અલૂણાં વ્રત અને ખાયણાં

અમે નાના હતા ત્યારે દર વર્ષે અલૂણા વ્રત કરતા. એ ચાર-પાંચ દિવસો દરમ્યાન પૂરેપૂરા વ્રતમય બની જતાં. સ્કુલમાં પણ એ દિવસો દરમ્યાન રંગબેરંગી વસ્ત્રો પહેરીને જવાનું હોય. હાથમાં મહેંદી મૂકવામાં આવતી. આખો દિવસ મીઠા વગરની જાતજાતની વાનગીઓ ખાવાની મળતી. સીંગદાણાની અને રાજગરાની ચીક્કી, સૂકોમેવો, ફળો વગેરે ખાવા મળતું. રોજ સવાર-સાંજ ગોરમહારાજના ઘરે હાથીની પૂજા કરવા જતાં. વ્રતના છેલ્લા દિવસે પૂજા કરી નવાં નવાં કપડાં પહેરીને ફરવા જતાં અને ફોટોગ્રાફર પાસે ફોટો પડાવતાં. વળી અલૂણા નિમિત્તે સ્કુલમાં અને જ્ઞાતિમાં વિશેષ સ્પર્ધાઓ રાખવામાં આવતી. જેમાં અલુણાની રાણી, મહેંદી હરીફાઈ અને ખાયણાં હરીફાઈ ખાસ રહેતી. આખા ગુજરાતમાં અલૂણાં દરમ્યાન ખાયણાં ગાવાનું પ્રચલિત છે કે નહીં તેનો મને ખ્યાલ નથી. પણ અમારા અહીં (દક્ષિણ ગુજરાતમાં) અલૂણાં દરમ્યાન ખાસ ખાયણાં ગાવામાં આવતા. ખાયણાં એટલે આમતો કવિતાની એક પંક્તિ સમાન. પણ તે વિશેષ રાગમાં ગાવામાં આવે છે. વળી એ પંક્તિ જેને લાગતીવળગતી હોય તેનું નામ તેમાં લેવામાં આવે. ખાયણાં અને હિંચકો એ બન્ને અભિન્ન અંગ જેવા. અલૂણા દરમ્યાન બપોરના સમયે હિંચકા પર બેસીને અમે ખાયણાંઓ ગાઈને સમય પસાર કરતા. અમે કરેલા તમામ અલૂણાવ્રત અમારા સૌના માસી કોકિલામાસીની રાહબરી હેઠળ અમે કરતાં. અમને ખાયણાં શીખવવાનું, મહેંદી મૂકવાનું, જવારા વાવવાનું, સૌને તૈયાર કરવાનું, ફોટોગ્રાફ પડાવવા લઈ જવાનું વગેરે બધું કામ કોકિલામાસી જ કરતાં. હાલ જ્યારે અલૂણાવ્રત ચાલી રહ્યા છે ત્યારે મને મારું બાળપણ ફરી યાદ આવ્યું અને ખાયણાં પણ. મારા કહેવાથી કોકિલામાસીએ તરત જ ઘણાં બધાં ખાયણાં આજે લખી આપ્યા જે હું અહીં રજૂ કરું છું.

