मैं अँधेरा : एक रहस्य – डॉ. गोपाल शर्मा ‘सहर’

.

हाँ, मैं अँधेरा हूँ. मुझे सदियों से कोसा जाता है. शास्त्रों ने मुझसे दूर भागने की बातें कही है. प्रभो से यही प्रार्थना की जाती है कि “हे प्रभो ! हमें अंधकार से प्रकाश की ओर ले जाओ.” मेरी ओर तो कोई देखना, आना ही नहीं चाहता है. मानो मैं तो यूँ ही अनचाहा, न जाने कहाँ से, कैसे आ टपका यहाँ. लावारिस ! कोई अपनाना ही नहीं चाहता है. पर मैं न लावारिस हूँ और न झूठ ही. मैं तो अनादिकाल हूँ. मैं न कभी जनमा और न कभी मरा ही. जब कुछ नहीं था तब भी मैं था और एक दिन जब कुछ नहीं रहेगा, तब भी मैं रहूँगा.

 .

ज्ञानी मुझे निराशा, दु:ख, कष्ट, अज्ञान का प्रतीक कहते हैं. मैं न किसी का रोड़ा, काँटा बना, न ही मैंने ज्ञानियों के ज्ञान में कोई बाधा डाली, यदि किसी को कुछ दिखाई नहीं देता है मेरी उपस्थिति में, तो इसमें मेरा क्या कसूर ! सूरज के उजाले में कौन सूरज को देख सकता है भर दुपहर में ! मैंने किसका क्या बिगाड़ा है कि हमेशा मुझसे पल्लू झटकने की बातें होती रही. लोग भूल जाते हैं कि अंधकार और उजाला एक ही सिक्के के  दो पहलू हैं. जहाँ दिन है, वहाँ रात है और सुबह है तो शाम भी है, और ज्ञान है, वहाँ अज्ञान भी जरुर है.

 .

जिस तरह अंधकार से प्रकाश की ओर यात्रा है, ठीक उसी तरह प्रकाश से अंधकार की ओर यात्रा है. उजाले में श्रम से थके-हारे लोगों को मैं ही अपनी गोद में सहलाकर, लोरी सुनाकर सुला देता हूँ और अगले दिन उजाले की दस्तक से फिर रोजी-रोटी कमाने में जुट जाते हैं. जीवन में जितनी श्रम की जरुरत है, उतनी विश्राम की भी. यूँ कहने को सब कोई कह ले अँधेरा निष्क्रिय बना देता है हमें. परन्तु मनुष्य जब श्रम से निष्क्रिय हो जाता है, तो उसे चैन की नींद सुलाकर मैं ही नई उर्जा भरता हूँ, ताकि वह फिर सक्रिय बने. उजाला सारी उर्जा खा जाता है लोगों को सक्रिय रखकर, और मैं निष्क्रिय हुए में नयी उर्जा क संचार कर सक्रिय करता हूँ उन्हे फिर. मनुष्य के अपने आप गाढ़ अंधकार में उतारने और डूबने का नाम ही निद्रा है और इस निद्रा में डूबे बिना मनुष्य कैसे जीवित रह सकता है. जो रोज़ निश्चिन्त रात को इस अंधकार में डूब जाते हैं, वे पृथ्वी पर सबसे ज्यादा सुखी हैं, हरेक प्राणी की यात्रा उजाले से अंधकार की तरफ होती है, जहाँ पहुँचकर वह परम सुख की अनुभूति करता है, जो इस अंधकार में डूबने के सुख से वंचित रह जाते हैं, वे दिमागी संतुलन तक खो देते हैं, फिर डॉक्टरों की लिखी गोलियाँ खाकर निद्रा के अंधकार की ओर यात्रा-प्रयाण करने की कोशिश करते हैं.

 .

हमेशा अँधेरे से डरना सिखाया जाता है. बच्चों को अँधेरे से, भगवान से डराया जाता है. फिर वे ज़िन्दगी भर इनसे डरते हैं. यहाँ तक कि बड़ों तक को अकेले में अँधेरे को पहने-ओढ़े झाड-झाड़ी दीख जाये तो पसीना और छक्के छूट जाते हैं.

 .

कुदरत का कसूर कहूँ कि दस्तूर ! मेरा रंग काल-कलूटा और स्वभाव से मैं एकदम शांत. उजाला रंग का धोला और स्वभाव का तेज-तर्रार. मुझे तो नाम ही कैसे दिये-अँधेरा, अंधकार. मानो मैं दृष्टिहीन हूँ. पर मैं जो देख सकता हूँ, वह तो उजाला तक नहीं देख सकता है और मेरी दृष्टि तक उजाले की आँखे पहुँचती ही नहीं. मेरी नज़र से सूरदास ने जो देखा वह तो उजाले की नज़र वाला कोई नहीं देख पाता.

 .

दार्शनिकों को मैं दिखायी ही नहीं दिया. मेरा अस्तित्व ही नहीं स्वीकारा. न मुझे सात, सोलह पदार्थों में स्वीकारा, न पाँच-पच्चीस तत्वों में. कहीं पर भी मेरा नाम-निशान नहीं. पृथ्वी, जल, तेज, वायु, आकाश, काल, दिशा, आत्मा और मन की सत्ता स्वीकार कर उनके लक्षण किये गये. किसी ने सवाल उठाया भी कि बेचारे अंधकार को भी दसवाँ द्रव्य मानना चाहिये. उसका भी रंग-रुप है, उसमें गति भी दिखायी देती है तो यह कहकर इस वात को ही उड़ा दिया कि वह तो प्रकाश का  अभाव मात्र है. उसका कोई रंग-रुप नहीं. रंग-रुप को देखने के लिये प्रकाश की जरुरत पड़ती है और अंधकार को देखने के लिये जैसे ही प्रकाश को पास ले जाते हैं तो वह गायब हो जाता है. उसमें जो गति दिखायी देती है वह तो प्रकाश का अपसरण है.

 .

मुझे समझ में नहीं आता है कि यदि मैं हूँ ही नहीं तो मुझे यह नाम क्यों दिया गया ! यह तो बड़ी अजीब बात है कि यदि मैं हूँ नहीं तो शास्त्रों में लोग क्यों गिड़गिड़ाते है कि ‘हे प्रभो ! हमें अंधकार से प्रकाश की ओर ले जाओ.’ और यह कहवत यूँ ही नहीं गढ़ी गयी होगी कि खुदा के घर देर है, पर अंधेर नहीं. पर जहाँ अँधेरा है, वहाँ सवेरा भी है, और जहाँ सवेरा है, वहाँ फिर से अँधेरा होने ही वाला है. अँधेरा तो बसेरा है, विश्राम है. उजाले का थका-हारा मुसाफिर अँधेरे के गिरते-घेरते यहाँ-वहाँ कहीं भी बसेरा ढूंढ़ ही लेता है, रैन-बसेरा.

 .

मुझे हँसी आती है ज्ञानियों के ज्ञान पर कि जो है ही नहीं, उसे आकाश नाम दे दिया. उसे शब्द गुण वाला कहा गया है और तो और जिसे देखा न जाना उस ‘आत्मा’ की सत्ता स्वीकर कर ली. जीवात्मा और परमात्मा भेद और लक्षण भी कर दिया और कुछ नहीं तो मुझे भी काल-दिशा की तरह व्यावहारिक ज्ञान के लिये ही स्वीकार कर लिया होता तो उनका क्या बिगड़-चला जाता.

 .

