ઘર ક્યાં?-તો હું તે વ્યક્તિને મારું ચોક્ક્સ સરનામું આપું છું. પણ મારી કોઈ મિત્ર દુ:ખી હોય અને તે મારા આશરે આવે તો હું એને પાંચ દિવસ માટે પણ આ ઘરમાં રાખી શકતી નથી. ક્યારેક મને રડવાનું મન થાય તો તારા જેવા મિત્રને મારા ઘરે બોલાવીને એના ખભે માથું મૂકી હું રડી શકતી નથી.  કારણ કે લગ્નના પંદર વર્ષ પછી પણ મારે બધી જ વાતના જવાબો, કારણો અને હિસાબો આપવા પડે છે. હું મારી મરજીનું કંઈ જ કરી શકતી નથી તો આ ઘર મારું કહેવાય?”–મારી આ મિત્રનો પ્રશ્ન વિચાર માંગી લે એવો છે.

એક બીજી સ્ત્રી પણ મને યાદ આવે છે. જેને મેં ૨૦-૨૨ વર્ષ પહેલા આ નવલકથા વાંચવા આપી હતી. તે લગભગ વસુધાના જેવી જ વ્યથાથી પીડાતી હતી. તેને પણ વ્યોમેશ જેવો જ પતિ હતો. નવલકથા વાંચ્યા બાદ પરત આપતી વખતે તેણે મને કંઈ કહ્યું તો ન્હોતું પણ ત્યારે એની આંખોમાં કંઈક અલગ ચમક હતી. એક આશા હતી કે કદાચ મારી જિંદગીમાં પણ આવો દિવસ ક્યારેક આવશે. આદિત્ય જેવું જ કોઈ મળે એવું નહીં પણ કોઈ મિત્ર કે કોઈ સગાસંબંધીની ઓથ મળે તો આ પરિસ્થિતિમાંથી છૂટવાની તેને અપેક્ષા હતી. પણ થોડા વર્ષો પહેલાં માત્ર ૪૬ વર્ષની ઉંમરમાં હ્રદયના પહેલા જ હુમલામાં તે સ્ત્રીનું મૃત્યુ થયું. સ્વતંત્રતા તો તેને મળી પણ જિંદગીના ભોગે.

સાત પગલાં આકાશમાં

 

“આનંદગ્રામ”માં વૃક્ષોથી ઘેરાયેલી સુંદર જગ્યાનું નામ હતું ફૂલઘર. સૂરજ છેક દરિયા પર ઉતરી આવ્યો હતો તે સમયે વસુધાનો અંધારાની આરપાર તેજ લિસોટો દોરતો હોય એવો પ્રશ્ન ફૂલઘરમાં ઉપસ્યો: “માણસ જે રીતે પોતે જીવવા માંગે છે તે રીતે જીવી શકે ખરો?” આ પ્રશ્ન પૂછીને વિચારશીલ મગજમાં ઝંઝાવાત પેદા કરનાર વસુધા એ વ્યોમેશની પત્ની તરીકે ઓળખાતી સ્ત્રી હવે ન્હોતી. એ તો હતી માત્ર વસુધા-સ્વાતંત્ર્ય મેળવવા મથતી એક સ્ત્રી…

આનંદગ્રામમાં રહેતી વસુધાના મનમાં જોરદાર ઝપાટો આવ્યો…મનમાં રહેલી બંધ બારીનાં દરવાજા ખૂલી ગયાં…ને..

ને પછી વહી ગઈ એક કથા…પ્રસંગો…ઘટના અને કેટલીક ક્ષણો…

ફૈબાના મૃત્યુના સમાચાર જાણીને પણ પાર્ટીમાં આનંદથી વર્તતા પતિ વ્યોમેશ સાથે પ્રથમ વખત દલીલ કરતી વસુધાના મુખમાંથી સરી પડ્યું કે: “માણસ પોતાને ખરેખર જે લાગતું હોય તે પ્રમાણે જીવે એમાં સચ્ચાઈ છે”. પણ શું એ પોતે જ એ રીતે જીવતી હતી ખરી?