ખાયણાં ગાઉં ને હિંચકે રે ઝૂલૂં

રમત સઘળી ભૂલું રૂડાં મારા ખાયણાં

*

નિશાળ જાય મારા બંસરીબેન સલૂણા

વ્રત કરે અલૂણા કે અષાઢ માસના

*

પાછલી રાતે શેકું ધાણીને દાળિયા

દેવર્શભાઈ નિશાળિયા ને ગજવે ઘાલવા

*

ઓ પેલી ઓ પેલી ધરમપૂરની ધજા

દીકરી પરણાવવાની મજા તો વલસાડ શહેરમાં

*

ઓ પેલી ઓ પેલી રામજી મંદિરની ધજા

ભણવા ગણવાની મજા જમનાબાઈ સ્કુલમાં

*

તાંબાનું તરભાણું મહીં જડેલા હીરા

સંધ્યા કરશે વીરા તો ચાંદનીબેનના

*

મારા તે બાપને હું ઓ દીકરી દીવો

જાજમ તકિયા સીવો જમાઈને બેસવા

*

મારા તે બાપને હું એ દીકરી લાડકી

કન્યાદાનમાં આપી સોનાની વાડકી

*

જૂના તે ઘરમાં સામાસામી ખીંટી

સવા બે લાખની વીંટી વીરાજીના હાથમાં

*

આકાશે આપ્યા ને ધરતી માએ ઝીલ્યા

મા-બાપે ઉછેર્યા કે પરને સોંપવા

*

કઈ બેનને લીલુ ને કઈ બેનને પીળુ

કઈ બેનને ગુલાબી સાળુ શોભશે

*

સીમાબેનને લીલુ ને વર્ષાબેનને પીળુ

ગીતાબેનને ગુલાબી સાળુ શોભશે

*

પ્રીતિબેન રાંધે ને દીપ્તિબેને પીરસે

દીપ્તિબેનને છાંટો મૂકવાની ટેવ છે

*

ભાઈ તો જમે ને ભોજાઈ ડોકાવે

રખે જો નણંદી આવે રે મારા બારણે

*

નહીં આવું નહીં આવું ભાભી તારે બારણે

તારા પુત્રને કોણ ઝુલાવશે પારણે

*

સરોવરને પાળે માને દીકરી મળ્યા

ધ્રુસકે ધ્રુસકે રડ્યા કે સરોવર ભરાઈ ગયા

*

આવો ને સહિયર ઝીણાં મોતી પોઈએ

વાંકળીયા વર જોઈએ કે અમીબેનના

*

સરોવરને પાળે મહાદેવજીનું દેરું

દર્શન કરવાનું તેડું ભાઈ ભોજાઈને

*

અમિતભાઈના હાથમાં ઓફિસની છે ફાઈલ

નવો છે મોબાઈલ નમ્રતાવહુના હાથમાં

*

ચાંદનીબેન પરણેને મોર પૂતળીના માંડવા

અખંડ ઉજાગરા એના મા-બાપને

*

મારા તે બાપે પરદેશ દીકરી દીધી

ફરી ખબર ના લીધી મૂઈ કે જીવતી

*

મારા તે બાપે વ્હાણે ચઢી વર જોયા

ચતુર વરને મોહ્યા કે ચોપડો વાંચતા

*

હોડીવાળા હોડીવાળા તારી હોડીમાં આરસી

આવતાં લીલીબેન પારસી ને પેલે પાર ઉતારજો

*

હોડીવાળા હોડીવાળા તારી હોડીમાં રેતી

આવતાં મંજુબેન મ્હેતીને પેલે પાર ઉતારજો

*

આજે તે રાંધુ લાપસી લચકાતી

અનીતાવહુ મચકાતીને જમવાનું નોતરું

*

આજે તે રાંધુ તાંદલિયાની ભાજી

ટીશા તારી આજીને જમવાનું નોતરું

*

આજે તો રાંધુ તળેલા તે પાત્રા

હેમાબેન કરે જાત્રા બદ્રીકેદારની

*

ભણો ગણો પણ ઘરધંધો તો શીખો

એ વિણ સંસાર સુનો ભણતર શા કામના

*

કાચની કોયલ આંબલિયામાં રમતી

મામા ભેગી જમતી ટીશાબેન લાડકી

*

ફ્રોક પહેરુંને કેસરી પટ્ટો બંધાવું

વિદ્યાર્થીની કહેવડાવું કે જમનાબાઈની

*

મહાદેવના મંદિરમાં થાળ ભરી પરસાદ

વહેલો આવ્યો વરસાદ કે વલસાડ શહેરમાં

*

ભણું ગણું ને શાળાએ જઈ આવું

આશિષ તો લઈ આવું સરસ્વતી માતના

*

અલૂણા કરું હું નવમા ધોરણની બાળા

જમનાબાઈ છે શાળા મારી રળિયામણી

*

દેવને વ્હાલા ઘીના દીવાના કોડિયાં

મુજને વ્હાલા ગુરુજી મારી નિશાળના

*

ભર્યા સરોવરમાં તરતો કમળનો ગોટો

સોને મઢાવું ફોટો રાધાવલ્લભલાલનો

*

આવોને માલણ ફૂલ ચમેલીના લાવો