सब जगह उजाले का बोलबाला है. उजाले की पूजा-अर्चना. कोई माने या न माने पर मेरी भी सत्ता तो है. मेरा भी साम्राज्य है, जिसकी वजह से क्या से क्या हो जाता है. रस्सी में सर्प, पेड़-पौधों या किसी और की आकृतियों में भूत-प्रेत तक दिखायी  देते हैं और लोग भाग खड़े होते हैं. अगर मैं होता ही नहीं तो उन्हें जो है, वो वैसा ही दिखायी देता. सिर्फ मैं ही नहीं, भ्रम-अज्ञान तो उजाला भी पैदा करता है कि तपती दुपहर में नदी-समुद्र के किनारे सीप में चाँदी का ज्ञान हो जाता है. राह में पड़ी पीतल आदि धातु की वस्तुएँ सोने की दिखायी पड़ती है, और उन्हें हाथ में उठा तक लेते है और इतना ही नहीं, कोई देख न ले, इस डर के मारे जेब में रख लेते है और फिर अकेले में देखते हैं कि यह असली सोने-चाँदी की है या झूठी-नकली ताँबे-पीतल की.

 .

हाँ, मैं हूँ, सब कहीं जगहों पर हूँ. जब उजाला इस पार है, तो मैं उस पार हूँ और जब उजाला उस पार है तो मैं इस पार हूँ. दीये के नीचे छुपकर मैं ही बैठा हूँ. यह कहावत यूँ ही नहीं बनी होगे कि ‘दीया तले अँधेरा’. इसमें बुरा क्या है. दीये के तले उजाला कर दो, अँधेरा उपर हो जायेगा. किताब-कॉपी के हाशिये पर, घरों-मकानों के कोनों में यहाँ-वहाँ, जहाँ, कहीं भी जितनी जगह मिल जाये छुपकर बैठ जाता हूँ, खजूर, नारियल के ऊँचे पेड़ो पर चढ़कर बैठ जाता हूँ. मैं कोई चोर भी नहीं हूँ. मेरी नियति ही है कि मैं रहस्य हूँ. ठीक आत्मा-परमात्मा की तरह. तुम रोशनी को मुठ्ठी में कैद कर सकते हो, मुझे नहीं. मैं तो अपनी मर्ज़ी का मालिक.

 .

( डॉ. गोपाल शर्मा ‘सहर’)

ઝંખના – પલ્લવી શાહ (Happy Valentine’s Day)

.

મારાથી તારા વગર રહેવાતું નથી. સમાવી લે મને તારામાં. તારા વિશાળ વક્ષસ્થળમાં હું મારું માથું મૂકું અને તારો હાથ મારા માથે ફરતો હોયને એક મધુર શાંતિ અંગે અંગમાં વ્યાપી જાય. હું ચિરનિંદ્રામાં પોઢી જાઉં. જ્યારે ઉષાના રંગો ફેલાયેલા હોય ત્યારે હું પડી રહું અને તું નિ:શબ્દ થઈ તારી આંખોમાંથી મારી ઉપર અમી છાંટણાં કરતો હોય અને હું આંખો બંધ રાખી તારા અમી છાંટણાંનું અમૃત પીતી જાઉં. આ બધી ઈચ્છાઓ મને થાય છે કારણ કે હું તને ખુબ ખુબ પ્રેમ કરું છું અને ખરેખર આંખો બંધ રાખીને હું પથારીમાં પડી છું. આંખો ખોલતાં ડર લાગે છે કે જો હું આંખો ખોલીશ તો જે નિકટતા આંખો બંધ રાખીને અનુભવું છું તે ખુલ્લી આંખે દૂર નહિ થઈ જાય ને ?

.

.

હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એ પ્રેમનું ગીત ગાતાં ગાતાં ક્યારેક પંખી બનીને ગગનમાં મુક્તવિહાર કરવા લાગું છું, તો ક્યારેક હવાના રેલાતા સૂર સાથે મારા તાલ મેળવવા પ્રયત્ન કરું છું. ક્યારેક પગમાં ઘૂંઘરું બાંધી એક લય પર અટલ રહી, તારામાં એકરૂપ થવાનો પ્રયત્ન કરું છું. તો ક્યારેક ચાતક બની તારા વરસવાની રાહ જો ઉં છું. તો ક્યારેક મોર બની થનગનાટ કરું છું. મારું મન મારા કહ્યામાં નથી અને મારું હૃદય તને અને ફક્ત તને જ ઝંખે છે. ચાલને આપણે હાથ પરોવી સમુદ્રની આ મીઠી મીઠી લહરો ઉપર આપણાં નામ કોતરીએ. આવીશ ને ?

.

.

આ રંગબેરંગી દુનિયા અને રંગબેરંગી ઉત્સવ. ચારે તરફ ઉત્સવ-પર્વ. ચાલને આજે આપણે પણ આપણા મિલનનો ઉત્સવ ઉજવીએ. પણ એમાં આપણે બે અને ફક્ત આપણે બે જ રહીશું. તું મારી સામે બેઠો હશે અને હું મારા પગમાં ઘૂંઘરું બાંધી નૃત્ય કરીશ અને તું તારા નયનોની સુરાહીમાં મને ભર્યા કરજે. રાત્રે શીતળ ચાંદનીનાં પ્રકાશમાં આપણે બંને બારીએ ઉભાં રહીશું અને એકબીજાને આપણા મિલનની વધામણી આપશું ત્યાં અચાનક એક તારો ખરશે અને આપણે ઈચ્છા ધારણ કરીશું. આપણા પ્રથમ મિલનનો આ ઉત્સવ દરેક દિન, દરેક પળને ઉત્સવ બની રહેશે.

 .

( પલ્લવી શાહ )

શ્રદ્ધા અને ધીરજ – સ્વામી વિવેકાનંદ

[ સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે સ્વામીજીના શબ્દોમાં એક પ્રેરણાદાયક બાળવાર્તા મૂકું છું. આ અગાઉ આ સાઈટ પર અન્ય એક બાળવાર્તા “ગોપાળનો મિત્ર” પોસ્ટ થઈ હતી. જેના રચનાકાર પણ સ્વામી વિવેકાનંદ જ હતા. જે વાચકો એ વાર્તા વાંચવાનું ચૂકી ગયા છે એમના માટે આ સાથે લીંક મૂકું છું.

https://heenaparekh.com/2009/07/20/gopal-no-mitra-1/

https://heenaparekh.com/2009/07/21/gopal-no-mitra-2/

આશા રાખું છું વાચકોને ગમશે. ]

.

નારદ એક દેવર્ષિ હતા. નારદ મહાન યોગી હતા અને એ બધે સ્થળે વિહરતા.

એક દિવસ નારદ મુનિ વનમાંથી પસાર થતા હતા. ત્યારે એમણે એક માણસ જોયો તે ધ્યાન કરી રહ્યો હતો. એટલા બધા સમયથી એક જ સ્થિતિમાં એ ધ્યાન ધરી રહ્યો હતો કે એના શરીરની આસપાસ ઊધઈનો મોટો રાફડો થઈ ગયેલો.

એ માણસે નારદ મુનિને પૂછ્યું : “હે નારદ ઋષિ, આપ ક્યાં જાઓ છો ?”

નારદે કહ્યું : “વૈકુંઠમાં જાઉં છું.”

પેલો માણસ કહે : “તો ભગવાનને પૂછજો કે તેઓ મારા પર ક્યારે કૃપા કરશે ? મને ક્યારે મુક્તિ મળશે ?”

આગળ જતાં નારદે બીજા માણસને જોયો.એ મસ્તીમાં નાચતોકૂદતો ગાતો હતો.

એ માણસે પૂછ્યું : “હે નારદ ઋષિ, તમારી સવારી ક્યાં ઊપડી છે ?”

એ માણસનો અવાજ અને બોલવા-ચાલવાની એની રીત ઉન્માદભરી હતી.

નારદે કહ્યું : “ભાઈ, હું વૈકુંઠ જાઉં છું.”

પેલો માણસ કહે : “તો જરા પૂછતા આવશો કે મને મુક્તિ ક્યારે મળશે ?”

નારદ ચાલ્યા ગયા.

ઘણા સમયા પછી નારદ મુનિ પાછા એ જ રસ્તે થઈને નીકળ્યા અને જુએ તો શરીરની આસપાસ ઊધઈના રાફડાવાળો માણસ ત્યાંજ બેઠો બેઠો ધ્યાન ધરતો હતો.