સાધારણ સ્થિતિનાં માતાપિતાની પાંચ દીકરીઓમાંની ત્રીજી દીકરી વસુધા સૌના દબાણથી એની ઈચ્છાને નેવે મૂકીને વ્યોમેશ સાથે પરણી ગઈ. વસુધાને તો આકાશમાં વિરહતા મુક્ત પંખીની જેમ મુક્ત ઉડવું હતું. પણ ત્યાં તો અનિચ્છાએ બંધાઈ ગઈ. પેલા આકાશમાંના પંખીને જોઈને એના અજાગ્રત મનની તરુણ ભૂમિમાં એક બીજ વવાયું.. “કોઈક દિવસ હું પણ ઉડતા પંખીના જેવું જીવન જીવીશ. આજે ભલે હું લગ્ન કરું સંસાર વસાવું પણ દૂર-સુદૂરના કોઈક દિવસે હું મારી ઈચ્છા પ્રમાણે મારા લયમાં જીવીશ. કોઈ દબાણ હેઠળ હું નહીં જીવું”.

પરણ્યા બાદ વસુધાએ ઘરકામ અને ઘરકામની કંદરાઓમાં, ઊંડી અંધારી કોતરોમાં ચાલ્યા કર્યું. પોતાની પાછળ સતત ચોકી રાખતા, સતત ફરમાનો છોડ્યા કરતા, રૂઢિથી બધિર બની ગયેલા ફૈબાને સહ્યા કર્યા. પણ મન તો મુક્તિ માટે જ…સ્ત્રીની સ્વતંત્રતા માટે જ મંથન કરતું. એના મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા….

“પુરુષ કદી પત્ની કે મા કે માસી કે ફોઈ માટે ખાવા-ન ખાવાનાં વ્રત લેતો હશે?”

“પ્રેમ કે સંબંધ કે ફરજ પુત્ર અને તેનાં માતાપિતા વચ્ચે જ હોય છે? અને પુત્રીનાં માબાપ વચ્ચે નહીં?”

“પુરુષ અમુકનો વિધુર એ રીતે કદી ઓળખાયો છે?”

“માતા પોતાના બાળકને પોતાનું નામ, પોતાનો ધર્મ, પોતાની જ્ઞાતિ આપી શકે છે?”

“પુત્રીજન્મના વધામણાં થાય છે ખરાં?”

“દહેજ એ વ્યાપારી વિચારણા નથી?”

“સ્ત્રી શા માટે લગ્ન કરે છે? લગ્ન કરીને સ્ત્રીને શું મળે છે?”

“જીવન શું છે? આપણે બધાં શાને માટે જીવીએ છીએ, બીજાઓ સાથે શાને માટે જવાબદારીથી સબંધાઈએ છીએ?”

“મનુષ્ય મનુષ્ય વચ્ચે, સ્ત્રી અને પુરુષ વચ્ચે એવો સંબંધ શક્ય છે ખરો, જેનો આધાર પૃથ્વી હોય અને જેનો વિસ્તાર આકાશ હોય?”

“દક્ષતાપૂર્વક કામ કરવું, લોકપ્રિય થવું, વધું કમાવું એ શું ગુનો છે? પતિ માટે એ જો ગુનો ન હોય તો પત્ની માટે એ ગુનો કેમ કરીને હોય શકે?”

…પણ આ તમામ પ્રશ્નો…ઈચ્છાઓ…સમસ્યાઓને હલ કોણ કરે? એકલી વસુધા??

વસુધા લગ્ન પછી ઘણાં વર્ષો સુધી પતિનો અનાદર, ઉપેક્ષા સહન કરતી રહે છે. પરંતુ વ્યોમેશને કહી શકતી નથી કે “તમારો આ વ્યવહાર હું સહી લઉં છું ભલે ,પણ હું એ સ્વીકારી શકતી નથી”.