અંબોડો ગૂંથાવો તે તુલસીબેનનો

*

સાંજ પડે ને આથમતા રવિનું તેજ

માડી કેરું હેત મને કેમ વિસરે

*

સાસુજી આવ્યાને ખાયણાં ગાતાં અટકી

કહે વહુ આજ ફટકી કે રાગડા તાણતી

*

સરોવરને પાળે હારો હાર આંબા

દેસાઈ સરખા મામા મોસાળુ લાવશે

*

આજે તે રાંધુ સેવ એ સુંવાળી

ચાંદનીબેન કુંવારીને જમવાનું નોતરું

*

લીલી દરોઈ નખે કરીને ચૂંટું

જોષીને લગન પૂછું પ્રણવભાઈના

*

દીકરી પરણેને માને આવે આંસુ

સારી રીતે રાખે સાસુ રે એને સાસરે

*

શ્રાવણ વરસે ને ભાદરવાની હેલી

માડી તારી વાણી રે નિત્ય સાંભરે

*

મારે તે બારણે ફૂલ ચમેલીના કૂંડા

સૌના કરતાં રૂડાં પ્રીતિબેનના સાસરા

*

મોટરમાં બેસીને આવો મોટા ફુઈ

પાંચમના જનોઈ કે પાર્થભાઈના

*

આ રે દુનિયામાં એક મોટી ખોડ

સરખે સરખી જોડ રે શોધી નવ મળે

*

ચાંદીના પ્યાલામાં દેવર્શભાઈ પીએ મીલ્ક

નમ્રતાવહુ પહેરે સીલ્ક કે વલસાડ શહેરમાં

*

પ્રણામી સ્ટ્રીટમાં રાધાકૃષ્ણનો વાસ

રમવા જઈએ રાસ આસોની રાતના

*

સાંકડી શેરીમાં રાધાકૃષ્ણ મળ્યા

માખણ લૂંટી લીધા રાધા રીસાઈ ગયા

*

વણ બોલાવ્યા પર ઘર તો નવ જઈએ

ઉછાંછળા નવ થઈએ કે રહીએ માનમાં

*

ખાયણાં ખાયણાં બોલ્યા સામા સામી

ગમ્મત આજે આવી કે રૂડાં ખાયણાં

*

રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ દાદા

ગીત એના ગાતા કે પૂરા થયા ખાયણાં.

પ્લાસ્ટર સ્ટોરી

શનિવારે સવારે વિચાર્યું કે આવતી કાલે ગુરુપૂર્ણિમા છે તો એ નિમિત્તે એક ખાસ લેખ સાઈટ પર મૂકવો. અને જે સાંજે ઘરે જઈને ટાઈપ કરવો. પણ બપોરે ઓફિસમાં ખુરશી પર બેસીને મારું કામ કરતી હતી. ઊભી થઈ તો પગ વાંકો થઈ ગયો અને પડી જ જવાયું. પરિણામ સ્વરૂપ પગમાં ફ્રેક્ચર થયું  અને પ્લાસ્ટર લગાવ્યું છે.

.

આપણા બનાવેલા પ્લાન, આપણી ઈચ્છાઓ ભગવાનની ઈચ્છા કરતાં કદી પણ પર નથી હોતાં. આખરે તો એજ થાય છે જે ભગવાન ઈચ્છે છે. ભગવાનની ઈચ્છાને જ આપણી ઈચ્છા માનીને સ્વીકારી લેવી એ જ સાચી શરણાગતિ છે. અને ભક્ત માટે શરણાગતિ એ પ્રથમ પગથિયું કહેવાયું છે.

.

ભગવાને મને ઘરે રહેવાનો, આરામ કરવાનો જે સમય આપ્યો છે તેનો સદ્દ્ઉપયોગ કરી શકીશ તેવી આશા છે.

.

સૌને ગુરુપૂર્ણિમાની શુભેચ્છા.

पहचान लें

प्रिय विजय मूर्ति,

प्रेम.

मैं यात्रा करुं या न करुं-बोलूं या न बोलूं

ईससे कोई भी भेद नहीं पडेगा, उनके लिए जो कि

मेरे साथ चलने को तैयार है.

उनके लिये रुके हुए भी मेरी यात्रा जारी रहेगी

और मौन में भी मैं बोलता रहूंगा.

शरीर भी मेरा निराकार में खो जाये, तो भी

मेरे हाथों का सहारा उन्हें मिलता रहेगा.

और, आज ही नहीं-कभी भी काल के अनंत

प्रवाह में मैं उन्हें मार्ग दूंगा.

क्योंकि, अब मैं नहीं हूं-वरन स्वयं प्रभु ही मेरी

बांसुरी से गीत गा रहा है.

जिनके पास आंखे हों-वे देख लें.

जिनके पास कान हों-वे सुन ले.

और जिनके पास प्रज्ञा हो-वे पहचान लें.

ओशो

અજ્ઞાત !

ગલીને નાકે

યુવાન છોકરી કપડું પાથરીને

મેઘધનુષ વેચવા બેઠી હતી.

.