નારદ મુનિને જોઈને એ માણસે પૂછ્યું : “હે નારદ ઋષિ, ભગવાનને મારા વિશે આપે પૂછ્યું હતું ?”

નારદ કહે : “જરૂર.”

માણસે આતુરતાથી પૂછ્યું : “ભગવાને શું કહ્યું ?”

નારદ બોલ્યા : “ભગવાને કહ્યું કે ‘ચાર જન્મ પછી તમારીમુક્તિ થશે’.”

આ સાંભળીને પેલો માણસ રડવા લાગ્યો અને ગદગદ કંઠે બોલ્યો : “મારા શરીરની આસપાસ ઊધઈનો મોટો રાફડો જામ્યો ત્યાં સુધી મેં ભગવાનનું ધ્યાન ધર્યું, છતાં હજુ મારે ચાર જન્મમાંથી પસાર થવાનું છે ?”

નરદ મુનિ આગળ ચાલ્યા, તો પેલો પાગલ જેવો માણસ મળ્યો. તેણે હસતાં હસતાં પૂછ્યું : “નારદ ઋષિ, તમે ભગવાનને મારા વિશે પૂછ્યું હતું કે પછી રામ તારી માયા ?”

નારદ કહે : “અરે, એ તે કંઈ ભુલાય !”

માણસે પૂછ્ય્તું : “ભગવાને કશું કહ્યું કે ?”

નારદ કહે : “આ સામે આંબલીનું ઝાડ દેખાય છે ને એની ઉપર જેટલાં પાંદડાં છે એટલા જન્મમાંથી તમારે પસાર થવાનું છે ! ત્યારબાદ તમને મુક્તિ મળશે.”

એ સાંભળીને પેલો પાગલ આનંદથી નાચવા લાગ્યો. તે બોલ્યો : “મને આટલા ટૂંકા વખતમાં મુક્તિ મળશે ? વાહ ! ભાઈ, વાહ !”

ત્યાં તો એ જ વખતે આકાશવાણી સંભળાઈ : “હે વત્સ ! તું આ ઘડીથી મુક્ત છો !”

એની અખૂટ ધીરજનું એ ફળ હતું. ગમે તેટલા જન્મ સુધી એ સાધના કરવા તૈયાર હતો, કશાથી એ નિરાશ ન થયો. પહેલા માણસને માત્ર ચાર જન્મનો સમય પણ બહુ લાંબો લાગ્યો. યુગો સુધી રાહ જોવાને તત્પર પેલા બીજા માણસના જેવી શ્રદ્ધાથી જ પરમપદને પામી શકાય છે.

( સ્વામી વિવેકાનંદ)

કોઈ ચાર્જ નહીં – સં. સંજીવ શાહ

.

અમારો નાનકડો દીકરો તેની મમ્મી પાસે આવ્યો અને મમ્મીના હાથમાં એક કાગળ પકડાવ્યું. મમ્મીએ હાથ લૂછી કાગળ વાંચવા લીધો. કાગળમાં આમ લખ્યું હતું.

 .

મારો કમરો સાફ કરવા માટે  –  રૂ. ૦૫=૦૦

નાની બહેનની કાળજી રાખવા માટે  –  રૂ. ૧૦=૦૦

ખરીદી માટે સાથે જવા  –  રૂ. ૦૨=૦૦

કચરો ફેંકવા બહાર જવા  –   રૂ. ૦૦=૫૦

સારા ગુણ મેળવવા મહેનત કરી  –  રૂ. ૧૦=૦૦

શાક સમારવાની મહેનત  –  રૂ. ૦૦=૨૫

કુલ ચાર્જ  –  રૂ. ૨૭=૭૫

 .

મમ્મીએ દીકરા સામે મીઠ્ઠી નજરે જોયું. પછી તેણે કાગળ ઊંધો કરી પેનથી તેના પર લખ્યું.

 .

નવ મહિના મેં તને મારા પેટમાં ઉછેર્યો  –  કોઈ ચાર્જ નહીં.

તારી સાથે બેઠી, તારી કાળજી રાખી, માવજત કરી  –  કોઈ ચાર્જ નહીં.

આટલાં વર્ષો દરમ્યાન તારી પાછળ જે પણ આંસુ વહાવ્યાં  –  કોઈ ચાર્જ નહીં.

રાતોની રાતો તારી પાછળ ઉજાગરા કર્યા  –  કોઈ ચાર્જ નહીં.

તને ખોરાક, કપડાં, રમકડાં આપ્યાં  –  કોઈ ચાર્જ નહીં.

અને આવા બધાનો કુલ સરવાળો  –  ખૂબ જ પ્રેમ, કોઈ ચાર્જ નહીં.

 .

દીકરાએ મમ્મીનું આ લખાણ વાંચવું પૂરું કર્યું, અને તેની આંખમાં મોટાં આંસુ આવી ગયા. મમ્મી સામે જોઈને એણે કહ્યું, “મમ્મી,તું ખરેખર કેટલી સરસ છે !” અને પછી પોતાનો કાગળ હાથમાં લઈ મોટા અક્ષરથી એણે લખ્યું – “બધુંજ ચૂકવાઈ ગયું છે – પૂરેપૂરું અને આગોતરું જ !”

 .

( સંકલન : સંજીવ શાહ )

ઝંખના – પલ્લવી શાહ

.

જ્યારે જ્યારે તું મને સ્વપ્નમાં આવે છે ત્યારે ત્યારે મને આ દુનિયા આખી બદલાઈ ગયેલી લાગે છે. ક્યારેક મારી આંખ ભરાઈ આવે તો ક્યારેક મારું મસ્તક તને નમી પડે છે તો ક્યારેક હું મારી સુધબુધ ખોઈ બેસું છું. આ ઝાડ, પાન, આકાશ, સમુંદર, ધરતી, પશુ-પંખી, આબાલ વૃદ્ધ બધા જાણે મને હસતા લાગે છે. મારી આજુબાજુના બધાં દુ:ખ ભૂલીને હું ખૂબ ખુશખુશાલ થઈ જાઉં છું અને જેટલી હું ખુશ થાઉં છું એટલી તને મેળવવાની, તારામાં સમાઈ જવાની પ્યાસ મારામાં વધતી જ જાય છે. મારો તારા પ્રત્યેનો પ્રેમ વધતો જ જાય છે. ને મારી આંખો ભરાઈ આવે છે. એ મારા આંસુ સાથે વારંવાર તને એક જ વિનંતી કર્યા કરું છું કે ક્યારેક ભૂલથી પણ હું રસ્તો ભૂલું તો મને ઉદાર દિલે માફી આપી મારી સાથે ને સાથે, મારી પાસે ને પાસે રહેજે. મારો સાથ તું કદી પણ છોડતો નહિ. મને સાચો રસ્તો બતાવી મારો રાહદારી બનજે, બનીશ ને ?

 .

હું તને કેટલો પ્રેમ કરું છું તેની તને ખબર છે ? ક્યારેક મને ઈચ્છા થાય છે કે તારી માતા બની મારું ધાવણ તને અર્પૂ, તને ખૂબ વહાલ કરું, તારા માથા પર, તારા શરીર પર હેતનો વરસાદ વરસાવું, તને નવરાવું, સરસ વસ્ત્રાલંકાર પહેરાવું, તને સજાવું, તો ક્યારેક મને થાય છે કે હું તારી દીકરી થઈ જાઉં, તું મને ખૂબ વહાલ કરે, મારે માથે હાથ ફેરવી મને પરમ શાંતિનો અનુભવ કરાવે તો ક્યારેક મને થાય છે કે હું તારી બહેન બની તને રાખડી બાંધુ, તારી છાતીમાં મ્હોં છુપાવી મારા સુખદુ:ખની વાત કરું. તું મારી સમક્ષ રહે અને પળે પળે તારી આંખોમાંથી વ્હાલપનું ઝરણું મારી સમક્ષ વહેતું રહે. તું મને કયા સ્વરૂપે સ્વીકારીશ ?