ન ઉચ્ચારાયેલ શબ્દો વસુધાની અંદર ને અંદર ગૂંગળાય છે. એના મનને ભીંસ લાગે છે. રોજના એકધારા કામની નીરસ ભૂમિમાં આનંદનું એક્કે તરણું ઊગતું નથી. પણ વસુધા અન્યાયને…વેદનાને સહન કરવા માટે સર્જાયેલી સ્ત્રી ન્હોતી. એ તો હતી સ્ત્રીમુક્તિની ચેતનવંતી મશાલ….!

અચાનક વસુધાના જીવનમાં વળાંક આવે છે. વસુધા અન્યાયો પ્રત્યે જાગ્રત બને છે, વિચાર કરે છે, આ પ્રકારની બીજી સ્ત્રીઓ સાથે સમવેદના અનુભવે છે, મથામણ કરે છે અને તેની અંદર સંઘર્ષ જાગે છે. અને પછી તેની જ્વાળાનો પ્રકાશ સંબંધોને તેના વાસ્તવિક સ્વરૂપમાં છતાં કરે છે. તેણે અને વ્યોમેશે વસાવેલો સંસાર…જેમાં હર્ષ, અશેષ, દીપંકર, સુનીલા, કમલ, સલીના હતાં. એ સર્વ માહોલને છોડીને મુક્તિના રાહ પર પગલાં માંડે છે.

મુક્તિના રાહ પર માંડેલા પગલાં વસુધાને “આનંદગ્રામ”માં ખેંચી લાવે છે. ત્યાં વસે છે ઈશા-સ્વરૂપ, આભા-ગગનેન્દ્ર, અગ્નિવેશ, એના-વિનોદ, અલોપા, મિત્રા, જયાબેન અને “અ”….બધાં મુક્તિના પંથે ડગ માંડતા વિચારશીલ, લાગણીશીલ, ઉચ્ચ આત્માઓ.

અને એક અપૂર્વ દિને એ જ “આનંદગ્રામ”માં અચાનક વસુધાનો ભેટો એના નાનપણના મિત્ર આદિત્ય સાથે થાય છે. આદિત્ય એક ભવ્ય પુરુષ…, એના હ્રદયના ધબકારે આછો આછો સચવાયેલો પુરુષ! આદિત્ય સામાજીકકાર્ય, સેવા અને હાસ્યનો માણસ હતો. વાતોનો રસિયો, સાહસનો પ્રેમી. હિમાલયમાં એ બહુ સાદું કામ કરતો. જ્યાં એક આંસુ ટપક્યું હોય ત્યાં બે હાસ્ય વાવતો.

આદિત્યના આવ્યા બાદ ઘણી ઘટનાઓ બને છે. અને સમય પસાર થતાં આદિત્યને હિમાલય પાછા ફરવાનો દિન આવી પહોંચે છે. પાછા ફરવાના આગલા દિવસે આદિત્ય વસુધાને કહે છે:

”વસુધા, તું…તું આવીશ મારી સાથે પહાડોમાં? આપણે સાથે મળીને ત્યાં આવું આનંદધામ ઊભું કરવાની કોશિશ કરી શકીએ. તું એ કરી શકીશ…”

અને વસુધા આદિત્યને ઉત્તર આપે છે: “ભલે, હું આવીશ…”

અને સાચે જ, વ્યોમેશ નામના બંધનને તોડીને સ્ત્રી મુક્તિની અદભુત મશાલ લઈને વસુધા નામનું પંખી આદિત્ય નામના જબરજસ્ત સાથના સહારે આકાશમાં ખૂબ ઊંચે ઊડ્યું. કે જે પંખીને ચાર દીવાલની ચેતનામાં ફરી સમાવવા કે મુક્ત રીતે ઊડતા અટકાવા માટે કોઈ સમર્થ ન્હોતું.

સાત પગલાં આકાશમાં-કુન્દનિકા કાપડીઆ  

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર

પૃષ્ઠ: ૪૬૧

કિંમત: રૂ. ૨૫૦.૦૦

હિના પારેખ “મનમૌજી”

Copyright©HeenaParekh