કેટલાક લોકોએ

છોકરી પણ જોઈ

અને મેઘધનુષ પણ જોયાં.

.

કેટલાક લોકોએ

માત્ર છોકરી જોઈ

પણ મેઘધનુષ જોયાં નહીં.

કેટલાક લોકોએ

માત્ર મેઘધનુષ જોયાં

પણ છોકરી જોઈ નહીં.

.

કેટલાક લોકોએ

છોકરી પણ ન જોઈ

અને મેઘધનુષ પણ ન જોયાં.

અહિંયા તો કશું જ નથી

એમ માનીને-

.

(ધીરુ મોદી)

પરભુભાઈ !

આ સુખ છાતી ભીંસે છે, ઓ પરભુભાઈ

ને દુ:ખ બેઠું રીસે છે, ઓ પરભુભાઈ !

ફ્રીઝ, ટી.વી., વોશિગ મશીનના ચક્કરડાં

દર હપ્તે મને પીસે છે, ઓ પરભુભાઈ !

દેવું, ગરીબી, અભાવ, તંગી ને ટેન્શન

તમાશા…ખાલી ખીસે છે, ઓ પરભુભાઈ !

વ્યાજ પઠાણી શાહુકારો ગયા છે લઈ

કૈં પરસેવા ખમીસે છે, ઓ પરભુભાઈ !

સાંજ પડી છે જીવનની ને છીએ નિરાશ

દૂ…ર દીવાઓ દીસે છે, ઓ પરભુભાઈ !

લે ગણતાં થાકી, સૂઈ ગયા તારો હિસાબ

અને, સો કેટલા વીસે છે? ઓ પરભુભાઈ !

(જયંત દેસાઈ)

કોણ છે?

હું સતત મરતો રહ્યો, જીવે તે કોણ છે?
આ હવાના વસ્ત્રને સીવે તે કોણ છે?

http://www.heenaparekh.com

પુષ્પ થૈને વૃક્ષડાળે હું ખીલી રહું;
મૂળભીનાં જળ સતત પીએ તે કોણ છે?

http://www.heenaparekh.com

હું મને પણ આયનામાં જોઈ ના શકું;
આંખની પાછળ રહી જુએ તે કોણ છે?

http://www.heenaparekh.com

હું પણછ ને હું જ પંખી, ડાળ છું અહીં;
બાણ થૈને લક્ષ્યને વીંધે તે કોણ છે?

http://www.heenaparekh.com

જિંદગી છે એક માયાવી હરણ સમી-
તર્જનીના ટેરવે ચીંધે તે કોણ છે?

http://www.heenaparekh.com

(આહમદ મકરાણી)

મરવું

.

કોઈએ કહ્યું છે :

માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે

મરણ સાથે.

આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે ?

કે લગ્નની ભયંકરતા તરફ ?

.

‘મરવું’માંથી વાસ આવે છે

બાકસમાં પુરાયેલા કાનખજૂરિયાની,

કોહવાતા લાકડાની,

મરઘાના ખાતરની,

વરસોથી ન ખૂલેલા, હવડ હવાબારી વગરના

સંબંધની,

લોટામાં ચાર પાન મૂકો સાહે…બ, કાંઠલે દોરો બાંધો,

હવે શ્રીફળ પધરાવો. ચાર બાજુએ ચાર ચાંદલા કરો,

અક્ષત લગાડો, હાથમાં ઊંચકીને ત્રણ વખત માથે અડાડો,

કુંભે વરુણમાવાહયામિ સ્થાપયા… મિ….’ની વાસ આવે છે

‘મરવું’માંથી.

.

કૂંપળમાંથી કોલસો

વ્હેલમાંથી તેલ

-કેવા કેવા વેશ કાઢે છે, આ ‘મરવું’

.

ફ્રાન્સવાળાઓએ કાચી કુમળી વયે બાંધીને બાળ્યું,

પારધીવાળાઓએ અંગૂઠે વીંધ્યું,

ગ્રીસવાળાઓએ પ્યાલી પાઈ,

યહૂદીવાળાઓએ ખિલ્લે ઠોક્યું.

.

(ઉદયન ઠક્કર)



તારી બારી પર

તારી બારી પર

ઝરમર ઝરમર વરસાદ પડે છે

તે હું છું

તારી બારી પર

એક ફૂલ ઝૂકેલી ડાળી છે

તે હું છું

તારી બારી પર

એક પંખીનો ટહુકો છે

તે હું છું

તારી બારી પર

હવાની અદ્રશ્ય લ્હેરખી છે

તે હું છું.