.

( પલ્લવી શાહ )

.

 

હું બારણે બારણે – રવીન્દ્રનાથ ટાગોર

હું બારણે બારણે ગામડાના રસ્તા ઉપર માગતો ફરી રહ્યો હતો, એટલામાં દૂરથી તારો સોનેરી રથ દેખાયો, જાણે કે કોઈ મહાન ભવ્ય સ્વપ્ન ખડું થયું હોય તેવો. મારા મનમાં આશ્ચર્યનો પાર ન રહ્યો !

આ રાજરાજેશ્વર જેવું કોણ હશે ? મારી આશાના મિનારા ઊંચા થતા ગયા. મને લાગ્યું કે હવે દુ:ખના દિવસો પૂરા થયા. અને હું તો ત્યાં વગર માગે મળી જનારા દાનની રાહ જોતો, અને ધૂળમાં વેરાયેલા સુવર્ણદ્રમ્મોનાં સ્વપ્નાં સેવતો, ઊભો રહ્યો.

હું જ્યાં ઊભો હતો ત્યાં જ રથ પણ અટક્યો. તારી અમીદ્રષ્ટિ મારા ઉપર પડી, તું સ્મિત કરતો નીચે ઊતર્યો. આહા આહા, મેં ધાર્યું કે છેવટે છેવટે મારા જીવનની આશાનો પૂર્ણ કુંભ છલકાવાની તૈયારીમાં છે.

પણ એટલામાં તો તેં જ અચાનક તારો જમણો હાથ લાંબો કર્યો અને કહ્યું : ‘તું મને આમાં શું આપે છે ?’

આ હા ! રાજરાજેશ્વર પોતે, ભિખારીના ભિખારી પાસે હાથ લાંબો કરે એ તો તારી રાજાની, મારા જેવા ભિખારીની કેવી રાજ-મશ્કરી હતી ? હું તો મૂંઝાઈ ગયો. અને અનિશ્ચિત જેવો ત્યાં ઊભો જ રહી ગયો. અને પછી મારા અંચળામાંથી, એક નાનકડામાં નાનકડો દાણો કાઢીને તને આપ્યો !

પણ આશ્ચર્યનું આશ્ચર્ય તો ત્યારે આવ્યું, જ્યારે દિનાન્તે મેં મારા દાણાનો ઢગલો જમીન ઉપર કર્યો – અને આહ ! એમાં એક દાણો સોનાનો હતો ! હું નિરાશામાં વેદનાભર્યું આક્રંદ કરી રહ્યો, અરે ! અરે ! અરે ! – મેં તને સઘળા જ દાણા આપી દીધા હોત તો !

( રવીન્દ્રનાથ ટાગોર, અનુ. ધૂમકેતુ )

છતાં પણ કરે જ જાઓ

ડો. વર્ગીસ કુરિયનની ઓફિસમાં પ્રદર્શિત ‘અમૂલ’ વિધાનો

છતાં પણ કરે જ જાઓ

 .

તમને એક રચનાત્મક કામ સાકાર કરવામાં વર્ષો લાગે,

એનો નાશ એક જ રાતમાં થાય,

છતાં પણ તે કાર્ય કરે જ જાઓ.

 .

લોકો ભલે તર્કહીન હોય, સ્વાર્થી હોય,

છતાં પણ તેમને પ્રેમ કરતા જ રહો.

 .

આજે તમે જે સારું કામ કરશો, તે કદાચ કાલે ભુલાઈ જશે,

છતાં પણ સારાં કામ કરે જ જાઓ.

 .

જો તમે કોઈ સારું કામ કરશો તો લોકો તમારે માથે કોઈ છૂપા અને

સ્વાર્થી હેતુનો આરોપ મૂકશે,

છતાં પણ તમે સારાં કામ કરતા જ રહો.

 .

પ્રામાણિક અને સ્પષ્ટતા વક્તા બનવાથી તમને મુશ્કેલી પડી શકે !

છતાં પણ પ્રામાણિક અને સ્પષ્ટવક્તા જ બનો.

 .

વિશ્વને તમારું શ્રેષ્ઠ અર્પણ કરો અને મોં પર લાત ખાવ,

છતાં પણ વિશ્વને તમારું શ્રેષ્ઠ જ અર્પણ કરતા રહો.

 .

મહાન વિચારો ધરાવતા મહાન માણસોને પણ નાનામાં નાનું મગજ

ધરાવતા નાનામાં નાના માણસો નષ્ટ કરી શકે છે.

છતાં પણ તમે મહાન વિચારો કરતા જ રહો.

 .

જે નવું છે તે નવું પણ હોય, નવા સ્વરૂપમાં જૂનું પણ હોય,

છતાં પણ નવા નવા પ્રયોગો ચાલુ જ રાખો.

 .

લોકો કહે તો છે કે કચડાયેલાઓની તેમને ચિંતા છે, પણ હકીકતે તો

તેઓ પણ માત્ર પ્રભાવશાળીને જ પૂજે છે,

છતાં પણ કોઈ ને કોઈ કચડાયેલાઓની ચિંતા કરતા જ રહો.

 .

મહાન વિચારો હંમેશા મહાન વાસ્તવિકતામાં ન પણ પલટાય,

છતાં પણ પ્રયત્ન કરતા જ રહો.

 .

જો તમે સફળ બનશો, તો તમને મિત્રો બનાવટી મળશે અને શત્રુઓ સાચા,

છતાં પણ તમે સફળતા મેળવતા જ રહો.

 .

( વર્ગીસ કુરિયનના ‘મારું સ્વપ્ન’ પુસ્તકમાંથી )

દીપપર્વ – હિના પારેખ “મનમૌજી”

એક કલાકથી એ બસની લાઈનમાં ઉભો હતો. બસ આવતી અને ભરાઈને ચાલી જતી. ને છતાં લાઈન તો એટલી ને એટલી જ હતી. સદનસીબે એક ખાલી બસ આવી. પાછળથી એને ધક્કો વાગ્યો અને એ ધકેલાઈને બસમાં ચઢી ગયો. બારી પાસે જગ્યા ખાલી હતી. ત્યાં જઈને એ બેઠો. બારીની બહાર નિહાળવું તો ક્યારેક આંખો બંધ કરીને વિચારવું એ એની જૂની આદત હતી.

 .

શહેરના રસ્તા પર બસ સરતી હતી..એની નજર બારી બહારના દ્રશ્યો પર ફરતી હતી. અને એની વૃદ્ધ માના શબ્દો યાદ આવ્યા. ગયા વર્ષે માએ કહ્યું હતું…”દીકરા અભિજિત, વધુ એક દિવાળી આવી રહી છે. શું આ વર્ષે પણ આપણું ઘર વહુના હાથે દીવા મૂકાયા વિનાનું જ રહેશે ?” અને ખરેખર માના શબ્દો સાચા પડ્યા હતા. એ વહુને લાવે તે પહેલાં જ માને હાર્ટએટેક આવ્યો અને ઘર દીવા મૂકાયા વિનાનું જ રહ્યું.

 .

આ વર્ષે ફરી દિવાળી આવી રહી હતી. અને એ માના શબ્દો ભૂલી શક્યો જ ન્હોતો. પણ સગાસંબંધી વિનાનો, એકલો અટૂલો એ….એને કોણ કન્યા આપે ? ને એટલે જ કદાચ આજે એ “સપ્તપદી મેરેજબ્યુરો” નામની સંસ્થામાં જઈ રહ્યો હતો. નિયત સ્થળે બસ અટકી અને એ ઉતર્યો. મેરેજબ્યુરોના પગથિયાં ચઢતાં જ રોમાબેને એને આવકાર્યો. એણે એની કથનિ કહી સંભળાવી. રોમાબેને એક આલ્બમ જોવા આપ્યું. નામ-સરનામા વિનાના વિવિધ ચહેરાઓનો એમાં સમાવેશ હતો. એ જોવા લાગ્યો.

