કેમ કરી સહેવાય ? – વિસ્મય લુહાર

કોરેકોરી આંખોમાંથી ભર ઉનાળે આખેઆખું ચોમાસું ઠલવાય !

રે સાજણ કેમ કરી રહેવાય?

કે સાજણ કેમ કરી સહેવાય !?

.

લયલીલા ટહુકાના ટોળાં ઊડતા આવી કમખે મારે ચાંચો ઘસતા જાય,

કે સાજણ કેમ કરી સહેવાય !?

રે સાજણ કેમ કરી રહેવાય?

 .

રણની છાતી જેવી સૂની સેજલડીમાં સળગી ઊઠે ભીની ભીની આગ,

તારા પગરવનો પરપોટો ક્યાંય નહિ ને દિવસ આખો નેવે બોલે કાગ !

લોહીને કરડે છે કાળો ખાલીપો ને ઝેર ગળચટ્ટું રૂંવે રૂંવે એવું તો રેલાય !

કે સાજણ કેમ કરી સહેવાય !?

રે સાજણ કેમ કરી રહેવાય?

 .

આંગણ ઊગી કરેણ હવે તો સાવ સૂકાઈ થઈ ગઈ છે કાળો કાળો સોટો,

ઝળહળ ઝળહળ સપનાં મારાં ઘેઘૂર અંધારું પી પીને વળી ગયા છે ગોટો !

ભીતર તડકા, આંખે વાદળ પંડ્ય ઉપર શિયાળુ પવનો પ્હાણા થૈ ઝીંકાય,

કે સાજણ કેમ કરી સહેવાય !?

રે સાજણ કેમ કરી રહેવાય?

 .

( વિસ્મય લુહાર )

હજીયે – યોગેશ જોષી

પેલી તરફ જવા

હું

દાખલ થયો

અરીસાની અંદર

ને

મારું પ્રતિબંબ

આ તરફ

નીકળ્યું બહાર…

.

અમે બંને

એકમેકમાંથી

પસાર થયા

આરપાર…

.

તોય

કેમ

હજીયે

સાવ

અજાણ્યા ?!

.

( યોગેશ જોષી )

ચાર કાવ્યો – લાભશંકર ઠાકર

(૧)

તારી પીઠની બરાબર મધ્યમાં

ધારદાર ચાકુ પકડીને લંબાવીને

ખંજવાળવાના શૌર્યને હવે અટકાવ.

ના, મારે એ ખાજખૂજલીનું કાઢવું છે.

એ નથી માનતો અને દદડતું લોહી

દદડતું

દદડતું મારા દિવાસ્વપ્નને

રક્તિમ રક્તિમ કરી રહ્યું છે.

હાસ્તો ગાઉં છું ઘાયલા કી ગત ઘાયલ જાને

ઔર ન જાને કોઈ.

દિવાસ્વપ્નની પૂંછડી મેં પકડી લીધી છે

ને શ્વસું છું નિજમાં નિમગ્ન.

.

(૨)

મૃત્યુ મારા બારણા પાસે આવીને ઊભું છે.

ક્યારનું ?

છું ત્યારનું.

એ મારી નિદ્રા-જાગૃતિની સરહદમાં

આવીને બુચકારા સાથે મને ચૂમે છે.

અમે બે-હદ સચ્ચિદાનંદની ક્રીડા મલક મલક મલકાવે છે.

.

(૩)

ઊંઘના ઘોડિયામાંથી મા, મને ઊંચક નહિ.

મારું સ્વપ્નસુખ ઢોળાઈ જશે.

.

(૪)

પરીક્ષાની કરવતથી મને વહેરી નાખનારાઓ

રહેમ કરી મને ડસ્ટબિનમાં ફેંકી દો.

.