ઉઘાડ-બંધ થતી તારી બારી

તે પણ હું છું

તારી બારીની અંદર

કે બહાર

માત્ર હું છું

(ઉમાકાન્ત શ્રીનાથ)

એક ને એક અગિયાર

[મારા સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન બસમાં અમારી બાજુની જ સીટ પર ઉષાબેન જોષી નામના સહપ્રવાસી હતા. પ્રથમ નજરે તેઓ ગૃહિણી જેવા જ દેખાતા હતા. રોજ તેઓ દરેક સ્થળ વિશે વિગતે ડાયરીમાં નોંધ કરતા હતા. એક દિવસ તેમની સાથે તેમની આ આદત વિશે વાત થઈ તો જાણવા મળ્યું કે તેઓ લેખિકા છે અને બાળવાર્તા, નવલિકા, જીવનચરિત્ર, કવિતા, બાળકાવ્યો, ધાર્મિક લેખો અને પ્રસંગ વિષયક લેખો લખે છે. તેમના લેખો સ્ત્રી, સંદેશ, હિન્દુ મિલન મંદિર વેદ સંદેશ, શ્રી, નવસાક્ષરબંધુ, બાલઆનંદ, પા..પા..પગલી, મારે ભણવું છે અને લોકજીવન માસિક વગેરેમાં પ્રકાશિત થયા છે. આકાશવાણી દમણ પર પણ તેમની કૃતિઓ બ્રોડકાસ્ટ થઈ છે. આ બાળવાર્તા તેમના “મારો વાર્તાવૈભવ” નામના પુસ્તકમાંથી લેવામાં આવી છે જે પુસ્તક ગુજરાત સાહિત્ય  અકાદમીના સહયોગથી પ્રકાશિત થયું છે.]

એક ને એક અગિયાર

સ્વામી રામતીર્થ શિક્ષક હતા ત્યારની આ વાત છે. તેઓ વિદ્યાર્થીઓને ગણિત શીખવતા હતા. ઘણાં વિદ્યાર્થીઓને ગણિત વિષય નિરસ લાગતો હતો. સ્વામી રામતીર્થ ગણિત એવી રીતે શીખવતા કે વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞ્રાન મળતું.

એક દિવસની વાત છે. તે દિવસે રામતીર્થનો ગણિતનો પિરીયડ છેલ્લો હતો. વર્ગના વિદ્યાર્થીઓ ખૂબ કંટાળેલા હતાં. બધાં વિદ્યાર્થીઓ રામતીર્થને કહેવા લાગ્યા, “સાહેબ, આજે ભણવું નથી, વાર્તા કરો”. રામતીર્થે વિદ્યાર્થીઓને કહ્યું, “આજે આપણે અંકની રમત રમીએ”. વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા.

સ્વામી રામતીર્થે વિદ્યાર્થીઓને કહ્યું, “હું તમને એક પ્રશ્ન પૂછું તેનો જવાબ દરેક વિદ્યાર્થીએ પોતાના મનમાં નક્કી કરવો અને હું પૂછું ત્યારે મને જવાબ આપવો. એક વાત યાદ રાખવી કે દરેકનો જવાબ માત્ર પોતાનો જ હોવો જોઈએ. એકનો જવાબ તે બીજા પાસે ન બોલાવે. દસેક મિનીટ પછી હું તમને જવાબ પૂછવાની શરૂઆત કરીશ”. દરેક વિદ્યાર્થીએ આ વાત સ્વીકારી લીધી.