 .

અચાનક એક ચહેરો જોઈને એ આલ્બમના પાના ફેરવતાં અટકી ગયો. સપ્રમાણ દેહાકૃતિ, ખીલેલા ફૂલ જેવું હાસ્ય, મોં પરનું ઓજસ, નિર્દોષ-શર્મિલો ચહેરો – બધું જ એને ગમી ગયું. એણે એ ફોટો રોમાબેનને બતાવીને કહ્યું : “હું આની સાથે લગ્ન કરવા ઈચ્છું છું”. ફોટો જોઈને રોમાબેન આશ્ચર્યથી બોલ્યા : “ તમે આની સાથે લગ્ન કરશો ? આ તો પૌલોમી છે. અને પૌલોમી જન્મથી અંધ છે”. એક ક્ષણએ અટક્યો, આંખો બંધ કરીને વિચાર્યું અને પછી બોલ્યો : “એ અંધ છે તેથી શું થયું? હું એની સાથે જ લગ્ન કરીશ”.

 .

ને થોડા દિવસો રહીને દિવાળી આવી. દિવાળીની ઢળતી સંધ્યાએ પૌલોમીનો હાથ પકડીને એ પોતાના ઘરે લઈ આવ્યો. અને કહ્યું : “આ આપણું ઘર છે અને આ રહ્યો માનો ફોટો. ચાલ આપણે માની તસ્વીર સામે દીવો પ્રગટાવીએ”. દીવો પ્રગટાવવામાં એણે પૌલોમીની મદદ કરી. દીવો પ્રજ્વલિત થયો. અંધકારભર્યા રૂમમાં પ્રકાશ ફેલાયો. માની તસ્વીર, પૌલોમીની આંખો એ પ્રકાશમાં ચમકી ઊઠી. અને એણે માને મનોમન કહ્યું : “મા, આજે મેં બે દીપ પ્રગટાવ્યા. એક આપણા ઘરમાં અને એક પૌલોમીના જીવનમાં. તું ખુશ છે ને મા ?”

 .

તસ્વીર બની ગયેલી માનું મોં બે દીપના ઉજાસમાં હસી રહ્યું.

 .

( હિના પારેખ “મનમૌજી” )