( લાભશંકર ઠાકર )

અંતર – સંદીપ ભાટીયા

(૧)

મારા ઘરથી

તારા ઘર સુધીના

રસ્તા કરતાં

તારા ઘરથી

મારા ઘરા સુધીનો

રસ્તો

કેમ

વધુ લાંબો હોય છે

હંમેશાં ?

 .

(૨)

I miss you,

તેં કહ્યું.

.

ખાલી થઈ ગયેલા

ગામની વચ્ચે

વરસોથી અપૂજ

દેરીમાં

કોઈએ

દીવો પ્રગટાવ્યો

જાણે.

.

( સંદીપ ભાટીયા )

ભાંગશે ભરમ મારા – સુધીર પટેલ

લૈ જશે એ તરફ કદમ મારાં,

જ્યાં જઈ ભાંગશે ભરમ મારા.

.

દૂઝતા છો રહે જખમ મારા,

એમ ગળશે બધા અહમ મારા !

.

તું ઈશારો તો કર સનમ મારા,

તોડી આવું બધા જ સમ મારા !

.

એક પછી એક છૂટશે કરમ મારાં,

બાદ હો શ્વાસ પણ ખતમ મારા !

.

આખરી હો ભલેને દમ મારા,

ઝૂઝશું પામવા પરમ મારા !

.

એમ વચ્ચેની કાપું છું દૂરી,

લઉં છું પગલાં રૂપે જનમ મારા !

.

એક તું, એક આ ગઝલ ‘સુધીર’,

એ જ છે ફક્ત દો અલમ મારા !

.

( સુધીર પટેલ )

હું મને – મનીષ પરમાર

હું મને ઘરમાં ગયો છું શોધવા,

છેક અક્ષરમાં ગયો છું શોધવા.

.

દોસ્ત પરપોટા પડેલા જોઈને,

પાણી પથ્થરમાં ગયો છું શોધવા.

.

એ નદી પાછી વળીને ક્યાં ગઈ ?

પગલું સાગરમાં ગયો છું શોધવા.

.

કેટલા મારગ વળે એની તરફ,

વાટ ઈશ્વરમાં ગયો છું શોધવા.

.

પંખીની પાસે જ આવીને બેસતું,

આભ પિંજરમાં ગયો છું શોધવા.

.

( મનીષ પરમાર )

જે ક્ષણે – ગૌરાંગ ઠાકર

જે ક્ષણે પીડા ઘરે આવેશમાં આવી,

અમને લાગ્યું કે ગઝલ ગણવેશમાં આવી.

.

કોઈ પણ રીતે ઉદાસી ગાંઠતી ન્હોતી,

પડતી મૂકી… તો ખુશીના વેશમાં આવી.

.

ઝાડ તો ઊગે, જીવે, બોલ્યા વગર તો પણ,

વાત એની સંતના ઉપદેશમાં આવી.

.

જ્યારથી મેં આદતોની વર્તણૂંક બદલી,

જે વિનંતીઓ હતી આદેશમાં આવી.

.

આ ગમા ને અણગમા કેવળ કહ્યા તમને,

ક્યાં અમારી કોઈ વાત ઉદ્દેશમાં આવી.

.

જ્યાં થયું કે કોઈની હું જિંદગી જીવું,

એ જ મુદ્દે જિંદગી ઝુંબેશમાં આવી.

.

સાવ ખાલી છે છતાં પણ આપવા બેઠો,

લ્યો અમીરાઈ જુઓ દરવેશમાં આવી.

.

( ગૌરાંગ ઠાકર )

ભૂલા પડ્યા – સાહિલ

તમારી ગલી પહોંચ્યા પછી – તમારી ગલીમાં ભૂલા પડ્યા,

છીએ દેવસ્થાનના આંગણે અને આરતીમાં ભૂલા પડ્યા.

.

અમે હાથ ફેલાવ્યો હોત તો તમે હાથ ચોક્કસ ઝાલતે,

કથા કમનસીબીની ના પૂછો અમે બંદગીમાં ભૂલા પડ્યા.