સ્વામી રામતીર્થે વિદ્યાર્થીઓને પૂછ્યું, “તમને શું ગમે? એકડો કે શૂન્ય? શા માટે? તમે મનમાં બરાબર વિચારીને જવાબ ગોઠવો”. બરાબર દસ મિનીટ પછી રામતીર્થે વારાફરતી બધાં વિદ્યાર્થીઓના જવાબ સાંભળવા માંડ્યા. સૌને સાવધ કર્યા કે આ જવાબ સાંભળીને કોઈએ પોતાના મનનો જવાબ ગોઠવવાનો નથી. મને તમારા પોતાના જ જવાબ જોઈએ છે. કોઈ વિદ્યાર્થીએ કહ્યું, “મને શૂન્ય ગમે છે કારણ કે તે લખવામાં સરળ છે”. કોઈકે કહ્યું, “મને એકડો ગમે છે કારણ કે તેમાં શૂન્ય અને વળાંકવાળી રેખા બન્ને આવે છે”. કોઈએ કહ્યું, “મને એકડો એટલા માટે ગમે છે કે તે કદમાં શૂન્ય કરતાં મોટો છે”. વળી કોઈકે કહ્યું, “શૂન્ય એકડાનું સ્થાન બદલે છે માટે મને શૂન્ય ગમે છે”. કોઈકે કહ્યું, “શૂન્યની મદદથી એકડો બને છે માટે મને શૂન્ય ગમે છે”. કોઈકે કહ્યું, “મને શૂન્ય અને એકડો બન્ને ગમે છે કારણ કે તે ગણિતના પાયાના માધ્યમો છે”. વળી કોઈએ કહ્યું, “એકડા વિનાના સો શૂન્ય નકામા છે માટે મને એકડો ગમે છે”. કોઈક વિદ્યાર્થી હોશિયાર હતો તેણે કહ્યું, “એકડો જેમ જેમ શૂન્યની ડાબી બાજુએ ખસે છે, તેમ તેમ તેની કિંમત દસગણી વધતી જાય છે જ્યારે શૂન્ય એકલું ગમે તે તરફ ખસે તો તેની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી માટે મને એકડો ગમે છે”. એક વિદ્યાર્થીએ કહ્યું એકડો એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે જ્યારે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે માટે શૂન્ય અને એકડો બન્ને ગણિતના સિદ્ધાંતનો પાયો છે”. વળી કોઈકે કહ્યું, “એક એકડો એકલો હોવા છતાં તે કિંમત ધરાવે છે જ્યારે એક શૂન્ય એકડા વિના એકલું હોય તો તેની કોઈ કિંમત નથી”. છેલ્લા વિદ્યાર્થીએ કહ્યું “એકડો અને શૂન્ય બન્ને એક રીતે તો એકબીજાના પૂરક છે પણ એકડાનું સ્થાન અને એકડાની કિંમત શૂન્ય કરતાં મોટી છે કારણ કે એકડાને તેની પોતાની કિંમત છે”.

આમ બધાં વિદ્યાર્થીઓના જવાબ સાંભળી સ્વામી રામતીર્થ ખૂબ ખુશ થયા . તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, “તમારી સૌની વાત સાચી છે. શૂન્ય અને એકડો એ બે ગણિતના પાયાના આધારસ્તંભો છે, ગણિતનું જ્ઞાન મેળવવા માટેના એ બન્ને એકમો છે. બન્નેની કિંમત અલગ છે છતાં બન્ને વ્યવહારમાં અતિ ઉપયોગી છે. એ બે વિના ગણિતનું જ્ઞાન શક્ય નથી.માણસનું મન પણ એવું જ છે. જેમ શૂન્ય અને એકડાની કિંમત જુદી છે, બન્ને પોતાના સ્થાન પ્રમાણે કિંમત ધરાવે છે તેમ માણસ પણ પોતાના વર્તનથી અને કામથી પોતાની કિંમત કરાવે છે. માણસ પોતાના કામથી મોટો બને છે. દરેક માણસના કામ સાથે તેનું નામ જોડાયેલું છે. જે માણસ સારું કામ કરે છે તેનું સ્થાન ઊંચું છે અને કિંમત વધુ છે. માણસના નામ તો તેને એકબીજાથી જુદા પાડવા માટે છે પણ કામથી માણસ મોટો બને છે અલગ તરી આવે છે. આપણે મોટા બનવા કે આપણું સ્થાન ઊંચુ બતાવવા બીજાનું મન જીતવું પડે છે, સારા કામથી જ બીજાનું મન જીતી શકાય છે. મેં મારા જ્ઞાનની વહેંચણી તમારામાં કરી છે, તમે તે જ્ઞાન ગ્રહણ કર્યું છે. મારી આપેલી કેળવણી અને તમે મેળવેલું જ્ઞાન ભેગાં થશે તો ઉત્તમ જીવન પસાર થશે, એક ને એક અગિયાર થશે”.

આમ સ્વામી રામતીર્થે બાળકોને શૂન્ય અને એકડાની કિંમત દ્વારા માણસનું જ્ઞાન અને સ્થાન પ્રમાણે મેળવાતી મોટાઈની સમજણ વિદ્યાર્થીઓને આપી. વિદ્યાર્થીઓએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું.

ઉષાબેન એસ. જોષી

[૧, શ્રુતિ એપાર્ટમેન્ટ, તીથલ રોડ, વલસાડ. ફોન નંબર : ૦૨૬૩૨-૨૪૪૮૧૬]