શું ગાંધીજી એક અવ્યવહારુ મહાત્મા હતા? – ગુણવંત શાહ

આપણી વચ્ચે એક એવો મહામાનવ થઇ ગયો, જે પોતાની જાતને છેતરવા તૈયાર ન હતો. જે મનુષ્ય પોતાની જાતને ન છેતરે, તે અન્યને છેતરી શકે ખરો? એ મહામાનવ મરવા તૈયાર હતો, પરંતુ કોઇને મારવા માટે તૈયાર ન હતો. એનું જીવન ખુલ્લી કિતાબ જેવું હતું. એ માણસનો એક્સ-રે આખી દુનિયાને જોવા મળ્યો. ફોટોગ્રાફ છેતરે, પરંતુ એક્સ-રે કદી ન છેતરે. એણે લોકોને કહ્યું: ‘મરતાં પણ સત્ય ન છોડવું.’ ૧૯૪૮ની ત્રીસમી જાન્યુઆરીની સાંજે એણે દેહ છોડ્યો, પણ સત્ય ન છોડ્યું. એના પવિત્ર જીવનનો છેલ્લો ઉદ્ગાર હતો: ‘હે રામ.’
.
ઇ.એમ. ફોસ્ર્ટરની માન્યતા હતી કે આપણી શતાબ્દીના શ્રેષ્ઠત્તમ પુરુષ તરીકે ગાંધીજીને માનવામાં આવે. આર્નોલ્ડ ટોયાન્બીને દ્રઢ વિશ્વાસ હતો કે એવું જ માનવામાં આવશે. ડૉ. એ. એમ. હોમ્સે કહ્યું હતું: ‘ગાંધીજી ગૌતમ બુદ્ધ પછીના શ્રેષ્ઠતમ ભારતીય હતા અને ઇસુ ખ્રિસ્ત પછીના શ્રેષ્ઠતમ માનવી હતા.’ આલ્બર્ટ આઇન્સ્ટાઇને ૨૭મી સપ્ટેમ્બર, ૧૯૩૧ને દિવસે લખેલા પત્રમાં જણાવ્યું:
.
આદરણીય મિસ્ટર ગાંધી,
.
મારા ઘરે આવેલા તમારા મિત્ર સુંદરમની હાજરીનો લાભ લઇને હું તમને થોડીક લીટીઓ પાઠવી રહ્યો છું. તમે તમારાં કાર્યો દ્વારા એવું બતાવી આપ્યું છે કે હિંસા સિવાય પણ સફળ થઇ શકાય છે. આપણે આશા રાખીએ કે તમારું ઉદાહરણ તમારા દેશની સરહદો પાર કરીને બધે પ્રસરી જશે અને એક એવી આંતરરાષ્ટ્રીય સત્તાની સ્થાપનામાં મદદરૂપ થશે, જેને સૌ આદર આપે અને જે નિર્ણય લેશે તથા યુદ્ધમૂલક સંઘર્ષોનું સ્થાન લઇ શકશે.
.
તમારો,
.
એ. આઇન્સ્ટાઇન
.
મને એવી આશા છે કે હું તમને કોઇ દિવસ રૂબરૂ મળી શકીશ.
.
‘‘‘
.
શું ગાંધીજી અવ્યવહારુ મહાત્મા હતા કે?  જો સાચું બોલવાની ટેવ અવ્યવહારુ બાબત હોય તો એક વર્ષ માટે કાયમ જૂઠું બોલવાનો સંકલ્પ કરી જુઓ! એક જ વર્ષમાં તમને ખબર પડી જશે કે તમારા મિત્રો તમારા પર ભરોસો મૂકવા તૈયાર નથી. કદાચ તમારી પત્ની કે બહેન કે માતા પણ તમારા પ્રત્યે અણગમો ધરાવવા લાગશે. એક જ વર્ષમાં તમે બિઝનેસમાંથી કે નોકરીમાંથી લગભગ ફેંકાઇ જશો. જો અહિંસા કરતાં હિંસા વધારે વ્યવહારુ હોય તો જીવનમાં ડગલે ને પગલે હિંસા આચરવાનું શરૂ કરી જુઓ! કદાચ એક જ મહિનામાં તમે જેલભેગા થશો અને તમારી કિંમત ફૂટી કોડીની થઇ જશે. શું સ્વચ્છતાનો આગ્રહ રાખનારા ગાંધીજી અવ્યવહારુ હતા? તો તમારે અસ્વચ્છતા જાળવવાની ઝુંબેશ શરૂ કરવી જોઇએ.
.
જો શરાબનું વ્યસન વ્યવહારુ હોય તો ગરીબ લત્તાઓમાં જઇને માંડ ગુજરાન ચલાવતી પત્નીઓની અવદશા નજરે નિહાળજો. જો સાદો આહાર અવ્યવહારુ જણાય તો કેવળ પાંચ વર્ષ માટે મિષ્ટાન સાથે તળેલો અને તીખો તમતમતો આહાર જ લેવાનો સંકલ્પ કરી જુઓ! શું કોઇ પણ શાણો મનુષ્ય શાંતિને ‘અવ્યવહારુ’ ગણીને મારામારી અને કાપાકાપીથી ભરેલા હુલ્લડ કે યુદ્ધને વ્યવહારુ ગણી શકશે? તો તો જગતના સૌ ડાહ્યા મનુષ્યોએ અફઘાનિસ્તાન, લિબિયા, ટ્યુનિશિયા, સિરિયા કે યેમનમાં સેટલ થવા માટે પડાપડી કરવી જોઇએ.
.
અફઘાનિસ્તાનમાં તાલિબાનો બાળકોને માનવ-બોમ્બ તરીકે ઉપયોગમાં લે છે. બોલો ક્રૂરતા વ્યવહારુ કે કરુણા? ખરી વાત એ છે કે: સત્ય જ વ્યવહારુ છે, અસત્ય નહીં. અહિંસા જ વ્યવહારુ છે, હિંસા નહીં. શાંતિ જ વ્યવહારુ છે, યુદ્ધ નહીં. સ્વચ્છતા જ વ્યવહારુ છે, અસ્વચ્છતા નહીં. જે ગામમાં રહેતો પ્રત્યેક માણસ ગુંડો, ચોર કે લફંગો હોય એવું ગામ કદી પણ ટકી ન શકે. ધર્મ જ વ્યવહારુ છે, અધર્મ નહીં. ધર્મ એટલે જ માનવધર્મ.
.
સંસારમાં ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય છે, જેમાં બે દેશો વચ્ચે યુદ્ધની નોબત ખડી થાય છે. એવે વખતે કોનો પક્ષ લેવો? સત્ય જ્યારે આવી આકરી કસોટીએ ચડે ત્યારે સાપેક્ષતા (relativity) આપણી મદદે આવે છે. ગાંધીજી આવે વખતે શું કરે? સાંભળો:
.
યુદ્ધમાત્રને હું સર્વથા ખરાબ ગણું છું,
પરંતુ લડતના બે પક્ષોના
આશયો તપાસીશું તો આપણને
માલૂમ પડશે કે:
એક સાચો છે અને બીજો ખોટો છે.
દાખલા તરીકે અ જો બ નો
દેશ પચાવી પાડવા માગતો હોય
તો બ દેખીતી રીતે જ અન્યાયનો
ભોગ બન્યો છે.
બંને શસ્ત્રોથી લડે છે.
હિંસક યુદ્ધમાં હું માનતો નથી,
તેમ છતાં ન્યાયી ધ્યેયવાળો બ
મારા નૈતિક ટેકાને તથા આશીર્વાદને પાત્ર છે.
.
(‘હરિજન’, ૧૮-૦૧-૧૯૪૨)
.
અમેરિકાના ‘Time’ મેગેઝિનના કવર (Volume XVII, November ૧૯૩૦) પર ગાંધીજીની તસવીર પ્રગટ થઇ હતી. ગાંધીજી ત્યારે ૬૧ વર્ષના હતા. એમની પાસે સત્ય સિવાયની બીજી કોઇ મિલકત ન હતી, અહિંસા સિવાયનું બીજું કોઇ શસ્ત્ર ન હતું અને પ્રાર્થના સિવાયની બીજી કોઇ શક્તિ ન હતી. આમ છતાં બ્રિટિશ સલ્તનતને સૌથી વધારે ડર ગાંધીજીનો લાગતો હતો. આજની પરિભાષામાં આવી અંદરની તાકાતને ‘સોફ્ટપાવર’ કહી શકીએ.
.
દુનિયાને બંદૂકપાવર, બોમ્બપાવર અને મિસાઇલપાવર કેવો પ્રભાવશાળી હોય તે તો સમજાય છે, પરંતુ સત્યપાવર, કરુણાપાવર અને પ્રેમપાવર કેવો પ્રભાવશાળી હોય તે નથી સમજાતું. પરિણામે માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) કહેતા કે આજનો જમાનો ‘ગાઇડેડ મિસાઇલ અને અનગાઇડેડ મનુષ્યો’ દ્વારા પેદા થતી સમસ્યાઓની પજવણી પામ્યો છે. આજની અશાંત, અસ્વસ્થ અને અકરુણાવાન દુનિયામાં યુદ્ધ વિનાનો એક મહિનો પણ જતો નથી.
.
કેટલાક ઇસ્લામી દેશો એવા છે, જ્યાં મારામારી કે કાપાકાપી વિનાનો એક કલાક પણ જતો નથી. ઇજિપ્તમાં તખ્તપલટો થયો તેમાં ખૂબ જ ઓછી હિંસા થઇ છે. વિચાર આવે કે: આપણે આજે અફઘાનિસ્તાનના નાગરિક નથી તેથી કેટલા નસીબદાર છીએ! વિશ્વશાંતિ આપણું સમણું છે અને યુદ્ધ દુનિયાની વાસ્તવિકતા છે. હૃદયમાં ઊગેલી પંક્તિઓ આજે ગાંધીજયંતી છે તેથી અહીં પ્રસ્તુત છે:
.
માનવતાને થયું
કે એવરેસ્ટનું આરોહણ કરું.
ગાંધીજીએ એ ઇચ્છા પૂરી કરી!
.
પાઘડીનો વળ છેડે
.
અસહકાર અને અસહકારીઓની
મશ્કરી કરનારાઓ ઘણી વાર
મેલી ટોપી, ઢંગધડા વિનાનાં કપડાં,
વધેલી હજામત વગેરેને
અસહકારીઓનાં લક્ષણો ગણે છે.
પણ મહાત્માજી જેવી સ્વચ્છતા
બહુ ઓછા રાખતા હશે.
શ્રીમતી સરોજિની નાયડુએ એક વાર
કહેલું કે મહાત્માજી
એક યુવતી જેવી ચીવટ
શારીરિક સ્વચ્છતા માટે રાખે છે.
તેમના નખ પણ સ્વચ્છ હોય છે.
તેમની હજામત ચડેલી તો
કોઇએ જોઇ નહીં હોય.- રામનારાયણ વિશ્વનાથ પાઠક
.
(રા. વિ. પાઠક ગ્રંથાવલિ-૩, પાન ૬૫૬)

.

( ગુણવંત શાહ )

.

( સૌજન્ય : દિવ્યભાસ્કર )

હું આવું છું… – હિના પારેખ “મનમૌજી”

વાતાવરણમાં વરસાદી સાંજ ઘેરાતી ને શશિનને એક પ્રકારનો અજંપો ઘેરી વળતો. વરસાદી મોસમ એને નહોતી ગમતી એવી વાત નહોતી. પણ આકાશમાં કાળા વાદળોનું સામ્રાજ્ય છવાયેલું હોય, વીજળી વારંવાર ઝબકારા મારતી હોય અને વરસાદ ધોધમાર વરસતો હોય એવી દરેક સાંજ શશિનના હૃદયની એક એવી યાદને તાજી કરતી…જે યાદ એણે ક્યારેય મિટાવવાનો પ્રયત્ન નહોતો કર્યો.

 .

રિમઝિમ વરસાદના અમીછાંટણા રસ્તાઓને ભીંજવી રહ્યા હતા ત્યારે શશિન અને સલીનાએ આ શહેરમાં પગ મૂક્યો. શશિનની ટ્રાન્સફર અચાનક થવાથી નવા શહેરમાં આવવું પડ્યું હતું. કંપની તરફથી જે આવાસ મળ્યું હતું ત્યાં આ દંપતિએ પગ મૂક્યો એના તરત બાદ વરસાદ ધોધમાર વરસવો શરૂ થયો અને સાથે લાઈટ પણ ગૂલ થઈ ગઈ…અજાણી જગ્યા ન ધારેલી પરિસ્થિતિ…બંને જણાં મૂંઝાઈ ગયા.

 .

“શું કરીશું હવે ? હજુ આપણો સામાન પણ પેક છે. એમાં ટોર્ચ શોધવી મુશ્કેલ છે. આમ બેસી રહીશું તો રાત કેમ પસાર થશે ? તમે બહાર જઈને કંઈક તો વ્યવસ્થા કરો.” સલીનાએ ચિંતા વ્યક્ત કરી.

 .

શશિન સલીનાની ચિંતા દૂર કરવાનો વિચાર જ કરતો હતો…ત્યાં દરવાજામાં આછેરો પ્રકાશ રેલાયો. જોયું તો એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં થર્મોસ લઈને એક છોકરી ઊભી હતી….પરિચયના શબ્દો પૂછાય તે પહેલા ટહૂકો થયો..