.

પહોંચી ગયા છીએ ઘર સુધી અને ઘરનો ઉંબરો ના મળે,

કહો કોને કહીએ કરમકથા અમે ઓસરીમાં ભૂલા પડ્યા.

.

હતી સુખની વાત કે દુ:ખની વાત – નથી નક્કી કાંઈ થયું હજી,

કદી અંધકારે જડી ગયા – કદી રોશનીમાં ભૂલા પડ્યા.

.

પછી કેમ કોઠે પડે નહીં સ્મૃતિ-વિસ્મૃતિની પળોજણો,

પણે તમને એ જ ઘડી મળ્યા અહીં જે ઘડીમાં ભૂલા પડ્યા.

.

અમે વીંધ્યા કૈંક વમળ છ્તાં હજી પાર પહોંચી શક્યા નથી,

છે અચંબો અમને એ વાતનો અમે નાવડીમાં ભૂલા પડ્યા.

.

રહ્યું યાદ ‘સાહિલ’ એટલું પડ્યા છીએ ભૂલ્યા અમે જગે,

  શું ખબર ખુશીમાં ભૂલા પડ્યા – શું ખબર ગમીમાં ભૂલા પડ્યા.

.

( સાહિલ )

જઈશ – પ્રદીપ ‘સુમિરન’

મન મળે એવા રિવાજોમાં જઈશ,

ફૂલ જેવો થઈ, પહાડોમાં જઈશ !

.

સ્થાન મારું જો નથી બીજે કશે-,

લાભ-શુભ થઈને કમાડોમાં જઈશ !

.

રંગ પુષ્પોનાં હશે ફીકાં અગર,

બેધડક, રંગીન પાપોમાં જઈશ !

.

દર્પણોની ભીડ જામી છે અહીં,

બિંબ ભૂંસી હું ખયાલોમાં જઈશ !

.

એ ચહેરો દૂર છે, બહુ દૂર છે;

એમના મઘમઘ વિચારોમાં જઈશ !

.

 ( પ્રદીપ ‘સુમિરન’ )

લઘુકાવ્યો – કરસનદાસ લુહાર

(૧)

રણ ફેલાતું ફેલાતું

ફળિયા સુધી આવી ગયું

ને તું

હજી તુલસી ક્યારો

સીંચે છે ?!

.

(૨)

ચરોતર,

હું તારી છાતી પર

ઊગેલો

તમાકુનો કોઈ છોડ તો નથીને ?!

.

(૩)

આમ તો

ખુલ્લા હશે

ને આમ મીંચાઈ જશે,

ચક્ષુ એનાં એ હશે

ને સ્વપ્ન બદલાઈ જશે !

.

(૪)

આભ ઊંચી

જૂની મહલ હવેલીમાં

અમાસ અને પૂનમ

સાથે જ

રહે છે !

.

(૫)

અમાસની ઉદર-ત્વચાનો

ભીનોભીનો ઝળહળાટ

મેં આકંઠ પીધો છે !

.

(૬)

પૂનમ અને અમાસ

ક્યારેક સાથે

ફરવા નીકળે છે ને

રસ્તો

શ્વેત-શ્યામ વસ્ત્રો

પહેરી લે છે !

.

(૭)

ફુલ્લ સ્પિડથી

મોટરસાયકલ

ચલાવી રહ્યો છે અંધકાર

અને એની પાછળ બેસીને

પૂનમ ફરવા નીકળીછે !

.

(૮)

વતનના ગામમાં

વેચી નાખેલું મારું મકાન

એક રાત્રે

સ્વપ્નમાં આવ્યું.

મેં પૂછ્યું ‘કેમ છે ?’

તો કહે : ‘એ તો ખબર નથી,

પણ આપણી પાછળનું

પેલું માથાભારે ખંડેર

હવે મહેલ થઈ ગયું છે !’

.

( કરસનદાસ લુહાર )