 .

“બા અદબ, બામુલાહિઝા હોશિયાર…રીમા રાનીકી સવારી આ રહી હૈ. હું રીમા વર્મા…તમારી બાજુમાં જ રહું છું. મેં સાંજે તમને આ ઘરમાં પ્રવેશતાં જોયાં હતાં. માટીની મીઠી મીઠી સુગંધ આવતી હોય અને ઝરમર વરસાદ પડતો હોય એવા સમયે મને નિરાંતે ગરમ ગરમ ચાની ચુસ્કીઓ લેવાનું બહુ ગમે છે. તમને બન્નેને પણ અત્યારે ચાની જરૂર છે તેવું મને લાગ્યું અને તેથી હું આપણા ત્રણે માટે ચા લઈને જ આવી છું. ચાલો હવે આપણી આ પ્રથમ મુલાકાતને મારા જેવી મીઠ્ઠી ચા પીને તેને સેલીબ્રેટ કરીએ.”

 .

પહેલી મુલાકાતમાં જ રીમાએ શશિનં-સલીના પર અધિકાર જમાવી દીધો..અલબત્ત પ્રેમપૂર્વક જ. આ અજાણી છોકરી માટે એ બન્નેએ તેમના વાત્સલ્યભર્યા હૃદય ખૂલ્લાં મૂક્યાં. રીમા બધાને ગમી જાય તેવી હતી. તેજસ્વી ચહેરો આંખોમાં અઢળક અરમાન અને નિખાલસ-નિર્મળ હૃદય. રોજ એ જોરદર પવનની માફક શશિનના ઘરમાં પ્રવેશતી અને તોફાન મચાવી દેતી. ગમ્મતભર્યા સૂરમાં જાતજાતની વાતો કરતી, હસતી અને હસાવતી.

 .

શશિન સલીના વચ્ચે મુખ્ય સામ્યતા પુસ્તકો પ્રત્યેની પ્રીતિ હતી. ઘરની દીવાલો જાણે કે પુસ્તકોની બનેલી હોય એટલા બધા પુસ્તકો હતા. પુસ્તકો જોઈને રીમાથી બોલ્યા વિના ન રહેવાતું…

 .

“શશિનભાઈ આટલા બધા પુસ્તકોની વચ્ચે તમે ક્યાંક ઊધઈ ન થઈ જાવ એ જોજો.”

 .

“મને ઊધઈ કહે છે એમ ઊભી રહે તું…હું તને બરબરનો મેથીપાક ચખાડું છું.” પણ શશિન ખોટો ગુસ્સો વ્યક્ત કરે તે પહેલાં તો રીમા રૂમમાંથી બહાર દોડી જતી.

 .

રોજ સાંજે શશિન ઘરે આવે એટલે ઘરના આંગણામાં ગુલમહોરની છાંયમાં શશિન-સલીના બેસતાં. એ લોકોની મહેફિલનું અવિભાજ્ય અંગ એવી રીમ પણ “બંદા હાજિર હૈ.”. બોલતી હાજર થઇ જ જાય. ક્યારેક સ્વામી વિવેકાનંદ, ક્યારેક વિનોબા, ક્યારેક જે. કૃષ્ણમૂર્તિ તો ક્યારેક ગાંધીજી…એમ એ બૌદ્ધિક ચર્ચા બહુ મોડે સુધી જામતી. રીમાની સતત જિજ્ઞાસુ બનીને પ્રશ્નો કરવાની આદત પર, ક્યાંક કોઈ બાબત પર સંમત ન થવાય તો “આદરપૂર્વક વિરોધ” અને ” વિરોધમાં પણ આદર” દર્શાવવાની રીત પર, દરેક વાતને ઊંડાણથી સમજદારીપૂર્વક વિચારવાના સ્વભાવ પર શશિન-સલીનાને માન હતું.

 .

“શશિનભાઈ જલ્દી કરો ને…હમીરસરની આજુબાજુ ચાલતાં ચાલતાં પાંચ આંટા મારવાના છે અને હજુ તમે તૈયાર નથી?” દિવસનો શુભારંભ રીમાના ઘંટડી જેવા મધુર સ્વરથી જ થતો. હમીરસરના કિનારે ચલાવીને એ શશિનને થકવી નાખતી તો ક્યારેક વળી રસોડામાં જઈને સલીનાને કહેતી…
.
“અરે, દીદી, તમે આવી કેવી રોટલી બનાવો છો ? ખસો જોઉં, રોટલી હું બનાવું છું.”

 .

એના હાથે એ સરસ મજાની રોટલી બનાવતી. પણ રોટલી બનાવતા રીમાએ વેરેલો લોટ જોઇને સલીનાથી ટોક્યા વિના ન રહેવાતું. “રીમા, આટલો બધો લોટ વેરાય તે કેમ ચાલે ?”

 .

“તો તમે જ કરો રોટલી…હું તો આ ચાલી.”

 .
પરંતુ જીભ પર મૂકો એટલે જ ઓગળી જાય તેવી મુલાયમ રોટલી ખાતાં ખાતાં શશિન-સલીના રીમાનો પ્યારભર્યો છણકો ભૂલી જતા.

 .

જે દિવસે રીમા ન આવે તે દિવસે સૂર્ય ઊંધી દિશામાં ઉગ્યો છે એવું શશીનને અનુભવાતું. એ ચિંતિત થઇ વરંડામાં આંટા મારતો હોય, સલીના પર વિના કારણે ચિડાતો હોય ત્યારે સલીના એ અકળામણ પાછળના કારણને પારખી જતી.

 .

“આમ અહીં મારી સામે શું આંટા માર્યા કરો છો ? જઈને બોલાવી લાવોને તમારી લાડલીને!”

.

અને…સલીનાના કહેવાની જ રાહ જોતો હોય તેમ શશિન રીમાને બોલાવી લાવે અને ફરી શરુ થતી ધમાલમસ્તી.
.
દિવસો-મહિનાઓ જ નહિ…વર્ષો પસાર થઇ ગયાં. રીમા ગ્રેજ્યુએટ થઇ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે મોટા શહેરમાં એડમિશન લીધું. સફળતા રીમાના કદમ ચૂમે એવી જ શશિન-સલીનાની શુભેચ્છા હતી. છતાં રીમાનું એમનાથી દૂર જવું બન્નેને જરાય ન ગમ્યું. રીમા પણ ક્યાં એટલી ખુશ હતી ? એ બન્નેને વળગીને ખુબ રડી…જવા જરાયે તૈયાર ન હતી. જેમતેમ સમજાવીને શશિન એને હોસ્ટેલમાં મૂકી આવ્યો. હોસ્ટેલમાંથી નિયમિત રીતે રીમાના પત્રો આવતા રહ્યા…
.
“પ્રિયાતિપ્રિય શશિનભાઈ તથા દીદી,

 .

તમારા બન્ને વિના મને અહીં જરાયે નથી ગમતું. ક્યારેક ઉદાસીભરી સાંજ ઢળે છે ત્યારે શશિનભાઈના શબ્દો યાદ કરું છું. Live here and now, totally, joyfully… ગાઢ અંધકારમાં જેમ એક નાનકડા દીવાના આધારે મુસાફર ચાલે છે તેમ અહીં હું તમારા શબ્દોના આધારે જ જીવું છું. તમે બન્ને મારા માટે શું છો એની મને પૂરી ખબર નથી…છતાં તમે બન્ને મારા માટે એક સ્તંભ છો જેના સહારે હું ઉભી છું.

 .

આજે મારો જન્મદિવસ…આવા શુભદિવસે હું તમને બન્નેને યાદ કર્યાં વિના રહી જ ન શકું. હું ત્યાં હોત તો દીદીએ આખું ઘર સજાવ્યું હોત, શશિનભાઈ કેક લાવ્યા હોત અને હું તમારા ભાવતા રસગુલ્લા તો અવશ્ય બનાવત. ખેર, ખાસ તો એ જણાવવા પત્ર લખ્યો છે કે મને તમારા બન્ને પ્રત્યે અત્યંત પ્રેમાદર છે. છતાં હજુ સુધી મેં તમને એકેય વાર પ્રણામ નથી કર્યાં. પરંતુ આજે હું તમને આટલે દૂરથી મારા હાર્દિક પ્રણામ પાઠવું છું. શું આશીર્વાદ આપશો મને ? ના, તમે બન્નેએ મને એટલો બધો સ્નેહ આપ્યો છે કે એથી વિશેષ મને કંઈ જોઈતું પણ નથી. ઘણીવાર વિચારું છું કે તમારા આ સ્નેહનું ઋણ હું કયા જન્મમાં ચૂકવીશ ? વધુમાં દીદીને વિદિત થાય કે હું આ વીકએ ન્ડમાં આવવાની છું. મારા માટે ગરમાગરમ ચા તથા નાસ્તો તૈયાર રાખજો અને શશિનભાઈ તમે મને લેવા સ્ટેશને આવજો. તમે નહીં આવો તો જાણીતો રસ્તો પણ મને તો અજાણ્યો જ લાગશે.”
.
રીમાનો પત્ર આવે એટલે વાંચીને શશિનના ઘરમાં આનંદ પુષ્પો ખીલી ઉઠતા. શશિન-સલીના ઉત્સાહપૂર્વક રીમાના આગમનની તૈયારીમાં લાગી જતા. શશિન એને સ્ટેશન લેવા જતો…બસ આવીને અટકતી અને એ કૂદકો મારીને ઉતારી પડતી…દોડીને શશિન પાસે આવી પહોંચતી. શશિન એને કંઈ પૂછે એ પહેલા અધિકારપૂર્વક માંગણી કરતી…”

 .

શશિનભાઈ મને આઈસ્ક્રીમ અપાવો ને…”

 .
શશિન આઈસ્ક્રીમ અપાવે એટલે ખાતાં ખાતાં, સ્નેહભરી વાતો કરતાં કરતાં એ બંને ઘરે પહોંચતા. ઘરે સલીના એની ઇન્તઝારમાં આંખો બિછાવીને બેઠી જ હોય. રીમાના આવવાથી શશિનના ઘર “આશિયાના”માં રોનક આવી જતી. એની હાજરીમાં શશિન-સલીના દરેક ક્ષણને પ્રસન્નતાથી જીવતાં. રજાઓ પૂર્ણ થતી. રીમા જવાની હોય તેની આગલી રાતે એ પણ રડતી અને સલીનાદીદી પણ. શશિન વિક્ષિપ્ત મને રીમાને વહેલી સવારે બસમાં બેસાડી આવતો.

 .

બે શહેરો વચ્ચેની રીમાની અવરજવર ચાલુ રહી. ત્યાં એક દિવસ રીમાના પ્રિન્સીપાલનો ફોન આવ્યો.

 .

“મિ. શશિન, હું રીમાના પ્રિન્સીપાલ બોલું છું. હું કેવી રીતે કયા શબ્દોમાં તમારી સાથે વાત કરું તે મને સમજાતું નથી. પણ તોયે મારે કહેવું તો પડશે જ. જરા મજબુત હૈયું રાખીને સાંભળજો…તમારી રીમા હવે આ દુનિયામાં નથી. મિત્રો સાથે જીપમાં ફરવા નીકળી હતી. રસ્તામાં જીપનો એક બસ સાથે અકસ્માત થતાં સ્થળ પર જ એનું મૃત્યુ થયું છે. અમે એના મૃત શરીર લઈને આવીએ છીએ. હિંમત રાખજો.”

 .

શશિન-સલીનાની વહાલુડી રીમાનું શબ લઈને શબવાહિની આવી. જે શરીરને લગ્નમંડપમાં સજાવવાના સ્વપ્નો એ બન્નેએ જોયા હતાં તે શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. એ મૃત શરીરને જોવાની હિંમત સલીનામાં નહોતી. એ બેભાન થઇને પડી હતી. શશિન પણ જેમતેમ હૈયે હામ રાખી રીમાના શરીરને પંચમહાભૂતમાં વિલીન થતો જોઈ રહ્યો.

.
“આશિયાના” માંથી એક ચહેકતું બુલબુલ ઉડી ગયું…એ બન્નેના હૃદયમાં સૂનકાર વ્યાપી ગયો. રીમા એટલી બધી યાદ આવતી કે કેટલીક વાર તો કોઈ કામ ન ગમતું. ભગવાનને સતત કહેવા તલસી ઉઠતાં કે, “આ તે શું કર્યું ? એક ઉડતા પંખીને કેમ પાડી દીધું ?” હાલતું ચાલતું માણસ અચાનક તસ્વીર બનીને ભીંત પર લટકી જાય એ સ્વીકારવું જરા કઠીન હતું. રીમા વગરનું આ શહેર શશિન-સલીનાને જાણે ખાવા દોડતું. બધા રસ્તાઓ જાણે એ લોકોની એકલતાને પ્રશ્નાર્થ નજરે જોઈ રહેતા. સલીનાની તબિયત સતત ખરાબ રહેવા લાગી અને ના છૂટકે શશિને ત્યાંથી દુરના સ્થળે ટ્રાન્સફર માંગીને એ શહેર છોડ્યું.

 .

બરાબર પાંચ વર્ષ પછી ફરી એવી જ એક અંધારી રાત ઘેરાઈ…વીજળીના ઝબકારા થઇ રહ્યા હતા અને વરસાદ મૂશળધાર વરસી રહ્યો હતો. શશિન એક મેટરનિટી હોમના વેઈટીંગ રૂમમાં આંટા મારી રહ્યો હતો. લગ્નના પંદર વર્ષ બાદ સલીનાને સારા દિવસો રહ્યા અને આજે પીડા ઉપાડતા શશિન એને આ મેટરનિટી હોમમાં લાવ્યો.

 .

ડોક્ટર સલીનાને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા અને શશિન ખુરશીમાં બેઠાં બેઠાં વિચારોના ઝોકે ચડ્યો.

 .

વિચારોની તંદ્રાને તોડતો નવજાત શિશુનો અવાજ સંભળાયો…થોડા સમય બાદ ઓપરેશન થિયેટરનો દરવાજો ખૂલ્યો. ડોકટરે પ્રસન્નમુદ્રા સાથે જણાવ્યું, “અભિનંદન મિ. શશિન, તમારી પત્નીએ સરસ મજાની પરીને જન્મ આપ્યો છે. મા-દીકરી બન્નેની તબિયત સારી છે. તમે થોડીવાર પછી અંદર જઈ શકશો.”

 .

કેટલીક ક્ષણો પસાર થયા પછી શશિને રૂમમાં પ્રવેશ કર્યો. સલીનાની પડખે માખણ જેવું મુલાયમ નાનકડું શિશુ હતું. નજીક જઈને શશિને પોતાની દીકરીને હાથમાં લીધી. નાનકડી આંખો ખોલીને એ શશિનને જોઈ રહી. જાણે કહેતી ન હોય…”બા અદબ, બામુલાહીઝા હોશિયાર…મારી સવારી આવી ચૂકી છે. તમારો અને મારો સંબંધ એક માર્યાદિત શરીરનો નથી પણ આત્માનો છે. અને તેથી જ હું પાછી આવી છું…તમારી પાસે.” “

 .

કેટલુંક જોયા કરશો તમારી લાડલીને ?” મૌન વાર્તાલાપમાં તલ્લીન શશીને સલીનાને પૂછ્યું: “બોલો, તમારી આ દીકરીનું નામ શું પડીશું?”

 .

બન્ને ક્ષણભર અટકી પડ્યાં, અને પછી બન્નેના મોઢામાંથી એક સાથે શબ્દો સરી પડ્યાં: “રીમા”!

 .

હિના પારેખ મનમૌજી